ક્યારે પાછા આવશે – ખલીલ ધનતેજવી

.

એકલા છોડી ગયા તે ક્યારે પાછા આવશે,

દૂર જઈ ભૂલી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે તરસ લઈને ફરે છે, એ કિનારે આવશે

ઝેર જેવું પી ગયા તે તે ક્યારે પાછા આવશે.

 .

આ ધરા ફણગાશે, લીલીછમ ફરી થાશે કદી,

મૂળથી ઊખડી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે થયા પરલોકવાસી, રોઈ નાખ્યું એમનું,

પણ ફક્ત રૂઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

દૂરથી પાછા ફરે એ સ્હેજ મોડા પણ પડે,

ઉંબરે અટકી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

વૃક્ષ ધરખમ છે ને એને કૂંપળો ફૂટશે નવી,

પાંદડાં તૂટી ગયાં તે ક્યારે પાછા આવશે.

.

મેં ખલીલ આવ્યા ગયાની નોંધ પણ રાખી નથી,

શી ખબર ઊઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

( ખલીલ ધનતેજવી )

હું તો પહેલા વરસાદથી – રમેશ પારેખ

.

હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો શ્યામ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?

 .

જોઉં તો ભાનસાન પાણી વિના ય

તૂટી પડતા વરસાદ સમા લાગે

ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ

રાજ, મારો સહવાસ મને વાગે

 .

ચોમાસુ બેસવાને આડા બે-ચાર માસ તો ય પડે ધોધમાર હેલી

 .

હું રે ઉનાળાની સાંકડી નદી ને

તમે મારામાં આવેલું પૂર

ઝાડથી વછોઈ કોઈ ડાળખીને

જાણે કે પાંદડાંઓ ફૂટ્યાં ઘેઘૂર

 .

ભીનોચટ્ટાક સાદ પાડે છે મોર પછી ખોલું કે બંધ કરું ડેલી ?

 .

( રમેશ પારેખ )

પ્રેમ જ લખાશે – ‘રાઝ’ નવસારવી

.

તારા ગયા પછીનું હું વાતાવરણ લખું,

સંબંધને ઉલેચતી એકેક ક્ષણ લખું.

 .

એકાન્ત છે ને સામે પ્રસંગોની ભીડ છે,

મૂંઝાઉં છું કે તમને કયા સંસ્મરણ લખું ?

 .

દિવસ ને રાત તારા અરીસા બની ગયા,

એક જ છબી નિહાળતું હું જાગરણ લખું.

 .

સંબંધનાં છે ઝાંઝવા, છલનાની રેત છે,

દિનરાત પાંગરે છે જે મારામાં રણ લખું ?

 .

બારાખડી સમાઈ અઢી અક્ષરોમાં ત્યાં,

પ્રેમ જ લખાશે ‘રાઝ’ ભલે કાંઈ પણ લખું.

 .

( ‘રાઝ’ નવસારવી )

 

વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૧-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી હિંદુ ધર્મની વૈદિક સંસ્કૃતિના મોખરાના આચાર્ય અને મહાત્મા એવા પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતી (કોઈમ્બતુર)ના શિષ્યા છે.

જેમને જીવનનું સત્ય જાણવાની ઈચ્છા છે તેમને તેઓ સરળ ભાષામાં ભગવદ્દગીતા અને ઉપનિષદો શીખવે છે. તેઓ સંસ્કૃતના વિદ્વાન હોવાથી મૂળ ગ્રંથો અને ભાષ્યોને સહજ રીતે વ્યક્ત કરે છે. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી પાસે ગુરુ પરંપરાથી ગુરુકુલમાં રહી દસ કરતાં વધારે વર્ષો સુધી વેદાંત અને સંસ્કૃતનું અધ્યયન કર્યું છે. તેમના કરુણામયી સ્વાભાવ અને સરળ જીવનશૈલીએ તેમને સામાન્ય માણસોના મહાત્મા બનાવ્યા છે. તેઓ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં સારી રીતે બોલી શકે  છે.

ગુજરાતમાં છેલ્લા ૧૮ વર્ષથી તેઓ નવસારી, બારડોલી, વલસાડ, બીલીમોરા અને ભાવનગર વગેરે સ્થળોએ વેદાંતના અધ્યાપન અને પ્રચાર-પ્રસાર માટે ભગવદ્દગીતા,ઉપનિષદ અને ભાગવત અંગે પ્રવચનો આપે છે.

“આર્ષ વિદ્યા ટ્રસ્ટ’ના નેજા હેઠળ તેમણે પૂજ્ય સ્વામીજીના લગભગ ૨૮ પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરી પ્રકાશન કર્યું છે. આ ઉપરાંત સ્વામીજીના “ગીતા હોમ સ્ટડી” નામના વિશાળ ગ્રંથનું “ગૃહે ગીતા અધ્યયન” નામે ગુજરાતીમાં અનુવાદ, પ્રકાશન કર્યું છે.

૨૦૦૩ના ઉનાળામાં સ્વામિનીજીએ તેમનો પ્રથમ વ્યાખ્યાન પ્રવાસ કેનેડા, યુ.એસ.એ. અને ન્યુઝીલેન્ડમાં કર્યો. જેમાં તેમણે અમેરિકામાં વોશિંગ્ટન, મેસાચુએટ્સ, ફ્લોરિડા, ટેક્સાસ, એરિઝોના, કોલોરાડો, ન્યુજર્સી, કેલિફોર્નિઆ અને પેન્સિલ્વેનિઆની મુલાકાત લઈ વ્યાખ્યાનો અને સત્સંગ કર્યા હતા. જ્યારે કેનેડામાં ટોરેન્ટો અને વાનકુવરની મુલાકાત લીધી હતી. તેમને ઉપનિષદો પર પ્રવચન આપવા માટે ડાર્ટમાઉથ યુનિવર્સિટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમેરિકા અને કેનેડાના અનેક મંદિરોએ તેમને ભગવદ્દગીતા, ઉપનિષદો અને વૈદિક સંસ્કૃતિ અંગે પ્રવચનો આપવા આમંત્ર્યા હતા. આ પ્રવાસ દરમ્યાન તેમણે એક મહિના સુધી ન્યુઝીલેન્ડની મુલાકાત લઈ ઓકલેન્ડ, વેલિંગ્ટન અને પુકેકોહેમાં પણ પ્રવચનો આપ્યા હતા. ૨૦૦૩ બાદ દર વર્ષે તેઓ નિયમિતરૂપે અમેરિકા અને કેનેડાની મુલાકાત લે છે.

વધુ માહિતી : http://www.arshavidyatirtha.org

પૂ. સ્વામિનીજી “આર્ષદર્શન”માં “વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા” શિર્ષકથી ક્રમશ: લેખો લખે છે. જેના ૬ ભાગ હમણાં સુધીમાં પ્રગટ થઈ ચૂક્યા છે. જે આવનારા ૬ દિવસ સુધી આ સાઈટ પર વાંચવા મળશે.

.

.

 

પ્રાર્થના : એક પ્રેરક બળ – જ્યોતિબહેન થાનકી

.

૧૯૬૮-૬૯માં મુંબઈમાં તોફાનો થયાં ત્યારે લશ્કરને બોલાવવામાં આવ્યું હતું. વેસ્ટર્ન કમાન્ડ લશ્કરી ટુકડીના વડા એલ. એસ. રાવત હતા. તેમણે મુંબઈમાં શાંતિ સ્થાપવાની જવાબદારી સ્વીકારી. તે દિવસે રવિવાર હતો. પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારે કમાન્ડર રાવતને પૂછ્યું : ‘સાહેબ, મુંબઈમાં શાંતિ સ્થાપતાં કેટલો સમય લાગશે ?’ કમાન્ડર રાવત થોડી ક્ષણો આંખો બંધ કરી એકાગ્ર થઈ ગયા અને પછી તે પત્રકારને કહ્યું : ‘મંગળવારે સાંજ સુધીમાં શાંતિ સ્થપાઈ જશે.’

 .

પત્રકારે પૂછ્યું : ‘આપ આંખો બંધ કરીને શાંતિ કેવી રીતે સ્થપાશે એનું ’પ્લાનિંગ’ કરી રહ્યા હતા ?’ પત્રકારની સામે જોઈને કમાન્ડરે સ્મિતપૂર્વક કહ્યું : ‘My dear, I was communicating with God Almighty. I have a hot-line with him, namely prayer’. એમણે મને જે સુઝાડ્યું તે મેં તમને કહ્યું. ખરેખર મંગળવારે સાંજ સુધીમાં – ૪૮ કલાકમાં મુંબઈમાં શાંતિ સ્થપાઈ ગઈ ! આ ઘટના વિશે અમેરિકન ‘ટાઈમ’ મેગેઝિને છાપ્યું હતું : Indian army commander with heavenly Hot-Line – ઈશ્વર સાથે હોટલાઈન ધરાવતા ભારતીય લશ્કરી અધિકારી.

 .

માત્ર અધિકારીઓને જ આ હોટલાઈન આપવામાં આવે છે, એવું નથી. આ હોટલાઈનનો તાર તો પ્રત્યેક મનુષ્યના હૃદયમાં જોડાયેલો છે. પરમાત્માએ મનુષ્ય ઉપર કૃપા કરીને એવી વ્યવસ્થા કરી આપી છે કે જ્યારે તેમનો સંપર્ક કરવો હોય ત્યારે આ હોટલાઈન દ્વારા એમનો સંપર્ક કરી શકાય છે, પરંતુ બહુ ઓછા મનુષ્યો તેનો ઉપયોગ કરી જાણે છે. જેઓ તેનો ઉપયોગ કરે છે, તેઓ આ હોટલાઈન દ્વારા પરમાત્માનું સીધું માર્ગદર્શન અવશ્ય મેળવી શકે છે.

 .

પ્રાર્થના એટલે શું ?

પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો વાર્તાલાપ, પ્રભુની સમક્ષ કરવામાં આવતું નિવેદન, અંતરમાંથી ઊઠતો પોકાર. જ્યારે જ્યારે મનુષ્યને અસલામતી, ભય કે મુશ્કેલી જણાય ત્યારે તે પોતાના શ્રદ્ધા પાત્ર કોઈ ગુરુ, ઇષ્ટદેવ કે કોઈ પરમ શક્તિ પાસે રક્ષણ અને સહાય માગે છે. આ માગણી એ જ તો છે પ્રાર્થના. પ્રત્યેક મનુષ્ય આ રીતે કોઈ ને કોઈ રીતે પ્રાર્થના કરતો જ હોય છે, પરંતુ એ જ્યારે પરમાત્માને નિવેદન કરે છે, ત્યારે એ નિવેદન દ્વારા પરમાત્મા સાથે સંબંધ જોડે છે. આ સંબંધ મહત્વનો છે. આથી જ પ્રાર્થના પરમાત્મા સાથેના જોડાણનો સેતુ છે. પ્રાર્થના દ્વારા મનુષ્ય શાંત, શક્તિ, હૂંફ, નિશ્ચિંતતાનો અનુભવ કરવા લાગે છે. એની પાછળનું રહસ્ય એ છે કે પ્રાર્થનાથી પરમાત્માની ચેતના સાથે તેનું અનુસંધાન થઈ જાય છે. મનુષ્યની ચેતનાનો સ્તર જ બદલાઈ જાય છે. જેમ જેમ પ્રાર્થનાનો ભાવ ઉત્કટ થતો જાય તેમ તેમ ભગવાન સાથેનું અનુસંધાન પણ વધતું જાય છે. ભગવાન તો પ્રેમ, આનંદ, જ્ઞાન અને શક્તિસંપન્ન દિવ્યચેતના છે. ઉત્ક્ટ ભાવે પ્રાર્થના કરનાર આ દિવ્યચેતના સાથે એકાકાર બનતાં તેને પ્રેમ, શક્તિ,આનંદનો અનુભવ થવા લાગે છે. આથી જ ભગવાન સમક્ષ સંપૂર્ણ નિવેદન કરી દેવાથી દરેક પરિસ્થિતિમાં સ્થિરતા આવે છે. આ સંદર્ભમાં શ્રી અરવિંદ કહે છે કે, ‘જો તમારામાં પૂરતા પ્રમાણમાં સાચી અભીપ્સા હોય, અથવા તો પૂરતા પ્રમાણમાં ઉત્કટ પ્રાર્થના હોય તો તમે બધું જ પલટી નાંખવા સમર્થ એવું કશુંક તમારામાં નીચે લાવી શકો.’

 .

પ્રાર્થના શા માટે કરવી જોઈએ ?

આપણા મનમાં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊઠે છે કે પરમાત્મા અંતર્યામી છે. તેઓ આપણી જરૂરિયાત જાણે છે. આપણા માટે શું સાચું ને શું ખરાબ તે પણ તેઓ જાણે છે, તો પછી વારંવાર એમને કહેવાની શી જરૂર ? આપણા માટે જે કંઈ જરૂરી હશે, તે તેઓ માગ્યા વગર જ આપશે. આ વાત તદ્દન સાચી છે. ભગવાન આપણી અંદર જ રહેલા છે. તેઓ સર્વ કંઈ જાણે છે, પરંતુ જ્યાં સુધી આપણને અંતરમાં રહેલા પરમાત્માની અનુભૂતિ નથી થઈ, એમની સાથે એકરૂપ બન્યા નથી, ત્યાં સુધી આપણે પ્રાર્થનાની આવશ્યકતા છે જ. જ્યાં સુધી આપણાં કાર્યો મન, બુદ્ધિ, અહંકારથી થતાં હોય, જ્યાં સુધી આપણે અલગતાનો અનુભવ કરતાં હોઈએ, ત્યાં સુધી પ્રાર્થના કરવી જરૂરી છે.

 .

ભગવાને કર્મનો કાયદો રચીને, અહંકારને અધીન મનુષ્યોને તેના આધારે છોડી દીધા છે. જ્યાં સુધી ઉત્કટભાવે તેમને પોકારવામાં ન આવે તેઓ પ્રત્યુત્તર આપતા નથી. જેઓ તીવ્રભાવે વ્યાકુળતાપૂર્વક એમને પોકારે છે, તેમને તેઓ અચૂક પ્રત્યુત્તર આપે જ છે. એનાં અનેક દ્રષ્ટાંતો સંતો, મહંતો, ભક્તોના જીવનમાં જોવા મળે જ છે. સામાન્ય રીતે મનુષ્ય દુ:ખમાં હોય, કટોકટીમાં હોય, ત્યારે પ્રાર્થના કરે છે, પણ દુ:ખ દૂર થતાં પ્રાર્થનાની ઉત્કટતા મંદ પડી જાય છે. ધીમે ધીમે પ્રાર્થના કરવાનું બંધ થઈ જાય છે. આથી પરમાત્મા સાથેનો જે સંબંધ બંધાયો હોય છે તે શિથિલ બની જાય છે. એ સંબંધને વધુ ને વધુ ગાઢ કરવા માટે સતત પ્રાર્થના કરવી જોઈએ. તીવ્રભાવે પ્રાર્થના કરતા રહેવું જોઈએ.

 .

પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતી મનની શાંતિ :

આજના યુગમાં મનુષ્યની જરૂરિયાતો વધી ગઈ છે. તેથી તેને ભારે પરિશ્રમ કરવો પડે છે. ચીડિયો સ્વભાવ, રોગિષ્ઠ અને દુર્બળ શરીર, અશાંત મન અને અસલામત જીવન-એ આજના મોટાભાગના મનુષ્યોનાં લક્ષણ બની ગયાં છે. આ સ્થિતિમાંથી મુક્ત કરી શકે એવી જો કોઈ દિવ્યઔષધિ હોય તો તે પ્રાર્થના છે. ભારે તનાવમાં પણ મનુષ્ય જો બધું જ બાજુએ મૂકીને થોડી વાર ચૂપ કરીને પ્રાર્થના કરે તો તેને અવશ્ય શાંતિ પ્રાપ્ત થાય છે. એ શાંતિમાં પછી સર્વ સમસ્યાઓનો ઉકેલ પણ મળી આવે છે.

 .

પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતી મનની શક્તિ :

મનને સશક્ત બનાવવા માટે પ્રાર્થના જેવો અસરકારક ઉપાય બીજો એકેય નથી. મહાત્મા ગાંધીજી તો પ્રાર્થનાને મનનો ખોરાક કહે છે. શરીરને ખોરાક ન મળે તો શરીર દુર્બળ થઈ જાય છે, તેમ મનને ખોરાક ન મળે તો મન પણ દુર્બળ થઈ જાય છે. આવું અશક્ત મન જલ્દી ભાંગી પડે છે. મુશ્કેલીઓ સહી શકતું નથી. મનને સશક્ત બનાવવાનો સાત્વિક આહાર પ્રાર્થના છે. પ્રાર્થનાથી મનમાં શક્તિ ઊતરી આવે છે. પરમાત્મા સાથે મનનું જોડાણ થવાથી મનની શક્તિઓમાં અનેકગણો વધારો થાય છે.

 .

પ્રાર્થનાથી દૂર થતી આંતરિક મુશ્કેલીઓ :

મનુષ્યને બહારની મુશ્કેલીઓ જ માત્ર હોતી નથી, પણ આંતરિક મુશ્કેલીઓ પણ હોય છે અને આ મુશ્કેલીઓ વધારે બળવાન હોય છે. ક્રોધ, મોહ, આસક્તિ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા-આ બધા આંતરિકશત્રુઓ મનુષ્યને પરમાત્માથી દૂર લઈ જાય છે. આ બધા શત્રુઓ સ્વપ્રયત્ને જીતી શકાતા નથી પણ તેમને મહાત કરવા પ્રાર્થનાનું શક્તિશાળી અસ્ત્ર અમોઘ છે. મનુષ્ય પોતાની અંદર રહેલાં આ આસુરી તત્વોમાંથી મુક્ત કરવા ભગવાનને જો સાચા દિલથી પ્રાર્થના કરતો રહે, તો ભગવાન અવશ્ય અને ઊંચી ચેતનામાં મૂકી આપે છે કે જ્યાં આ શત્રુઓ પ્રવેશી શકતા જ નથી. સ્વભાવગત મર્યાદાઓમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના અસરકારક પરિબળ છે.

 .

( જ્યોતિબહેન થાનકી )

जादूगर – नन्दिनी मेहता

.

आज उसे देखते ही मेरे आँसू निकल आये

स्वयं विधाता ही जैसे रुठ गये

कल तक हरा भरा पत्तियों से लदा था

आज बिलकुल सूखा ठूंठ रह गया था

उसके दुर्भाग्य पर आंसू बहाने

एक पत्ता तक नहीं था

 .

किसी जादूगर को आते मैंने नहीं देखा

किंतु एक दिन सबेरे बडा अजूबा देखा

हर सूखी डाल में निकल आयी

कोमल किसलय उंगलियां

प्रभात के स्वागत में जैसे

मेंहदी रची हथेलियां

डाली – डाली में उग आये असंख्य सुर्ख ओठ

नवजात शिशु से –

गुलाब की पंखुडी से –

छूने भर से कहीं लहू न टपक जायें ऐसे !

क्या इस जीव जगत को चूमने आये हैं

या जमाने के झमेलों में

इंसान के टूटते विश्वास को जगाने आये

सूखते प्राणों में नवजीवन भरने आये

 .

कभी सोचें सब खत्म हुआ

सब सूख गया

सब डूब गया

सब बिगड गया

सब टूट गया…

तब एक पुकार सुनी –

रुको, रुको…

उस जादूगर के आने की राह तो देखो !

 .

( नन्दिनी मेहता )

પ્રેમ – ઓશો

.

પ્રેમ પરમાત્માથી મોટો છે.

પ્રેમમાં જ ઊઠીને તમે પરમાત્મા સુધી પહોંચશો.

જે દિવસ તમારી કરુણા એવી

તમે દેવોવાળાની જેમ પણ નહીં બચો,

પાછળ કોઈ રહી જ નહીં જાય,

કર્તાનો કોઈ ભાવ નહીં બચે-

એ દિવસે તમે પરમાત્મા થઈ ગયા.

પછી તમે અસીમમાં ઊતરી ગયા,

અસીમ તમારામાં ઊતરી આવ્યું.

પરમાત્માની વાતોમાં બહુ વિચારમાં નહીં પડતા.

જીવનની સીડી તો આ જ છે-

કામથી પ્રેમ, પ્રેમથી કરુણા,

કરુણા પછી

છલાંગ આપો-આપ લાગી જાય છે,

તેનાથી આગળ કોઈ સોપાન નથી.

     -બિન ધન પરત કુહાર પ્રવચનમાંથી  

 .

લગભગ એવું બને છે કે

પ્રેમને જે નથી જાણતા,

તે પ્રેમના સંબંધમાં બોલે છે,

લખે છે, ગીત ગાય છે.

આ પ્રેમના ખાલીપાને ભરવાના ઉપાય છે.

જેમણે પ્રેમને જાણી લીધો,

તે કદાચ ચૂપ પણ થઈ જાય;

અથવા તો કાંઈ કહે તો,

કદાચ તમારી સમજમાં ન આવે,

કારણ કે તમે તો પ્રેમ જાણ્યો નથી;

જેણે જાણીને કહ્યું છે,

તેની વાત તમને ગમશે નહીં.

     -એસ ધમ્મો સનંતનો પ્રવચનમાંથી

 .

પ્રેમી ધન નથી કમાઈ શકતો,

કમાઈ લે, તો બચાવી નથી શકતો.

એક તો પ્રેમીને કમાવવું મુશ્કેલ થશે,

કારણ કે તેનામાં હજાર કરુણાઓ જાગશે.

કોઈની પાસેથી વધારે પણ નહીં લઈ શકે.

છેતરી પણ નહીં શકે.

જેના હૃદયમાં પ્રેમ છે,

તે બહુ બહુ તો

પોતાના પૂરતું કમાઈ લે.

એટલું પણ થાય તો ઘણું !

ધન ભેગું કરવા માટે તો,

છાતીમાં હૃદય નહીં,

પથ્થર હોવો જોઈએ.

ધન પ્રેમની હત્યા કરીને ભેગું થાય છે.

     -એસ ધમ્મો સનંતનો પ્રવચનમાંથી

 .

( ઓશો )