તોયે આપણે કેમ ?-પન્ના નાયક

ખોવાઈ ગયેલા સુખના પડઘાઓ
એકઠા કરવાથી
સુખ નથી મળતું.

ખરી ગયેલી પાંદડીઓને
એક પછી એક
પાછી ગોઠવવાથી
ફૂલ ક્યાં ફરી સર્જી શકાય છે ?

ઉછળતા એક મોજાને નજરમાં પરોવીએ
પણ એમાં દરિયો તો ઘુઘવતો નથી.

સુખ તો ડૂબી ગયું છે
ક્યાંક તળિયે
તૂટી ગયેલી કોઈક નૌકાની જેમ !
તોયે
આપણે કેમ ?
ખરી ગયેલી પાંદડીઓને ગોઠવી ફૂલ સર્જવામાં
અને
એક મોજામાં સમુદ્રને સમાવવાના પ્રયત્નમાં
રત રહેતાં હોઈશું ?

( પન્ના નાયક )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.