તરંગો હોય ના નહિતર સપાટી પર,
વ્યથા છે ડૂબનારાઓની પાણી પર.
બળીને પણ ન છોડ્યો સિંદરીએ વળ,
હતું સર્વસ્વ એનું એજ આંટી પર.
તમારી આંગળી મેળામાં જ્યાં છૂટી,
રહ્યો વિશ્વાસ ના જાહોજલાલી પર.
ગમે તે રીતે ક્ષણ અવઢવની આ વીતે,
અમે છોડી દીધો ઉત્તર સવાલી પર.
ઉકેલી ના શક્યા એક નામ જીવનભર,
લખ્યું’તું સૌપ્રથમ જે પેમ-પાટી પર.
કિનારે પહોંચીને પણ ના મળી મંઝિલ,
હતો તરવાનો બીજો દરિયો છાતી પર.
ગઝલ ખ્વાનીએ પતને ‘મીર’ રાખી છે,
છે એનો દબદબો ગુજરાતી વાણી પર.
( રશીદ મીર )