ચાંદરણા (૧) – રતિલાલ ‘અનિલ’

ratilal_anil_2

.

બહારના અંધકાર માટે બારીની તિરાડ પ્રવેશદ્વાર બનતી નથી.

 .

સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.

 .

કેટલાક પોતે થાકે છે, કેટલાકનું મૃત્યુ થાકે છે.

 .

કોરી સ્લેટને હથેળી પણ કહી શકાય.

 .

કોઈવાર બેડી જ બે હાથને નજીક લાવે છે.

 .

દીવાના પૂમડા અને અત્તરના પૂમડા વચ્ચે પસંદગી કરવાની છે.

 .

મૃત્યુની દિશા બદલાય, પણ મસાણની દિશા ન બદલાય.

 .

પોતીકી ફૂંક ન હોય તો વાંસળી વાગતી નથી.

 .

માણસે પહેલા ભિક્ષાપાત્ર ઘડ્યું પછી પ્રાર્થના રચી !

 .

કેટલી બધી માંદગીના વિસામે થાક ઉતાર્યા પછી મૃત્યુ આવે છે.

 .

મારા બધા હસ્તાક્ષરો ચેકબુકની બહાર છે.

 .

છેલ્લી સફર એટલે પોતાના જ બારણેથી પોતે પાછા ફરવું.

 .

ચિત્તમાં સમગ્ર વિશ્વ હોય તો કોઈપણ માણસ ટાપુની નાળિયેરી નથી.

 .

જ્ઞાનની જેમ અજ્ઞાન પણ કોઈ ખીંટી પર ટીંગાયેલું હોય છે.

 .

પોતાની આંખે પોતાને જોવામાં અરીસો મદદ કરતો નથી.

 .

મારાં આંસુમાં દરિયો નથી, મારું લૂણ છે.

 .

જીવનમાં નથી એટલાં માનાર્થે બહુવચન ભાષામાં છે !

 .

હિમાલય ગંગામાં સ્નાન કરવા પડે તો ગંગા જ ન રહે.

 .

અવાચ્યને વાંચવા માટે માણસને અંતરની આંખ મળી છે.

 .

હવે દરેક લસરકો એક ઉઝરડો બની જાય છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.