(૧)
મૃત્યુ
આપણને દરરોજ
તમાકુની જેમ
ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે
એક દિવસ
એ આપણો
સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.
.
(૨)
એક દિવસ
મૃત્યુ નામે એક અદ્રશ્ય પંખી આવશે
આપણને એની તીક્ષ્ણ
અને ધારદાર ચાંચ વડે
ખોતરી કાઢશે
સમયના શરીરમાંથી
મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ !
.
(૩)
એનાં લગ્ન થયા હશે ?
કોની સાથે ?
કોઈ બાળક હશે ખરું ?
કે પછી નિસંતાન ?
જો નિસંતાન હોય તો
એને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે ?
કોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને ?
પણ મૃત્યુ બાપડું ‘કેવું’…
નપુંસક !
મૃત્યુ નામની એક નપુંસક ચીજ
એક દિવસ બધાને સંભોગી લેશે…
.
( અનિલ ચાવડા )