સંવેદના-અશ્વિની બાપટ

હલકા હાથે પસવારો
કે
હળવેથી ખોતરો
કવિતા નીકળી આવે
એવી
સંવેદનશીલતાને
કવચમાં બીડીને
થોડી જ રાખી શકાય ?
રીઢી થઈ જાય
એટલી ઘસાઈ જશે
કે
કવિતા ડઘાઈને
અંધારે પુરાઈ જશે
એવા ડરથી
કોરાં પાનાં વચ્ચે
અર્થ સંભાવનાવાળા શબ્દો જોડે
સંવેદનશીલતાને દબાવી
થોડી સાચવી શકાય ?
પ્રેમમાં તણાઈને
તિરસ્કારથી પીંખાઈને
અવગણનાથી ગૂંગળાઈને
સહસ્ત્રમુખે ખીલે છે
સંવેદનશીલતા
દંગલોમાં કપાઈ મરશે
અત્યાચારમાં બળી જશે
સંઘર્ષમાં વહી જશે
કે
ઘરના કજિયાથી માંડીને
સાહિત્યના રાજકારણ સુધી
ફેલાયેલા
અટપટા લોકો વચ્ચે
અટવાઈ જશે-ના ડરથી
બુઠ્ઠી આંખે
નદી-પર્વત કે જંગલોમાં
કે
ધરાશયી પ્રેમના
સૂમસામ રસ્તાઓ પર
હવાફેર કરાવી
કવિતાને થોડી જ
જીવંત રાખી શકાય ?

( અશ્વિની બાપટ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.