શું છે ?-એસ. એસ. રાહી

ભીંતો જ ચોતરફ હો તો આરપાર શું છે ?
ખડકી પૂછે ગલીને કે બારોબાર શું છે ?

અત્તરનાં ફૂલ જ્યારે ડાળી ઉપર ઝૂકે તો,
પૂછે પવન તરત કે ખુશબોનો ભાર શું છે ?

નફરત કરે છે તેને પજવે છે પ્રશ્ન એક જ,
મજનૂની વારતામાં આ પ્યારબ્યાર શું છે ?

હું પ્રેમની પછેડી વણતો રહું નિરંતર,
પણ ફરફરે પવનમાં એ તારતાર શું છે ?

તું કોઈ પણ પ્રહરમાં ગાજે ઉલટથી ગીતો,
મહોલ નહિ પૂછે કે દીપક-મલ્હાર શું છે ?

હું તો અગમનિગમની વાતોને કેમ સમજું,
આ પાર તું નથી તો પેલે પાર શું છે ?

શેખે કહ્યું નહીં તો દરવેશને પૂછી લ્યો,
જીવનનો મંત્ર શું છે ? મૃત્યુનો સાર શું છે ?

વીંઝાય તેની પહેલાં બે વાર એ વિચારે,
તલવારને ખબર છે લોહીની ધાર શું છે ?

ગ્રંથોમાં ‘રાહી’ સાચા ઉત્તર કદી મળ્યા નહિ,
શ્રદ્ધા કે આસ્થા કે આ ઐતેબાર શું છે ?

( એસ. એસ. રાહી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.