.
સૂર્ય જેવું ઝળહળે એ કોણ છે ?
મીણ માફક ઓગળે એ કોણ છે ?
.
આંગણે જેના પડે પગલાં પછી,
ઘરની ભીંતો સળવળે એ કોણ છે ?
,
સ્હેજ અમથોયે મને જોઈ ઉદાસ,
રાત આખી ટળવળે એ કોણ છે ?
,
આંખ-મન-નાભી લગોલગ ઊતરી
રક્તની ભીતર ભળે એ કોણ છે ?
.
સાંજ શણગારો સજી બેસે અને,
જઈ ક્ષિતિજોમાં ઢળે એ કોણ છે ?
.
( દિનેશ ડોંગરે ‘નાદાન’)