Category Archives: બ્લોગ વિશે

હેપ્પી બર્થડે “મોરપીંછ”

.

૧૨૩૭ પોસ્ટ

૨૭૮૩ પ્રતિભાવ (કોમેન્ટસ્)

૧૦૨૫૧૩ પ્રતિસાદ (ક્લીકસ) અને

૪ વર્ષ

………………

“મોરપીંછ”ના પ્રથમ જન્મદિવસે આંકડાઓની માયાજાળ રજૂ કરી હતી તેમાં ફરી સુધારો કરી મૂકું છું. “મોરપીંછ”ને ગયા મહિનાની દસ તારીખે ચાર વર્ષ પૂરા થયા અને આજે પાંચમા વર્ષમાં પ્રવેશને એક મહિનો થયો.

 .

“મોરપીંછ”ની મુલાકાત લઈ પ્રતિભાવ આપનાર ચાહકોનો…

જેમની રચના આ સાઈટ પર સ્થાન પામી છે તે નામી-અનામી સર્જકોનો…

સાઈટ અંગે ટેકનિકલ માર્ગદર્શન આપનાર મિત્રોનો…

આ સાઈટને બિરદાવનાર “નેટજગત”ની ટીમનો…

સાઈટ અંગે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર મિત્રો અને સ્વજનોનો હું હાર્દિક આભાર માનું છું.

 .

આજના દિવસે ખાસ બે મોરપીંછી કવિતા રજૂ કરું છું.

 .

હિના પારેખ “મનમૌજી”

.

.

મોરપિચ્છ
.
માધવ મોરપિચ્છ અવલોકે,
વારવાર કંપિત કરથી ધરતા વિરહાકુલ શોકે.
.
આતુર અપલક રાધા કેરી ઝાંખી ઉરે ઉગાડી,
મોરપિચ્છ મહીં અનુખાણ નીરખે અંકિત આંખ ઉઘાડી.
.
ઝીણી ઝલમલ તંતુ તંતુ પર સોહે સ્વર્ણિમ છાયા,
નયન તરે સંકોચે સરતી કોમળ કાંચન-કાયા.
.
પરને પૂર્ણ વણાઈ નીલિમા નિખિલ નીલમણી કેરી,
પાગલ નૃત્ય કરી કરી ખરવું શ્યામ વદનઘન હેરી.
.
મોરપિચ્છ નિજ શિરે લગાવત ધારી પ્રેમ અગાધા,
માધવ દોલત વન વન કુંજે બોલત રાધા! રાધા!
.
( મકરન્દ દવે )

.

.

સખી ! મને મોરપીંછનો ઝોકો વાગ્યો,

કહો, કઈ વિધ હોય કરાર ?

 .

ના કોઈ કાજળ ના કોઈ ટીપું પાંપણને પગથાર,

કાળીધોળી ભૂકી પડીકી કામ ન લાગે લગાર.

કહો ગિરિધર નાગરને,

એની એક જ ફૂંકે પાર.

-મને મોરપીંછનો.

 .

રોઈ રોઈને રાતી અખિયાં, ખટકો ભારોભાર,

ઝાંખપના ઓછાયા ઘેરે, ક્યાં છો રે કિરતાર ?

અંધારા ઊતરે તે પહેલાં

કરી દો આંખો ચાર.

-મને મોરપીંછનો.

 .

કહો ગિરિધરને આણ અમારી અટકો નૈન-દુવાર.

ખળ ખળ ખળ વહી જાયે જમુના, રોકો હો મોરાર !

રાત કેટલી રહી ? સૂરજને

કહો, કેટલી વાર ?

-મને મોરપીંછનો.

 .

( રક્ષા દવે )

જન્મદિવસ

૩૫૧ પોસ્ટ

૯૨૫ પ્રતિભાવ (કોમેન્ટ)

૩૩૫૮૫ પ્રતિસાદ (ક્લીકસ) અને

૩૬૫ દિવસ

………………

હા, આજે “મોરપીંછ”નો પ્રથમ જન્મદિવસ છે.

Untitled-11

એક વર્ષ એ આમ જોઈએ તો બહું ટૂંકા સમયની વાત છે. પણ માણસ ધીમે ધીમે ચાલે તો પણ ઘણો આગળ નીકળી જાય છે. મને પણ ધીમે ધીમે ચાલતાં એક વર્ષ ક્યાં પસાર થઈ ગયું તેનો ખ્યાલ ન રહ્યો. હજુ હમણાં જ તો મેં ગુજરાતી ટાઈપ શીખવાની શરૂઆત કરી અને હમણાં જ તો મોરપીંછની શરૂઆત કરી એવું મને થાય છે.

પોસ્ટની શરૂઆતમાં જ મેં આંકડાની થોડી માયાજાળ રજૂ કરી. પણ ખરેખર તો સાહિત્ય પ્રતિભાવ(કોમેન્ટ)  કે પ્રતિસાદ(ક્લીકસ)ને મોહતાજ નથી. સાહિત્ય તો એ બધાથી ઉપર છે અને હંમેશા રહેશે.

બ્લોગ બનાવવાથી માંડીને બ્લોગને અપડેટ કરવામાં સતત બ્લોગર્સ મિત્રોનો સહકાર મળ્યો છે. તે માટે હું ધવલભાઈ શાહ, કુણાલ પારેખ, જિજ્ઞેશભાઈ અધ્યારુ, અમિત પાંચાલ અને વિનયભાઈ ખત્રીનો ખાસ આભાર માનું છું. જે જાણ્યા-અજાણ્યા સાહિત્યપ્રેમીઓએ મારા બ્લોગની મુલાકાત લીધી અને કવિતાને માણી તે બદલ તેમનો પણ હું હાર્દિક આભાર માનું છું. આખરે બ્લોગ તો સાહિત્યપ્રેમીઓ માટે જ છે.

ક્યાંક એવી ચર્ચા પણ થઈ હતી કે રોજ બ્લોગ પર પોસ્ટ ના થાય તો શું આભ ટૂટી પડવાનું હતું? આ વાત એકદમ સાચી છે. આભ તો ટૂટી ના પડે. પણ આ બહાને હું નિયમિત રહી અને મને અનેક કવિતામાંથી પસાર થવાની તક મળી જે મારા માટે ઘણી સુખદ વાત છે. પુસ્તકો વાંચવાના હોય કે ખરીદવાના હોય…મારી પ્રથમ પસંદગી હંમેશા નવલકથા જ રહી છે. પણ બ્લોગના કારણે કવિતાના વિશ્વમાં ડોકિયું કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું. જે અવિસ્મરણીય છે.

જ્યારે મને એ જાણવા મળ્યું કે બીજાના બ્લોગ પરથી કોપી કરીને કે કોઈની કૃતિ પોતાના નામે ચડાવીને અમુક બ્લોગ ચલાવવામાં આવે છે ત્યારે મને બહુ દુ:ખ થયું. હજુ આજે પણ એવા કોઈ કોપી કાર્ય વિશે જાણવા મળે છે ત્યારે વિષાદ અનુભવું છું. આ બધાની વચ્ચે પણ મારે તો સાહિત્ય પ્રત્યે પ્રામાણિક રહેવું જ હતું. મારા બ્લોગ પર પોસ્ટ કરેલ તમામ રચના મેં જાતે શોધીને, જાતે ટાઈપ કરીને મૂકી છે એ વાતનો મને આનંદ છે.

મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો. પ્રતિભાવ આપો કે ના આપો…પણ કવિતાને જરૂર માણજો. કોઈ એક કવિતાની એક પંક્તિ પણ તમારા હ્રદય સુધી પહોંચી શકે તો તેમાં હું મારી મહેનતને સફળ ગણીશ.

હિના પારેખ “મનમૌજી”

મારે પણ કંઈ કહેવું છે…

સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે……

ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ

(મકરન્દ દવે)

 

મને ગમતી રચનાઓ હું ક્ર્મશઃ પોસ્ટ કરીશ. અને તે પણ બની શકે તો જે તે સજૅકના નામ સાથે. કારણ કે ઈન્ટરનેટની દુનિયામાં એવું પણ બને છે કે Copy & Paste કરીને જાણીતા સજૅકની રચના પોતાના નામે ચડાવી દેવામાં આવે છે. જે ખરેખર ઘણી ગંભીર બાબત છે.

 

મારા બ્લોગ પર પોસ્ટ થનાર તમામ રચનાઓના નામી-અનામી સજૅકોનો હું અગાઉથી આભાર માનું છું. તેઓની કલમની કમાલ વગર આ બ્લોગનું અસ્તિત્વ ન હોત.

 

બ્લોગ બનાવવા માટે મને માગૅદશૅન આપનાર શ્રી ધવલભાઈ શાહ (www.dhavalshah.com) નો પણ હું ખાસ આભાર માનું છું.

 

હું સાહિત્યીક ગુલાલ વડે આપસૌનું સ્વાગત કરું છુ. ચાલો ત્યારે આપણે સહુ એ ગુલાલમાં રંગાઈએ.