આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

‘ઇડલી, ઓર્કિડ અને હું’ની પ્રથમ આવૃત્તિ ૨૦૦૫માં ગુજરાતીમાં પ્રગટ થઈ હતી. ત્યારે પુસ્તક હાથમાં આવ્યું હતું પણ પુસ્તક વિશે કોઈ માહિતી ન્હોતી એટલે ખરીદ્યું ન્હોતું. તે પછી એ વિશે જાણવા મળ્યું પણ પછી પુસ્તક મળ્યું ન્હોતું. ૨૦૧૦માં ‘ઇડલી, ઓર્કિડ અને હું’ની જ્ગ્યાએ ‘ઇડલી, ઓર્કિડ અને મનોબળ’ના નામે બીજી આવૃત્તિ પ્રગટ થઈ. જે આખરે મેં હમણાં થોડો સમય પહેલા ખરીદી લીધી.

 .

વિઠ્ઠલ કામતની સંઘર્ષકથા જે કઠોર પરિશ્રમના ફળ સ્વરૂપે સફળતામાં પરિણમી એ મને તો વાંચવાની બહુ જ મજા આવી. વધારે હું કંઈ એ વિશે કહું એના કરતાં આ પુસ્તકના શબ્દોને જ બોલવા દઈએ. મને ગમતી વાતો આ પુસ્તકમાંથી મૂકું છું.

 .

  • હું ઊભો થયો ને ‘ઓર્કિડ’ની અગાશી પર આવેલી રેસ્તરાંમાં ગયો. અહીંથી એરપોર્ટનું વિહંગમ દ્રશ્ય દેખાય છે. મિનિટે મિનિટે આકાશમાં ઉડાન ભરતું વિમાન, મને થઈ આવ્યું માણસે પણ આવું જ હોવું જોઈએ. પાંખ ફેલાવીને આકાશને બાથમાં લેવાની વૃત્તિ અને ધગશ જો હોય તો તમે કાંઈ પણ કરી શકો છો. હા હા, કાંઈ પણ !
  • આપણી પાસે બુદ્ધિ છે, શિક્ષણ છે, મહેનત કરવાની તૈયારી પણ છે. તો પછી આપણે બિઝનેસના ક્ષેત્રમાં વધુ ને વધુ યશ મેળવવો જોઈએ.
  • આટલાં વર્ષોના અનુભવો પરથી હું તમને સફળ થવાની એક ગુરુચાવી ચોક્કસ આપી શકું. ડિટરમેશન, ડેડિકેશન અને ડિસિપ્લીન. આ ત્રણ ‘ડી’ને જો ડેસ્ટિનીનો સાથ મળી જાય તો તો પછી કોઈ જ વાત અશક્ય નથી.
  • આપણા સહુમાં એક હીરો છુપાયેલો જ છે. પણ એને પાસા પાડવાની જવાબદારી આપણી રહે છે.
  • ગણેશાપ્રાસાદમાં આખું વરસ નિત-નવા કાર્યક્રમો થતા રહેતા. હું એ બધામાં હોંશભેર ભાગ લેતો. જોકે નાચવા-ગાવા કે મહાલવા પૂરતો જ નહીં, કપ-રકાબી વીછળવાથી માંડીને પડદા ખેંચવા સુધીનું કોઈપણ કામ કરવાની મારી તૈયારી હોય. એમાંથી એક જ સામજિક સજાગતા ઊભી થતી ગઈ. કોઈ પણ કામ કરવામાં નાનમ નથી એ વાત મારા મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ અને ખાસ તો એ કે જવાબદારી ઉપાડવાની એક સારી આદત મને ત્યાંથી જ પડી.
  • મને લાગે છે કે મારા બાપુજી વ્યંકટેશ કામત ઘણું ખરું જાપાની હોવા જોઈએ. કારણ કે એમનો તો હંમેશનો એક જ તકિયા કલામ ‘નામ કામત છે, તો કામ કર !’ આ વાક્ય એમણે પોતાને જ ગાઈ વગાડીને કહી રાખ્યું હોય તેમ તેઓ પોતે જિંદગીભર એ રીતે જ વર્તયા. કામ, કામ, સતત કામ. પરોઢિયે ઊઠી જવાથી માંડીને રાત્રે મોડેથી પથારીમાં લંબાવે ત્યાં સુધી એ કામ જ કરતા રહેતા. એનું કારણ એવું હતું કે એમણે પોતાની અટકને શબ્દશ: અર્થ સાથે ગંભીરતાથી આવકારી હતી. આથી જ એ તરી ગયા, જીવી ગયા ને ઊંચેરા બની ગયા.
  • ઘણી જગ્યાએ છેતરપીંડી થતી પણ બાપુજી એમાંથી એટલું જ શીખતા ગયા કે, ‘આપણે ક્યારેય કોઈનેય છેતરવું નહીં.’
  • નાનું બાળક ભૂલ કરતું હોય તો એને મારવું એ જ એક ઉપાય નથી તેમ એને છાવરીને બચાવવું એ પણ સત્યથી દૂર ભાગવા જેવું છે.
  • બાપુજી અમને સંબોધીને હંમેશાં એક વાક્ય તો અચૂક બોલે જ : ‘તમારાથી જિંદગીમાં કાંઈ થવાનું નથી.’ છે ને ! કોઈ માણસમાં વિરોધાભાસ કેટલી હદે ભરાયેલો હોઈ શકે ! અમે ભણી-ગણીને મોટા થઈએ, કાંઈ કરીએ એવી આશા રાખનારા, વખત આવ્યે કઠોર થનારા અમારા બાપુજીના મોઢેથી આવો નિરાશાનો સૂર કોણ જાણે કેમ નીકળતો હશે ? એમનું આ વાક્ય એકસરખું કાન પર વાગ્યા કરવાથી મને ચાટી જતી અને હું મનમાં જ બોલી ઊઠતો, ‘હું તમને કાંઈ કરી બતાવીશ!’
  • મારાં મા-બાપુજી બન્ને આપનારાં હતાં. એમના સદ્દકાર્યોએ મારી સામે એક આદર્શ ખડો કર્યો હતો.
  • સારું વાવશો તો સારું લણશો.
  • સામાન્ય રીતે આપણે અવું માનતા હોઈએ છીએ કે ધંધો ને ઈમાનદારી એ બેઉ એકસાથે ન ચાલે. પણ મારા બાપુજીએ ધંધામાંથી ઈમાનદારી ક્યારેય બાદ કરી નહીં. અને તોય સારામાં સારી રીતે ધંધો કરી બતાવ્યો.
  • તમારા પેટમાં ભૂખ હોય, તમારા મનમાં કોઈ જાતનાં શરમ-સંકોચ ન હોય અને તમારા કાંડામાં જોર હોય તો તમે કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકો છો; હા, કોઈ પણ પરિસ્થિતિમાંથી.
  • હું મારી જાતને ‘બિઝનેસમેન’નથી કહેતો. પણ હું છું એન્ટરપ્રિન્યોર (ફ્રેંચ-આંત્રપ્રીનર). જેનો અર્થ શબ્દકોશમાં જોખમ ખેડીને ધંધો કરનારો એવો થાય છે. એ જન્મીને આવતો નથી, એને ઘડવો પડે છે. એવી રીતે મેં પણ મારી જાતને પ્રયત્ન કરી કરીને ઘડી છે, કેળવી છે. એન્ટરપ્રિન્યોરને ફક્ત પૈસાના ખણખણાટમાં રસ નથી હોતો, એના માટે એથીય મહત્વની છે અફલાતૂનને ચમકતી કલ્પનાઓ. આ કલ્પનાઓને વ્યવહારમાં ઉતારવા માટે એ આકાશાપાતાળ એક કરી મૂકે છે. અને છેવટે જ્યારે એની કલ્પના એના આકાર પ્રમાણે વ્યવહારમાં ઊતરે છે ત્યારે પોતે કેટલા પૈસા કમાયો ને કેટલા ગુમાવ્યા એના કરતાં એનું સપનું સાચું પડ્યાનો આનંદ જ એન્ટરપ્રિન્યોરને વિશેષ હોય છે.
  • એન્ટરપ્રિન્યોર થવા માટે સાત બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. કાંઈ જુદું જ કરી બતાવવાની જબરજસ્ત ઈચ્છા, ચમકતી કલ્પનાઓ, નવીનતા પ્રત્યેનો ગમો, કોઈનું પીઠબળ ક્યાં તો ગુરુ, ધ્યેય, આત્મવિશ્વાસ અને આવતી કાલને પારખવાની નજર.
  • તમારી કલ્પના ફક્ત નવીનતાભરી છે એટલું જ બસ નથી, એ માટે વ્યવહારનું ગણિત સરખું બેસાડવું જોઈએ.
  • આજે ધંધામાં લોકોની દાનત એવી હોય છે કે બને ત્યાં સુધી તો કોઈને પૈસા ચૂકવવા જ નહીં અને જો ચૂકવવા જ છે તો થાય તેટલી મુદત લંબાવ્યે રાખવી. એ રીતે જોતાં હોટેલનો ધંધો કરનારા બાપુજીનું વર્તન બીજા કોઈને સાવ મૂર્ખામીભર્યું લાગે પણ એક વાત ચોક્કસ કે બાપુજીએ પોતાના આવા વર્તનને લીધે લોકોનાં માન અને શુભેચ્છા બહોળા પ્રમાણમાં મેળવ્યાં.
  • આજ્ઞાંકિતપણું અને બળવાખોરી આ બન્ને બાબત જેમ એકબીજાની સાથે હળીમળીને રહે છે તેવી જ રીતે જૂના હઠાગ્રહો દૂર થતાં એ જ જૂના થડને ફરીથી નવી ડાળીઓ-કુંપળો ફૂટી નીકળે છે એ વાત તો સો ટકા સાચ્ચી !
  • ધંધાની રીતે કોઈ માને કે ન માને પણ ધંધો ચલાવવા માટે જેમ બુદ્ધિની જરૂર પડે છે તેમ હૈયાની પણ પડે છે. લાગણીઓની બાબતમાં શું ને કેમ એવા વિચારો ઊભા થતા નથી ! ‘બસ ! મન લાગતું નથી.’ એનાથી વધીને કહેવાની કાંઈ જરૂર રહેતી નથી.
  • જેને ચોક્કસ સફળ થવું છે તેના માટે એક જાદૂઈ મંત્ર પણ ચોક્કસ હોય છે. હા, થોડો વખત એ મંત્ર ગુલબકાવલીના પેલા ફૂલની જેમ તમને ભૂલમાં નાંખી દે છે. પણ તેથી કાંઈ નિરાશ થવાની જરૂર નથી. એ મંત્રની શોધખોળ તો ચાલુ જ રાખવાની છે. ને પછી ક્યારે ને ક્યારેક તો તમને મંત્ર ચોક્કસ જડી જાય છે.
  • મારા જેવો એક સીધો-સાદો રેસ્ટૉરન્ટવાળો ‘ઓર્કિડ’ જેવું ફાઈવસ્ટાર-ડીલક્સ-ઈકોટેલ ઊભું કરી શકે એવું તો હું પોતેય જાણતો નહોતો. પણ તે શક્ય છે. ‘એ માટે જિંદગીને ચોક્ક્સ રીતે આકારવી પડે છે અને સતત ધ્યેય પર નજર માંડીને એ જ દિશામાં પ્રવાસ કરતા રહેવું પડે છે.’ એ પ્રવાસમાં ગમે તેટલાંય સંકટો આવે તોય નાસીપાસ થઈને ભાગી છૂટવાની જરૂર નથી. સફળ થવા માટે પહેલી વાત તો એ કરવાની કે આજ પછી તમારી પત્ની, તમારી પ્રિયતમા, તમારું સર્વસ્વ એ બધું જ કાંઈ તમારું કામકાજ છે, એ જ તમારો ધંધો છે.
  • મારા બાપુજી કહેતા, ‘માણસનાં લગ્ન બે વાર થાય છે. એક વાર જીવનસંગિની પત્ની સાથે અને બીજી વાર ધંધા સાથે.’ તો હું એવું કહેતો રહ્યો, ‘હોટેલનો વ્યવસાય મારી ગર્લફેન્ડ છે.’ તેથી જ વ્યવસાય કરવામાં, હંમેશાં નવા નવા પડકારો ઝીલવામાં સફળ થવામાં એક જાતનો રોમાન્સ રહેલો હોય છે.
  • અમે બધા જ રાતદિવસ કામ, કામ ને કામ જ કરતા રહેતા. સફળ થવું હોય તો કામનો નશો ચઢવા લાગે છે. મને એ સમજાયું હતું. એને માટે મારે કોઈ ફરિયાદ પણ નહોતી.
  • તમને જે કલ્પના કે વિચાર સૂઝે તે બીજા કરતાં જુદો હોવો જોઈએ. ‘મી ટુ’ – ‘હું પણ’  એવી કલ્પના બહુ સફળ થતી નથી. બિઝનેસમાં હું કાંઈ આગવું, મારી રીતે કરી બતાવું એવી ખંત હોય તો સફળ થવાની ખાતરી ખરી.
  • સફળ થનારાઓએ પોતાના કામકાજમાં સતત પરિવર્તન લાવવાનો આગ્રહ રાખવો.
  • સફળતા તરફ લઈ જનારા જાદૂઈ મંત્રનું છેલ્લું પગથિયું એટલે યોગ્ય ગુરુ મળવા !
  • પૂર્વતૈયારીઓનું મહત્વ મને આજે નહીં, ઘણાં વરસો પહેલાં સમજાયું હતું. અમારી હોટેલ ઈન્ડસ્ટ્રીનો બધો યશ આ પૂર્વતૈઅયરી પર જ આધારિત હોય છે. ઘરાક ઓર્ડર આપે એની દસ મિનિટમાં તો એની સામે ગરમાગરમ વાનગી રજૂ થાય છે. એનું રહસ્ય શું ? વાટેલી, સમારેલી, બાફેલી બધી જ ચીજ તૈયાર હોવી જોઈએ…તો જ દ્રૌપદીની થાળીની જેમ અસંખ્ય લોકોની ક્ષુધાશાંતિ કરવાનો યશ મળી શકે.
  • ….દરેકના સંસારમાં એકબીજાને સમજી લેવું, એકબીજાની પડખે ઊભા રહેવું એ બધું મહત્વનું હોય છે. પણ મારા જેવા બિઝનેસ-વાળા માટે તો અતિ મહત્વનું બની રહે છે. વેપારધંધામાં અનેક વા-વંટોળ આવતા રહે છે. આવે વખતે તમારા જીવનસાથીનો મજબૂત ટેકો તમને ન મળે તો સમજો સત્યાનાશ; સંસારનો અને તમારોય ! આ બાબતમાં હું ભારે ભાગ્યશાળી છું. મારાં મા-બાપુજીએ અને વિદ્યાએ મને વખતોવખત સંભાળી લીધો છે; મને સહાયરૂપ થયાં છે. કોઈ પણ વૃક્ષને જેમ અનુકૂળ હવામાન અને ખાતરપાણીની જરૂર રહે છે તેવું જ એન્ટરપ્રિન્યોરનું પણ. કારણ કે એન્ટરપ્રિન્યોર એટલે ચીલો ચાતરીને સપનાં જોનારો.
  • ભલાઈ એ આપવાથી ઘટતી નથી, ઊલટાની વધે છે. જિંદગીમાં એ તમને ક્યાં ને ક્યારે ઉપયોગી થઈ પડે એ કાંઈ કહેવાય નહીં. પણ ધ્યાનમાં રાખવાની વાત એક જ કે ભલાઈ કરવી, પરોપકાર કરો પણ નિરપેક્ષવૃત્તિથી, સાચા મનથી કરવો ! ફળની અપેક્ષા રાખ્યા વિના કામ કરો તો એનાં ફળ સારાં જ મળે છે.
  • જિંદગીના મહત્વના નિર્ણયો ક્યારેય પણ લાગણીના કે હૈયાના જોરે લેવા નહીં, દિમાગના જોરે લેવા.
  • ‘ઓર્કિડ’માં જ્યારે જ્યારે પણ ‘પૈસા બચાવો’ની ઝૂંબેશ ઉપાડી છે ત્યારે મેં મેનેજમેન્ટના સભ્યો સાથે સ્ટાફનેય વિશ્વાસમાં લીધો છે. એના લીધે એક તો સામૂહિક ભાવના પેદા થતી હતી. અને સાથોસાથ એવી એક ધગશ પણ ઊભી થતી કે આપણે બધાએ ભેગા થઈને જ આ સમસ્યાનો નિકાલ લાવવાનો છે.
  • ફાઈવસ્ટાર હોટેલ ચલાવવા માટે ફાઈવસ્ટાર સંસ્કૃતિની જરૂર નથી હોતી. એમાં આવશ્યકતા હોય છે આતિથ્ય-ભાવનાની જે મારાં બા-બાપુજીએ મારામાં પોષી છે. આજે હું ગર્વથી કહી શકું છું, મારું ‘બલ્ડ-ગ્રૂપ’ છે ‘એચ’. ‘એચ’ ફોર હોસ્પિટેલિટી.
  • ‘ઓર્કિડ’સોએ સો ટકા ઈકોટેલ (પર્યાવરણયુક્ત) છે. એનું બાંધકામ, એની સજાવટ, એની સર્વિસને લગતી દરેક બાબતમાં વાતાવરણની સમતુલા જાળવવામાં આવી છે. ‘ઓર્કિડ’માં જે ‘પદ્ધતિ’ વાપરવામાં આવી છે તે છે-
    • Reduce, Reuse, Recycle !’

એનો અર્થ એવો કે એકેય ચીજવસ્તુ વેડફશો નહીં, બને ત્યાં સુધી એને ફરી વપરાશમાં લો અને ફરી પ્રક્રિયા કરીને એ જ વસ્તુ પૂરેપૂરી ઉપયોગમાં લઈ શકાય એવી ચીવટ રાખો. એવી રીતે ‘ઓર્કિડ’ના મંત્રો નીચે મુજબ છે :

  • ‘Delux need not disturb.’

એટલે કે એશાઆરામ માટે થઈને પર્યાવરણની સમતુલા બગાડવાની જરૂર નથી.

  • ‘Comfort need not compromise’

એટલે કે સુખસગવડ મેળવવા માટે પર્યાવરણનાં તત્વો સાથે બાંધછોડ કરશો નહીં.

  • ‘Entertainment need not insensitive.’

એટલે કે મનોરંજન માટે લાગણીહીન થઈને કુદરતનો ભોગ લેશો નહીં.

  • મારી એક નકામી આદત એટલે આગળ-પાછળનો વિચાર કર્યા વગર પડકાર ઝીલી લેવો. કોઈ કહે કે ‘આ કામ તારાથી નહીં થાય’ તો હું ફટાક દઈને કહેતો ‘ના શું થાય?’ અને પછી કાંઈ લેવા-દેવા વગર હું એ કામ કરી બતાવવા માટે તનતોડ પ્રયત્નો કરતો.
  • ધંધાદારીઓ માટે બે જોખમકારક બાબત રહેલી છે. એક તો લાગણીથી દોરાવું ને ગમે તેના પર ભરોસો કરવો. મારામાં આ બન્ને દુર્ગુણો પુષ્કળ પ્રમાણમાં છે. એની સાથેસાથ બે-હિસાબીપણું, બે-ફિકરાઈ અને બે-શિસ્ત પણ એટલાં જ ! આ બધાંને લીધે ક્યારેક ક્યારેક તો એવા ફટકા પડે ને, કે પછી જ આંખ ઊઘડે. આવા વખતે મારા પોતાના જ કાન પકડીને હું મારી જાતને કહી રાખું છું, ’જો હવે ફરી આવું નથી કરવાનું.’
  • મારા વ્યક્તિત્વનું એક સબળ પાસું એટલે હું આજન્મ વિદ્યાર્થી છું. શિક્ષણ કાંઈ શાળા-કોલેજોમાંજ મળે છે એવું નથી. જીવનનો પ્રત્યેક અનુભવ તમને કાંઈ ને કાંઈ શિખવાડતો જાય છે.
  • સફળ માણસો માટે બધાને કુતૂહલ હોય છે, એમના માટે અહોભાવ હોય છે. પણ એ સફળતા સુધી પહોંચનારી સીડી કાંઈ એક જ દિવસમાં ચઢી જવાતી નથી. જેને સફળ થવું છે તેમણે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. મોટે ભાગે તો સફળ થનારો માણસ એક પછી એક પગથિયાં ચઢીને સીડીએ પહોંચ્યો છે અથવા તો પર્વતની ટોચે ઊભો છે એવું ચિત્ર દોરવામાં આવે છે. પણ ખરી રીતે જુઓ તો સફળ થવા માટે પહેલાં એક નાનો ત્રિકોણ, પછી એની ભૂજા લંબાવીને થયેલો મોટો ત્રિકોણ, પછી એવી જ રીતે વધુ ને વધુ ઊંચો થતો જતો ત્રિકોણ એવી વૃદ્ધિ થવી જોઈએ. જેથી પાયો મજબૂત રહે અને ઊંચાઈ વધતી જાય.
  • આ પદ્ધતિને કહે છે ‘સકસેસ ટ્રાયેંગલ’. મને આ પદ્ધતિ પર પૂરો વિશ્વાસ છે. અથવા જો શિખર આંબવું હોય તો પહેલાં નાની ટેકરીનું શિખર, પછી એકાદા ડુંગરાનું શિખર, પછી પર્વતનું શિખર એમ પ્રવાસ થતો રહેવો જોઈએ. સફળ થવાના રસ્તે આવતાં ખીણ-ખાડા-ખૈયા-વાંકાચૂકા વળાંકો ઓળંગવાનાં હોય છે…તો જ શિખર સર કર્યાનો સંતોષ થાય છે. ગ્રાહકને ઉપયોગી થનારી ચમકતી કલ્પનાઓ એટલે જ ધંધાની સફળતાની ગુરુચાવી. આ કલ્પના જેટલી અફલાતૂન, જેટલી નવી તેટલો જ તેનો વિરોધ થવાનો છે એટલું ધારીને જ ચાલવાનું છે. આવા વિરોધને ન ગણકારતાં હાડનો એન્ટરપ્રિન્યોર પોતાની કલ્પના આકારે છે, સાકારે છે, એને સફળ કરી બતાવે છે અને એવી રીતે જ દુનિયાનો ક્રમશ: વિકાસ થતો હોય છે.
  • કોઈ પણ ઓર્ગેનાઈઝેશનમાં જો એ સંસ્થાનો અને ત્યાંના લોકોનો વિકાસ કરવોહોય તો શિખર પર બેઠેલો માણસ જ માખણ ખાધે રાખે ને એના હાથ નીચેના માણસો ભૂખ્યા રહે એ બરાબર નથી. બધાને જ ફાયદો થવો જોઈએ. બધાનો જ વિકાસ થવો જોઈએ. હું જો ગાડી ચલાવતો હોઉં તો મારા હાથ નીચેના લોકોને કાંઈ નહીં તો છેવટે સ્કુટર તો આપી શકું એવો મારો ભાવ હોવો જોઈએ. હાથ નીચેના માણસો સાઈકલ પણ લઈ શકતા નથી ને બોસ મર્સિડિઝમાં ફરે છે એ વાત મને રુચતી નથી.
  • દિવસમાં જેટલો સમય હું મારા વ્યવસાયને આપું છું તેટલો જ સમય હું ‘નિસર્ગમૈત્રી’ માટે આપું છું. કારણ કે નિસર્ગમૈત્રી એ જ મારું અવિભાજ્ય રૂપ છે અને નિસર્ગ સાથે મૈત્રી એ જ મારી જીવનપદ્ધતિ છે !
  • મને સુખનો મૂળમંત્ર જડ્યો છે. એ મૂળમંત્ર છે : કુદરત સાથે મૈત્રી કરો. હું પ્રકૃતિપ્રેમી તો હતો જ. પણ હવે પ્રકૃતિનું ઋણ ફેડવાનો પ્રયત્ન પૂરી ઈમાનદારીથી કરું છું. ખુશીની વાત એ છે કે મને સાંપડેલો આ મૂળમંત્ર મેં મારા માટે જ મર્યાદિત રાખ્યો નથી. આ મંત્ર મેં બીજાને આપ્યો છે. એમને ય એ ગમ્યો. એમણે હાથ મિલાવ્યા, અમારી ટીમ તૈયાર થઈ. અમારી ટીમના બે અર્થો છે. એક તો એનો સામાન્ય અર્થ એટલે સંઘ(જૂથ). બીજો અર્થ છે ‘Three, Environment And Me!’ (વૃક્ષ, પર્યાવરણ અને હું.) આ બીજો અર્થ તમને અંદરથી સમજાય છે ત્યારે તમને જીવવાનો અર્થ પણ સમજાય છે.

 .

ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત

અનુવાદ : અરુણા જાડેજા

પ્રકાશક : મીડિયા પબ્લિકેશન

પૃષ્ઠ : ૧૬૦

કિંમત : રૂ. ૧૬૦/-

પાંચ લઘુકાવ્યો

(૧)

સજા

 .

હે કવિ !

વાસ્તવિક થા.

જનમટીપની સજા

ફરમાવતા કાગળની પાછળ

કવિતા લખવાથી

સજામાં

ઘટાડો નહીં થાય.

 .

(મદનકુમાર અંજારિયા “ખ્વાબ”)

 .

(૨)

અંતિમયાત્રા

 .

ડાઘુભાઈ,

જરા ધીમેથી

ચાલજો… !

મેં બહુ ‘ઠોકરો’

ખાધી છે

જિંદગીમાં….

 .

(અનિરુદ્ધ આર. પટેલ)

 .

(૩)

મૌનની ઘેરી ઉદાસી તોડ મા,

શબ્દની સંગાથ નાતો જોડ મા;

જિંદગાનીને ગઝલમાં રણ કહી,

ઝાંઝવા પાછળ દીવાના દોડ મા.

 .

(પુષ્કરરાય જોષી)

.

(૪)

છાંયડામાં….

 .

વૃક્ષને કાપવું

જો અનિવાર્ય

થઈ પડે

તો…

ઉનાળામાં કાપજો,

કદાચ,

વિચાર

બદલાઈ જશે….

 .

(અનિરુદ્ધ આર. પટેલ)

 .

(૫)

હરીફાઈ

 .

મહાભિનિષ્ક્રમણ માટે

શ્વાસ ભલેને

ટટમટ તૈયાર થઈને બેઠા હોય.

પણ

ઠઠરો કરીને બેઠેલી જિજીવિષાની

હરીફાઈ એમને કરવાની છે.

અને

ઈતિહાસ જિજીવિષાની પડખે છે…

 .

(ચંદ્રેશ ઠાકોર)

તું – રાજેન્દ્ર પટેલ

.

(૧)

મૂઠી ખૂલતાં

ઊઘડતા મસમોટાં બારણાં.

 .

એ બંધ હતી ત્યાં સુધી તો

હતું અંધારાનું શાસન.

 .

ખુલ્લી થઈ

થયું અજવાળું.

 .

પણ ખૂલતાં ખૂલતાં

ખૂટી ગયા રે દિવસો.

 .

(૨)

રાતમાં તો

કાયમ અંધારું.

 .

ને રાતનો પડછાયો

આંખોમાં સદા છવાયેલો.

 .

પડદો ખોલી જોયું

ન પડછાયો, ન અંધારું.

 .

છે કેવળ આંખ તારી

અજવાળું છલકાવતી.

 .

( રાજેન્દ્ર પટેલ )

હવાનો વાંક નથી – શોભિત દેસાઈ

.

હવાનો વાંક નથી કૈં, પ્રહાર ના કરતા !

અમસ્તો એમાં તમે ગોળીબાર ના કરતા !

 .

ઊડી રહ્યાં છે વિહગ એક નવો દિવસ લઈને,

જૂના જખમથી પ્રદૂષિત સવાર ના કરતા !

 .

રહેમદિલી એ ધરે છે બહુ જ ઓછાને,

હો આપવાનું તો સહેજે વિચાર ના કરતા !

 .

જમાવીને જ અમુક વાતો માંડવાની હોય,

દખલ નકામી કરી ટૂંક સાર ના કરતા !

 .

સરળ સ્વભાવ સફળ જિંદગીની ચાવી છે,

બનીને મીંઢા વધુ માથે ભાર ના કરતા !

 .

ઝીણું વણ્યું છે બધું એણે લાયકાત મુજબ,

ઉમેરી મરજી જીવન તાર તાર ના કરતા !

 .

ઢબૂરી દઈને બધાં અસ્ત્ર સાચી જગ્યાએ;

પછીથી મૌન તમે ધારદાર ના કરતા !

 .

( શોભિત દેસાઈ )

દસમો ખોવાયો છે – સ્વામિની સદ્દવિદ્યાનંદાજી

[વેદાંત શ્રવણ દરમ્યાન કેટલાક દ્રષ્ટાંતો મને બહુ જ પ્રિય થઈ પડ્યા હતા. જેમાંથી એક છે “દસમો ખોવાયો છે”. આ દ્રષ્ટાંતનું આલેખન કરી આપવા પૂ. સ્વામિનીજીને હું ઘણાં સમયથી કહ્યા કરતી હતી. પણ શક્ય ન્હોતું બનતું. હમણાં ફરી મને યાદ આવ્યું તો મેં પૂ. સ્વામિનીજી પાસે ઉઘરાણી કરી. અને તેમણે તેમના અમેરિકાના પ્રવાસમાં સત્સંગની વ્યસ્તતા હોવા છતાં તરત લખીને મોકલ્યું. જે આજે હું અહીં પ્રસ્તુત કરું છું.]

.

.

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. જંગલમાં નદી કિનારે એક મહાત્મા સ્વામી પરમાનંદજી રહેતા હતા. તેમના આશ્રમમાં વેદપાઠશાળા હતી. વેદપાઠશાળામાં દસ બાળકો વેદાધ્યયન કરતા હતા. તેઓ ત્યાં આશ્રમમાં જ રહીને અંતેવાસી તરીકે શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા હતા.

 .

આજકાલ જેવી રીતે શનિ-રવિ રજાના દિવસો હોય છે એવી જ રીતે શાસ્ત્રના અધ્યયન માટે કેટલાક દિવસોને અનધ્યયન દિવસ ગણવામાં આવતા હતા. જેવા કે અમાસ, પડવો, તેરસ વગેરે દિવસોને અધ્યયન માટે અયોગ્ય ગણવામાં આવતા હતા. વેદપાઠની સાથે સાથે દરેક શિષ્યને તેની આવડત અનુસાર આશ્રમમાં કેટલીક સેવાઓ કે જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સૌ શિષ્યો આનંદથી અધ્યયન કરતા હતા અને સેવાકાર્ય પણ કરતા હતા.

 .

એક દિવસની વાત છે. તે દિવસ અનધ્યયન દિવસ હતો અને સવારની બધી જ સેવાઓમાંથી શિષ્યો નિવૃત્ત થઈ ગયા હતા. આશ્રમ નદી કિનારે હતો છતાં હજી સુધી આ બાળકોને સામે કિનારેનો જંગલપ્રદેશ જોવાની તક મળી ન હતી. એક બાળકના મનમાં વિચાર આવ્યો અને તેણે તરત જ વિચાર બધાની સામે રજૂ કર્યો “ચાલો ! આપણે સામે કિઅનરે જંગલ જોવા જઈએ !”  અન્ય સર્વ બાળકોએ સહર્ષ તેની વાત સ્વીકારી લીધી. પરંતુ ગુરુજી પાસે જઈને કોણ રજૂઆત કરે ?

 .

બધા જ બાળકો ગુરુજી પાસે ગયા. બધામાં જે એક વયમાં મોટો હતો તેણે નમ્રતાથી ગુરુજી પાસે રજૂઆત કરી. ગુરુજીને પણ થયું કે ભલેને બાળકો જંગલમાં ફરવા જતા. તેમણે પરવાનગી આપી તેથી બધાં બાળકો પ્રસન્ન થઈ ગયા. પણ ગુરુજીએ સૌથી મોટા શિષ્ય દેવદત્તને કહ્યું, “તું વયમાં બધાથી મોટો છે. તેથી અન્ય સર્વેની સંભાળ લેજે. તમે દસે દસ પાછા હેમખેમ આવજો.” દેવદત્તે કહ્યું, “ભલે ગુરુજી ! બધાનું ધ્યાન હું રાખીશ અને દસે જણ હેમખેમ પાછા આવીશું.”

 .

બધા બાળકો આનંદકિલ્લોલ કરવા લાગ્યા. સર્વ તૈયારી કરીને સૌ નીકળી પડ્યા. રજાનો દિવસ એટલે મજાનો દિવસ. સૌ બાળકો મસ્તી કરતા રમતાકૂદતા નદી કિનારે પહોંચ્યા. નદીને સામે કિનારે જવાનું હતું. સૌ તરવાનું જાણતા જ હતા. પણ કોઈ ઉતાવળ તો હતી નહીં. સૌ પાણીમાં રમવા લાગ્યા. કોઈએ ડૂબકી મારી, કોઈ જમણી બાજુ ગયું, કોઈ ડાબી બાજુ ગયું. આમ નદીમાં થોડો વખત રમીને, મસ્તી કરીને વારાફરતી બહાર નીકળવા લાગ્યા. દેવદત્ત થોડો ગંભીર હતો. ગુરુજીએ જવાબદારી સોંપી હતી ને ! તે સૌ પ્રથમ બહાર નીકળ્યો અને બહાર ઊભા રહીને જેમ જેમ અન્ય બાળકો નીકળતા ગયા તેમ તેમ ગણતરી કરવા લાગ્યો. એક બે ત્રણ….નવ. “અરે ! અમે તો દસ જણા હતા નવ જ કેમ ? દસમો ક્યાં ગયો ?” એણે ફરીથી ગણતરી કરી. નવ જ !

 .

એણે એના અન્ય સહાધ્યાયીને ગણવાનું કહ્યું, “તું ગણતરી કર.”  તેણે ગણ્યા તો પણ નવ જ ! બસ બધાના મનમાં નક્કી થઈ ગયું દસમો ખોવાયો છે. એકવાર મનમાં નિશ્ચય થઈ ગયો કે દસમો અહીં નથી, ખોવાઈ ગયો છે પછી તો તેની શોધખોળ શરૂ થઈ. કોઈ પાછું પાણીમાં કૂદ્યું, કોઈ આગળપાછળ ફરીને જોવા લાગ્યું, કોઈએ જોરથી રડવા માંડ્યું. એકે રડવાનું શરૂ કર્યું એટલે બાકીના બધા પણ રડવા લાગ્યા. હવે ફરવા જવાની મજા બગડી ગઈ. અને આશ્રમમાં પાછા કેમ ફરવું, ગુરુજીને શું જવાબ આપીશું એ ચિંતામાં બધા પડી ગયા. અને બધા જ ત્યાં ને ત્યાં બેસીને રડવા લાગ્યા.

 .

આ મનુષ્ય મનની વિશેષતા છે કે એક વાર એક વિચાર મનમાં અટકી પડ્યો પછી મન બીજી રીતે વિચારવા તૈયાર થતું નથી. તે અન્ય પ્રકારે વિચારવાનું જ બંધ કરી દે છે. કારણ કે નિર્ણય થઈ ગયો છે કે દસમો ખોવાયો છે.

.

કોઈને સમજમાં ન આવ્યું શું કરવું. એજ વખતે એમના ગુરુજીના સહાધ્યાયી મહાત્મા આશ્રમ તરફ આવી રહ્યા હતા. તેમણે દૂરથી બાળકોનો રડવાનો અવાજ સાંભળ્યો અને વિચારવા લાગ્યા કે અત્યારે જંગલમાં કોણ રડી રહ્યું છે ? આ તો બાળકોના રડવાનો અવાજ લાગે છે. તરત તેઓ એ દિશામાં ઝડપથી જવા લાગ્યા. ત્યાં નદીકિનારે પહોંચીને જોયું તો ‘દસ’ બાળકો જમીન પર બેસીને રડી રહ્યા હતા. જેવા નજીક પહોંચ્યા કે તેઓ ઓળખી ગયા કે આ તો તેમના જ સહાધ્યાયી સ્વામી પરમાનંદના શિષ્યો છે. તેમની પાસે જઈને પ્રેમથી પૂછ્યું, “શું થયું તમે અહીં શું કરી રહ્યા છો ?  તમે કેમ રડો છો ?” ત્યારે દેવદત્તે કહ્યું કે “અમે દસ શિષ્ય આશ્રમમાંથી જંગલમાં ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ નદી પાર કરવામાં અમારામાંથી એક ખોવાઈ ગયો છે. અમે ગણતરી કરી તો નવ જ થાય છે. અમે દસ હતા. દસમો ખોવાઈ ગયો છે.”

 .

મહાત્માજી તરત જ સમસ્યા સમજી ગયા. બધાના મનમાં એક જ વાત નિશ્ચિત થઈ ગઈ હતી કે દસમો ખોવાયો છે. તેથી મહાત્માએ તેમને સાંત્વના આપતા પ્રેમથી કહ્યું, “દસમો અહીં જ છે. તમે ચિંતા ન કરો. હું તમને મદદ કરીશ.” આટલું સાંભળીને બધાએ રડવાનું બંધ કરીને એક અવાજે પૂછ્યું, “ખરેખર ? દસમો અહીં જ છે ? તમે અમને મદદ કરશો ?” “જરૂરથી”.

 .

મહાત્માએ સૌને એક કતારમાં ઊભા રહેવા જણાવ્યું. દેવદત્તને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તું ગણતરી કર.” દેવદત્તે ગણતરી કરી. એક, બે, ત્રણ….નવ. જૂઓ નવ જ છે.” તરત જ મહાત્માએ કહ્યું, “તું દસમો છે !”. તરત જ તે બોલ્યો, “ઓહ ! દસમો મળી ગયો. “હું દસમો છું”.

.

શું ખરેખર દસમો મળી ગયો ? શું ખરેખર દસમો ખોવાયો હતો ? દેશ કાળમાં દસમો દૂર હતો ? ત્યાં કેટલા દસમો હતા ? દસે દસ જણ દસમો હતા. કારણ કે જે દસમાને શોધી રહ્યો હતો તે સ્વયં જ દસમો હતો. જે વિચારતો હતો કે દસમો ખોવાઈ ગયો હતો તે જ દસમો હતો. આમ દસમો જ દસમાને શોધી રહ્યો હતો. શોધવાવાળો અને શોધવાનો વિષય બંને એક જ હતા.

 .

એ જ રીતે જીવનમાં આપણે સૌ અનંત સુખ, શાંતિ અને અભયતા શોધી રહ્યા છે. પરંતુ અનંતનો અર્થ જ થાય કે તેમાં તમારો ઉમેરો થઈ ગયો. તમારાથી અલગ, ભિન્ન રહીને તે અનંત ન હોઈ શકે. સૌ કોઈ જાણે છે, “હું છું અને હું ચૈતન્ય છું.” સત, અસ્તિત્વ અને ચિત, ચૈતન્ય તો સૌને ખબર છે. સૌ બાળકો પણ જાણતા હતા કે તેઓ છે અને તેઓ ચૈતન્ય છે. પરંતુ “હું દસમો છું” તે જાણતા ન હતા. એ જ રીતે “હું છું અને હું ચૈતન્ય છું” એ સૌ કોઈ જાણે છે. કોઈને તે કહેવાની જરૂર નથી. છતાં “હું બ્રહ્મ છું, અનંત છું, પૂર્ણ છું” તે કોઈ જાણતું નથી. આમ શોધનાર અને શોધનો વિષય બંને એક જ છે. સાધક સાધ્ય બંને કે જ છે. દસમો જ દસમાને શોધી રહ્યો હતો એ જ રીતે સુખસ્વરૂપ સ્વયં પોતાને શોધી રહ્યો છે. કેમ ? શા માટે ? કારણ કે પોતાને સુખસ્વરૂપ ઓળખતો નથી.

 .

જેવી રીતે એકવાર મનમાં નિશ્ચય થઈ ગયો કે દસમો ખોવાયો છે, અહીં અત્યારે દસમો નથી પછી તો એની શોધ શરૂ થઈ જાય છે. એ જ રીતે મનુષ્યે એકવાર નિશ્ચય કરી લીધો છે કે તે દુ:ખી છે, સંસારી છે, જન્મ-મરણવાળો છે પછી તે પોતાને શોકગ્રસ્ત જ જૂએ છે. તે પોતાને અલ્પ, તુચ્છ માને છે.

 .

જેવી રીતે દસમાની શોધ માટે “અન્યબુદ્ધિ”, અન્ય ઉપદેશકની આવશ્યકતા છે એ જ રીતે પોતાના સાચા સ્વરૂપની ઓળખ માટે પણ સદ્દગુરુની આવશ્યકતા છે. તેથી ગીતામાં ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું કે “તું જ્ઞાનીને શરણે જા, તેમને પ્રણામ કર અને તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કર. તેમને પ્રશ્ન પૂછ. તે તને ઉપદેશ કરશે.” આમ સદ્દગુરુના ઉપદેશના શ્રવણથી જ પોતાના સાચા સ્વરૂપની ઓળખ થાય છે. સદ્દગુરુ પાસે શાસ્ત્રશ્રવણથી જ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ જ્ઞાન થાય છે. પરંતુ દસમાનું દ્રષ્ટાંત ઘણું સરળ છે. શાસ્ત્રશ્રવણ પછી પણ પોતે અનંત, પૂર્ણ સુખસ્વરૂપ, આનંદસ્વરૂપ છે એ સ્પષ્ટ થતું નથી. કારણ કે જન્મોજનમથી, અનાદિકાળથી આપણે પોતાને દુ:ખી, અલ્પ, જન્મ-મરણવાળા માનીએ છીએ. તેથી સતત શાસ્ત્રશ્રવણથી જરૂર છે. શ્રવણ કર્યા પછી તેના પર મનન કરી સંશય, શંકાની નિવૃત્તિ જરૂરી છે. અને સ્પષ્ટ થયા પછી પોતાને અલ્પ માનવાની, દેહ માનવાની આદત પડી ગઈ છે તેથી નિદિધ્યાસનની પણ એટલી જ આવશ્યકતા છે. એકવાર સ્પષ્ટ, દ્રઢજ્ઞાન થઈ ગયું પછી વ્યક્તિ મુક્ત છે.

 .

( સ્વામિની સદ્દવિદ્યાનંદાજી )

 

સુરેશ દલાલને શ્રદ્ધાંજલિ

.

શ્રીકૃષ્ણનો આ ધરતી પર અવતરવાનો સમય થઈ રહ્યો હતો ત્યારે એક તરફ ટી.વી. પર દ્વારકાના જગતમંદિરનું લાઈવ પ્રસારણ ચાલુ કર્યું અને બીજી તરફ ઈન્ટરનેટ ચાલુ કર્યું તો જિજ્ઞેશભાઈ અધ્યારુનો ઈ-મેઈલ મળ્યો કે “હમણાં જ પ્રાપ્ત થયેલ અત્યંત દુ:ખદ સમાચાર અનુસાર આજે સાંજે શ્રી સુરેશભાઈ દલાલનું નિધન થયું છે.” ત્યાં વળી રજનીભાઈનો પણ મેસેજ આવ્યોકે “કવિ-વિવેચક-સંપાદક-પ્રકાશકશ્રી. ‘સુ.દ.’નું શ્રાવણ ‘વદ’ આઠમ પર અવસાન.

 .

શું લખું તે જ મને તો સમજ નથી પડતી. સુરેશભાઈ સાથે મારે વ્યક્તિગત રીતે કોઈ જ પરિચય ન્હોતો. એક વાચક અને ભાવક તરીકેનો નાતો. એમના લખાણો મારા હૃદયની ખૂબ જ નજીક હતા, છે અને રહેશે.

.

કૃષ્ણ પર એમણે વિપુલ પ્રમાણમાં લખ્યું તે પછી કવિતા હોય કે ઝલક હોય કે પ્રાર્થના. અને આજે જન્માષ્ટમીના દિવસે જ તેઓ કૃષ્ણમાં સમાઈ ગયા. કદાચ કૃષ્ણને પણ એમના અવાજમાં કૃષ્ણગીતો સાંભળવા હશે એટલે પોતાની પાસે બોલાવી લીધા.

 .

કવિ અને લેખક તરીકે એમણે ઉત્તમ કક્ષાનું વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું. ગણી ગણાય નહીં એટલી બધી કવિતાઓ અને એટલા બધા પુસ્તકો. અઢળક. અને તોય લોકભોગ્ય ભાષામાં. સરળ ભાષામાં ઉંચા અને ઉમદા વિચારોને રજૂ કરી છેક છેવાડાના માણસ સુધી પહોંચાડ્યા. આ રીતે લોકો સુધી પહોંચવા માટે એમની પાસે બે પ્રબળ માધ્યમો હતા…કવિતા અને ઈમેજ પબ્લિકેશન. ‘ઈમેજ’ના માધ્યમથી એમણે પ્રકાશક, સંપાદક અને અનુવાદક તરીકે જે પુસ્તકો આપ્યા એ બધા જ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ સમાન બની રહ્યા છે. એમના સંપાદનો દરેક વખતે વિવિધતા ભરેલા રહ્યા છે. આ ઉપરાંત એમણે કેટલાયે નવોદિતોને બનાવ્યા છે, પ્રોત્સાહિત કર્યા છે, પ્રેર્યા છે, તક આપી છે, ઘડ્યા છે અને એમના પછીની બીજી પેઢી તૈયાર કરી છે.

 .

પણ સુરેશ દલાલ એટલે સુરેશ દલાલ જ. એમના ન રહેવાથી ગુજરાતી સાહિત્યમાં જે શૂન્યાવકાશ સર્જાશે તે ગમે એટલા પ્રયત્નો પછી પણ નહીં પૂરી શકાય.

 .

“મોરપીંછ” એમના પ્રિય કવિ-લેખકને હાર્દિક શ્રદ્ધાંજલિ અને શબ્દાંજલિ આપે છે..

 .

સુરેશભાઈ તમે જ લખ્યું હતું….

મૃત્યુ પછી

કાવ્યમાં

કવિ જીવે છે સુખથી.

*

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ !

*

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !

*

કંઈ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:

એમાં એક જ નામ તમારું નાવ થઈને મ્હાલે !

*

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

મને સૂતીને સપને જગાડ્યા કરી.

*

રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

*

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે:

કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

*

હવે નવા નવા સંબંધો બાંધવા નથી
મારે તુટેલા ધાગાઓ સાંધવા નથી

*

મને લાગે નહીં ક્યાંય કશું એકલું,

મને મારું એકાન્ત ગમે એટલું !

*

અમે એવા છઈએ : અમે એવા છઈએ

તમે માછલી માગો ને અમે દરિયો દઈએ.

*

મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મૂકીએ છીએ

એ પહેલાં

હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.

*

આપણે આપણી રીત રહેવું :

ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

*

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

*

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ..

આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ…

*

પંખીના ટહુકાથી ઊઘડે એવું

વહેલી સવારનું મૌન મને આપો

*

હું સાવ અજાણ્યો યાત્રી !

ક્યાંથી આવ્યો, ક્યાં હું ચાલ્યો, નહીં ખબર કે ખાત્રી.

*

હું વિદૂષક છું એમાં કોઈ શંકા નથી

આંસુઓ રૂમાલથી લૂછવાનાં નથી હોતાં

એટલે હાસ્યથી લૂછી લઉં છું.

*

હજાર વચ્ચે રહેવું નથી મારે બજાર વચ્ચે રહેવું નથી

મને ગુરુ મળ્યા છે ક્ષણમાં

નીરવ એમના મૌનમાત્રથી ગુલાબ ખીલ્યાં છે રણમાં.

*

મોરપિચ્છની રજાઈ ઓઢી

તમે સૂઓને શ્યામ,

અમને થાય પછી આરામ…

*

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

*

અને છેલ્લે…

અમને માયા લગાડીને, છાયા ઉઠાવીને

મનગમતો માણસ એક ચાલ્યો ગયો.

લય-તાલે ઝૂલતો, સરવર જેમ ખૂલતો

ગુનગુનતો માણસ એક ચાલ્યો ગયો.

સ્મિત ભીનું મૂકીને, આંસુઓ લૂંટીને

હણહણતો માણસ એક ચાલ્યો ગયો.

રણઝણતા ગીત મહીં, પાગલ આ પ્રીત અહીં

થનગનતો માણસ એક ચાલ્યો ગયો.

.

[આ સાઈટ બનાવી ત્યારે સાઈડ પરના વિજેટમાં ‘શેરબજાર’ નામનું એક વિજેટ બનાવ્યું છે જેમાં કાવ્યપંક્તિઓ મૂકું છું. ‘શેરબજાર’ નામ લખતી વખતે મનમાં પ્રશ્ન થયો કે ‘શેરબજાર’ આવ્યું ક્યાં ? તો મુંબઈમાં ‘દલાલ સ્ટ્રીટ’માં. દલાલ કોણ ? તો સુરેશ દલાલ. એમાંથી મેં બીજા વિજેટને નામ આપ્યું છે ‘દલાલ સ્ટ્રીટ’ અને એમાં સુરેશભાઈની રચનાઓ મૂકું છું.]

.

હિના પારેખ “મનમૌજી”

વાત કહું શ્યામ…- રમેશ પારેખ

.

તમે આવો તો વાત કહું શ્યામ…

નીત રે ઉઠીને મને ઉંબરમાં તગતગતા

સૂરજની શૂળ એમ વાગે

મારી હથેળી તારા કેશમાં ગૂંથેલ

મોરપીંછનો પડછાયો લાગે

દર્પણની દ્વારિકામાં દર્પણને તીર

હું તો પાણીને મૂલ વહું શ્યામ…

તમે આવો તો વાત કહું શ્યામ…

.

ચંદનની સૂનમૂન સૂતી હું ડાળ

મને લૂંબ્રઝૂંબ વાયરે ઝુલાવો

શેરી તો સાવ ફૂંક વિનાનો વાંસ

તમે પંચમની ફૂંક સમું આવો

ઘરના પોલાણમાંથી વાંસળીના સૂર જેમ

વગડે વેરઈ જઉ શ્યામ…

તમે આવો તો વાત કહું શ્યામ…

 .

( રમેશ પારેખ )

…જન્માષ્ટમીની શુભેચ્છાઓ… 

રૂબરૂ – શરીફા વીજળીવાળા

[આમ તો આ સાઈટ પર જે કૃતિ અગાઉ ક્યાંય પણ નેટ પર ન મૂકાઈ હોય એ જ અહીં મૂકવાનો પ્રયાસ હું ૨૦૦૮થી રોજ કરું છું. પરંતુ “ગુજરાતી સાહિત્ય સંગમ” બ્લોગ પર શરીફાબેન સાથેની મુલાકાત વાંચીને અહીં ફરી પોસ્ટ કરવાની લાલચ હું રોકી શકતી નથી. અલબત્ત અગાઉ જ્યાં પ્રાકાશિત થઈ છે તેની લીંકના સાભાર ઉલ્લેખ સહિત જ. ]

ચિટચેટ – નંદિની ત્રિવેદી

ઉત્તમ અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક શરીફા વીજળીવાળા સુરતની એમટીબી કૉલેજમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. મેડિકલમાં સાત માર્ક ઓછા પડતાં એન્જિનીયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. એમને તો આર્કિટેક્ટ બનવું હતું પણ અધધ ખર્ચ પોસાય એમ નહોતો એટલે બી.ફાર્મ કર્યું અને પાંચ વર્ષ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરી. પરંતુ, ઘર મેળવવાની તકલીફને લીધે હોસ્ટેલના રેક્ટરની જવાબદારી સ્વીકારી અને હોંશે હોંશે બાર વર્ષ નિભાવી. અભ્યાસકાળ દરમ્યાન ઘર ન હોવાથી હોસ્ટેલમાં રહેવા મળે એટલે જ ગુજરાતી અને મેથ્સ સાથે બી.એ. કરવાનું નક્કી કર્યું. ગુજરાતી વિષયમાં રસ વધતો ગયો ને પછી એમ.એ., બી.એડ. અને પી.એચડી પણ કર્યું. તમે માનશો, એફ.વાય.બી.એ.થી એમ.એ. સુધી એકેય વાર ક્લાસ અટેન્ડ ન કરવા છતાં હંમેશાં તેઓ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યાં છે. વીસમી સદીનાં શ્રેષ્ઠ ૧૨૫ ગુજરાતી પુસ્તકોમાં એમનું પુસ્તક ‘શતરૂપા’ સ્થાન પામ્યું છે. સ્પાઈનલ કોર્ડની તકલીફને કારણે છેલ્લાં વીસ વર્ષથી ચોવીસે કલાક પીઠની પીડા સહન કરતાં શરીફાબહેનનો જુસ્સો અને લેખન પ્રત્યેનો ઉત્સાહ આજેય બરકરાર છે, કારણકે તે કહે છે કે ‘હું શરીરથી ક્યાં જીવું છું, મનથી જ જીવું છું.’’ સાહિત્ય પરિષદ, સાહિત્ય અદાદમી સહિત અનેક પારિતોષિકો મેળવી ચુકેલાં આવાં મનસ્વી તપસ્વિની શરીફાબહેન અહીં તેમનાં અંગત રસ-રૂચિ શેર કરે છે.

મુખ્ય શોખ

વાંચવું, લખવું, ઓફબીટ સિનેમા જોવી, ગમતાં લોકો સાથે ગપ્પાં મારવાં અને ક્રિકેટ જોવાનો ભારે શોખ. કોઈ પણ દેશ રમતો હોય તોય આ બંદા ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ની જેમ હરખાય અને પોરસાય!

પ્રિય લેખકો

પન્નાલાલ પટેલ, જયંત ખત્રી અને કવિ-સર્જક-વિવેચક તરીકે દ્વિરેફ સૌથી વધુ ગમે. એ મને હંમેશાં સમય કરતાં ૩૦-૪૦ વર્ષ આગળ લાગ્યા છે. લોકપ્રિય સાહિત્યકારો ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ અને વિનોદ ભટ્ટ પણ એટલા જ પ્રિય. પણ ક.મા. મુનશી શિરમોર. સાહિત્યમાં વાર્તા સ્વરૂપ અને આત્મકથા સૌથી વધુ ગમે તેથી દરેક ઉત્તમ વાર્તાકાર મને ગમે. મન્ટો, ઈસમત ચુગતાઈનો જવાબ નહીં. કુર્રેતુલૈન હૈદર, ક્રિશ્ના સોબતી, રાહી માસુમ રઝા, ઈન્તીઝાર હુસૈન અને વિદેશી લેખકોમાં અર્નેસ્ટ હેમિંગ્વે, આર્થર મિલર, શેક્સપિયર તો ખરા જ અને નાટ્યલેખક તરીકે ઈબ્સન.

પ્રિય કવિ

કાવ્યોની હું બહુ ચાહક નથી છતાં નાનપણથી વાચનની શોખીન એટલે એ વખતે વાંચેલાં કાવ્યોમાં કાન્ત સૌથી વધુ ગમતા, યુવાનવયે હરિવંશરાય બચ્ચનની કવિતા પણ ગમતી. એ પછી પ્રહલાદ પારેખ, ઉશનસ, રા.વિ. પાઠક, ઉમાશંકર જોષી, સુંદરમ અને રમેશ પારેખ ખૂબ ગમ્યા છે. આધુનિકતામાં ઓછી ચાંચ ડૂબે છતાં સિતાંશુનાં સર્જનો ઘણાં ગમે. હિન્દીમાં ગુલઝાર, અશોક બાજપાઈ અને દુષ્યંતકુમાર.

પ્રિય સાહિત્યિક કૃતિ

જુલે વર્નની ‘સાહસિકોની સૃષ્ટિ’. પચાસવાર તો મેં એ વાંચી જ છે. એ પછી ગુજરાતનો નાથ, સોક્રેટિસ, માનવીની ભવાઈ, સળગતાં સુરજમુખી, ચુગતાઈની આત્મકથા અને તેમની નવલકથા ‘ટેઢી લકીર’. થાકી હોઉં ત્યારે હળવાશ અનુભવવા વિનોદ ભટ્ટનુું પુસ્તક ‘મારી નજરે’ અવશ્ય વાંચું. ‘અ ડોલ્સ હાઉસ’ અને ‘ધ ગ્રેપ્સ ઓફ રૉથ’ પણ સર્વપ્રિય.

પ્રિય ફિલ્મો

ફિલ્મ જોવાનો જબરજસ્ત શોખ. દર રવિવારે સાંજે મૂવી જોવાનો નિયમ ૧૭ વર્ષથી બરકરાર છે. જોકે મને હળવી, રોમેન્ટિક અને જરા હટ કે પ્રકારની ફિલ્મો જ ગમે. એકશન ફિલ્મો જરાય ન ગમે. મુગલ-એ-આઝમ એટલી પ્રિય કે બધા સંવાદો સાથે બોલી શકું. કાગઝ કે ફૂલ, પ્યાસા અને તીસરી કસમ મોર્બિડ કહેવાતી હોવા છતાં મારી ફેવરિટ ફિલ્મો. માતૃભૂમિ અને થ્રી ઈડિયટ્સ જેવી મેઈનસ્ટ્રીમ ફિલ્મો ઉપરાંત ‘ખામોશ પાની’, ‘ખુદા કે લિયે’ અને ‘બોલ’ બહુ જ ગમી હતી. ઈરાનીયન ફિલ્મોમાં બાળકો પાસેથી જે અદ્ભુત કામ લેવાય છે અને જે સુંદર સંગીત હોય છે એ નવાઈ ઉપજાવે.

મનપસંદ વાનગી?

ખીચડી. સાચું કહું તો એને મેં મારી ફેવરિટ વાનગી જ બનાવી દીધી છે કેમકે રાંધવાની હું ભારે આળસુ છું. રસોઈના બેસ્ટ શોર્ટકટ મારી પાસેથી શીખી શકાય (હસીને કહે છે).

પ્રેમ એટલે શું?

વ્યાખ્યાયિત કરવો અઘરો. પણ મને લાગે છે કે જેને માટે બધું જતું કરવાની ઈચ્છા થાય, લેવા કરતાં આપવાની દાનત વધુ હોય અને લડ્યા પછી તરત ભેગા થઈ જવાનું મન થાય એ લાગણી પ્રેમ હોઈ શકે.

જીવનસાથી કેવો ગમે?

મળ્યો જ નથી તો શું કહું? હા, એક સમયે ‘મિલ્સ એન્ડ બુન્સ’ના નાયક જેવા જીવનસાથીની કલ્પના કરી હતી, કારણકે મોટાભાગના જુવાનિયાઓની જેમ અંગ્રેજી નવલકથા વાંચવાની શરૂઆત તો મેં એનાથી જ કરી હતી. જોકે, ન મળ્યાનો અફસોસ કે ખોટ ક્યારેય લાગ્યાં નથી, સિવાય કે માર્ચ મહિનામાં ઈન્કમટેક્સની ગણતરી કરવાની આવે. એવું બોરિંગ કામ કે એ વખતે થાય કે કોક હોત તો સારું થાત! મને લાગે છે કે જ્યાં ‘હું’ અને ‘તું’ ઓગળી જાય અને એકબીજા સાથે નિર્ભાર થઈને જીવી શકાય એવો જીવનસાથી શ્રેષ્ઠ.

પ્રિય સંગીત અને સંગીતકાર

હળવું ક્લાસિકલ અને હિન્દી ફિલ્મીગીતો. આજકાલ મને રાશીદખાનનું જબરું ઘેલું લાગ્યું છે. ફિલ્મી ગીતોમાં મન્નાડે, હેમંત કુમાર, મોહમ્મદ રફી અને ભૂપેન હઝારિકા.

તમારા માટે સ્ટ્રેસ બસ્ટર શું?

અનુવાદ. જ્યારે મારા અનુવાદો પ્રગટ થવા માંડે ત્યારે મિત્રો સમજી જાય કે જિંદગીમાં પીડા વધી ગઈ હશે. તાજેતરમાં જ મેં ‘જિન્હે લાહૌર નહીં દેખા’નો ગુજરાતી અનુવાદ કર્યો અને હમણાં ‘સુખા બર્ગદ’ (વડનું ઝાડ)નો કરી રહી છું. અનુવાદ કરતી વખતે હું આખી દુનિયા ભૂલી જાઉં અને સાહિત્યમાં ઓતપ્રોત થઈ જાઉં.

પ્રિય પ્રવાસસ્થળ

જ્યારે શરીર સાજું-સારું હતું ત્યારે પૈસા નહોતા અને હવે પૈસા ભેગા કર્યાં છે ત્યારે શરીર સાથ નથી આપી રહ્યું. ભારત બહાર તો ક્યાંય ગઈ નથી, પણ ભારતમાં હિમાલય સૌથી વધુ ગમે. જુદા જુદા એંગલથી એને નિહાળવાની ખ્વાહિશ છે.

મનગમતી સાંજ એટલે શું?

દુનિયાથી જુદી જ છે મારી સાંજ. ઘરમાં અંધારું કરીને ઊંઘી જવું એ મારી બેસ્ટ ઈવનિંગ. સવારે નવથી સાડા પાંચની નોકરી કરીને આવ્યા પછી ઢગલો થઈ જાઉં એટલે દોઢેક કલાક ઊંઘી જાઉં અને પછી રાત્રે દોઢ-બે વાગ્યા સુધી લખું.

વીકએન્ડ કઈ રીતે વિતાવવો ગમે?

રવિવાર બહુ મહત્વનો. આરામથી ઊઠું અને વળી પાછો બપોરે બાર વાગ્યાથી તો ઊંઘવાનો જ વિચાર આવે. તેથી ફક્ત આરામ, લેખન-વાચન અને સાંજની ફિલ્મ તો ખરી જ.

જિંદગીમાં સૌથી મૂલ્યવાન શું?

પ્રામાણિકતા. મેં નક્કી કરેલા સિદ્ધાંતોમાં કોઈ સમાધાન ન કરું. મૂલ્યોથી વધુ મહત્વનું કંઈ નહીં!

લોકો તમને કઈ રીતે યાદ રાખે તે ગમે?

લોકો ગાંધીજીને ભૂલી ગયા છે તો મને શું યાદ રાખવાના?

લોકોની કઈ બાબત ગમતી નથી?

જે દેશે દુનિયાને સર્વોદયની ભાવના આપી તે જ દેશના પ્રજાજન અતિશય સ્વાર્થી બની ગયા છે, સ્વકેન્દ્રીતા વધતી ગઈ છે. અપ્રામાણિકતા, કામચોરીના માહોલમાં બદલાવની શરૂઆત જાતથી કરવાની જરૂર છે.

કોઈ ધ્યેય?

આત્મકથા લખીને જ જવું છે દુનિયામાંથી.

કોઈ ડર?

ના. હું બહુ બિન્દાસ એટલે મારી મા મને હંમેશાં કહેતી કે તું તો ભૂતના પેટની છું. આમ છતાં, તમે માનશો? હોરર ફિલ્મો હું જોઈ શકતી નથી. એનો ડર લાગે.

પુનર્જન્મ હોય તો શું બનવું પસંદ કરો?

શરીફા જ. પણ જે જગ્યાએ મને મારા નામની સજા ન મળતી હોય એવા સ્થળે જન્મ લેવો છે. હું ભારતપ્રેમી છું, આ દેશ મને અતિશય પ્રિય છે, છતાં ઈતિહાસની સજા મને શા માટે? ઔરંગઝેબે મંદિર તોડ્યાં એમાં મારો શો વાંક? જિંદગી આખી ખભેથી ઈતિહાસ ખંખેરવામાં જ ગઈ તોય ધર્મના ‘રખેવાળો’એ બમણા વજનથી ઈતિહાસ મારા પર થોપ્યો. સામાન્ય લોકોની વસાહતમાં ઘર ન મળવાને કારણે ૨૯ વર્ષ મેં હોસ્ટેલમાં કાઢ્યાં. ૬૪ બિલ્ડરોએ ના પાડી હતી. શા માટે? જો હું ભારતીય હોઉં તો મારો પોતાનો ‘અલગ’ વિસ્તાર કેવી રીતે હોય? જો હું મુસ્લિમ બનવા તૈયાર થાત તો મને મુસ્લિમ વિસ્તારમાં અને હિંદુ બનવા તૈયાર હોત તો મને હિન્દુ વિસ્તારમાં ઘર મળ્યું હોત. મારી મથામણ માણસ બનવાની હતી. માણસ થવા ગઈ એની સજા મળી. માણસને એકબીજા સામે પ્રશ્નો નથી હોતા, ટોળાંને જ હોય છે. પરંતુ, માનવતા મરી પરવારી નથી. માણસજાત પ્રત્યેની શ્રદ્ધાને કારણે ૧૮ વર્ષે મને છેવટે મારું ઘર મળ્યું છે, મારા ઈચ્છિત વિસ્તારમાં જ. મને આશા છે કે, વો સુબહ જરૂર આયેગી, જ્યારે ધર્મ-કોમ-પ્રદેશવાદથી પર થઈને માણસ પોતાના ‘મનુષ્યત્વ’ને સાર્થક કરશે, માણસ માત્ર ‘માણસ’ને શોધશે.

આભાર :

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=28987

http://gujaratisahityasangam.wordpress.com/2012/08/04/sharifa-vijaliwala/

 

આવવા દે – શોભિત દેસાઈ

.

સુગરી કપોત તેતર ચકલાંને આવવા દે

પર્યાય છે પરમના ટહુકાને આવવા દે

 .

પહેલાં તો સ્તંભ પર તું દેખાડ એક કીડી

મોકલ પછી-નિરાંતે ભડકાને આવવા દે

.

ખાબોચિયું બનીને ખુદ પૂરતું ના વિચારીશ

ભીતર પ્રસાર પહોળું, દરિયાને આવવા દે

.

આક્ષેપ હોય તો છે રક્ષણ જરૂરી તારું

જો હોય એ કસોટી-પથરાને આવવા દે

 .

અંધારું એવું, કાંઈ ભાળી નથી શકાતું

પકડી શકું, દિશા હું, પડઘાને આવવા દે

 .

આવે તું સામે ત્યારે ભાષા દગો જો આપે

કિંતુ-પરંતુ-જોકે-અથવાને આવવા દે

 .

અવરોધ સૌ વટાવી સૂરજને ઝીલવો છે

વચ્ચેથી દૂર થા તું, તડકાને આવવા દે

 .

( શોભિત દેસાઈ )