ગાંઠ એટલે નિર્ણય-તુષાર શુક્લ

ગાંઠ એટલે નિર્ણય.
ગાંઠ વાળવી એટલે નિર્ણય કરવો.
ગાંઠ વળે એટલે દ્રઢ નિર્ણયનો પરિચય મળે.
આ દ્રઢતા હકારાત્મક પરિણામ પણ લાવે.
આ દ્રઢતા નકારાત્મક પરિણામ પણ લાવે.
પણ, એક વાર ગાંઠ વાળી-નિર્ણય કર્યો-
પછી પાછા હઠવું અસંભવ.

ગાંઠ વળે ત્યારે એક નુકસાન એ થાય છે કે
મનની બારીઓ જડબેસલાક બંધ થઈ જાય છે
વૈકલ્પિક વિચારના વાયુનું વહન પણ હવે અસંભવ બને છે.

દ્રષ્ટિનો લેન્સ એક જ ખૂણે ફિટ થઈ જાય છે.
હવે વિષયને અન્ય દ્રષ્ટિકોણથી સમજવા
મન મુક્ત રહેતું નથી.

જેને આપણે આપણી ઈચ્છાથી વાળેલી ગાંઠ માનતા હોઈએ,
એ જ પછી- ગાંઠ પડી ગયાની સ્થિતિ બને છે.
હવે આગ્રહ હઠાગ્રહ બને છે.
ગાંઠ છૂટવાની વેળાની
હવે તો માત્ર વાટ જ જોયા કરવાની !

( તુષાર શુક્લ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.