વર્ષ બદલાયાની-તુષાર શુક્લ
વર્ષ બદલાયાની, વીત્યાની, નવું શરૂ થયાની સંજ્ઞા સૂચવે છે-ગાંઠ !
ગાંઠનો સંદર્ભ ઘણો જૂનો છે.
ભૂલકણા સ્વભાવવાળી વ્યક્તિને યાદ અપાવવા
રૂમાલમાં ગાંઠ વાળી અપાય
ગાંઠ જુવે ને વ્યક્તિ ગૂંચવાય…વિચાર કરે…
શા માટે હશે આ ગાંઠ ?
અને એ યાદ કરવા જતાં એને યાદ આવે
એણે યાદ રાખવાની હોય એ વાત.
ગાંઠ પોતે કૈં કરતી નથી
માત્ર, કૈંક ભૂલાયાની યાદ આપે છે.
કારણ કે ગાંઠ આગળ ગતિરોધ સર્જાય છે.
ગાંઠ આવે ત્યાં થોભવું પડે, થોભીએ એટલે વિરામ મળે
વિચારવાની તક મળે…
વર્ષમાં આવતી આ જન્મદિવસની ગાંઠ યાદ અપાવે છે,
આપણા જન્મના હેતુની અને વહી ગયેલા સમયની…
કેટલો સમય વીત્યો એ તો જાણ્યું…
કેટલો બાકી છે એ અજાણ્યું…
તો હેતુસિદ્ધિ માટે શું ? ક્યારે ?
( તુષાર શુક્લ )