વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૫-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

.

.

.

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૧-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૨-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૩-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૪-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

અમે – નીતિન વડગામા

.

અમે સંતના ચેલા.

લોક ભલે ને અવગણતા ને ગણતા ગાંડાઘેલા !

.

શાતા આપે એ જ અમારું એક અસલ સરનામું,

રુદિયાને ના રુચે એ સઘળુંયે સાવ નકામું.

કોઈ કહે બડભાગી અમને, કોઈ કહે વંઠેલા !

અમે સંતના ચેલા.

 .

એ જ અમારી અંદર મ્હોરે વડલો થઈ ઘેઘૂર,

કેમ કરીને થાવું ખુદના પડછાયાથી દૂર ?

આંખ મળે ત્યાં આપોઆપ જ થઈ જાતાં અલબેલા !

અમે સંતના ચેલા.

 .

( નીતિન વડગામા )

અસ્તિત્વને ખોયા વિના – દિનેશ ડોંગરે ‘નાદાન’

.

અસ્તિત્વને ખોયા વિના અત્તર થવાય ના,

ચાલીને કાંખઘોડીથી પગભર થવાય ના.

.

એ મારો પિંડ છે કે હું ઉત્તર બની શકું,

તું પ્રશ્ન છે, ને પ્રશ્નથી ઉત્તર થવાય ના.

 .

પીવું અને પચાવવું એની કમાલ છે,

પીવાથી માત્ર ઝેર કંઈ શંકર થવાય ના.

 .

ઓળખ અલગ અલગ છે અહીં પ્રત્યેક જીવની,

કોઈથી પણ કોઈની બરાબર થવાય ના.

 .

આંગણ હો આપણું અને ઉત્સવ હો આપણો,

‘નાદાન’ પારકાને ત્યાં અવસર થવાય ના.

 .

( દિનેશ ડોંગરે ‘નાદાન’ )

બેઠો છું – બેજાન બહાદરપુરી

.

ન આદિ અંત જેની વાત એ માંડીને બેઠો છું,

સમયના ફીંડલાને ખૂંટીએ ટાંગીને બેઠો છું.

 .

ન ઝંઝાવાતનો છે ડર, ડરાવે શું હવે આંધી,

દીવાની વાટને બે હાથથી ઢાંકીને બેઠો છું.

.

દિશાઓને ગજવવાના થવાના ચૂર સપનાઓ,

વહી વંચા ! હું મારા ભાગ્યને વાંચીને બેઠો છું.

 .

હવે નહિ ઘૂઘવે મોજાં, હવે સંભળાય નહિ ગર્જન,

ઈલમથી સાત સાગરની નજર બાંધીને બેઠો છું.

 .

ઘૃણાઓના પડ્યા હેવા અને બંધાણ જખમોનું,

જનોઈ વાઢ કાતિલ ઘાવ હું સાંખીને બેઠો છું.

 .

રજતનો પાસ લાગ્યો કેશને ‘બેજાન’ ઉતાવળ કર,

પ્રતીક્ષા આંખમાં શબરીની જો આંજીને બેઠો છું.

 .

( બેજાન બહાદરપુરી )

જીવી શકું ? – ‘વિવશ’ પરમાર

.

ક્યાં સુધી અટકળ ઉપર જીવી શકું ?

તું કહે, એ પળ ઉપર જીવી શકું.

 .

સૂર્ય છોને ભાગ્યનો ઊગ્યો નહીં,

આંસુની ઝળહળ ઉપર જીવી શકું.

 .

ટેરવામાંથી સતત ટપક્યા કરીશ,

શબ્દ છું ! કાગળ ઉપર જીવી શકું.

 .

ચોતરફ વાતાવરણ ભીનું થયે,

જળ બની ખળખળ ઉપર જીવી શકું.

.

છે અજાણી ભોમકા તો શું થયું ?

શક્ય છે અંજળ ઉપર જીવી શકું.

 .

( ‘વિવશ’ પરમાર )

કૈં ખબર પડતી નથી – જિતેન્દ્ર પ્રજાપતિ

.

આયખું અંધારને ઘેરી વળ્યું છે કે પછી અંધાર મારા આયખાને કૈં ખબર પડતી નથી,

ચોતરફથી ક્યારનો ભીંસી રહ્યો છે શૂન્યનો આકાર મારા આયખાને કૈં ખબર પડતી નથી.

 .

શ્વાસનો જો હોય પ્રશ્ન તો હવાની કો’ કચેરી જઈ અને બે-ચાર શ્વાસોનો ઘટાડો હું કરત,

પણ હવે કૈં ક્યારનો સૌ સ્વપ્નનો લાગી રહ્યો છે ભાર મારા આયખાને કૈં ખબર પડતી નથી.

 .

શુષ્કતાને ત્યાગવા માટે કરી છે એક સુક્કા પાંદડાએ લ્યો હવે અરજી અમારા નામ પર;

શું કરું ? મંજૂર રાખું ? કે પછી સૌ રદ કરું આધાર ? મારા આયખાને કૈં ખબર પડતી નથી.

.

રાતના સૂનકારને તોડી રહેલી સ્વપ્નતાં એ આવનારી કાલનો સંકેત નહિ તો શું હશે,

આંખ ફરકે, ક્યારનું ધબકી રહ્યું છે હૈયું વારંવાર મારા આયખાને કૈં ખબર પડતી નથી.

.

સત્યમાં સાબિત થવા દોડી રહી છે એક અફવા ક્યારની આ શહેરના રસ્તા ઉપર ચારે તરફ,

શું થશે ? સાબિત થશે ? કે આખરે બનશે બધે ચકચાર ? મારા આયખાને કૈં ખબર પડતી નથી.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

જ્યોત થરથરતી હતી – આબિદ ભટ્ટ

.

હા, હવાથી જ્યોત થરથરતી હતી,

પ્રાર્થનામાં આંખ ઝરમરતી હતી !

 .

વૃક્ષ થોડું કૂંપળોને એમ કે’,

કે હયાતી પાંદડે ખરતી હતી !

 .

વાદળી હારી બિચારી દોડમાં,

આંખ બારેમાસ નીતરતી હતી !

 .

ચીંધવાને આંગળી ગઈકાલ તો,

કો’ મહાહસ્તી ય અવતરતી હતી.

.

તીર આવ્યું એ તરફ મિત્રો હતા,

લાગણી તેથી જ ચરચરતી હતી.

 .

છોકરીની વાત અફવા નીકળી,

જિંદગી તો મોત પર મરતી હતી !

 .

નીચલા તરસ્યા રહે એ ઠીક ના,

માટલી એ ખ્યાલથી ઝરતી હતી.

 .

( આબિદ ભટ્ટ )

કિનારા જોઈએ – આહમદ મકરાણી

.

હાથ, હૈયું ને હલેસાં જોઈએ;

સાવ પાસે ના કિનારા જોઈએ.

 .

ઈશને પણ એકલું ગમતું નથી,

મિત્રના કાયમ જમેલા જોઈએ.

.

કૈં નહીં તો એટલું તો કર, ખુદા,

ચોતરફ ચહેરા હસેલા જોઈએ.

 .

એકલું આ ભીંતને ગમતું નથી,

ભીંત પર ફોટા મઢેલા જોઈએ.

 .

મુશ્કિલો જો આવશે, સત્કારશું;

દેહમન કાયમ કસેલાં જોઈએ.

 .

કોણ, ક્યારે થૈ અતિથિ આવશે ?

બારણાં હરદમ ખૂલેલાં જોઈએ.

.

( આહમદ મકરાણી )

નદી છલકાય – હરીશ પંડ્યા

.

કરે છે કામ ખોટા ને પછી પસ્તાય પાછળથી,

થયેલી ભૂલ નાની પણ પછી સમજાય પાછળથી.

 .

ગણ્યાં અંગત અમે જેને સ્વજનથી પણ વધારે તો,

મદદ માગી જરા કે લાગણી પરખાય પાછળથી.

 .

સતત ગૂંથ્યા કરે છે જાળ અંગત સ્વાર્થના કાજે,

નથી એ જાણતાં એમાં જ ખુદ અટવાય પાછળથી.

 .

તમે જો બીજ વાવો તો પછી હંમેશ જળ સિંચો,

થવા વટવૃક્ષ જોજો કૂંપળો ફણગાય પાછળથી.

 .

ઉદાસી સાગરે વ્યાપી ગુમાવી જળ પ્રખર તાપે,

મિલન જેનું થવાનું એ નદી છલકાય પાછળથી.

 .

( હરીશ પંડ્યા )