મૌનથી – સુરેશ દલાલ

.

તારા મૌનથી

હું અકળાઉં છું

એમાં રહેલો નારાજીનો ભાવ

છૂપો રહેતો નથી

અને એ મારા રાજીપાને

હત્યારાની જેમ હણી નાખે છે

મારે આટલી હદે

સંવેદનશીલ ન થવું જોઈએ

પણ સંવેદના અને તર્કને

બારમો ચંદ્રમા છે

તને મનાવવાનો કોઈ અર્થ નથી

અનુભવથી એટલું સમજાય છે

કે તને ક્યારે, કયા કારણે

વાંકુ પડે છે એની બારાખડી

ઉકેલાય, પણ કેટલી વાર ?

એટલે હવે હું પણ તને

મારા મૌનથી અકળાવીશ

ક્યારેક કાંટાથી કાંટો નીકળતો હોય

તો સારી વાત છે

નહીંતર પગમાં કાંટા સાથે ચાલવાની

મને તો આદત પડી ગઈ છે.

 .

( સુરેશ દલાલ )