પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧)
મૌન,
અ-મનના અફાટ વિસ્તારે સ્થિર
ચૈતન્યદીપ એ જ મૌન !
પ્રકૃતિના પ્રવાહે આયાસ
વિહીન તરણ
એ જ મૌન.
અનંત સાથે એકાકાર થઈ ગયેલ
અસ્તિત્વનો અનાહત નાદ
એ જ મૌન.
પૂર્ણ પ્રફુલ્લિત શબ્દ પુષ્પનો
નયનરમ્ય, સુગંધીત ગુચ્છ
એ જ મૌન !
.
તું કીર્તન, કરતાલ અમે !
.
(૨)
સંસ્કાર,
અનુભવની એરણ અને સમજણના
હથોડે ઘડાયેલ ઘાટના સમગ્ર સૌંદર્યની
ઓળખનું નામ સંસ્કાર.
અંદર જે પડેલું છે તેનો ઉજ્જ્વલ ઉઘાડ
એ જ સંસ્કાર.
કેળવણીની ખેડ, પુરુષાર્થનું પાણી,
સાતત્યના સલીલે અને પ્રેમની માવજતે
અંદરનું સત્વ પાક રૂપે લહેરાય
એ જ સંસ્કાર !
.
તું વૈભવ, વસ્ત્ર અમે !
.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )