દરવાજો-પારુલ કંદર્પ દેસાઈ

દરવાજો
અંદર લઈ જાય
બહાર પણ.
***
સહેજ ધક્કો મારું ને
ખૂલી જાય દરવાજો.
સહેજ ખેંચું ને
બંધ થઈ જાય દરવાજો.
ખોલબંધ કરવાની આ રમત
હું રમ્યા કરું સતત, અવિરત.
***
એક પછી એક
દરવાજા ખૂલતા જાય છે સરળતાથી
તોયે
કેમ ક્યાંય પહોંચાતું નથી ?
***
દરવાજો
કર્યો છે બંધ ચસોચસ.
કોઈ પ્રવેશી નહીં શકે હવે ?
***
દરવાજો
ખુલ્લો રાખ્યો છે
રાતદિવસ દિવસરાત
તોય કોઈ કેમ આવતું નથી ?
***

બંધ દરવાજાની
બહાર છે તે હું છું ?
કે પછી
અંદર-બહાર ક્યાંય હું નથી ?
***
દરવાજો ખુલ્લો રાખું ને
એ આવી જાય તો ?
દરવાજો બંધ રાખું ને
એ પાછો વળી જાય તો ?
***
દરવાજા વચ્ચે અટવાયેલી હું
ક્યાંથી પ્રવેશું તારા સુધી પહોંચવા ?
***
દરવાજો છે એટલે
કાં તો રહેવાનું છે અંદર
અથવા તો
જવાનું છે બહાર.
જો
દરવાજો જ ન હોય તો ?
***
દરવાજો ખૂલી જાય તો ?
ધોધમાર અજવાળું ભીંજવે
દરવાજો બંધ થઈ જાય તો
ભીતર ઝળાંહળાં.

( પારુલ કંદર્પ દેસાઈ )

મુલાકાત કર-હિના પારેખ “મનમૌજી” અને દિવ્યા સોની “દિવ્યતા”

[ કોઈ શુભઘડીએ એક પંક્તિ લખાઈ. તરત મેં દિવ્યાને વાંચવા મોકલી. અમારી વચ્ચે કવિતાનું આદાનપ્રદાન સતત થતું હોય છે. એણે વાંચીને પ્રતિભાવ આપ્યો અને એ સાથે મને સૂઝ્યું કે આ કવિતા આપણે સાથે મળીને પૂરી કરીએ તો કેવું રહેશે ? દિવ્યાનો જવાબ આવ્યો કે ‘સારું માસી આપણે ટ્રાય કરીએ.’ પ્રથમ પંક્તિ મારી છે તો બીજી એની. એમ એ ટ્રાયના ફળ સ્વરૂપ આ કવિતા લખાઈ છે. ]

मज़ा आ गया

मेरी रश्के-कमर, तूने पहली नजर, जब नजर से मिलायी मज़ा आ गया |
बर्क़ सी गिर गयी, काम ही कर गयी, आग ऐसी लगायी मज़ा आ गया ||

जाम में घोलकर हुस्न कि मस्तियाँ, चांदनी मुस्कुरायी मज़ा आ गया |
चाँद के साये में ऐ मेरे साक़िया, तूने ऐसी पिलायी मज़ा आ गया ||

नशा शीशे में अंगड़ाई लेने लगा, बज्मे-रिंदा में सागर खनकने लगा |
मैकदे पे बरसने लगी मस्तियां, जब घटा गिर के छायी मज़ा आ गया ||

बे-हिज़ाबाना वो सामने आ गए, और जवानी जवानी से टकरा गयी ||
आँख उनकी लड़ी यूँ मेरी आँख से, देखकर ये लड़ाई मज़ा आ गया

आँख में थी हया हर मुलाकात पर, सुर्ख आरिज़ हुए वस्ल की बात पर |
उसने शरमा के मेरे सवालात पे, ऐसे गर्दन झुकाई मज़ा आ गया ||

शैख़ साहिब का ईमान बिक ही गया, देखकर हुस्न-ऐ-साक़ी पिघल ही गया |
आज से पहले ये कितने मगरूर थे, लूट गयी पारसाई मज़ा आ गया ||

ऐ “फ़ना” शुक्र है आज वादे फ़ना, उस ने रख ली मेरे प्यार की आबरू |
अपने हाथों से उसने मेरी कब्र पर, चादर-ऐ-गुल ल चढ़ाई मज़ा आ गया ||

( अज्ञात )

रश्क-ए-क़मर (रस्के-कमर) = इतने खूबसूरत की चाँद भी जलता हो जिसकी खूबसूरती से
बर्क़ = बिजली गिरना
बे-हिज़ाबाना = बिना नक़ाब या परदे के
आरिज़ = कपोल, वस्ल = मिलने
पारसाई = पवित्रता, छूकर किसी को सोना बना देने का वरदान
चादर-ऐ-गुल = फूलों की चादर या गुलदस्ता

મને લાગતું નથી-અદી મિર્ઝા

એનું ય દિલ દુખાય, મને લાગતું નથી,
કરશે એ કંઈ ઉપાય, મને લાગતું નથી.

વચમાં સમયના કેટલા અવરોધ છે પ્રભુ !
તારા સુધી અવાય, મને લાગતું નથી !

એનો પ્રભાવ જોઈને ચૂપ થૈ ગયા બધા !
એક પ્રશ્ન પણ પૂછાય, મને લાગતું નથી.

સુખ પણ ફરીથી આવશે, વિશ્વાસ છે મને,
પણ દુ:ખ હવે ભૂલાય, મને લાગતું નથી.

ઈન્સાન આખરે તો ઈન્સાન છે “અદી”
એ કંઈ ફરિશ્તો થાય, મને લાગતું નથી.

આંખોમાં કોઈ ચહેરો વસી જાય પણ ખરો,
દિલમાં કોઈ સમાય, મને લાગતું નથી.

( અદી મિર્ઝા )

આનંદની અનુભૂતિ-મેઘબિંદુ

રણઝણ રણઝણ રણકે આજે હૈયાની સિતાર
રૂમઝુમ રૂમઝુમ નર્તન કરતાં લાગણીઓના તાર

જેમ ફૂલથી સુગંધ પ્રસરે
એમ સંબંધો મહેકે
સ્નેહ તણી બંસીની ધૂનમાં
આનંદ સૌ લહેકે

પ્રીતભર્યા એ નેણવેણથી છલકે પ્રેમ અપાર
રણઝણ રણઝણ રણકે આજે હૈયાની સિતાર

સમજણનું અજવાળું એવું
ક્યાંયે નહીં અટવાયા
એકબીજાનો હાથ ઝાલીને
પરમ સુખને પામ્યા

સહજતાને પંથે માણ્યો આનંદ અપરંપાર
રણઝણ રણઝણ રણકે આજે હૈયાની સિતાર

( મેઘબિંદુ )

ઉઘાડો અટારી !-હરકિસન જોષી

નિરાશાને ખંખેરી નાખે છે મારી
અને ક્યાંકથી ખોલી આપે છે બારી

વહે લ્હેરખી એક એવી હવાની
ઉગાડી દે સૂરજ ને ફાનસ દે ઠારી !

દરદ એનું મીઠું છે અમૃત સરીખું
કદી ચાખી છે એની પ્રેમળ કટારી ?

તમે ફાળવ્યો થોડો ફાજલ સમય તો
કરી ગ્રંથ ગરબડ, મેં પીડા વધારી

ધરી જન્મ કેવા કર્યા મેં પરાક્રમ
જુઓ આપ ક્યારેક જાતે પધારી !

પ્રતીક્ષાના બદલામાં ઝાંખી તો આપો
પ્રવેશદ્વાર નહિ તો ઉઘાડો અટારી !

( હરકિસન જોષી )

નામ લખી દઉં-પ્રીતિ સેનગુપ્તા

ભીતરી શેવાળ ઉપર નામ લખી દઉં,
શ્વાસની વરાળ ઉપર નામ લખી દઉં.

બંધ ઘર છોડી જતાં-એક છેલ્લી વાર,
ઓસરીની પાળ ઉપર નામ લખી દઉં.

ચાહવું, સહેવું, જોડવું,છોડવું-ચાલ,
લોભમયી જંજાળ ઉપર નામ લખી દઉં.

પારકી છે સર્વ ક્ષણ, એ જાણ છે છતાં,
સરકતા જતા કાળ ઉપર નામ લખી દઉં.

ના હોય ભલે પુષ્પો કે પાંદડાં બાકી,
સૂની ડાળે ડાળ ઉપર નામ લખી દઉં.

વીજ ને વાદળ વણે જે તંતોતંતને,
શ્યામરંગી શાળ ઉપર નામ લખી દઉં.

અક્ષત, સોપારી, વળી નાડાછડી યે હોય,
કંકુ લીંપેલા થાળ ઉપર નામ લખી દઉં.

જીવન નામે વહેણ એક તરફ વહી રહ્યું,
ઝટ જઈ એ ઢાળ ઉપર નામ લખી દઉં.

( પ્રીતિ સેનગુપ્તા )

કોણ બોલે છે ?-શોભિત દેસાઈ

સતત બકબક થતી ચોમેર, ઓછું કોણ બોલે છે ?
ઘસાયેલા અવાજો વચ્ચે જુદું કોણ બોલે છે ?

પીંછું કુમળું ન ફરતું હોય જાણે કાનમાં મારા !
તમારે મૌન છે, તો આવું મીઠું કોણ બોલે છે ?

શિયાવિયા થઈને ચૂપ બેઠી છે પ્રજા પૂરી,
પિટાયો’તો કદીક ઢંઢેરો – ‘સાચું કોણ બોલે છે ?’

ચલો ને ! શોધવા જઈએ તિમિરમાં આંખ સાબૂત લઈ-
ન ગમતું હો ઘણાને એવું આખું કોણ બોલે છે ?

બધા ધિક્કારવામાં એકમત છે જૂઠને અહીંયા,
તો કેવળ પ્રશ્ન છે એક જ કે જુઠ્ઠું કોણ બોલે છે ?

( શોભિત દેસાઈ )

વીર શહિદ કેપ્ટન નિલેશ સોની

વીર શહિદ કેપ્ટન નિલેશ સોની

કેપ્ટન નિલેશ સોનીનું અમદાવાદ ખાતેનું સ્મારક

“આ છે સિઆચેન” પુસ્તકના વિમોચન પ્રસંગે કેપ્ટન સોનીના મોટાભાઈ શ્રી જગદીશભાઈ સોની

આજના દિવસે કેપ્ટન સોનીના સ્મારકને પરિવારજનો, લશ્કરના અધિકારીઓ અને અન્ય લોકો દ્વારા અપાયેલ શ્રદ્ધાંજલિ

જગતના સૌથી ઊંચા અને દુર્ગમ રણમેદાન સિઆચેન ખાતે ૩૦ વર્ષ પહેલા ગુજરાતી યુવાન કેપ્ટન નિલેશ સોનીએ શહિદી વહોરી હતી. આજે એટલે કે ૧૨મીએ ફેબ્રુઆરીએ તેમની શહાદતને બરાબર ૩૦ વર્ષ પૂર્ણ થયા. જો કે વતન માટે મરી ફીટવાની એ અદ્વિતિય અને અનોખી પરાક્રમગાથાથી ઘણા ખરા ગુજરાતીઓ અજાણ છે. સિઆચેન મોરચે લડત આપતા કેપ્ટન સોની ૧૯૮૭ની ૧૨મી ફેબ્રુઆરીએ ૨૦ હજાર ફીટ ઊંચા પહાડી રણમેદાનમાં શહિદ થયા હતા.

હિમાલયમાં ૨૧ હજાર ફીટ ઊંચે આવેલી સિઆચેન હિમનદી પર પાકિસ્તાન કબજો જમાવવા માંગતું હતું. તેને અટકાવવા ભારતીય લશ્કરે ૧૯૮૪માં ઓપરેશન મેઘદૂતનો આરંભ કર્યો હતો. ચારેક વર્ષ સુધી ચાલેલા એ જંગ દરમ્યાન કેપ્ટન નિલેશને ૧૯૮૬ના ડિસેમ્બરમાં સિઆચેન ચોકી પર પોસ્ટીંગ મળ્યું હતું. શિયાળામાં આપણે ત્યાં દસ-પંદર ડીગ્રી તાપમાન હોય એ વખતે સિઆચેન ખાતે માઈનસ ૫૫ ડીગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય છે. તાજેતરમાં જ સિઆચેન વિશે પ્રગટ થયેલા પુસ્તક “આ છે સિઆચેન”માં હર્ષલ પુષ્કર્ણાએ નોંધ્યું છે કે સિઆચેન સરહદ આખા જગતમાં સૌથી આકરી છે. ત્યાં નક્કર જમીન ન હોવાથી કોઈ કાયમી ચોકી બાંધી શકાતી નથી. સતત થતી બરફવર્ષા વચ્ચે જવાનોએ અહીં ૯૦ દિવસ સુધી રહેવાનું હોય છે. એ દરમિયાન તેમનું દસ-પંદર કિલોગ્રામ વજન ઘટી જાય એ નક્કી હોય છે. એવા વિષમ મોરચે કેપ્ટન સોનીને ઓપરેશન મેઘદૂત હેઠળ મોકલવામાં આવ્યા હતા.

સિઆચેન જતાં પહેલા કેપ્ટન સોનીએ ઘરે પત્ર લખ્યો હતો કે હવે હું વધારે દુર્ગમ સ્થળે જઈ રહ્યો છું. માટે મારા પત્રો તમને કદાચ મળશે નહીં. ઘરના સભ્યોને લખેલો એ પત્ર તેમનું છેલ્લું સંભારણું બની રહ્યું. કેમ કે પાકિસ્તાન દ્વારા નિયમિત રીતે થતા તોપમારામાં ૧૨મી ફેબ્રુઆરીના દિવસે કેપ્ટન સોની શહિદ થયા હતા. શહિદ થતાં પહેલાં કેપ્ટન સોની અને તેમના સાથીદારોએ પણ પાકિસ્તાન તરફ સંખ્યાબંધ પ્રહારો કર્યા હતા. પરંતુ પાકિસ્તાની તોપનો એક ગોળો શિખર પર ફાટ્યો હતો. એ સાથે જબરફ ફસકી પડતાં તેની નીચે કેપ્ટન સોની સહિતના સાથીદારો બરફ નીચે દટાઈ ગયા હતા. તેમની શહાદત માટે તેમને સિઆચેન ગ્લેશિયર મેડલ સહિતના સન્માનો આપવામાં આવ્યા હતા.

મૂળ વિરમગામના કેપ્ટન સોનીનો જન્મ ડેપ્યુટી કલેક્ટર હરજીવનદાસ ચત્રભુજ સોની અને કલાવતીબેન સોનીના ઘરે તા. ૧૯ જુલાઈ, ૧૯૬૨ના દિવસે અમદાવાદના પાલડી વિસ્તારમાં થયો હતો. તેઓ હરજીવનદાસના સોથી નાના સંતાન હતા. પાલડીની શીશુવિહાર બાલમંદિર સ્કુલ અને સી. એન. વિદ્યાલયમાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે બાલાચડી સૈનિક સ્કુલમાં અને એ પછી ખડકવાસલા ખાતે આવેલી નેશનલ ડિફેન્સ એકેડેમીમાં તાલિમ લીધી હતી. તે જમાનામાં પોતાના સંતાનને દૂર ભણવા મૂકવાની પણ માનસિકતા ન્હોતી અને તે પણ લશ્કરી સ્કુલમાં મૂકવાનું કેપ્ટન સોનીના માતા-પિતાએ આ હિંમતભર્યું પગલું લીધું હતું. ખુદ કેપ્ટન સોનીને પણ બાળપણથી લશ્કર તરફ એક લગાવ હતો.

૧૨મા સુધી અભ્યાસ પૂર્ણ કરી કેપ્ટન સોનીએ નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા પાસ કરી ખડકવાસલા ખાતે પોતાની તાલીમનો પ્રારંભ કર્યો. ૧૯૮૪માં રેગ્યુલર કમિશન્ડ ઓફિસર તરીકે ૬૨, ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે નિયુક્તિ મેળવી. કેપ્ટન સોનીએ પોતાના ફરજકાળ દરમ્યાન કાશ્મીર, શ્રીનગર અને લેહમાં પોતાની ફરજ બજાવી હતી.

બહુ ઓછા ગુજરાતી યુવાનો સૈન્યમાં ભરતી થાય છે. તેમાંથી બહુ ઓછાને સિઆચેન જેવા દુર્ગમ સ્થળે ફરજ બજાવવાનો લ્હાવો મળે છે. કેપ્ટન સોની તેમાંના એક હતા. શહિદી પછી તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ દેહને ત્રિરંગામાં વિંટાળીને અમદાવાદ લવાયો હતો. અહીં લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહીને લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી હતી.

કેપ્ટન સોનીની શહાદત પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેપ્ટન સોની જ્યાં રહેતા હતા તે માર્ગને કેપ્ટન નિલેશ સોની માર્ગ જાહેર કરવામાં આવ્યો. તેમના ઘરની નજીક પાલડી ભઠ્ઠા વિસ્તારમાં અંજલી બી.આર.ટી.એસ સામેજ કેપ્ટન સોનીનું સ્મારક આવેલું છે.

આભાર : કેપ્ટન સોની વિશેની માહિતી અને ફોટોગ્રાફ્સ કેપ્ટન સોનીના મોટાભાઈ શ્રી જગદીશભાઈ સોની થકી મેળવી શકી છું. કેપ્ટન સોની જેવી વ્યક્તિ વિશે “મોરપીંછ” પર પોસ્ટ મૂકવાની પરવાનગી આપવા બદલ હું તેમનો આભાર માનું છું.

તરતા રહ્યાં-સાહિલ

આવમાં તરતા રહ્યા યા તાવમાં તરતા રહ્યાં,
જે મળ્યો શિરપાવ એ શિરપાવમાં તરતા રહ્યાં.

જિંદગીભર ખાલીખમ મેદાનને તાક્યા કરી,
ના લીધેલા-ના લીધેલા દાવમાં તરતા રહ્યાં.

હોય મસમોટો કે નાનો ફેર કૈં અમને નથી,
હરઘડી બસ જે મળ્યો એ લહાવમાં તરતા રહ્યાં.

છેક મધદરિયે પહોંચ્યાં બાદમાં જાણી શક્યાં,
સાવ તૂટેલી હતી જે નાવમાં તરતા રહ્યાં.

માણસોને મન ન જાણે કેમ ગોઝારી હતી,
રાત-દિ’ ઉલ્હાસથી જે વાવમાં તરતા રહ્યાં.

શત્રુઓ દ્વારા મળેલા જખમ રૂઝાઈ ગયાં,
જાણીતાં હાથે કરેલા ઘાવમાં તરતા રહ્યાં.

આઈના જેવા થવાની શું મળી ‘સાહિલ’સજા,
જિંદગી આખી અમે દેખાવમાં તરતા રહ્યાં.

( સાહિલ )