.
બહારના અંધકાર માટે બારીની તિરાડ પ્રવેશદ્વાર બનતી નથી.
.
સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.
.
કેટલાક પોતે થાકે છે, કેટલાકનું મૃત્યુ થાકે છે.
.
કોરી સ્લેટને હથેળી પણ કહી શકાય.
.
કોઈવાર બેડી જ બે હાથને નજીક લાવે છે.
.
દીવાના પૂમડા અને અત્તરના પૂમડા વચ્ચે પસંદગી કરવાની છે.
.
મૃત્યુની દિશા બદલાય, પણ મસાણની દિશા ન બદલાય.
.
પોતીકી ફૂંક ન હોય તો વાંસળી વાગતી નથી.
.
માણસે પહેલા ભિક્ષાપાત્ર ઘડ્યું પછી પ્રાર્થના રચી !
.
કેટલી બધી માંદગીના વિસામે થાક ઉતાર્યા પછી મૃત્યુ આવે છે.
.
મારા બધા હસ્તાક્ષરો ચેકબુકની બહાર છે.
.
છેલ્લી સફર એટલે પોતાના જ બારણેથી પોતે પાછા ફરવું.
.
ચિત્તમાં સમગ્ર વિશ્વ હોય તો કોઈપણ માણસ ટાપુની નાળિયેરી નથી.
.
જ્ઞાનની જેમ અજ્ઞાન પણ કોઈ ખીંટી પર ટીંગાયેલું હોય છે.
.
પોતાની આંખે પોતાને જોવામાં અરીસો મદદ કરતો નથી.
.
મારાં આંસુમાં દરિયો નથી, મારું લૂણ છે.
.
જીવનમાં નથી એટલાં માનાર્થે બહુવચન ભાષામાં છે !
.
હિમાલય ગંગામાં સ્નાન કરવા પડે તો ગંગા જ ન રહે.
.
અવાચ્યને વાંચવા માટે માણસને અંતરની આંખ મળી છે.
.
હવે દરેક લસરકો એક ઉઝરડો બની જાય છે.
.
( રતિલાલ ‘અનિલ’ )