સાંજ થવા આવી છે અને હજી સીમમાંથી
ધણ પાછાં ફર્યાં નથી
પાદરે ગોરજ છવાઈ નથી
મંદિરે નગારે દાંડી પીટાઈ નથી.
તો, સૂર્યાસ્ત નહીં જ થયો હોય શું ?
ચક્રવાકને સૂર્યાસ્ત ક્યારે જણાય છે ?
ના, ના;
પંખી વગરનું થઈ ગયું છે આકાશ
નાખી નજર પહોંચે ત્યાં સુધી
સૂર્ય ક્યાંય જણાતો નથી.
ગોરજ વગર
આરતી વગર
સૂર્યાસ્ત વગર
એમ સમજો ને જાણે કે
અચાનક આંખ કપાતાં
ધબાક
અંધારાં નીચે પડ્યાં છે.
એટલું જ નહીં,
પાતાળ ફૂટ થઈ હોય એમ
અંદર બહાર ઉભરાયો છે અંધાર
મને હણવા આ તારી રમત તો નથી ને ?
આ અંધારું લાંબુ ચાલશે તો ટેવાયેલી પાંપણો
દરવાજા ઉઘાડી, અંદર આવવા દેશે નિદ્રાને
અને નિદ્રા તો રૂપાળી દાસી જેવી;એનું સાન્નિધ્ય
શ્રમહર ને માદકહારી.
સારથિ ! સાંભળતો નથી !
સૌ કહે છે, થ્યો છે : સૂર્યાસ્ત
સારથિ ! રથને છાવણી ભણી પાછો લઈ જા
પણ અરે આ સમયરથનું ચક્ર…
.
( ચિનુ મોદી )