લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

હું તને પ્રેમ કરું છું

એની માત્ર મને ખબર છે.

પણ તારી કને એકરાર

કઈ રીતે કરવો

એની સૂઝ હજી સુધી

પડતી નથી.

 .

(૨)

રાતના જાગી જાઉં છું ત્યારે

અચાનક ઓશિકાને વળગી

પડું છું.

તું ન હોય તો

શું કરું ?

છે કોઈ જવાબ તારી કને ?

 .

(૩)

ચિતાના લાકડા જેવાં

દરિયાનાં મોજાંઓ :

એના પર કોઈએ

ગોઠવી છે મારી નાવ.

-દરિયો જાણે સ્મશાનભૂમિ.

 .

(૪)

માણસ

સમયને પીંજે છે

ને માણસને પીંજે છે

કાળ.

 .

(૫)

જે વ્યક્તિ

એક વાર આવીને જાય છે

તે પાછી નથી આવતી

અને અગર આવે છે તો

એની એ રહેતી નથી.

 .

(૬)

સપનાં, શબ્દો, પ્રવૃત્તિ, વાસના,

ઈચ્છા, ઝંખના, ઉપાસના, મૌન,

અવકાશ, પગલાઈ, ઓથાર,

પાતળીહવા, નિરાકાર સુગંધ

આ બધાં શબ્દોથી કવિતા થાય,

કે કવિતા જાય ?

 .

(૭)

વાદળોના સરોવરમાં

ચંદ્રની નૌકા

તર્યા કરે…

.

(૮)

હું આંખ મીચું છું

ત્યારે મને

માત્ર તું જ

દેખાય છે.

તું આંખ મીંચે છે

ત્યારે…?!

 .

(૯)

આપણી વચ્ચે

જે અવકાશ

એમાં જ તો આપણો

સહવાસ.

 .

(૧૦)

ચોવીસે કલાક

સાથે ને સાથે રહીએ

તો

વિરહનો આનંદ શું છે

એનાથી

કાયમના વંચિત રહી જઈએ.

 .

( સુરેશ દલાલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.