બહિષ્કાર – પન્ના નાયક
એની કવિતાએ
સ્ત્રીઓને બહેકાવી છે.
.
એની કવિતાએ
સ્ત્રીઓને
પોતાની સુષુપ્ત સંવેદનાને
ઢંઢોળવાનું કહ્યું છે
.
એની કવિતાએ
સ્ત્રીઓને
પગમાં પહેર્યાં છે એ ઝાંઝર નહીં
પણ સદીઓથી પહેરાવેલી બેડીઓ છે એમ મનાવી
એ બેડીઓને
ફગાવી દેવા કહ્યું છે
.
એની કવિતાએ
સ્ત્રીઓને
પતિના અવસાન પછી
મુરઝાયેલા ફૂલ જેમ
બાકીની જિંદગી જીવવાના આપણા રિવાજને
તિરસ્કૃત કરવા કહ્યું છે
.
એની કવિતાએ
સ્ત્રીઓને
છોકરીઓની સદાયે અવગણના કરતા
આપણા દંભી હિંદુ સમાજને
વખોડવા કહ્યું છે
.
એની કવિતાએ
સ્ત્રીઓને
“પુરુષની બુદ્ધિના પાંજરામાં
લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું
મંજૂર નથી”
એવો છડેચોક
પડકાર કરવાનું કહ્યું છે
.
એની કવિતાએ
હિંદુ લગ્નજીવનની કઠોરતા અને વિષમતાને
કોઈ છોછ વિના
નિર્ભિક રીતે રજૂ કરી
બીજી સ્ત્રીઓને
બોલવાનું કહ્યું છે
.
આવો,
આપણે બધા ભેગા થઈ
એની કવિતાનો બહિષ્કાર કરીએ !
.
( પન્ના નાયક )