શું કરું-માધવ આસ્તિક
શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને ?
ખાલીપો માણી શકું જો મનભરીને.
મૌનની સામે થયો’તો એ પછીથી,
હર્ફ પણ ઉચ્ચારું છું હું થરથરીને.
જો વહેવું આવડે તો પાર દરિયા,
ક્યાં કશે પહોંચી શકાયું છે તરીને!
આંગળી બદલે પહોંચો ચાલશે પણ,
હસ્તરેખામાં જ બેઠા ઘર કરીને?
એક પરપોટાને કાપી નાખવો છે,
એ જ સપનું રોજ આવે છે છરીને.
( માધવ આસ્તિક )