નામ લખી દઉં-પ્રીતિ સેનગુપ્તા

ભીતરી શેવાળ ઉપર નામ લખી દઉં,
શ્વાસની વરાળ ઉપર નામ લખી દઉં.

બંધ ઘર છોડી જતાં-એક છેલ્લી વાર,
ઓસરીની પાળ ઉપર નામ લખી દઉં.

ચાહવું, સહેવું, જોડવું,છોડવું-ચાલ,
લોભમયી જંજાળ ઉપર નામ લખી દઉં.

પારકી છે સર્વ ક્ષણ, એ જાણ છે છતાં,
સરકતા જતા કાળ ઉપર નામ લખી દઉં.

ના હોય ભલે પુષ્પો કે પાંદડાં બાકી,
સૂની ડાળે ડાળ ઉપર નામ લખી દઉં.

વીજ ને વાદળ વણે જે તંતોતંતને,
શ્યામરંગી શાળ ઉપર નામ લખી દઉં.

અક્ષત, સોપારી, વળી નાડાછડી યે હોય,
કંકુ લીંપેલા થાળ ઉપર નામ લખી દઉં.

જીવન નામે વહેણ એક તરફ વહી રહ્યું,
ઝટ જઈ એ ઢાળ ઉપર નામ લખી દઉં.

( પ્રીતિ સેનગુપ્તા )

કોણ બોલે છે ?-શોભિત દેસાઈ

સતત બકબક થતી ચોમેર, ઓછું કોણ બોલે છે ?
ઘસાયેલા અવાજો વચ્ચે જુદું કોણ બોલે છે ?

પીંછું કુમળું ન ફરતું હોય જાણે કાનમાં મારા !
તમારે મૌન છે, તો આવું મીઠું કોણ બોલે છે ?

શિયાવિયા થઈને ચૂપ બેઠી છે પ્રજા પૂરી,
પિટાયો’તો કદીક ઢંઢેરો – ‘સાચું કોણ બોલે છે ?’

ચલો ને ! શોધવા જઈએ તિમિરમાં આંખ સાબૂત લઈ-
ન ગમતું હો ઘણાને એવું આખું કોણ બોલે છે ?

બધા ધિક્કારવામાં એકમત છે જૂઠને અહીંયા,
તો કેવળ પ્રશ્ન છે એક જ કે જુઠ્ઠું કોણ બોલે છે ?

( શોભિત દેસાઈ )

વીર શહિદ કેપ્ટન નિલેશ સોની

વીર શહિદ કેપ્ટન નિલેશ સોની

કેપ્ટન નિલેશ સોનીનું અમદાવાદ ખાતેનું સ્મારક

“આ છે સિઆચેન” પુસ્તકના વિમોચન પ્રસંગે કેપ્ટન સોનીના મોટાભાઈ શ્રી જગદીશભાઈ સોની

આજના દિવસે કેપ્ટન સોનીના સ્મારકને પરિવારજનો, લશ્કરના અધિકારીઓ અને અન્ય લોકો દ્વારા અપાયેલ શ્રદ્ધાંજલિ

જગતના સૌથી ઊંચા અને દુર્ગમ રણમેદાન સિઆચેન ખાતે ૩૦ વર્ષ પહેલા ગુજરાતી યુવાન કેપ્ટન નિલેશ સોનીએ શહિદી વહોરી હતી. આજે એટલે કે ૧૨મીએ ફેબ્રુઆરીએ તેમની શહાદતને બરાબર ૩૦ વર્ષ પૂર્ણ થયા. જો કે વતન માટે મરી ફીટવાની એ અદ્વિતિય અને અનોખી પરાક્રમગાથાથી ઘણા ખરા ગુજરાતીઓ અજાણ છે. સિઆચેન મોરચે લડત આપતા કેપ્ટન સોની ૧૯૮૭ની ૧૨મી ફેબ્રુઆરીએ ૨૦ હજાર ફીટ ઊંચા પહાડી રણમેદાનમાં શહિદ થયા હતા.

હિમાલયમાં ૨૧ હજાર ફીટ ઊંચે આવેલી સિઆચેન હિમનદી પર પાકિસ્તાન કબજો જમાવવા માંગતું હતું. તેને અટકાવવા ભારતીય લશ્કરે ૧૯૮૪માં ઓપરેશન મેઘદૂતનો આરંભ કર્યો હતો. ચારેક વર્ષ સુધી ચાલેલા એ જંગ દરમ્યાન કેપ્ટન નિલેશને ૧૯૮૬ના ડિસેમ્બરમાં સિઆચેન ચોકી પર પોસ્ટીંગ મળ્યું હતું. શિયાળામાં આપણે ત્યાં દસ-પંદર ડીગ્રી તાપમાન હોય એ વખતે સિઆચેન ખાતે માઈનસ ૫૫ ડીગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય છે. તાજેતરમાં જ સિઆચેન વિશે પ્રગટ થયેલા પુસ્તક “આ છે સિઆચેન”માં હર્ષલ પુષ્કર્ણાએ નોંધ્યું છે કે સિઆચેન સરહદ આખા જગતમાં સૌથી આકરી છે. ત્યાં નક્કર જમીન ન હોવાથી કોઈ કાયમી ચોકી બાંધી શકાતી નથી. સતત થતી બરફવર્ષા વચ્ચે જવાનોએ અહીં ૯૦ દિવસ સુધી રહેવાનું હોય છે. એ દરમિયાન તેમનું દસ-પંદર કિલોગ્રામ વજન ઘટી જાય એ નક્કી હોય છે. એવા વિષમ મોરચે કેપ્ટન સોનીને ઓપરેશન મેઘદૂત હેઠળ મોકલવામાં આવ્યા હતા.

સિઆચેન જતાં પહેલા કેપ્ટન સોનીએ ઘરે પત્ર લખ્યો હતો કે હવે હું વધારે દુર્ગમ સ્થળે જઈ રહ્યો છું. માટે મારા પત્રો તમને કદાચ મળશે નહીં. ઘરના સભ્યોને લખેલો એ પત્ર તેમનું છેલ્લું સંભારણું બની રહ્યું. કેમ કે પાકિસ્તાન દ્વારા નિયમિત રીતે થતા તોપમારામાં ૧૨મી ફેબ્રુઆરીના દિવસે કેપ્ટન સોની શહિદ થયા હતા. શહિદ થતાં પહેલાં કેપ્ટન સોની અને તેમના સાથીદારોએ પણ પાકિસ્તાન તરફ સંખ્યાબંધ પ્રહારો કર્યા હતા. પરંતુ પાકિસ્તાની તોપનો એક ગોળો શિખર પર ફાટ્યો હતો. એ સાથે જબરફ ફસકી પડતાં તેની નીચે કેપ્ટન સોની સહિતના સાથીદારો બરફ નીચે દટાઈ ગયા હતા. તેમની શહાદત માટે તેમને સિઆચેન ગ્લેશિયર મેડલ સહિતના સન્માનો આપવામાં આવ્યા હતા.

મૂળ વિરમગામના કેપ્ટન સોનીનો જન્મ ડેપ્યુટી કલેક્ટર હરજીવનદાસ ચત્રભુજ સોની અને કલાવતીબેન સોનીના ઘરે તા. ૧૯ જુલાઈ, ૧૯૬૨ના દિવસે અમદાવાદના પાલડી વિસ્તારમાં થયો હતો. તેઓ હરજીવનદાસના સોથી નાના સંતાન હતા. પાલડીની શીશુવિહાર બાલમંદિર સ્કુલ અને સી. એન. વિદ્યાલયમાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે બાલાચડી સૈનિક સ્કુલમાં અને એ પછી ખડકવાસલા ખાતે આવેલી નેશનલ ડિફેન્સ એકેડેમીમાં તાલિમ લીધી હતી. તે જમાનામાં પોતાના સંતાનને દૂર ભણવા મૂકવાની પણ માનસિકતા ન્હોતી અને તે પણ લશ્કરી સ્કુલમાં મૂકવાનું કેપ્ટન સોનીના માતા-પિતાએ આ હિંમતભર્યું પગલું લીધું હતું. ખુદ કેપ્ટન સોનીને પણ બાળપણથી લશ્કર તરફ એક લગાવ હતો.

૧૨મા સુધી અભ્યાસ પૂર્ણ કરી કેપ્ટન સોનીએ નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા પાસ કરી ખડકવાસલા ખાતે પોતાની તાલીમનો પ્રારંભ કર્યો. ૧૯૮૪માં રેગ્યુલર કમિશન્ડ ઓફિસર તરીકે ૬૨, ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે નિયુક્તિ મેળવી. કેપ્ટન સોનીએ પોતાના ફરજકાળ દરમ્યાન કાશ્મીર, શ્રીનગર અને લેહમાં પોતાની ફરજ બજાવી હતી.

બહુ ઓછા ગુજરાતી યુવાનો સૈન્યમાં ભરતી થાય છે. તેમાંથી બહુ ઓછાને સિઆચેન જેવા દુર્ગમ સ્થળે ફરજ બજાવવાનો લ્હાવો મળે છે. કેપ્ટન સોની તેમાંના એક હતા. શહિદી પછી તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ દેહને ત્રિરંગામાં વિંટાળીને અમદાવાદ લવાયો હતો. અહીં લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહીને લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી હતી.

કેપ્ટન સોનીની શહાદત પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેપ્ટન સોની જ્યાં રહેતા હતા તે માર્ગને કેપ્ટન નિલેશ સોની માર્ગ જાહેર કરવામાં આવ્યો. તેમના ઘરની નજીક પાલડી ભઠ્ઠા વિસ્તારમાં અંજલી બી.આર.ટી.એસ સામેજ કેપ્ટન સોનીનું સ્મારક આવેલું છે.

આભાર : કેપ્ટન સોની વિશેની માહિતી અને ફોટોગ્રાફ્સ કેપ્ટન સોનીના મોટાભાઈ શ્રી જગદીશભાઈ સોની થકી મેળવી શકી છું. કેપ્ટન સોની જેવી વ્યક્તિ વિશે “મોરપીંછ” પર પોસ્ટ મૂકવાની પરવાનગી આપવા બદલ હું તેમનો આભાર માનું છું.

તરતા રહ્યાં-સાહિલ

આવમાં તરતા રહ્યા યા તાવમાં તરતા રહ્યાં,
જે મળ્યો શિરપાવ એ શિરપાવમાં તરતા રહ્યાં.

જિંદગીભર ખાલીખમ મેદાનને તાક્યા કરી,
ના લીધેલા-ના લીધેલા દાવમાં તરતા રહ્યાં.

હોય મસમોટો કે નાનો ફેર કૈં અમને નથી,
હરઘડી બસ જે મળ્યો એ લહાવમાં તરતા રહ્યાં.

છેક મધદરિયે પહોંચ્યાં બાદમાં જાણી શક્યાં,
સાવ તૂટેલી હતી જે નાવમાં તરતા રહ્યાં.

માણસોને મન ન જાણે કેમ ગોઝારી હતી,
રાત-દિ’ ઉલ્હાસથી જે વાવમાં તરતા રહ્યાં.

શત્રુઓ દ્વારા મળેલા જખમ રૂઝાઈ ગયાં,
જાણીતાં હાથે કરેલા ઘાવમાં તરતા રહ્યાં.

આઈના જેવા થવાની શું મળી ‘સાહિલ’સજા,
જિંદગી આખી અમે દેખાવમાં તરતા રહ્યાં.

( સાહિલ )

મારો લય !-દિવ્યા સોની “દિવ્યતા”

એની લટ મને મારી ગઈ તોય,
છે એના જ શ્વાસોમાં મારો લય !

એકાદ બે ક્ષણ મળવાને,
હું મારું, જીવન વિસરી ગઈ !

વાતો આપણી ચોતરફે ,
સૌના મનને ફાવે એમ થઇ !

ખોટી વાતો પહોંચાડતી,
હતી આપણા ઘરની જ ઉધઈ !

આપની વાહ સાંભળીને,
કલમ આ સાચે જ, સારી થઈ;

અહીં દુઃખને માટે દરિયા મોટા,
ને સુખ ખાબોચીયે પડ્યું છે જઈ!

મારી નીંદર પણ તારા જેવી જ,
આવી પળવારમાં જાય ખોવઈ.

કોણ કહે નશો કરવા માટે,
જોઈએ બસ મદિરા કે મય ?

સાથે જીવતા વૃદ્ધ થયા પણ;
આપણા પ્રેમની ક્યાં વધી છે વય ?

ખોટું કરતા, હા મન તો દાઝે જ;
ને સાથે રહે તારી આંખોનો ભય !

( દિવ્યા સોની “દિવ્યતા” )

હૈયા બેઠા-દિવ્યા સોની “દિવ્યતા”

હૈયા બેઠા એક ડાખળીએ
મારી ચિંતા છે એની આંખડીએ !

હા, ચોખ્ખે ચોખ્ખો પ્રેમ કરી;
અમે વાત વાતમાં બાખડીએ !

કોઈ કાને તારી કૂથલી કરે ;
અમે તેની સાથે આખડીએ !

આપણા આ સંગાથની સોડમ
છે, ફૂલ તણી સૌ પાંખડીએ !

મારા જીવનની સઘળી ચિંતા
લે ઈશ મૂકી તારી ચાખડીએ !

ભલે શબ્દોમાં તારું નામ નથી;
તું જ સાહી ભરે મારા ખડીએ !

( દિવ્યા સોની “દિવ્યતા” )

એક તો આ-ખલીલ ધનતેજવી

એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !

નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

( ખલીલ ધનતેજવી )

તું અંગાર છે-ચિનુ મોદી

તું થીજેલો છે બરફ ને તપ્ત તું અંગાર છે,
હોડીને ડૂબાડનારો પાણીનો અવતાર છે.

તું જ છે આકાશમાં ને તું જ છે પાતાળમાં,
જાણી લે કે તું જ તારો કામનો કરનાર છે.

શેઠિયો તું, વેઠિયો તું, તું સૂતો; તું જાગતો,
સર્વ ક્ષણમાં ગુપ્ત રીતે તારો તો સંચાર છે.

સાચ કહો કે જૂઠ કહો; પાપ કહો કે પુણ્ય કહો;
સ્વર્ગ ને આ નર્ક પણ શબ્દનો સંસાર છે.

નાનપણથી કોક આ ‘ઈર્શાદ’ને સમજાવને,
ક્યાંક ગુણાકાર તો ક્યાંક ભાગાકાર છે.

( ચિનુ મોદી )

જીવું છું-સાહિલ

સીધો સાદો છું માણસ એક-બે ઈચ્છામાં જીવું છું,
તમારી જેમ ક્યાં હું સેંકડો સ્વપ્નામાં જીવું છું.

છે સરખાં નામ પણ સ્થળ જીવવાનાં સાવ છે નોખાં,
તમે હાથોની ને હું મેંદીની રેખામાં જીવું છું.

મને વહેતી નદીમાં શોધવાનો યત્ન ના કરશો,
હું રેતીના થરો નીચે સૂતા ઝરણામાં જીવું છું.

સમય આવ્યે થશે પુરવાર પલ્લું કઈ તરફ નમશે !
તમે શંકામાં જીવો છો ને હું શ્રદ્ધામાં જીવું છું.

નથી જે સોય દેખાતી નરી આંખેય દુનિયાને,
મજા તો એ છે હું એ સોયના નાકામાં જીવું છું.

પડાવ પાસે પહોંચ્યા તોય પણ છે હાલ એના એ,
નિરાંતે જીવવાની કેટલી ચિંતામાં જીવું છું.

તમે બોલ્યા પછી વીખરાઈ જાઓ છો હવાઓમાં,
હું બોલ્યા બાદ ‘સાહિલ’ કાયમી પડઘામાં જીવું છું.

( સાહિલ )

કોણ છે ?-દિવ્યા સોની “દિવ્યતા”

આ આવ્યું મનમાં કોણ છે ?
કે હૈયે પડ્યું, ઘીનું મોણ છે ?

જ્ઞાન પામવાની અવઢવમાં,
એકલવ્યને મળ્યા દ્રોણ છે !

કોરે કોરા રણમાં જુઓને;
મીઠી ઝરમર ઓણ છે !

નષ્ટ થાય મારું મારાપણું,
સાચા સ્નેહનો દ્રષ્ટિકોણ છે !

બર્બ્યુડાના ત્રિકોણથીયે ,
પેચીદો પ્રેમનો કોણ છે !

( દિવ્યા સોની “દિવ્યતા” )