Category Archives: ગુજરાતી કવિતા

યુધ્ધ એ જ કલ્યાણ-એષા દાદાવાળા

પૂછયું કલમો પઢતા આવડે છે?

અઝાન બોલતા આવડે છે?

ને પછી પારકી બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી…

મોતે પ્રવાસીઓ પાસેથી જિંદગીનો

જઝિયા વેરો ઉઘરાવ્યો…..

હવે તો એક જ ધર્મ,

વીરધર્મ….

યુધ્ધ એ જ ધર્મ…..

નજર સામે હિંદુ પતિને મરતો જોનારી

સુહાગનનો ધર્મ….

આંખો સામે પિતા નામના આકાશને

લોહીલુહાણ થતા જોનારા પુત્રનો ધર્મ…

સૈનિકનો ધર્મ,

નાગરિકનો ધર્મ,

મારો ધર્મ,

તમારો ધર્મ,

એક જ ધર્મ!

મંદિરનો ધર્મ,

મસ્જિદનો ધર્મ,

ગુરુદ્વારાનો ધર્મ,

ચર્ચનો ધર્મ,

એક જ ધર્મ,

વિક્રમ બત્રા, સોમનાથ શર્મા,

અબ્દુલ હમીદ, આલ્બર્ટ એક્કા,

અરદેશીર તારાપોર ને બાનાસિંઘ સરીખા

પરમવીરોનો ધર્મ,

આ દેશનો ધર્મ,

યુધ્ધ એ જ ધર્મ!

ભારતમાતાના લલાટે રકત રેડ્યું

સુહાગનોનાં લલાટેથી સિંદુર ભૂસ્યું,

ફરવા આવેલાને ગોળીએ દીધા

વડાપ્રધાનને સંદેશા દીધા….

મિસાઈલોને પડકાર ફેંક્યા,

વિમાનોને નોતરાં આપ્યા

શક્તિશાળી ગરૂડોને કહો પાંખો ફેલાવે,

હવે આકાશમાંથી સળગતું મોત વરસાવે….

હે દેશવાસીઓ….

વીરહાક પડી છે,

મીણની બત્તીઓને કબાટોમાં પૂરી રાખજો,

શાંતિના પૂતળાંઓને ઘરમાં ખોડી રાખજો,

કહેજો કબૂતરોને કપરો કાળ ભમે છે,

સફેદ હવે આપણા ધ્વજ નહીં

એમના કફનો હશે…

માતાઓ ભારતની હવે રાહ જુએ છે

ભારત માત્ર આદેશની રાહ જુએ છે

હવે ગજવો ઘોર ત્રિકાળ,

મહાભારતના કરો મંડાણ,

અખંડ ભારતનો કરો શંખનાદ,

ભારતમાતાની છે આણ,

“પાર્થ”ને કહો ચડાવે બાણ,

હવે તો,

યુધ્ધ એ જ કલ્યાણ…!!!!

.

( એષા દાદાવાળા )

આત્મજ્ઞાની કવિ – વિપુલ પટેલ

કવિ વિપુલ પટેલ (મૃત્યુ : ૨૧.૦૪.૨૦૨૫)

(1)

આ સૃષ્ટિના લયસ્તરો માં શાંતિ છે,

એ સમયમાં ‘ હું ‘બોઝલ થાય છે

એ બે ભ્રમર વચ્ચે સ્થિર થાય છે

ત્યારે જ

ત્યાં એક બાળક સતત રમત રમે છે

એ અંધકાર સાથે દોડે છે

એ પ્રકાશના કિરણોના પ્રવાહમાં

એક બુદ્ધનું બિન્દુ ખોળે છે

અંતે એ બિન્દુની ભીતર પ્રવેશ કરે છે

એ પ્રવેશદ્વાર જ છે,

ત્યાં જ એક આંખ દેખાય છે

ચેતનાની આંખ એ જ દાર્શનિક આંખ

એ તમારા કર્મો સાથે માયાળુ બની

માયા બજારમાં ફરે છે

પણ

એ કશું ખરીદતો નથી

કારણ દ્રષ્ટા છે

.

(2)

એ બાળક હવે કિશોર અવસ્થામાં પહોંચે છે

એના દેહમાં ફેરફારો થાય છે

એના ‘હું ‘ માં ફેરફાર થાય છે

એ માતા પાસે શક્તિ માંગે છે

એ ટનલમાં પ્રવેશે છે

ત્યાં આગના અંગારા છે

એક લાંબી મજલ કાપી બ્હાર નીકળે છે

એટલે જ

હિમાલય જેવો અદ્દલ હિમ આલય દેખાય છે

ત્યાં બાવન વીરો ખડગ લઈને બેઠા છે પણ

એ મૌન અને અડગ પગલે આગળના આગળ વધે જ છે,

એ સફેદ તળાવના કિનારે આવે છે,

એ તળાવમાં એક મુખાકૃતિ આવે છે

અને

એ કહે છે ‘તું ‘ કોણ ?

ભીતરથી એક અવાજ આવે છે

રાવણ – અહિર્ રાવણ

એ સફેદ તળાવમાં ન્હાય છે

એ મનના સરોવરમાં મનનો મેલ ખાલી કરી

સાચેજ પેલા માન સરોવર જેમ

હવે એ અનેક સૂર્ય કિરણો નિહાળે છે

એ જ હિરણ્યાકક્ષ , હિરણ્યકશિપુ કે હિરણ્યગર્ભ જેવા હંસો જેવા દેખાય છે પણ

એ બગલા ભગત છે

એટલે

એ અડગ મનથી

બસ ચાલે છે…

બસ ચાલે છે….

એ જ વખતે એના પાસે અદ્રશ્ય લાકડી આવે છે

એ લાકડી હિમશિલામાં ડગે છે,

એ પેલા મેરુદંડ જેમ જ છે છતાંય

એ યુવાન ચાલે જ છે …..

એ ચાલે જ છે

.

(3)

હવે એ વૃદ્ધ થવાની તૈયારીમાં છે

એના વાળ સફેદ થયા છે

બરફવર્ષા અને બરફના ઢગલા અઢળક થાય છે

રસ્તામાં અઢળક દેવો મળે છે

એ દર્શન કરે છે

અંતે અંતિમ પડાવ આવે છે

એ અવસ્થામાં કલ્પનો ભયભીત છે

ગાત્રો થીજવી દે છે

આપણા એ જ કર્મો , કૃત્યો

ભયાનક રાક્ષસ બની આવે છે સામે

પંચાયતન દેવો ત્યારે જ પુજારી બની આવે છે

અને

પરિક્ષા કરવા કહે છે

એ કહે છે !

તમારા ઈષ્ટ દેવતાની પુજા કરો અને

સમર્પણ કરો

એ વૃદ્ધ મનના ખિસ્સામાંથી બધું જ ખાલી કરે છે

બસ ખાલી કરે છે….. ખાલી કરે છે….

(૪)

હદય સ્ફુરણાની અનુભૂતિ કરે છે

અંતે એક પ્રકાશપુંજ દેખાય છે

એક દિવ્ય જયોતિ બ્હાર ભીતર

એક જ

એક

ચિદાનંદ રુપમાં હદય બોલે છે

શિવોહમ્…..શિવોહમ્……શિવોહમ

ત્યાં જ એ મુક્તિ નારાયણના વૃદ્ધ દર્શન કરે છે અને

“અમે….. અમે ……અમે”

ત્યાં પેલો અવાજ હજુય હદયમાં ગુંજે છે

અતઃ કવિર્નામસ

.

( વિપુલ પટેલ )

 

એક અનોખા શબ્દ સાધક…જેમણે મૃત્યુદેવ સાથે જીવતેજીવત સતત સત્સંગ કર્યો એવા કવિશ્રી વિપુલ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ

મચ્છરદાનીમાં સૂવું એટલે-રમેશ આચાર્ય

મચ્છરદાની બાંધી દો,

સમયને સાંધી દો.

મચ્છરદાનીમાં સૂવું એટલે

માતાના ગર્ભમાં હોવાની અનુભૂતિ,

આઘે આઘે દેખાઈ રહેતી દ્યુતિ.

મચ્છરદાનીમાં સૂવું એટલે

આપણે સલામત અંતરે જીવવું,

જીવતરને માપસર સીવવું.

મચ્છરદાનીમાં સૂવું એટલે

આપણે માથે આકાશ હોવાનો અનુભવ કરવો,

એક ભવમાં બીજો ભવ કરવો.

મચ્છરદાનીમાં સૂવું એટલે

આટલી જગ્યા તો આપણી છે તેનો અહેસાસ,

નિરાંતના એક-બે શ્વાસ.

મચ્છરદાનીમાં સૂવું એટલે

છેડા મેળવવાની આવડત કેળવવી,

જાતને જાત સાથે હળવે હળવે હેળવવી.

મચ્છરદાનીમાં સૂવું એટલે

શબપેટીમાં જાતને ગોઠવવાની મથામણ

મચ્છરદાનીમાં સૂવું એટલે…

 

( રમેશ આચાર્ય )

 

તા. ૫-૧૧-૧૯૪૨ થી તા. ૨૫-૦૩-૨૦૨૫

સ્વર્ગસ્થ કવિ રમેશભાઈ આચાર્યને હાર્દિક ભાવાંજલિ.

હશે એ મિત્ર સાચો-હિમલ પંડ્યા

.

કહો ને! ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો?
કદી એવો દિવસ પણ આવશે, ચળકાટ હોવાનો!
.
હંમેશા એ જ કરવું જે સુઝાડે માંહ્યલો તમને,
મૂકો દરકાર એની, બ્હાર તો ઘોંઘાટ હોવાનો!
.
લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું;
હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો!
.
કરું છું બંધ મુઠ્ઠીને, સરકતો જાય છે તો યે,
સમયનો વેગ જ્યારે પણ જુઓ, પૂરપાટ હોવાનો!
.
ગણીને ચૂકવ્યા એકેક શ્વાસો, તો જિવાયું છે,
ખબર ન્હોતી કે સોદો આ ય મોંઘોદાટ હોવાનો!
.
( હિમલ પંડ્યા )

કાન્હા બીજું તો શું કરીએ!-દેવાયત ભમ્મર

(Viansh Parekh, Canada as Kanha)
.
કાલાવાલા કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
ધ્યાન તારું ધરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
.
આવ્યો વ્હાલાં અવની પરે.
વિધ વિધ કર્યા કામ.
આંતરડી વ્હાલાં સૌની ઠરે.
હજું, લેતાં તારું નામ.
શ્યામ તને સમરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
કાલાવાલા કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
.
હશે કેવું રૂપ તિહારું!
કેવો હશે તું કહાન!
સંગ રહેવા તારી સારું.
લોક ભૂલી જતાં ભાન.
કલ્પનાં ગોકુળની કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
ધ્યાન તારું ધરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
.
વખત અઢળક વહી ગયો.
વહેતો રહ્યો વનમાળી.
‘દેવ’ હૃદયમાં રહી ગયો.
ત્રિવિધ તાપને ટાળી.
તારાં નામે તરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
કાલાવાલા કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
.
( દેવાયત ભમ્મર )

દોસ્ત! વાત મારી તું માન-અનિલ ચાવડા

દોસ્ત! વાત મારી તું માન,
જન્માષ્ટમી સાવ હવે નજદિક આવે છે તો આપણેય થઈ જઈએ ક્હાન!
દોસ્ત વાત મારી તું માન…
.
સપનાની છલકાતી મટકીઓ ફોડીને
મધમીઠા માખણને ખાઈએ,
ઇચ્છાની ગોપીઓ જો નહાવાને આવે તો
વસ્ત્રો લઈ આપણે સંતાઈએ,
વ્હાલપની વાંસળીને ફૂંકીને ચાલ ગાઈ આપણેય અદકેરું ગાન,
દોસ્ત વાત મારી તું માન…
.
આપણામાં બેઠો છે કાળમીઢ કંસ
એને પડકારી મેદાને હણીએ,
જીવતરના દરિયાની અંદર જઈ આપણેય
આપણી દુવારકાને ચણીએ!
એ પ્હેલા સમજી જઈ આપણે કે શ્વાસ ક્યાંક ખોઈ દે સુધ-બુધ-ભાન…
દોસ્ત વાત મારી તું માન…
.
( અનિલ ચાવડા )