પથ્થર-પ્રીતમ લખલાણી
૧.
હે પથ્થર,
જો તને હૃદય ન હોત તો !
શું રામ
ક્યારેય સીતાના હૃદય સુધી
પહોંચી શક્યા હોત ખરા !
૨.
જે પથ્થરો
ફૂલોનો બોજ ઉઠાવવા
સમર્થ બને છે !
શું
તે જ ઈશ્વર તરીકે પૂજાય છે ?
૩.
પ્રત્યેક પથ્થરને
ઈશ્વર થવું હોય છે !
પણ
હથોડી ને ટાંકણું જોઈ
માર્ગની કોરે બેસી જાય છે !
૪.
એકલતાથી ઊછળતા
દરિયાને
સંગાથ દેવા જ
પથ્થરો
નદીને જન્મ આપે છે !
૫.
હે ઘર !
તારા પથ્થરોમાં હજી શું ખૂટે છે ?
કે
માનવી
દિન-રાત ચંદ્ર પર પથ્થર માટે
હડિયું કાઢે છે !
( પ્રીતમ લખલાણી )