આપણને અનુકૂળ જ આપણને આનંદ આપે છે.
ગ્રંથિના ગોગલ્સ દ્રશ્યને ઈચ્છિત રંગ આપે છે,
અને પ્રકાશને ગાળી નાખે છે.
ભરબપોરે ઢળતી સાંજનો ભ્રમ રચે છે.
સહેજ અમથી પ્રતિકૂળતા મૂંઝવી જાય છે મનને.
ગ્રંથિનું ગણિત લાગણીની ભાષાના પેપરમાં ઓછા માર્કસ અપાવે છે.
ગાંઠ પડે ત્યારે સૌથી પહેલો ભોગ બને છે સહજતા.
સરળતાથી પરોવાવું શક્ય નથી રહેતું,
પછી આપણે કૃત્રિમ બનતા જઈ છીએ.
હોઈએ છીએ જૂદા
દેખાઈએ છીએ જૂદા
સમયાનુસાર, ચહેરા પર મ્હોરા પહેરતા ફાવી જાય છે.
આ ફાવટને આપણે મોટા થવું કહીએ છીએ
અને વર્ષગાંઠને એનો પદવીદાન સમારંભ !
( તુષાર શુક્લ )