તારી ભીતર હોય અવઢવ છોડ તું,
રોજ વધતી જાય સમજણ છોડ તું.
.
પારદર્શક હોય માણસ સારું છે,
બાકી તૂટી જાય સગપણ છોડ તું.
.
સુખનું એવું કોઈએ ઠેકાણું નથી,
એવું જો લાગે તો સુખ પણ છોડ તું.
.
રાત આખી સળગે દીવો શક્ય નાં,
તો પછી ઓ દોસ્ત અવસર છોડ તું.
.
ચોતરફથી છે સવાલો સામટા,
હોય ઉત્તર એક, ઉત્તર છોડ તું.
.
શ્વાસની દુકાન છે, રકઝક ન કર,
આપશે એ ઓછું વળતર, છોડ તું.
.
એક ચહેરો બારી થઈને ઝૂરતો,
આખરે એવું ય વળગણ છોડ તું.
.
( ધ્વનિલ પારેખ )