દિલ પર ભલેને બોજ ને મુખ પર તનાવ છે,
લોકોને મળતાં રહેવું એ મારો સ્વભાવ છે.
મારી નજરમાં મારા પ્રણયનું મહત્વ પણ,
લોકોની દ્રષ્ટિમાં એ ફક્ત એક બનાવ છે.
કારણ વગરનું હસીયે તો પાગલ ગણાઈએ,
હસતા રહો તબીબોનો એવો સુઝાવ છે.
પહેલાં કદી ભર્યું ભર્યું મારુંય ઘર હતું,
આજે સમય છે કેવો, ન કંઈ આવજાવ છે.
મારી જ સાથે થાય છે ઘટનાઓ અવનવી,
દરિયો દીસે છે શાંત ને મુશ્કિલમાં નાવ છે.
મા’ની દુઆઓ શું છે પરિચય ન માગ તું,
આ તો વિશેષ લાગણીનો રખરખાવ છે.
શ્વાસોની આ સફરમાં રહે પ્યાસી આત્મા,
રસ્તામાં ના તો કૂવા છે ના કોઈ વાવ છે.
મંઝિલ ગણીને સ્થાપી ગણતરીઓ ના મૂકો,
‘નાસાદ’ જિંદગી અહીં કેવળ પડાવ છે.
( ગુલામ અબ્બાસ ‘નાસાદ’ )