તો લખજે મને-પરાજિત ડાભી
આંસુઓને સારવાનું થાય તો લખજે મને.
દર્દને વિસ્તારવાનું થાય તો લખજે મને.
જિંદગી કેરો ભરોસો સોળાઆની હોય પણ,
મોતને જો મારવાનું થાય તો લખજે મને.
જે વિચારોનાં બરફને પીગળાવી ના શકે,
તાપણું એ ઠારવાનું થાય તો લખજે મને.
ધબ દઈને તેં પછાડ્યું પોટલું જે શ્વાસનું,
એ ફરી વેંઢારવાનું થાય તો લખજે મને.
હારવામાં તો હંમેશા હારવું નક્કી જ છે,
જીતમાં પણ હારવાનું થાય તો લખજે મને.
જન્મ આપીને ગુનાઓ પર ગુનાઓ લાદતા,
ઈશને લલકારવાનું થાય તો લખજે મને.
લોહી છાંટીને લખ્યું જે શ્વાસનાં કાગળ ઉપર,
કાવ્ય એ સુધારવાનું થાય તો લખજે મને.
( પરાજિત ડાભી )