કોઈ ક્યારેય પણ – ભાવેશ ભટ્ટ
કોઈ ક્યારેય પણ ઉદાસ ના થાય,
થાય તો મારી આસપાસ ના થાય !
.
એક દિ સૂર્ય ના ઊગ્યો, તો થયું,
ક્યાંક મારી ઉલટ-તપાસ ના થાય !
.
જો વીતે આપના વિચાર વગર,
એ દિવસ મનનો ઊપવાસ ના થાય ?
.
એ રીતે કોઈ ભીંત શણગારો,
કે બીજી ભીંત નાસીપાસ ના થાય.
.
રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં,
એમ ઈચ્છું કે એ નપાસ ના થાય !
.
વૃક્ષને પામીને ન પામ્યા, જો,
ડાળીએ ડાળીએ પ્રવાસ ના થાય.
.
( ભાવેશ ભટ્ટ )