કોઈ એમ ન માને કે…-પન્ના નાયક

કોઈ એમ ન માને કે હું માત્ર પુસ્તકોથી ઘેરાયેલી છું
લાઈબ્રેરીની બહાર પણ જીવન વહે છે નદીની જેમ
એક બાજુ ઘૂઘવતા અક્ષરોનો અવિરામ સમુદ્ર
અને બહાર ઊછળતા મનુષ્યોના અનેકવિધ ચહેરાઓ.

પ્રત્યેક ચહેરો મારે માટે નહીં લખાયેલી કે નહીં વંચાયેલી
નવલકથા કે નવલિકા કે એક સ્વયં કવિતા છે.
કોઈના સ્મિતના અજવાળે હું આંખોના અધ્યાય વાંચી લઉં છું
તો કોઈકનાં આંસુનાં મુક્તક મારી આંખની છીપમાં હોય છે.

લાઈબ્રેરી તરફ જતો રસ્તો અને લાઈબ્રેરીની બહાર
નીકળતા રસ્તાની હું પ્રવાસી અને યાત્રિક છું
સાંજે નિરાંતે ઝૂલતા વૃક્ષમાંહું પવન સાથે પ્રીત કરું છું
અને પળપળના ઊડતા પતંગિયાનું રચું છું રંગીન ગીત.

મારી ભીતર કેટલાંય કોરાં પાનાં અમસ્તાં તરફડે છે;
એના પર કશું લખતી નથી પણ તારો ચહેરો દોરું છું.

( પન્ના નાયક )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.