Tag Archives: નૂતન વર્ષ

સંબંધ…. – મીરાં પટેલ

.

આ સંબંધ એટલે શું ?

.
બે મન, હૃદયરૂપી વિચારધારા ને, ઉર્મિઓ રૂપી કિનારા ને એક કરે એવો ‘બંધ’ એટલે સંબંધ…

 .

જેમની વચ્ચે સમાન લાગણીઓની ધારા વહે છે..

 .

શું, આપણે જેની જેની સાથે જે પણ સંબંધથી જોડાયેલ છીએ ત્યાં સમાન વિચારધારા ને લાગણીઓનું  વહન છે ? ઘરથી શરુઆત કરી શેરી, ફળી, સોસાયટીમાં આવીએ.. અહીં ઘરની ચાર દિવાલો વચ્ચે સંબંધ રોજ રોજ મરે છે.. પડોશમાં એક બીજાની ટિકા ટિપ્પણમાંથી જ નવરાશ નથી.. બાજુમાં ના રહેતા હોય પણ…. મહોલ્લાને છેડે આવેલ ઘરની વાતો કરીને પણ હાશકારો નથી થતો.. એક ઘર ગામના એક છેડે હોય અને બીજું ઘર ગામના બીજા છેવાડે હોય તોય… પેલીએ આમ કર્યું ને પેલા એ તેમ કર્યું… દિવાળી આવી ને, જતી પણ રહેશે.. કેટલાય મેળાવડા સંબંધીઓના અને દોસ્તારોના થશે… ત્યારે પણ, આનું આ જ… કોણ શું કરે છે ને, શું પહેરે ઓઢે છે… કોણે શું નવુ વસાવ્યું ને શું નથી વસાવી શક્યું …

 .

સંબંધોની ઔપચારિકતા વચ્ચે હૃદયની ઉષ્મા ખોવાઇ ગઇ છે… સંબંધનો બંધ બંધાઇ જાય પણ, હૃદય ઉર્મિઓનો વિનિમય વારંવાર થતા નેટવર્કની પ્રોબ્લેમની જેમ ખોરવાઇ જાય છે.. સતત સંબંધો માવજત અને ખુલાસા માંગતા ફરે છે… અને, તો જ જાણે ટકી શકે… પણ, ખુલાસા કરવા પડે તે સંબંધ કહેવાય ? સંબંધ નો બંધ તો એક અદિઠ સમજદારીના તંતુ થી જોડાયેલ છે.. ને, અજાણપણે આ તંતુ જ તુટી જાય છે છતા સંબંધ ને ગુંગળાવી ગુંગળાવી… કૃત્રિમ લાગણીઓનો ઑક્સિજન આપી જીવાડવાની નિર્દોષ રમત એકબીજા સાથે કરતા હોઇએ છીએ..

.

કહીશું કે, કલિયુગનો પ્રભાવ ચાલે છે… એટલે આમ સ્થિતિ છે… પણ, ભીતરની સમજણને કોઇ યુગ ક્યારેય નડ્યો નથી… જો એમ જ હોત તો રામ વખતે કૈકેયી અને વિભિષણ ના હોત… ને કૃષ્ણ વખતે, યશોદા(જે જન્મ દાતા નથી) અને કુંતિ(જે કર્ણની જન્મ દાતા છે)ના હોત…

 .

ચાલો, બહાનાબાજી છોડીએ અને નવા વર્ષની શરુઆતને પ્રેમથી વધાવીએ.. એક વૈશ્વિક પ્રેમને ભીતર સમેટી… ઉંચ-નીચ, અમીર-ગરીબ, કુરુપ-સુરુપ, ને, ધર્મને નામે થતી અનેક સાપેક્ષતા છોડી સાચા અર્થમા સંબંધોનો વિકાસ કરી સમાન સમજણ ધરાવતા સમાજને બનાવવામા યોગદાન દઇએ..

 .

સૌને નવા વર્ષની શુભકામના સહ..

 .

( મીરાં પટેલ )