હૈયાધારણ શું છે?-સુરેન્દ્ર કડિયા

મૂંઝવણ છે, પણ મારણ શું છે, તારણ શું છે?
અજવાળાનો ‘અ’ લખવાનું કારણ શું છે?

હું જ હવામાં ઘેરાયો છું શ્વાસ વચોવચ
ઘટના છે, પણ ઘટનાનું નિર્ધારણ શું છે?

હોઠ ફફડતાં વેંત દશે દિકપાળો ડોલ્યા
સાવ ધીમેથી પ્રગટેલું ઉચ્ચારણ શું છે?

ગગન-પિંડ છું, બંધાયો છું યુગ-યુગોથી
નવલખ તારા ફરતું આ બંધારણ શું છે?

પગલાં વચ્ચેના અવકાશો કેમ પુરાશે?
પગલે-પગલે છળતી હૈયાધારણ શું છે?

( સુરેન્દ્ર કડિયા )

વિશ્વાસ-હરેશ કાનાણી

૧.

બાળકોને વિશ્વાસ છે

તૂટેલો દાંત લઈ જશે ચકલી

અને આગલા મહિને-

ભગવાન ચાંદીનો નવો દાંત

મોકલશે….

વૃક્ષને ભરોસો છે

મૂળમાં સમાયેલ પાણી

બદલાઈ જશે ફળોના રસમાં….

પરંતુ મને વિશ્વાસ કેમ નથી

સવાર તરફ સરકતી આ રાતમાં

ગાઢ નીંદર હોવા છતાં

કોઈ સંદર સ્વપ્ન આવવાની…?!

૨.

અમે

તને રમાડવા

તને છાનો રાખવા

બનતા હતા

ઊંટ તો ક્યારેક ઘોડો!

પણ

અમને ક્યાં ખબર હતી કે

ઊંટ કે ઘોડાને

તું

છોડી આવીશ

બળબળતા રેગીસ્તાનમાં….!

( હરેશ કાનાણી )

નીરખને-ભગવતીકુમાર શર્મા

ગગનભણી શું? બ્રહ્માંડોની પાર નીરખને !
નિરાકાર જે સદા, તું એ આકાર નીરખને !

સઘળી તારી સીમાઓને તું ફેંકી દે;
અનહદ ઊછળે સંમુખ પારાવાર, નીરખને !

પળ પળ પૃથ્વી પર જેનું પ્રાગટ્ય થાય છે;
ઈશ્વરરૂપે મનુષ્યનો અવતાર નીરખને !

અંગત દુષ્કાળોની નાહક છોડ પળોજણ;
વરસે છે ચોમેર એ અનરાધાર નીરખને !

તું જે બોલે-લખે-સાંભળે તેનાથી શું?
શબ્દબ્રહ્મ થઈ ઝળહળતો ૐકાર નીરખને !

મારી કવિતા અર્થઘટનથી અળગી ચાલે;
શિશુમુખના પરપોટા શા ઉદગાર નીરખને !

ક્રોંચ વીંધાયું; શ્લોકનું ગર્ભાધાન થયું કે?
વૃક્ષડાળનો લોહીઝાણ ચિત્કાર નીરખને !

( ભગવતીકુમાર શર્મા )

મિત્રો-એસ્થર ડેવિડ

અજાણતાં જ

તમે કોઈ ગુનો કરી બેસો-

ક્યારેક “સ્વબચાવમાં…..”

તો,

કહેવાય છે કે, અદાલતમાંય માફી મળે છે….

પણ

અજાણતાં જ

તમે કોઈ ગુનો કરી બેસો તો

મિત્રો તમને

સજા વગર નહીં જીવવા દે-

તેઓ પ્રથમ તો

કાયદો જ પોતાના હાથમાં લેશે

ને પછી છરી-

ક્યારેક તો છરી એવી મારી દેશે-

હ્રદય અને પાંસળી વચ્ચે

એક દોરાવા જગ્યા છોડીને…..

એટલે જીવવા તો દેશે:

એક દોરાવા જેટલી જગ્યા છોડીને-

પણ “જોઈએ છીએ કેવા જીવો છો?”

એવા ભાવથી….


( એસ્થર ડેવિડ )