(૧)
મારી બારીના
આંધળા કાચ પર
રાતે
કોનો પડછાયો
આવ-જા કરે છે ?
.
(૨)
કાગડાને
ભલે મોરના પીંછા પહેરાવો
પણ એ
કેકારવ નહીં કરી શકે.
.
(૩)
એકલી એકલી
મીણબત્તી બળતી રહી…
અજવાળું પાથર્યાનો
આનંદ લૂંટવાને બદલે
બળતરાની વ્યથા
ઘૂંટતી રહી…
.
(૩)
કોઈ દારૂડિયાએ નશામાં કહેલી
રમૂજ જેવી લાગ્યા કરે છે જિંદગી.
એના મૂળ તો ક્યાંક
કોઈક કરુણ કથા-વ્યથામાં
હોવા જોઈએ…
.
(૪)
પ્રવાસેથી પાછો ફરેલો હું
એનો એ હોવા છતાં
કૈંક જુદો હોઉં છું.
જળમાં ડૂબકી માર્યા પછી
વિસ્મય ધોવાઈ નથી જતો
પણ કોઈક નવી છાલકનો
ઉઘાડ થાય છે.
.
(૫)
મારા શબ્દ પરથી
મૌનની ત્વચા
ઉતરડી શકાતી નથી
.
(૬)
આખી રાત વરસતો
વરસાદ હતો કે
કોઈકનો અશ્રુપાત ?
.
(૭)
આપણા
જીવનના વનમાં
પશુઓ ત્રાડ પાડે છે
અને
પંખીઓ છૂપ છે.
.
(૮)
પથ્થરોની વચ્ચે રહીને
રડવાનો
કશો જ અર્થ નથી.
વહેતાં ઝરણાંને માટે
આંસુ સારશું
તો એનું કલનાદમાં
રૂપાંતર થઈ જશે.
.
(૯)
એક વાર
પાનખરની સાવ સુક્કી
ડાળીને મેં ચૂમી
અને એના પર ફૂલ પ્રકટ્યું
ત્યારે મને પોતાને થયું
કે મારામાં પણ એક
વસંત લપાઈ છે.
.
(૧૦)
તારે કંઠથી
મારું નામ સરે છે
ત્યારે જેટલું મધુર લાગે છે
એટલું ક્યારેય લાગતું નથી.
.
( સુરેશ દલાલ )