હરે-ફરે છે-ભાર્ગવ ઠાકર

અધકચરી ભ્રમણાનું જાળું ગજવામાં લઈ હરે-ફરે છે,
થોડું પોતીકું અજવાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

જાંબુડી તડકાને સ્પર્શી, પળમાં એ સોનેરી કરશે;
ગરમાળા ઘેઘૂર ઉનાળું, ગજવામાં લઈ હરે-ફરે છે.

છેતરવામાં નિષ્ફળ રહેશે અખબારી આંસુઓ ત્યારે,
ખપ પૂરતું એ સ્મિત છિનાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

વૈરાગી વાઘાની સળનાં ચાઠાં ક્યાંથી હોય શરીરે !
એ તો કાયમ પોત સુવાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

વિસ્મયની ઓપાર જવાનો રસ્તો કેમ કરીને ઊઘડે ?
શંકાનું લોખંડી તાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

( ભાર્ગવ ઠાકર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.