તેઓ ક્યાંય જતા નથી…………

જેઓ પંચતત્વમાં લીન થયાં છે તે ક્યાંય ગયાં નથી,
તેઓ તો પડછાયાની જેમ અડીખમ તમારી સાથે જ છે.
તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,
તેઓ તો માટીની મહેક લઈ વનાંચલમાં વિસ્તરી ગયાં છે.
ને દુ:ખ-દર્દ સમેટી લઈ પ્રગાઢ તરુવરમાં વેરાઈ ગયાં છે.
તો તો કલકલતા ઝરણાંમાં ને ખળખળતી સરીતાઓમાં વહી ગયાં છે,
ને પ્રશાંત મહાસાગરમાં નિદ્રાધીન થઈ ગયાં છે.
જેને તમે મૃતાત્મા કહો છો તે ક્યાંય જતાં નથી,
ઘરમાં, ખેતરમાં કે અડાબીડ ભીડમાં તેઓ અત્ર, તત્ર, સર્વત્ર છે.
તેઓ તો આવનારી પેઢીઓમાં ને માતાના ધાવણમાં છે.
તેઓ તો મંદ સમીર રૂપે હળુહળુ થતા તરુવરમાં ઝૂમી રહ્યાં છે.
ને લીલાંછમ પર્ણોના મર્મર નાદમાં ગુંજી રહ્યાં છે.
તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,
તેઓ તો અગ્નિકુંડમાંથી દિવ્યજ્યોત સ્વરૂપે અવતરીને,
આપણે આંગણે તુલસીક્યારે ઝળહળે છે
જેને તમે મૃતાત્મા કહો છો તે ક્યાંય જતાં નથી,
તેઓ તો પંચતત્વ રૂપે આપણી આસપાસ જ રહે છે.
એમની સ્મૃતિગાથા સદા આપણી મનોભૂમિમાં જીવંત જ રહે છે.
એટલે જ તો તેઓ ક્યાંય જતાં નથી,
તેઓ તો પડછાયાની જેમ અડીખમ આપણી સાથે જ રહે છે.
( અજ્ઞાત કવિ, મૂળ અંગ્રેજી, મુક્તાનુવાદ : બકુલા ઘાસવાલા )
સાંત્વના આપતું પ્રેરણાત્મક કાવ્ય
સાંત્વના આપતું પ્રેરણાત્મક કાવ્ય