મારા પરમેશ્વર ! – સુરેશ દલાલ

તારો કેટલો આભાર માનું, મારા પરમેશ્વર !

ઘેરી ઊંઘમાંથી સવારે તેં મને જગાડ્યો.

નહીંતર કાયમ માટે આંખ મીંચાઈ પણ ગઈ હોત.

કોનું કેટલું લખાયું છે જીવન અને ક્યાં લપાયું છે મોત

એની ક્યાં કોઈને પણ ખબર હોય છે ? અને ખબર નથી

એમાં પણ તારી રહસ્ય-કલા છે. નહીંતર માણસ

એના ઓથાર નીચે જીવતે જીવત મરી જાત.

તેં માણસ માટે કેટલી સુખ-સગવડ કરી આપી.

એ થોડોક જાગૃત થઈને જુએ તો જ એને ખ્યાલ આવે.

ચંદ્રને જોઈને દરિયાને થાય એટલું બધું વ્હાલ આપે.

આ હવા ન હોત તો હોત ક્યાંથી શ્વાસ ?

ધરતી પર આ લીલુંછમ ઘાસ અને આકાશમાં તેજલ તારા.

આ સૂર્ય, ચંદ્ર, વાદળ, વીજળી ને આ જળની ધારા

તારો કેટલો બધો આભાર માનું, હે પરમેશ્વર મારા !

.

( સુરેશ દલાલ )

Leave a comment