(૧)
મૃત્યુ,
અમૃત સરોવરમાં ઝબકોળાઈ
નવા નક્કોર થવાની ઘટના
એ જ મૃત્યુ !
જન્મ જન્માંતરના
અવિરત પ્રવાહે
ઓળખ બદલવાની વિરામ ક્ષણ
એ જ મૃત્યુ.
જિંદગીનું એકમેવ નિશ્ચિત
સનાતન સત્ય
એ જ મૃત્યુ.
.
તું અમૃત, અનિત્ય અમે !
.
(૨)
શબ્દ,
જાણભેદુની હાથવગી,
હૈયાવગી ઓળખ એ જ શબ્દ.
ઊર્મિઓના ઉત્સવનું સાવ સહજ,
સરળ આંગણું એ જ શબ્દ.
કરણીની એરણ ઉપર શબ્દ ઘડાય
એ જ શબ્દોત્સવ !
શબ્દ ચેતનાના ચમકારે
જાતને ઓળખી જવાની
‘પાનબાઈ’ રમતનું નામ
શબ્દબ્રહ્મ સાક્ષાત્કાર !
.
તું અર્થ, અક્ષર અમે !
.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )