મૃત્યુ – અનિલ ચાવડા

(૧)

મૃત્યુ

આપણને દરરોજ

તમાકુની જેમ

ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે

એક દિવસ

એ આપણો

સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.

 .

(૨)

એક દિવસ

મૃત્યુ નામે એક અદ્રશ્ય પંખી આવશે

આપણને એની તીક્ષ્ણ

અને ધારદાર ચાંચ વડે

ખોતરી કાઢશે

સમયના શરીરમાંથી

મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ !

 .

(૩)

એનાં લગ્ન થયા હશે ?

કોની સાથે ?

કોઈ બાળક હશે ખરું ?

કે પછી નિસંતાન ?

જો નિસંતાન હોય તો

એને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે ?

કોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને ?

પણ મૃત્યુ બાપડું ‘કેવું’…

નપુંસક !

મૃત્યુ નામની એક નપુંસક ચીજ

એક દિવસ બધાને સંભોગી લેશે…

 .

( અનિલ ચાવડા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.