.

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે

ગોકુળમાં કોઈ નથી ગોપી ને ગાય હવે ગોકુળમાં એકલી ચરે છે !

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે !

 .

ગોકુળ છોડીને કહાન નીકળી તો ‘ગ્યા’તા

કે આવીશ હું એકવાર પાછો

વિરહિણી ગોપીઓ, તો વૈકુંઠ વહી ગઈ

હવે ગોકુળથી કાંઈ નથી નાતો,

ગોકુળમાં નંદજીનું સૂનું છે ઘર અને એકલું કદંબ થથરે છે,

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે !

 .

સાચાજૂઠનું એવું પારખું થયું કે હવે

વાંસળીથી નીકળે ના સૂર,

આજે તો અણજાણ્યા કહાનજીને જોઈને

ભાગે છે ગાય ઘણી દૂર,

હુંફાળું દૂધ અને ટાઢુંટમ દહીં હવે કાનજીની જીભે ચચરે છે !

 .

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે

ગોકુળમાં કોઈ નથી ગોપી ને ગાય હવે ગોકુળમાં એકલી ચરે છે !

 .

( વિનોદ ગાંધી )

8 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *