વિદાય વેળાએ (ભાગ-૨)

તમારામાંના કેટલાકને હું ભેટ લેવામાં અભિમાની અને વધારે પડતો શરમાળ લાગ્યો છું.

મજૂરી લેવાની બાબતમાં હું માની છું ખરો, પણ ભેટ માતે નહીં.

અને જોકે, તમે મને તમારી પંક્તિમાં બેસાડી જમાડવા ઈચ્છતા છતાં, હું ડુંગરાઓમાં બોર જ વીણી લેતો,

અને જોકે, તમે મને તમારે ત્યાં આશ્રય આપવા ખુશી હતા છતાં, હું મંદિરના ઓટલા પર જ સૂઈ રહેતો.

છતાં મારા ખોરાકને મોઢામાં મીઠો બનાવનારી અને મારી ઊંઘને મીઠાં સ્વપનોથી ઘેરી દેનારી તમારી પ્રેમભરી ચિંતા જ નહોતી કે ?

આ બધા માટે મારા તમને અનેક આશીર્વાદ છે :

તમે ઘણું આપો છો, છતાં કશું આપ્યું છે એમ જાણતાયે નથી.

ખરું છે કે જે દયા આરસામાં પોતાનું મોઢું જોવા જાય છે તે શિલા બની જાય છે,

અને જે પુણ્ય સુંદર નામો ધારણ કરે છે તે શાપની જનેતા બને છે.

અને તમારામાંના કેટલાકને હું એકલપ્રિય અને મારા એકાંતમાં જ મસ્ત બનેલો લાગ્યો છું,

અને તમે બોલ્યા છો કે, “એ તો જંગલનાં ઝાડો સાથે ગોષ્ઠિઓ કરે છે, પણ માણસો સાથે નહીં.

“એ એકલો જ પર્વતના શિખરો પર બેસે છે, અને આપણા શહેર પર અધોદ્રષ્ટિ (એટલે નીચે જોનારી દ્રષ્ટિ તેમા જ નીચા-હલકા-છે એમ જોનારી દ્રષ્ટિ) નાખે છે.”

ખરું છે કે, હું પર્વતો પર ચડ્યો છું અને દૂર દૂર પ્રદેશોમાં ફર્યો છું.

બહુ ઊંચે અથવા બહુ દૂર ગયા વિના હું કેમ તમને જોઈ શકત વારું ? ( નજીકથી સ્પષ્ટ દેખાયછે એવું આપણે માનીએ છીએ, પણ નજીકના દર્શનમાં થોડો ભાગ જ દેખાય છે. સંપૂર્ણ દર્શન દૂરથી થાય છે.)

બહુ દૂર થયા વિના બહુ નિકટ કેવી રીતે થવાય ભલા ? (વિખૂટા પડ્યે પ્રેમ વધે છે અને તેથી હૃદયો વધારે નિકટ આવે છે.)

અને તમારામાંના કેટલાક, ભાષાના પ્રયોગવિના, મને બૂમ પાડતા અને કહેતા :

“પરદેશી, અલ્યા પરદેશી, હે અગમ્ય શિખરોના પ્રેમી, ગરુડો જ્યાં માળો બાંધે તેટલે ઊંચે જ તું કેમ રહે છે ?

“અપ્રાપ્યને જ કાં શોધે છે ?”

“કયાં વાવાઝોડાંઓને તું તારી જાળમાં પકડવા ધારે છે,

અને કયાં ગાંધર્વ પક્ષીઓનો (એટલે ગાંધર્વનગરનાં-કાલ્પનિક પક્ષીઓને) તું આકાશમાં શિકાર કરે છે ?

“આવ અને અમારામાંનો એક થા.”

“ઊતર અને તારી ભૂખને અમારા રોટલાથી ભાંગ અને તારી તરસને અમારા દ્રાક્ષરસથી છિપાવ.”

પોતાના હૃદયના એકાંતમાં તેઓ આમ કહેતા;

પણ તેઓનું એકાંત જો વધારે ઊંડું હોત તો તેઓ જાણી શકતા કે હું કેવળ તમારા હર્ષ અને તમારા શોકનો ઊંડો ભેદ જ શોધતો હતો,

અને આકાશમાં વિચરતા તમારા વિરાટ સ્વરૂપનો જ શિકાર કરતો હતો.

પણ શિકારી પોતેયે શિકાર જ બન્યો હતો;

કારણ કે, મારાં બાણોમાંથી ઘણાંક મારા ધનુષ્યમાંથી છૂટી મારી જ છાતીમાં પેસતાં હતાં.

અને ઊડનારો સરપતાં (પેટે ચાલતો હતો : સરપતો=સર્પની જેમ ચાલતો હતો.) પણ હતો;

કારણ, જ્યારે મારી પાંખો સૂર્યમાં ફેલાયેલી હતી, ત્યારે તેમની છાયા પૃથ્વી પર કાચબો બનતી હતી.

અને જે હું શ્રદ્ધાળુ હતો તે સંશયાત્માયે હતો;

કારણ ઘણી વાર હું મારી આંગળી મારા ઘામાં નાખી જોતો કે જેથી તમારે વિશેની મારી શ્રદ્ધા અને તમારે વિશેનું જ્ઞાન વધે.

અને એ શ્રદ્ધા અને એ જ્ઞાનથી હું કહું છું કે,-

તમારા શરીરમાં તમે વીંટળાયેલા નથી, કે નથી તમે તમારાં ઘરો અને ખેતરોમાં પુરાયેલા.

જે તમે છો તે પર્વતોથી ઊંચે રહે છે અને પવનો જોડે ભમે છે.

ગરમી માટે તડકો સેવનારી અને સલામતી માટે અંધારામાં ભોંયરાં ખણનારી વસ્તુ તે તમે નથી,

પણ એક મુક્ત વસ્તુ તમે છો,- પૃથ્વીને વ્યાપી વળનારું અને આકશમાં ગમન કરનારું એક ચૈતન્ય.

જો આ ભાષા અસ્પષ્ટ લાગતી હોય,તો તેને સ્પષ્ટ કરવા મથશો નહીં.

અસ્પષ્ટ અને ઝાંખું જ વસ્તુમાત્રનું આદિ હોય છે, પણ અંત નહીં.

અને આદિ તરીકે તમે મને યાદ રાખો એ હું વિશેષ ઈચ્છું.

જીવન, અને સજીવમાત્ર, ધૂંધ સ્થિતિમાં ઓધાન પામે છે, નિર્મળમાં નહીં.

અને કોને ખબર છે કે નિર્મળ એ લય પામતું ધૂંધ જ ન હોય ?

મને યાદ કરો ત્યારે આટલું યાદ રાખો એમ ઈચ્છું છું.

તમારી અંદર જે અત્યંત નબળું અને બાવરું જણાય છે તે જ સૌથી બળવાન અને દ્રઢનિશ્ચયી છે.

તમારાં હાડકાંને બાંધનારો અને મજબૂત કરનારો તમારો શ્વાસ જ નથી કે ?

અને તમારા નગરને બાંધનાર અને તેમાંની સર્વે રચના કરનાર તમને કોઈનેયે દેખ્યાનું યાદ ન આવતું એક સ્વપન જ નથી કે ? (જે જે રીતે નગરમાં ફેરફારો થયા, એ પ્રત્યેક કોઈની કલ્પનામાં પહેલાં ઉદ્દભવ્યો હશે જ ને ? એ જ સ્વપ્ન.)

તમારા જે શ્વાસના તરંગો તમે જોઈ શકો તો બીજું બધુંયે જોવાનું છોડી દો,

અને એ સ્વપ્નનો ગણગણાટ તમે સાંભળી શકો તો બીજા બધાયે અવાજો સાંભળવાનું બંધ કરી દો.

પણ તે તમે જોઈ શકતા નથી કે સાંભળી શકતા નથી, અને એ જ ઠીક છે.

તે જ તમારી આંખને ઢાંકનાર પડદો ઉધાડશે કે જેના હાથે તેને વણ્યો છે,

અને તે જ તમારા કાનમાંની માટી કોરી કાઢશે, જેનાં આંગળાંઓએ તેને અંદર ભરી છે.

ત્યારે તમે જોશો.

અને ત્યારે તમે સાંભળશો.

છતાં, તમે આંધળા હતા તેનો પશ્ચાતાપ નહીં કરો, અને બહેરા હતા તેનું દુ:ખ નહીં માનો.

કારણ કે, તે દિવસે સૌ વસ્તુઓનાં ગુઢ પ્રયોજનો સમજશો, અને (તેથી) જેમ પ્રકાશને તેમ જ અંધકારનેયે ધન્ય સમજશો.

આ બધું કહ્યા બાદ એમણે આજુબાજુ જોયું, અને તેમણે પોતાના વહાણના સુકાનીને વહાણને મોખરે ઊભેલો અને ઘડીમાં ફૂલેલા સઢો તરફ અને ઘડીમાં પહોંચવાના અંતર તરફ જોતો ભાળ્યો.

ત્યારે તે બોલ્યા :

ધીરજ, અતિશય ધીરજ, મારા કપ્તાને રાખી છે.

પવન ફૂંકે છે અને સઢો ચંચળ થયા છે;

સુકાન પણ ફરવા તત્પર થયું છે;

છતાં શાંતિથી મારો કપ્તાન મારા મૂગા થવાની રાહ જુએ છે.

અને મારા ખલાસીઓ જેમણે મહાસાગરનાં વૃંદગાન સાંભળ્યાં છે, તેઓએ પણ મને ધીરજથી સાંભળ્યો છે.

હવે તેમને પણ મને ધીરજથી સાંભળ્યો છે.

હવે તેમને વધારે ખોટી થવું નહીં પડે.

હું તૈયાર છું.

નદી સમુદ્રને મળી છે, અને વળી એક વાર જગજ્જનની પોતાના બાળકને છાતીએ વળગાડે છે,

સલામ, ઑરફાલીઝના લોકો.

આજનો દિવસ પૂરો થયો છે.

પોયણી જેમ પોતાના પ્રાત:કાળ માટે બિડાઈ જાય છે, તેમ સૂર્ય આપણા પર આથમી રહ્યો છે.

આપણને જે અહીં આપવામાં આવ્યું હોય તે આપણે સંભાળીશું,

અને તે પૂરતું નહીં થાય તો વળી આપણે ભેગાં થવું પડશે અને ભેગાં મળી દાતા પ્રત્યે હાથ લંબાવવો પડશે.

ભૂલશો નહીં કે ફરી હું તમારી પાસે આવવાનો છું.

થોડો સમય, અને મારી વાસના બીજા શરીર માટે માટી અને પાણી ભેગાં કરશે.

થોડો સમય, વાયુ પર એક ક્ષણભર વિશ્રાંતિ, અને એક બીજી માતા મને ધારણ કરશે.

તમને તથા તમારી વચ્ચે ગાળેલા તારુણ્ય (= સુખ )ને સલામ.

હજુ કાલે જ આપણે સ્વપ્નમાં ભેગા થયા.

મારા એકાંતમાં તમે મારી આગળ ગીતો ગાયાં, અને તમારી વાસનાઓનો મેં આકાશમાં મિનારો ચણ્યો.

પણ હવે આપણી ઊંઘ ઊડી ગઈ છે, અને આપણું સ્વપ્ન પૂરું થયું છે, અને માત્ર પ્રભાત જ રહ્યું નથી.

મધ્યાહ્ન આપણી પર આવી લાગ્યો છે, અને આપણી અર્ધજાગૃતિ પૂરો દિવસ બની છે, એટલે આપણે હવે છૂટાં પડવું જ જોઈએ.

સ્મૃતિની સંધ્યામાં જો આપણે પાછા ભેગા થશું તો વળી આપણે સાથે બેસી વાતો કરશું, અને તમે મને તમારું વધારે ગૂઢ ગીત સંભળાવશો.

અને જો બીજા સ્વપ્નમાં આપણા હાથ હેઠા થશે તો બીજો એક મિનારો આપણે આકાશમાં ચણશું.

એટલું કહીને તેમણે પોતાના ખલાસીઓને ઈશારો કર્યો, અને તરત જ તેમણે લંગર ઉપાડ્યું અને વહાણને બંધનોમાંથી છૂટું કર્યું, અને તેઓ પૂર્વ દિશામાં ચાલ્યા.

અને જાણે એક જ હૃદયનો હોય તેમ લોકોમાંથી ધ્વનિ નીકળ્યો, અને તે સંધ્યાની રજમાં ફેલાયો અને મોટા દુંદુભિનાદની જેમ સમુદ્રમાં ગયો.

માત્ર મિત્રા જ, ધુમ્મ્સમાં વહાણ અદ્રશ્ય થયું ત્યાં સુધી તે તરફ જોતી, મૂગી બેઠી હતી.

અને જ્યારે બધા લોકો વીખરાઈ ગયા ત્યારે સમુદ્રની દીવાલ પર તે એકલી જ, પોતાના હૃદયમાં તેમનું વચન યાદ કરતી ઊભી રહી :

“થોડો સમય, વાયુ પર એક ક્ષણભર વિશ્રાંતિ, અને એક બીજી માતા મને ધારણ કરશે.”

( ખલિલ જિબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા )

વિદાય વેળાએ (ભાગ-૧)

(23/08/1938 – 25/12/2012)

(23/08/1938 – 25/12/2012)

અને હવે સાંજ પડી.

ત્યારે સાધ્વી મિત્રાએ કહ્યું,

ધન્ય હો આજના દિનને અને સ્થળને અને આપના આત્માને જેણે અમને વચનામૃત સંભળાવ્યાં.

ત્યારે તે બોલ્યા, શું હું બોલતો હતો કે ?

શું હું સાંભળનારોયે નહોતો કે ?

તે પછી તે મંદિરની પગથીઓ ઊતર્યા, અને સર્વ લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. અને તે વહાણ પર જઈ પહોંચ્યા, અને તેની તૂતક પર ઊભા રહ્યા.

અને લોકો ભણી જોઈ, તે પોતાનો સાદ મોટો કરી બોલ્યા :

ઑરફાલીઝના લોકો, તમારી વિદાય લેવા પવન સૂચવી રહ્યો છે.

પવન કરતાં મારી ઉતાવળ ઓછી છે, છતાં મારે હવે જવું જોઈએ જ.

અમે ભટકનારા, હમેશાં એકાંતનો માર્ગ શોધનારા, જ્યાં એક દિવસ પૂરો કર્યો ત્યાં જ બીજો દિવસ ઊગવા દઈએ નહીં; અને જ્યાં અસ્ત પામતો સૂર્ય અમને છોડી જાય ત્યાં ઉદય પામતો સૂર્ય અમને જોઈ શકે નહીં.

પૃથ્વી ઊંઘતી હોય ત્યારેયે અમે તો ફરતા જ હોઈએ.

અમે છીએ દ્રઢ વૃક્ષનાં બીજો; અમારી પક્વતાની અને અમારા અંતરની પૂર્ણતાની દશામાં અમને પવનને હવાલે કરી સર્વત્ર ઉડાડવામાં આવે છે.

થોડો જ કાળ હું તમારામાં રહ્યો, અને તેથીયે થોડા શબ્દો મેં તમને કહ્યા છે,

પણ મારો અવાજ તમારા કાનમાં જીર્ણ થઈ જશે, અને મારો પ્રેમ તમારી સ્મૃતિમાંથી ભૂંસાઈ જશે, તો વળી હું તમારી વચ્ચે આવીશ.

અને વધારે ભાવથી અને આત્માને વધારે આધીન રહેનારી વાણીથી હું તમારી જોડે બોલીશ.

જરૂર, વળતી ભરતીએ હું પાચો આવીશ,

અને મરણ મને સંતાડી દે, અને વિશેષ મૌન મને ઢાંકી દે, તોયે વળી હું તમારી બુદ્ધિને શોધીશ.

અમે મારી શોધ મિથ્યા નહીં જાય.

અને મેં કહ્યું તેમાં જો કંઈ સત્ય હોય, તો સત્ય વધારે સ્પષ્ટ અવાજમાં, અને તમારી બુદ્ધિને વધારે અનુકૂળ વાણીમાં પ્રગટ થશે.

હું પવન સાથે જાઉં છું, ઑરફાલીઝના લોકો, પણ હું શૂન્યમાં ડૂબી જતો નથી.

અને જો આજનો દિવસ તમારી ભૂખને અને મારા પ્રેમને તૃપ્ત કરનારો ન નીવડ્યો હોય, તો તે બીજે દિવસે પાછા આવવાના કરારરૂપે થાઓ.

મનુષ્યના વિષયો બદલાય છે, પણ તેનો પ્રેમ બદલાતો નથી; તેમ જ નથી બદાલતી ઈચ્છા કે એના પ્રેમથી એના વિષયો તૃપ્ત થાય.

ત્યારે જાણો કે વધારે મોટા મૌનમાંથી હું પાછો આવીશ.

ખેતરોમાં ઝાકળનાં ટીપાં વેરી પ્રભાતમાં ઊડી જનારું ધુમ્મસ, ઊંચે ચડી વાદળામાં બંધાઈ, પાછું વરસાદરૂપે નીચે પડે છે.

અને એ ધુમ્મસથી હું જુદા પ્રકારનો નથી.

રાત્રિની શાંતિમાં હું તમારી શેરીઓમાં ફર્યો છું, અને અમરો આત્મા તમારાં ઘરોમાં પેઠો છે,

અને તમારા હૃદયના ધબકારા મારા હૃદયમાં થતા, અને તમારો ઉચ્છવાસ મારા મોં પર અઅવતો, અને હું તમને બધાને ઓળખતો.

સાચે જ, તમારા હર્ષ અને તમારા પ્રેમને હું અજણતો, અને તમારી ઊંઘમાં તમારાં સ્વપ્નો મારાં સ્વપ્ન બનતાં.

અને ઘણીવાર હું તમારી વચ્ચે પર્વતામાળા વચ્ચે આવેલા સરોવર જેવો થતો.

તમારાં શિખરો અને વાંકાચૂકા ચડાવોનાં, અને વળી તામરા વિચારો અને તમારી કામનાઓના ચાલી જતા ગાડરોનાંયે હું પ્રતિબિંબ ઉઠાવતો.

અને મારા શાંત (હૃદ=સરોવર) પ્રત્યે તમારાં બાળકોનું હાસ્ય ઝરણાંઓ થઈને અને તમારા તરુણોની આકાંક્ષાઓથીયે વધારે મોટાં બની તે (ગાનો) મારી પાસે આવતાં.

એ તમારામાં રહેલો અનંત હતો;

તે વિરાટ પુરુષ જેનાં તમે સૌ માત્ર જુદા જુદા કોશો (cells) અને સ્નાયુઓ જ છો,

અને જેના સૂરમાં તમારું સર્વ સંગીત કેવળ અવાજ વિનાના કંપ જેવું જ છે,

એ વિરાટ પુરુષને લઈને તમે વિરાટ છો,

અને તેના દર્શનમાં મેં તમને જોયા અને ચાહ્યા.

કારણ, એ વિશાળ સ્વરૂપમાં ન હોય એવાં કયાં અંતરોને પહોંચવાની પ્રેમની શક્તિ છે ?

કયાં સ્વપ્નાં, કઈ આશાઓ અને કઈ ધારણાઓ ને ઊંડાણને (ઊંડાણ=આકશમાં ઊંચી ઊડ, flight) ઓળંગી શકે ?

લાખનાં ફૂલથી ઢંકાઈ ગયેલા મહાન વનવૃક્ષના જેવો તે વિરાટ પુરુષ તમારામાં વસે છે. (વનવૃક્ષ=દેવદાર Oak. એમાંથી ઝરીને ફૂલની જેમ બંધાતો ગંધવાળો રસ તેને અહીં લાખ કહ્યો છે.-oakapple)

એની શક્તિ તમને પૃથ્વી સાથે જકડી રાખે છે, એની સુવાસ તમને આકાશમાં ચડાવે છે, અને ચિરંજીવિતામાં તમે અમર છો.

તમને એમ શીખવવામાં આવે છે કે સાંકળની જેમ તમેયે તમારી નબળામાં નબળી કડી જેટલા નબળા હો છો.

આ અર્ધું જ સત્ય છે. તમે તમારી જબરામાં જબરી કડી જેટાલા બળવાન પણ છો.

તમારા સૌથી અલ્પ કાર્ય પરથી તમારું માપ કાઢવું, એ સમુદ્રની શક્તિનો એની ફીણની ક્ષુદ્રતા પરથી ખ્યાલ કરવા બરાબર છે.

તમારી નિષ્ફળતા પરથી તમારે વિશે મત બાંધવો એ ઋતુઓને તેમની અસ્થિરતા માટે દોષ દેવા બરાબર છે.

સાચે જ તમે સમુદ્ર સરખા છો,

અને ભારથી લાદેલાં વહાણો તમારા કિનારાઓ પર ભરતીની વાટ જોતાં ઊભાં હોય તોયે, સમુદ્રની જેમ જ, તમેયે તમારી ભરતીને ઉતાવળ આણી ન શકો.

અને તમે ઋતુઓ સરખાયે છો;

અને જોકે તમારા શિયાળામાં તમે તમારા વસંતનો ઈનકાર કરો છો, (એટલે જાણે વસંત આવનાર જ ન હોય એવું દર્શાવો છો. શિયાળો=નિરાશા, વસંત=આશા).

છતાં વસંત તમારામાં જ સૂતેલો હોઈ, પોતાના ઘેનમાં હસે છે અને ખોટું લગાડતો નથી.

એમ ન માનશો કે આ બધું હું તમને કહું છું તે એટલા માટે કે પછીથી તમે એકબીજાને કહો કે, “એણે આપણં સારાં વખાણ કર્યાં. એણે આપણી સારી બાજુ જ જોઈ.”

હું માત્ર વાચામાં જ તે કહું છું, જે તમે તમારા અંતરમાં જાણો છો જ.

અને વાચામય જ્ઞાન એટલે વાતચીત જ્ઞાનની છાયા સિવાય બીજું શું ?

તમારા વિચારો અને મારી વાચા સીલબંધ કરી રાખેલી આપણી સ્મૃતિના તરંગો માત્ર છે;

એ (સ્મૃતિ એટલે) એક દફતરખાતું જેમાં આપણી ગઈ તિથિઓની,

અને જ્યારે પૃથ્વી આપણને કે પોતાનેયે જાણતી નહોતી તે પ્રાચીન કાળની,

અને જ્યારે તે પ્રલયાવસ્થામાંથી પ્રગટ થતી હતી તે ગરબડવાળી રાત્રિઓની નોંધો રખાયેલી છે.

ઘણા જ્ઞાની પુરુષો પોતાનું જ્ઞાન તમને આપવાને અહીં આવી ગયા છે. હું તમારી પાસેથી કંઈક જ્ઞાન મેળવવા આવ્યો હતો :

અને, ખરે જ, જ્ઞાન કરતાંયે કાંઈક વિશેષમને મળ્યું છે.

એ તમારી અંદર રહેલી, અને સદાયે વધતી જતી, ચૈતન્યની જ્યોતિ;

જો કે તમે તો, એની વૃદ્ધિ તરફ દુર્લક્ષ કરી, તમારા દિવસો વહી ગયાનો શોક કરો છો.

જે જીવન શરીરની અંદરના જ જીવનને શોધે છે, તે જ કબરથી ડરે છે.

અહીં કબરો છે જ નહીં.

આ પર્વતો અને મેદાનો પાળણું અને ચડવાનું પગથિયું છે.

જ્યાં તમે તમારા પૂર્વજોને દાટ્યા હોય તે ખેતર પાસેથી જ્યારે જ્યારે તમે જાઓ, ત્યારે તેને સારી પેઠે તાપસી જુઓ; તો તેમાં તમે તમને પોતાને અને તમારાં બાળકોને હાથમાં હાથ મેળવી નાચતાં જોશો.

ખેર, કેટલીયે વાર તમે ન જાણતાંયે આનંદ કરો છો. (એટલે તમારો આનંદ યોગ્ય કારણસર હોય છે, પણ તેના કારણની તમને ખબર નથી હોતી. તમારા પૂર્વજો તમને મૂકીને કબરમાં ન ગયા હોત, તો તમે આજે નાચી શકત નહીં, અને તમે જો મરો નહીં તો ઊંચેયે ચડી શકો નહીં, અને તમારા વંશજો માટે સ્થાન ખાલી પણ કરી શકો નહીં. તમારા રૂપમાં તમારા પૂર્વજો જ વસે છે, અને તમારા વંશજોમાં તમે જ અવતાર લો છો. એ દ્રષ્ટિએ મરણ તપાસો તો એમાં ડરવા જેવું કશું નહીં જણાય.)

વળી કેટલાક તમારી પાસે આવી ગયા છે જેઓ તમારી શ્રદ્ધાને સુવર્ણમય આશાઓ આપી ગયા છે; તેના બદલામાં તમે તેમને માત્ર ધન અને સત્તા અને કીર્તિ જ આપ્યાં છે.

મેં તમને આશાથીયે ઓછું આપ્યું છે, છતાં તમે મારા પ્રત્યે વધારે ઉદારતા બતાવી છે.

તમે મને ચૈતન્ય માટેની વધારે તીવ્ર તૃષા આપી છે.

સાચે જ, જે વડે માણસના સર્વે ઉદ્દેશો સુકાઈ જનાર હોઠ બની જાય, અને સર્વ જીવન એક ઝરણું બની જાય તે કરતાં કોઈ વધારે મોટી ભેટ હોઈ શકે નહીં.

અને મારું માન અને મારો બદલો આ જ વાતમાં રહ્યો છે કે-

જ્યારે જ્યારે હું એ ઝરણા પાસે પીવા આવું છું, ત્યારે તેનું ચૈતન્ય-નીર પોતે જ મને તરસ્યું માલૂમ પડે છે;

અને હું એને પીઉં છું ત્યારે તેયે મને પીએ છે.

(ખલીલ જીબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા)