તો પછી શું કરો તમે ?-એસ. એસ. રાહી
ભીંતો જ ખળભળે તો પછી શું કરો તમે ?
બારીને કળ વળે તો પછી શું કરો તમે ?
અધમણ લઈને બાજરો બેઠા છો તમે પણ,
ઘંટીના પડ ગળે તો પછી શું કરો તમે ?
ચહેરો છુપાવવાના કરો યત્ન તમે પણ,
પરદાઓ ટળવળે તો પછી શું કરો તમે ?
શઢનો ને હલેસાનો ભરોસો કરો વધુ,
જો નાવ ઊછળે તો પછી શું કરો તમે ?
મંઝિલ નજીક હોય ને પહોંચાય તરત પણ,
રસ્તો જ ખુદ વળે તો પછી શું કરો તમે ?
( એસ. એસ. રાહી )