તે દિવસે અમે બન્ને – મન્દાક્રાન્તા સેન

હમણાં જ ઊંઘમાંથી ઊઠી,

કામિની વૃક્ષની આડશે, શરમાળ આંખે મુંઝાયેલા ચહેરે

ઈશ્વર આવીને ઊભા,

ઈશ્વર ! હા ઈશ્વર, એમને કઈ રીતે ઓળખ્યા,

એ નથી જાણતી.

ત્યારે હજુ સૂરજ પણ ઊગ્યો નહોતો,

મારા આંગણામાં તડકો ઊતર્યો નહોતો,

અજવાળું નહોતું થયું પણ અજવાળું આવું, આવું કરતું હતું

પરોઢિયાનો દેહ લજ્જાભર્યો,

એવે સમયે ઈશ્વર એકલા જ આવ્યા

મારે દરવાજે

વેરવિખેર વાળ, ચોળાયેલાં કપડાં

કેટલાંય વર્ષોનો થાક, પથરાયેલો આંખો નીચે

જોકે આવી આંખો જોઈને અચાનક

એવું લાગ્યું કે એ દેખાવડા છે

આટલું રૂપ મેં ક્યારેય જોયું નથી.

મારો આવો મુગ્ધભાવ જોઈ

એમણે ચહેરો ઝુકાવી અસ્વસ્થ થઈ,

ઉધરસ ખાવા માંડી,

ઉધરસ ખાતાં ખાતાં જ એ દરવાજા પાસે

નીચે પગથિયાં લગોલગ હળવેકથી બેસી ગયા

ત્યારે પણ સવારનું ધુમ્મસ પૂરેપૂરું વિખરાયું નહોતું

ભીંત લગોલગ ઈશ્વર અને મારી વચ્ચે

વાતચીત શરૂ થઈ

 .

એ વાતો ખૂબ ખૂબ ગમતી, મધુર, છતાં ગુપ્ત હતી,

એ બધી વાતો મેં કવિતામાં લખી નથી,

જો લખીશ તો એ મને દગાબાજ માનશે…

 .

( મન્દાક્રાન્તા સેન, અનુ. નલિની માડગાંવકર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.