શ્રી તુલસીદાસ રચિત સુંદરકાંડ સમજવાથી અને ચિંતન કરવાથી હનુમાનજી કેમ આટલા નિર્ભય છે એ સમજાય છે.
.
આ નિર્ભયતાનું રહસ્ય સમજવા માટે એ પ્રસંગની વાત કરીએ જ્યારે હનુમાનજીને અશોકવાટિકામાં રાક્ષસોના અને રાવણપુત્ર અક્ષયકુમારના વધ બાદ બાંધીને રજૂ કરવામાં આવે છે.
.
જ્યારે હનુમાનજી દશમુખની સભામાં જાય છે ત્યારે એ સભા કેટલી વૈભવશાળી છે એનું વર્ણન આવે છે. સભા વૈભવશાળી તો છે જ પણ સાથે સાથે ભય ઉપજાવે એવી પણ છે કારણ કે રાવણે બંદી બનાવેલા દેવો અને દિગપાલો ભયભીત થઈને, હાથ જોડીને, વિનંતિ કરતા રાવણની ભ્રકુટી જોઈ રહ્યા હોય છે. જ્યાં દેવો અને દિગપાલો જ આમ બીતા બીતા ઉભા હોય તો અપરાધી તરીકે રજૂ કરાતા વ્યક્તિને આ જોઈને કેવી બીક લાગે?
‘
दसमुख सभा दीखि कपि जाई।
कहि न जाइ कछु अति प्रभुताई।।
कर जोरें सुर दिसिप बिनीता।
भृकुटि बिलोकत सकल सभीता।।
देखि प्रताप न कपि मन संका।
जिमि अहिगन महुँ गरुड़ असंका।।
.
પણ શત્રુનું આવુ વૈભવશાળી, ભયજનક દ્રશ્ય જોઈને પણ હનુમાનજીના મનમાં લેશમાત્ર ભય નથી. જેમ સાપોની વચ્ચે ગરુડ નિર્ભય થઈને ઉભો હોય છે એમ હનુમાનજી સભા સામે પૂરી નિર્ભયતાથી ઉભા રહે છે. આગળ રાવણ સાથેના સંવાદમાં હનુમાનજી આ નિર્ભયતાનું રહસ્ય જણાવે છે.
.
હનુમાનજીને આમ નિર્ભય જોઈને રાવણને બળતરા થાય છે. રાવણ હનુમાનજીને ત્રણ પ્રશ્નો પૂછે છે.
.
1. આ તે શું કૃત્ય કર્યું? કોના બળે અશોકવાટિકા ઉજ્જડ કરી? ( કોના દમ પર આટલું કૂદે છે એ અર્થમાં )
2. તે તારા કાનથી મારી ધાક વિશે સાંભળ્યું નથી, તે આમ નિર્ભય થઈને મારી સામે ઉભો છે?
3. તે રાક્ષસોને કયા અપરાધના કારણે મારી નાખ્યા, શુ તને તારા પ્રાણની ચિંતા નથી?
‘
कह लंकेस कवन तैं कीसा।
केहिं के बल घालेहि बन खीसा।।
की धौं श्रवन सुनेहि नहिं मोही।
देखउँ अति असंक सठ तोही।।
मारे निसिचर केहिं अपराधा।
कहु सठ तोहि न प्रान कइ बाधा।।
‘
હનુમાનજી એક પછી એક ત્રણેય પ્રશ્નોના ઉત્તર આપે છે. પહેલા પ્રશ્નના ઉત્તરમાં જ હનુમાનજીની નિર્ભયતાનું રહસ્ય છુપાયેલું છે.
હનુમાનજી જવાબ આપવાનું શરૂ કરે છે.
.
1.સંભાળ રાવણ, જેણે આ બ્રહ્માંડ બનાવ્યું છે, જેના બળે માયા વિચરણ કરે છે, જેના બળે બ્રહ્મા,વિષ્ણુ, મહેશ સર્જન,પાલન અને સંહાર કરે છે, જેના બળે સહસ્ત્રમુખ (શેષનાગ) પર્વતો-વનો સહિત બ્રહ્માંડ પોતાના શિષ પર ધારણ કરે છે, જે દેવતાઓના રક્ષણ માટે વિવિધ દેહ ધારણ કરીને તારા જેવા મૂર્ખાઓને પાઠ ભણાવે છે, ઈવન તે પણ ચરાચર જેના બળના લેશમાત્ર અંશથી જ જીત્યુ છે, જેણે મહાદેવનું કોદંડ ધનુષ્ય તોડતાની સાથે જ બધા ય રાજાઓનું અભિમાન તોડી નાખ્યું, જેણે ખર,દુષણ,ત્રીસરા અને બાલી જેવા અતુલ્ય બળવાનોનો વધ કર્યો, એના બળે રાવણ, એના બળે તારી અશોકવાટિકા ઉજ્જડ કરી નાખી. ને હું એનો જ દૂત છું જેની સ્ત્રીને તું અપહરણ કરીને લઈ આવ્યો છે.
.
सुन रावन ब्रह्मांड निकाया।
पाइ जासु बल बिरचित माया।।
जाकें बल बिरंचि हरि ईसा।
पालत सृजत हरत दससीसा।
जा बल सीस धरत सहसानन।
अंडकोस समेत गिरि कानन।।
धरइ जो बिबिध देह सुरत्राता।
तुम्ह ते सठन्ह सिखावनु दाता।
हर कोदंड कठिन जेहि भंजा।
तेहि समेत नृप दल मद गंजा।।
खर दूषन त्रिसिरा अरु बाली।
बधे सकल अतुलित बलसाली।।
दो0-जाके बल लवलेस तें जितेहु चराचर झारि।
तासु दूत मैं जा करि हरि आनेहु प्रिय नारि।।21।।
.
આહાહા!!!! શું ઉત્તર આપ્યો છે બાકી કેસરીનંદને. એક્ઝેટલી આ જવાબમાં હનુમાનજીની નિર્ભયતાનું સમગ્ર રહસ્ય છે.
.
આપણે ય જો પ્રભુ શ્રી રામના બળે બધું કરીએ તો હનુમાનજી જેવી નિર્ભયતા પ્રાપ્ત કરી શકીએ પણ એના માટે મારુતિ જેવી તન,મન,ધનથી સમર્પિત ભક્તિ કરવી પડે પછી નિર્ભયતા સહજતાથી પ્રાપ્ત થાય છે. સમર્પિત ભક્તિ જ પ્રોસેસ હોય તો નિર્ભયતા બાય પ્રોડક્ટ તરીકે મળે છે. બાય પ્રોડક્ટ એટલે કારણ કે મેઈન પ્રોડક્ટ તો તુરિય અવસ્થામાં પ્રાપ્ત થતો અવર્ણનિય આનંદ અને પ્રભુ સાથે એકાત્મતાની અનુભૂતિ છે.
.
તો મિત્રો હંમેશા સ્મરણમાં રાખજો કે આપણા જીવનમાં ય આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે જ્યાં શત્રુ રાવણની જેમ ખૂબ પહોંચેલો હોય, શક્તિશાળી લોકો એને હાથ જોડીને વિનંતી કરતા હોય ત્યારે તો હનુમાનજી જેવી રામકૃપા પ્રાપ્ત કરી હશે તો ચોક્કસ તમે ના માત્ર શત્રુની વાટીકા ઉજાડી આવા સૌ સાપ જેવા લોકોની વચ્ચે ગરુડની જેમ નિર્ભય થઈને ઉભા રહેશો પરંતુ આખો સુંદરકાંડ કરીને આવશો, શત્રુની લંકા ભડકે બાળીને આવશો. બસ મેં આ પહેલા જવાબમાં છુપાયેલું રહસ્ય ઉજાગર કરવા જ પોસ્ટ લખી હતી પણ બીજા બે પ્રશ્નોના જવાબ પણ જાણી લો.
.
2. હું તારો વૈભવ ને તારી ધાક જાણું છું. તું સહસ્ત્રબાહુ સાથે લડ્યો છે,બાલી સાથે યુદ્ધ કરીને તું યશ પામ્યો છે.
ત્રીજો જવાબ થોડો ઉડાઉ રીતે આપે છે.
.
3. મને ભૂખ લાગી’તી. ને હું તો છું જ વાનર તો સહજ સ્વભાવવશ ઝાડ તોડ્યા. સૌને પોતાનો દેહ (પ્રાણના અર્થમાં) વહાલો જ હોય પણ એ કુમાર્ગે ચડેલા રાક્ષસોએ મને માર્યો, એટલે મેં એમને મારી નાખ્યા.
.
जानउँ मैं तुम्हारि प्रभुताई।
सहसबाहु सन परी लराई।।
समर बालि सन करि जसु पावा।
सुनि कपि बचन बिहसि बिहरावा।।
खायउँ फल प्रभु लागी भूँखा।
कपि सुभाव तें तोरेउँ रूखा।।
सब कें देह परम प्रिय स्वामी।
मारहिं मोहि कुमारग गामी।।
जिन्ह मोहि मारा ते मैं मारे।
तेहि पर बाँधेउ तनयँ तुम्हारे।।
.
આ ઉત્તર પછી તેઓ સીતાજીને મુક્ત કરવા માટે રાવણને હાથ જોડીને વિનંતી કરતા સમજાવે છે કે તું કેટલા ઊત્તમ કુળમાં જન્મ્યો એનો વિચાર કર અને જે ભક્તોના ભય હરી લે છે એને ભજ. પછી ચેતવણી પણ આપે છે કે જેના ભયથી કાળ પણ ભય પામતો હોય, જેણે દેવ-અસુર અને ચરાચર પોતાનામાં સમાવેલું હોય એની જોડે વેર ના કરાય . એમ પણ કહે છે કે પ્રભુ કરુણાનો સાગર છે, હજી પ્રભુની શરણમાં જતો રહે તો પ્રભુ તારા બધા અપરાધો માફ કરીને એમની શરણમાં લઈ લેશે. એટલે જ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ હનુમાનજીને બેસ્ટ ડિપ્લોમેટ કહે છે.
.
बिनती करउँ जोरि कर रावन।
सुनहु मान तजि मोर सिखावन।।
देखहु तुम्ह निज कुलहि बिचारी।
भ्रम तजि भजहु भगत भय हारी।।
जाकें डर अति काल डेराई।
जो सुर असुर चराचर खाई।।
तासों बयरु कबहुँ नहिं कीजै।
मोरे कहें जानकी दीजै।।
दो0-प्रनतपाल रघुनायक करुना सिंधु खरारि।
गएँ सरन प्रभु राखिहैं तव अपराध बिसारि।।22।।
.
આ પ્રસંગ પહેલા હનુમાનજી કઈ રીતે અશોકવાટિકા ઉજાડે છે, કઈ રીતે રાક્ષસોને મારે છે. એ પણ અભ્યાસ કરવા જેવું છે. પછી સમજાઈ જાય કે હનુમાનજી માત્ર ભક્તિ જ નથી કરતા, ભક્તિની સાથે સાથે તેઓ વ્યાયામ, શારીરિક સૌષ્ઠવ અને યુદ્ધકૌશલ્યમાં પણ નિપુણ છે. ના કરે નારાયણ પણ સંજોગોવશાત સુંદરકાંડ કરવો જ પડે એમ હોય તો ભક્તિની સાથે સાથે એવા ગુણો પ્રાપ્ત કરવા ય આવશ્યક છે. મંજીરા ને કરતાલ લઈને સુંદરકાંડ નથી થતો. ગદા ધારણ કરીને સુંદરકાંડ થાય છે. એના માટે ગદા ઊંચકવા સક્ષમ થવું પડે, એના પ્રયોગ કરી શકીએ એવી નિપુણતા ય પ્રાપ્ત કરવી પડે ને અગેઇન, એના માટે વ્યાયામ તો કરવો જ પડે. તો સુંદરકાંડ કરવા ઇચ્છુક ભાવિક ભક્તો કાલથી જ લંગોટ બાંધીને અથવા સ્પોર્ટર પહેરીને પહેલવાન બનવાનું શરૂ કરી દો.
.
મિત્રો, શ્રી તુલસીદાસકૃત રામચરિત સમજવા બેસો તો બહુ સરળતાથી એક એક શબ્દ સમજાઈ જાય કારણ કે એ સંસ્કૃત નહિ પણ અવધી ભષામાં લખાયું છે. જેમ ગુર્જરી સંસ્કૃતની ભગિનીભાષા છે એમ જ અવધી પણ ભગિની ભાષા જ છે. ખાલી, વિભક્તિઓ થોડી અલગ રીતે હોય છે જેમ કે ‘જનકસુતા કે “ચરનન્હિ” પરી’ અહીં ચરનન્હિનો અર્થ ચરણમાં છે, જનકપુત્રીના ચરણમાં પડી.અહિ ‘ન્હિ’ નો અર્થ છે ‘માં’. આજ રીતે ‘બ્રહ્મબાન કપિ ‘કહું’ તેહી મારા’માં ‘કહું’નો અર્થ છે ‘ને’. તેણે ‘કપિને’ બ્રહ્મબાણ માર્યું. ઓનલાઈન ઘણા સોર્સ ઉપલબ્ધ છે શ્રી તુલસીદાસકૃત રામચરિતમાનસ સમજવા માટે.
.
રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસે એક પ્રસંગને ચાર પાંચ ચોપાઈમાં સમજાવીને પછીના દોહામાં કન્કલુડ્ કરી લીધો છે.
.
તુલસીદાસજીનું રામાયણ જાણે કે ફાસ્ટ ફોરવર્ડ છે જ્યારે શ્રી વાલ્મિકીજીનું રામાયણ અતિ ઊંડાણપૂર્વકનું છે. જાણે કે સ્લો મોશનમાં રામાયણ ચાલી રહી હોય. જેમ કે તુલસીદાસ બે ચોપાઈમાં તો હનુમાનજીને લંકા તરફ કૂદકો મરાવી દે છે એ જ વાત વાલ્મિકીજીએ કદાચ દસ-પંદર શ્લોકમાં કરી છે. બંનેનો પોતપોતાનો આનંદ છે.
ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લોકજીવન અને લોકકલા-ગીતસંગીતનું સ્થાન આગવું છે. એમાં પણ રંગોળી,લગ્નગીતો, સાજશણગાર વિશિષ્ટ. ઘરમાં શુભ અવસર આવે એટલે ગૃહરાજ્ઞીનું ગળું ગહેકે. એને દેવ-દેવીઓ, સગાંવહાલાં અને મોસાળિયાં યાદ આવે સાથોસાથ જોષીડો, સુખડિયો, માળીડો, કુંભાર, કાપડિયો, દરજીડો, કરિયાણો, રંગારો, ચૂડગર, સોનીડો વીરો યાદ આવે. લગ્ન કે જનોઈ ગીતમાં એમને નોતરાં મોકલે એટલું જ નહીં પણ વીનવે કે વહેલેરા-વેળાસર આવી રહેજો, તમારી જરૂર છે અને કામમાં મદદ કરજો. ભારતીય સાંસ્કૃતિક જીવન ખેતી, વરસાદ અને ઋતુઓ સાથે સંલગ્ન એટલે અહીં ‘ભૂમિજન-આમઆદમી’ નું મહત્ત્વ વિશેષ. આ ભૂમિજનનો ચહેરો મહોરાં વગરનો! એણે કાંઈ છુપાવવાનું હોય નહીં એટલે એનો ચહેરો બોલકો, આંખો એવી ભાવસભર કે કંઈક કહેવા ઉત્સુક અને ઓષ્ઠદ્વય સ્મિતે મઢેલાં. કાન સરવા અને નાક કોઈપણ પીમળ પારખવામાં અવ્વલ! એવડો એ જણ-ભૂમિજન અને જણી-ભૂમિજા કામે લાગ્યાં હોય ત્યારે ધ્યાનમગ્ન ઋષિ અને ઋષિકા! આવા માનવીઓથી રળિયાત ભારતભૂમિમાં અપાર વૈવિધ્ય! ‘અનેકતામાં એકતા’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’,‘જે પિંડમાં તે જ બ્રહ્માંડમાં’ની વિભાવના ગળથૂથીમાં. આહાર, વેશ, ભાષા-બોલી, ગીત-સંગીત/નૃત્ય, પરંપરાનું વૈવિધ્ય અપાર. ભારતીય સંસ્કૃતિ લીલીછમ અને મીલીઝૂલી છે. અહીં અનેક સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. ભારતીયો માટે નદી માતા અને સમુદ્ર પિતા. સહનાવવતુ….. ના પાઠ લોહીમાં વણાયેલા એવી આ ભારતભૂમિના ભૂમિજન-ભૂમિજાની વિવિધ ભૂમિકાને કચકડે મઢીને મહોરાં વગરના ચહેરાને ઉજાગર કરવાનું બીડું ડો. હર્ષ દહેજીઆ, ડો.બિપિન મહેતા અને ભાઈ વિનોદ કોન્ટ્રેક્ટરે ઝડપ્યું અને ભાતીગળ કસબથી રંગેચંગે પાર પાડ્યું. આ પુસ્તકમાં મારો પણ એક લેખ છે જેનું શીર્ષક છે,’ મહોરાં વગરના ચહેરા.’
.
આ પુસ્તકમાં હકુભાઈ શાહ, પાર્થિવ શાહ, પરમાનંદ દલવાડી, રાજેશ વોરા, જ્યોતિ ભટ્ટ, સ્ટિવન હ્યુલર, વિનોદભાઈ કોન્ટ્રાક્ટરે લીધેલી તસવીરો છે. આ તસવીરકારો પાસે જે દૃષ્ટિ છે તેમાં ફોટોગ્રાફીની કલાત્મકતા વિશે ચર્ચા માટે મારી પહોંચ કદાચ ઓછી પડે પરંતુ હર્ષભાઈએ જે રીતે એને મૂલવી છે, બિપિનભાઈએ અનુવાદો કર્યાં છે તે કારણે દરેક સમયે તસવીરો જોઈએ ત્યારે એની વિશિષ્ટ ખૂબીઓ નજરે ચડે. ૧૧૯ પૃષ્ઠોમાં સમાવિષ્ટ વિવિધ તસવીરોમાં દૃશ્યાંકિત પાત્રો સાવ સામાન્ય તળજમીની લોકોના લાગે પરંતુ જ્યારે એ કેમેરામાં ઝિલાયેલા નજરે ચડે કે અદ્ ભુત શબ્દ સરી પડે! વિવિધ રંગો, આભૂષણો, લીંપણ-ઓકળી, નિરાંતના જીવે બીડી કે ચલમ ફૂંકતા શ્રમજીવીઓ, સાધુઓ કે નેજવે જોતી મોં પર અસંખ્ય કરચલીઓ ધરાવતી માવડી કે જેની એક એક કરચલી એનાં સુખદુ:ખની સાખ પૂરે, વાલીડાની રાહ જોતી પ્રિયતમા કેટકેટલી તસવીરો અહીં પ્રસ્તુત છે, કોની કઈ તસવીર છે એ પુસ્તકમાં સ્પષ્ટ છે છતાં આ લેખમાં કદાચ ભેળસેળ થઈ જાય એટલે મને ગમી તે મૂકી છે પરંતુ તસવીરકારનું નામ આપવામાં ભૂલ થઈ હોય તો દરગુજર કરવા વિનંતી. હર્ષભાઈ અંગ્રેજી ગદ્યમાં મઢે પરંતુ લાગે સુવાંગ પદ્ય તેની મજાની અનુભૂતિ તો પુસ્તક માણીએ ત્યારે જ કરી શકાય. આ તસવીરોમાં કેટલીક જોતાં જોતાં યાદ આવે કવિ મણિલાલ દેસાઈની રચના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, તો છાણ સાથે કામ પાર પાડતી સ્ત્રીના હાથોમાં સમાયેલી કલાની યાદ આપતી વાર્તા ‘ઓળીપો’(લેખકનું નામ હમણાં યાદ આવતું નથી.)એક થાળીમાંથી ખાતાં ભાંડરડાંને જોઈને તો મને મારું બાળપણ યાદ આવી ગયું કે અમે ખાધેપીધે સુખી છતાં વહેંચીને જ ખાવું એ પાઠ અમને ઈરા બરાબર ભણાવતી અને ખાસ તો કેરી, શિંગોડા અને એન.સી.સી. પ્રેક્ટિસમાંથી મળતી ક્રીમવાળી બિસ્કીટ. ત્યાર નો પરિચિત લોકબોલીનો વાક્યપ્રયોગ હતો,”તારે હારું મૂકી છાણેલું છે.” એટલે કે તારે માટે ખાસ સંતાડીને રાખેલું છે!
.
હર્ષભાઈનું અંગ્રેજી ગદ્ય સીધુંસાદુ આલેખન નથી પરંતુ શબ્દેશબ્દ પદ્ય છે એટલે હું કહીશ કે એ ગદ્યમાં પદ્ય છે. એ અંગ્રેજી વર્ણનની કાવ્યાત્મકતાને મેં મારી રીતે ગુજરાતીમાં મૂકી જે અહીં પ્રસ્તુત છે.
.
(૧)
આ કરચલિયાળાં મુખારવિંદની એક એક રેખા
યાદોના વનરાવનની શાખ પૂરે છે.
દરેક બિંદુ દુ:ખોની ભરમારની ચાડી ખાય છે છતાં
કાંઈ હું મારી નજર સામે વિચરતી
દુનિયાને હસી કાઢતાં રોકાવાની નથી.
લોકને ક્યાં ખબર છે કે સહન કરીને સ્મિત કરવું
એટલે શું?
.
where wrinkles are filled with memories
every spot speaks of days of penury
but that does not prevent me from
smiling at the world that passes by
do they know what it is to suffer and yet smile?
.
(૨)
એનું ઝગમગતું વસ્ત્રપરિધાન બોલકુ છે
જેનો પીતાંબરી રંગ એની અભિલાષાની
અભિવ્યક્તિ છે
ઓઢણીનો લાલ રંગ એની પવિત્રતાનું પ્રતીક છે.
આંખોમાં પ્રેમની તરસ છે
એનાં સાજશણગાર એનાં સૌંદર્યને ઉજાગર કરે છે.
.
The bright colours of her attire speak
the yellow of her desires
the red of her of her purity
in her eyes the expectation of love
her adornments enhancing her beauty.
.
હજી તૃણમૂળ કે મૂળસોતાં ક્ષેત્રે ભૂમિજનો અને ભૂમિજાઓ જડે છે અને પોતપોતાના કર્મને આધીન ભૂમિકા ભજવે છે એટલે ક્યાંક સારપની આશા જાગે છે. અલબત્ત, આધુનિકતાની હોડમાં કેટલુંક અદૃશ્ય થઈ રહ્યું છે તો પ્રસંગોપાત્ત સાંસ્કૃતિક વારસાઈના સંગોપન માટે પોતાની બોલી, ખાણી-પીણી,પહેરવેશ, તહેવાર, રીતરિવાજો-પરંપરાનું જતન કરવાનો ટ્રેન્ડ પણ દેખાઈ રહ્યો છે. આશા તો છે કે માનવજાત ફરીથી પ્રકૃતિ તરફ વળશે. માનવતાની દુહાઈ ગાશે અને સાચા અર્થમાં વિશ્વમાનવની પરિકલ્પના સાકાર કરશે ત્યારે મહોરાં વગરના ભૂમિજન-ભૂમિજાનો વૈવિધ્યસભર છતાં સમાનતામૂલક ચહેરો વધારે દેદીપ્યમાન બનીને તેજોમય પૃથ્વીનું સર્જન કરશે……
.
ખાસ આભાર: નિવાસી તંત્રી : વિકાસ ઉપાધ્યાય.
.
ખાસ નોંધ: આ કાર્યક્રમનું લોકાર્પણ વિનોદભાઈના અમૃત મહોત્સવ અવસરે થયેલું, અશ્વિનભાઈ સોમપુરા અને વિનોદભાઈના અન્ય જાણીતાં તસવીરકાર મિત્રો સહભાગી થયેલા. અલ્પાએ સરસ સંચાલન કરેલું ઉપરાંત વિનોદભાઈ-જયશ્રીબહેન અને સ્વજનોનાં મોકળાશભર્યા નૃત્યો, હર્ષભાઈ-સુધાબહેન દહેજીઆ , દીદી-બિપિનભાઈ અને મિત્રો-સ્વજનો તથા અમન લેખડિયા અને સંગત કરનારાના કારણે કાર્યક્રમની મજા બેવડાઈ ગયેલી.
જ્યારે સાહિત્ય કે કળાનું સ્વરૂપ સંજયભાઈ ભણશાળીની કૃતિ ‘હીરામંડી’ની જેમ ફક્ત ભવાડો બનીને રહી જાય, કળાને નામે સમાજના નકારાત્મક પાસા, નઠારી બાબતો અને વિકૃતિઓને કારણ વગર ભવ્યતા આપી એને સહજ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ કૃતિનું યથોચિત સન્માન થવું જરૂરી છે.
.
શ્રી સંજયભાઈ લીલાબેન ભણશાળીએ બનાવેલી વેબશ્રેણી હીરામંડી જોઈ. સંજયભાઈને આમ પણ મુજરા, કોઠા અને તવાયફો પ્રત્યે અદમ્ય આકર્ષણ હોય એવું એમની ફિલ્મો જોતા સહજ જણાઈ આવે. ગંગુબાઈ કાઠિયાવાડીની આલિયા ભટ્ટ હોય કે દેવદાસની માધુરી દિક્ષિત, સંજયભાઈ ‘સરસ્વતિચંદ્ર’ની પણ નાલેશી કરી ચૂક્યા છે. અહીં પણ એક જ વાત – કારણ વગરનો તદ્દન જૂઠ્ઠો ભપકો અને ભયાનક ભવ્યતા. કોઈ એમને પૂછે કે જેમની અગિયાર બાર વર્ષની દીકરીને આવી હીરામંડીમાં…. શબ્દો નથી આવી વાત પૂરી કરવા. એક હતો સઆદત હસન મંટો જેની વાર્તાઓ અસહજ કરી મૂકતી, એના વિચાર પણ તકલીફ આપતા. મંટોની વાર્તા ‘બૂ’ કે ‘ખોલ દો’ પહેલી વાર વાંચી પછી કેટલાય કલાક મગજ સુન્ન થઈ ગયેલું. સાહિત્ય જો પીડાને માણસાઈપૂર્વક અને ભાવકને સ્પર્શી જાય એમ પ્રસ્તુત કરી શકે તો જ એ એના મૂળ હેતુને પામે છે. સાહિત્યનો હેતુ મનોરંજન ઉપરાંત સત્યને એના મૂળ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો પણ છે.
.
ક્યાંક વાંચ્યું હતું કે એમનું બાળપણ મુંબઈના કમાઠીપુરા વિસ્તાર આસપાસ વીત્યું છે, પણ તો પ્રશ્ન એ થાય કે એ સ્ત્રીઓના દુ:ખ, તકલીફો, મજબૂરી અને એમના સંઘર્ષને બદલે સંજયભાઈ એમના જીવનની કઠણાઈને કારણ વગરની અને તદ્દન નઠારી વિલાસિતા – ભવ્યતા બક્ષીને એના ખોટા સ્વરૂપને કચકડે કંડારવા અને રોકડી કરવા કેમ મંડ્યા રહે છે? અને એ બધું કર્યાં છતાં છેલ્લે એને ચલાવવા સ્વતંત્રતાની લડત અને દેશભક્તિનો મસાલો ભભરાવવો પડ્યો?
.
હીરામંડી વિશે હકીકત જાણવા માટે થોડુંક ઈતિહાસદર્શન જરૂરી છે. તમે લેફ્ટ લિબરલ ઇતિહાસકારોના લેખ કે રિવ્યૂ જોશો તો એ તમને જણાવશે કે હિરામંડી ડોગરા પ્રધાન હીરા સિંહે શરૂ કરાવી હતી. કાયમની જેમ એ એમનું અર્ધસત્ય છે. હીરામંડી હીરા સિંહે શરૂ કરાવી હતી, પણ ત્યારે એ બજારમાં કોઠા – મુજરા કે દેહવ્યાપાર નહોતાં. એમણે બજાર શરૂ કરાવી ત્યારે એ અનાજની બજાર હતી.
.
હીરા સિંહ ડોગરાની હીરામંડી
વિગત હકીકત એ છે કે 1843-44 દરમ્યાન લાહોરના ડોગરા રાજ્યના મંત્રી હીરા સિંહ ડોગરા રાજા ધ્યાનસિંહના પુત્ર હતાં જે મહારાજા રણજીત સિંહના દરબારમાં અગ્રસ્થ મંત્રી હતાં. એમણે પોતાના પુત્રને મહારાજા રણજીતસિંહજી સમક્ષ પ્રસ્તુત કર્યો. રણજીતસિંહજી તેમનાથી પ્રભાવિત થયાં અને ઘણી જાગીર આપી. શીખ સામ્રાજ્યમાં આંતરિક વિખવાદોને લીધે રાજા ધ્યાનસિંહની અને અન્ય અનેકોની એક બળવામાં હત્યા થઈ, પાંચ વર્ષના મહારાજા દુલિપ સિંહ રાજા બનાવાયા અને ચોવીસ વર્ષના હીરા સિંહ પ્રધાન બન્યા.
.
શ્રીરામપુત્ર લવના નામ પરથી બનેલું લવપુર – લાહૌર મુસાફર હ્યુ એન સંગ મુજબ સાતમી સદીમાં સમૃદ્ધ અને શાંત શહેર હતું અને એની મહત્તમ વસ્તી બ્રાહ્મણોની હતી. ઈ.સ. 1010માં પહેલીવાર એ શહેર ઈસ્લામી આક્રાંતા મહમૂદ ગઝનવીના હાથમાં ગયું, વિધ્વંસનો એનો એ પહેલો અનુભવ હતો. મુઘલકાળમાં લાહોર શહેર ફરતે કિલ્લો હતો જેમાં શહેરમાં પ્રવેશના તેર દરવાજા હતાં – અકબરી દરવાજા, ભાટી, દિલ્હી, કશ્મીરી. લાહોરી, મસીતી, મોચી, મોરી, રોશનાઈ, શાહ આલમી, શેરાંવાલા, ટકસાલી અને યક્કી દરવાજા. મુઘલોની ટંકશાળ જેની નજીક હતી એ ટકસાલી દરવાજા તરીકે ઓળખાયો અને એ ટંકશાળની નજીકના વિસ્તારમાં ધનાઢ્યોના ઘર હતાં, અને એ પછીના વિસ્તારમાં તેમના નોકરોની વસ્તી હતી. એ ધનાઢ્યોની વસ્તી પાસે ઔરંગઝેબે બાદશાહી મસ્જીદ બંધાવી હતી અને અકબરના સમયથી એ વિસ્તાર શાહી મહોલ્લા તરીકે ઓળખાતો. પોતાના મંત્રીપણા દરમ્યાન હિરાસિંહે વિચાર્યું કે ધનાઢ્યોના વિસ્તારની આસપાસ બજાર હોય તો વેપાર વધે અને લે-વેચમાં સરળતા રહે એ માટે ટંકશાળ દરવાજા નજીક શાહી મહોલ્લા પાસે તેમણે મંડી શરૂ કરાવી જેને તેમના નામ પરથી હીરા દી મંડી કહેવાતું. મૂળે અનાજ સાથે કાપડ, આભૂષણો વગેરે બધું અહીં વહેંચાતું પણ આ વિસ્તારમાં ત્યારે કોઈ કોઠા, કોઈ મુજરા કે દેહવ્યાપાર થતો નહોતો.
બીજો અગત્યનો ઘટનાક્રમ જે ઇતિહાસને હીરામંડી સાથે સાંકળે છે એ છે પાણીપતનું ત્રીજું અને ભયાનક યુદ્ધ, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાતાં આતંકી લૂંટારા અહમદ શાહ અબ્દાલી (દુર્રાની) અને મરાઠાઓની સેનાઓ વચ્ચે થયું હતું.
.
અહમદ શાહ અબ્દાલી અને પાણીપતનું ત્રીજું યુદ્ધ
નાદિર શાહના મૃત્યુ પછી અહમદ શાહ દુર્રાની અફઘાનિસ્તાનનો રાજા બન્યો હતો. હુમલા કરવા. નાગરીકોની હત્યાઓ કરવી, લૂંટફાટ કરવી અને સ્ત્રીઓ તથા બાળકોને ગુલામ બનાવી લઈ જવાની તેની વૃત્તિ હતી. ભારત પરના પ્રથમ આક્રમણમાં તે હાર્યો, એનો બદલો લેવા માટે બીજી વખત હુમલો કર્યો અને સિંધુના પશ્ચિમ વિસ્તારને કબજે કર્યો.
.
પાણીપતનું ત્રીજું યુદ્ધ 14 જાન્યુઆરી 1761ના રોજ, મરાઠા અને અહમદ શાહ વચ્ચે થયું જેમાં તેના ભારતીય મુસ્લિમ સાથીઓ એવા મુગલો, ગંગા-જમુના દોઆબના રોહિલ્લા પઠાણો અને અવધના નવાબ શુજા-ઉદ-દૌલા દ્વારા સમર્થન મળ્યું. જો શુજા ઉદ દૌલાએ અહમદ શાહના સૈન્યને ખોરાક, પાણી અને હથિયારોનો પુરવઠો ન આપ્યો હોત તો એનું જીતવું અશક્ય હતું. મરાઠાઓએ પણ શુજાને સાથે જોડાવવા નિમંત્રણ મોકલ્યું હતું પણ ધર્મને લીધે એણે અહમદશાહનો સાથ આપ્યો. મરાઠાઓને તેમણે રીતસર ચોતરફથી ઘેરી લીધા અને પુરવઠો બંધ કર્યો. મરાઠાઓએ ધીરજ પૂર્વક રાહ જોઈ પણ અંતે ધીરજ ખૂટી અને તેમણે એ ઘેરાવો તોડવા મરણીયા થવું જ પડ્યું.
.
ત્યારે મરાઠા સામ્રાજ્ય અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું અને મુઘલો માટે એનો ભય મોટો હતો. સદાશિવ રાવ ભાઉની આગેવાની હેઠળ મરાઠાઓએ પચાસથી સાહિંઠ હજારની સેના સાથે અફઘાન આક્રમણનો જવાબ આપ્યો. ઇતિહાસકારો કહે છે કે તેમની સાથે લાખ સ્ત્રીઓ અને બાળકો હતાં જે માનવું અશક્ય છે. યુદ્ધે નીકળેલી સાહિંઠ હજારની સેના સાથે લાખ સામાન્ય નાગરિકો? ઇતિહાસકારો લખે છે કે એ સ્ત્રીઓ, વડીલો અને બાળકો સાથે મથુરા, વૃંદાવન, કાશી, ચારધામ જેવા તીર્થોની યાત્રા માટે નીકળ્યા હતાં. શીખ ઈતિહાસકારો આ સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા વીસ હજાર આલેખે છે તો ક્યાંક સત્તર હજાર અને ક્યાંક બે હજાર પણ છે.
.
અહમદ શાહના સૈન્યએ મરાઠા સૈન્યના અનેક વિભાગોનો નાશ કર્યા પછી વિજય મેળવ્યો. વિલાસ રાવ ભાઉ, સદાશિવ રાવ ભાઉ જેવા મોટાભાગના મરાઠા નેતાઓ યુદ્ધમાં માર્યા ગયા જ્યારે હોલકર ગ્વાલિયરની સુરક્ષામાં જતા રહ્યાં. આ લડાઈ 18મી સદીની સૌથી લોહિયાળ લડાઈ માનવામાં આવે છે જેમાં એક જ દિવસમાં લાખથી વધુ સૈનિકોની જાનહાનિ થઈ. મરાઠાઓને રાજપૂત, જાટ અને શીખ રાજ્યોનો સાથ મળ્યો હોત પણ મરાઠાઓના વહીવટ અને આંતરિક જૂથબંધીએ એ કોઈ સાથે ન આવ્યા.
.
જીત પછી અફઘાન ઘોડેસવારો અને સૈનિકોએ પાણીપતની શેરીઓમાં જઘન્ય નૃશંસતા આચરી. હજારો મરાઠા સૈનિકો અને પાણીપતના પુરુષ નાગરિકોની હત્યા કરી. પાણીપતની શેરીઓમાં આશરો લેતી સ્ત્રીઓ અને બાળકોને ગુલામો તરીકે અફઘાન શિબિરોમાં લવાયા, ચૌદથી વધુ ઉંમરના બાળકોને તેમની માતાઓ અને બહેનોની સામે શિરચ્છેદ કરાયા. અફઘાન અધિકારીઓ કે જેમણે યુદ્ધમાં તેમના સ્વજનો ગુમાવ્યા હતા તેઓને બીજા દિવસે પણ પાણીપત અને આસપાસના વિસ્તારમાં ‘કાફીર’ હિંદુઓનો નરસંહાર કરવાની પરવાનગી આપવામાં આવી. તેઓએ તેમના છાવણીઓની બહાર કપાયેલા માથાના ઢગલા વિજયના પ્રતીક તરીકે ગોઠવ્યા. ઈતિહાસ મુજબ, યુદ્ધ પછીના દિવસે પણ લગભગ ચાલીસ હજાર લોકોની ઠંડા કલેજે ઘાતકી હત્યા કરાઈ.
.
બંદી બનાવાયેલા સૈનિકો શિરચ્છેદ કરાયા. સ્ત્રીઓ અને બાળકીઓને ગુલામ તરીકે અફઘાનિસ્તાનમાં વેચવા લઈ જવાયા. એપ્રિલ-મે 1961માં આ સરઘસ નીકળ્યું. રસ્તામાં અફઘાન સૈનિકો પોતાની વાસના સંતોષવા માટે પણ તેમનો ઉપયોગ કરતાં.
.
શીખોની વીરતા અને સદભાવના
આ સમય સુધી શીખોએ આ યુદ્ધમાં કોઈ પક્ષ લીધો નહોતો પણ સ્ત્રીઓ અને બાળકોની આ સ્થિતિની જાણ થઈ. અમૃતસર ખાતે તેમની દ્વિ-વાર્ષિક બેઠકમાં મરાઠાઓ દ્વારા પરિસ્થિતિથી માહિતિગાર કરાયા અને મદદ માટે વિનંતી કરાઈ પછી તેમનો રોષ ભભૂકી ઉઠ્યો. કોઈ હુમલાનો ડર ન હોવાથી અને જીતના મદમાં આંધળા એવા અબ્દાલીના સૈન્યની પાછળની તરફ શીખોએ અચાનક હુમલો કરી અબ્દાલીને ચોંકાવી દીધો. સેનાની પાછળ ચાલતી મોટા ભાગની બંદી સ્ત્રીઓને છોડાવવામાં તેઓ સફળ થયાં. તેમનો હેતુ યુદ્ધ નહોતો પણ આ સ્ત્રીઓને મુક્ત કરાવવાનો હતો. આ મુક્તિ પાકિસ્તાનના ગુજરાતમાં વજીરાબાદથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલી જગ્યાએ થઈ અને એમાં ઘણાં શીખ સૈનિકો વીરગતિને પ્રાપ્ત થયાં.
.
મોટાભાગની વિધવા સ્ત્રીઓ પાસે પરત જવા પરિવાર નહોતો. એમાંથી ઘણી શીખ સૈનિકો સાથે પરણી ત્યાં જ સ્થાયી થઈ. તો પણ ઘણી સ્ત્રીઓને અબ્દાલી સાથે લઈ ગયો અને અબ્દાલીના સૈનિકો દ્વારા લાહોર પાસેના વિસ્તારમાં આ સ્ત્રીઓનો દેહવ્યાપાર શરૂ કરાયો હોવાનું મનાય છે જે હીરા સિંહ ડોગરાથી લગભગ એંશી વર્ષ પહેલાની ઘટના છે.
.
સંજયભાઈની હીરામંડીની હકીકત
અબ્દાલીના સૈનિકોએ સ્ત્રીઓને લાહોર પાસે પુરાની અનારકલી નામના વિસ્તારમાં રાખી હતી, આ વિસ્તાર અકબરની સેવિકા અનારકલીના નામ પરથી જાણીતો છે જે એક નાચ દરમ્યાન સલીમ તરફ જોઈને હસી એટલે એને દીવાલમાં ચણાવી દેવાઈ હતી. કે. આસિફે આ ઇતિહાસ પરથી અનારકલી અને સલીમના પ્રેમની કથા મુગલે આઝમ બનાવી હતી. શું તમને લાગે છે કે ખરેખર અનારકલી અકબરની સામે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ગાઈ શકી હશે? અલાઉદ્દીન ખીલજીના કાળમાં અને તે પછીથી મુઘલોએ અને પછી અફઘાન શાસન દરમ્યાન આ જ વિસ્તારમાં અફઘાન, ઉઝબેક અને હિંદના વિસ્તારોમાંથી અનેક સ્ત્રીઓને લાવીને નાચગાન અને મોજશોખ માટે રાખી હતી, એમની સાથે કેવો વ્યવહાર થતો હશે એ સમજવું મુશ્કેલ નથી. આપણે જહાંગીરના ન્યાયના પાઠ ભણ્યા છીએ પણ એ જહાંગીરે પરાજિત રાજાની અને પ્રજામાંથી જે ગમે તે સ્ત્રીઓને હરમમાં અને શાહી વેશ્યાલયોમાં રાખવાનો નિયમ બનાવ્યો હતો. લાહૌરના શાહી મહોલ્લામાંથી સ્ત્રીઓને લઈ જવા માટે પરમિટ સિસ્ટમ હતી એમ ઇતિહાસકારો નોંધે છે. આવા મહોલ્લા દરેક શહેરમાં હતાં. ફતેહપુર સીક્રીમાં એને શૈતાનપુરા નામે ઓળખાતો. લાહોરમાં અબ્દાલી પછી અંગ્રેજ રાજ દરમ્યાન એ દેહવ્યાપારનું કેન્દ્ર લાહૌરી ગેટ પાસે બુખારી બજાર ફેરવ્યું પણ એમાં ફાવ્યા નહીં અને એ ટંકશાળ પાસે હીરામંડીમાં ઓગણીસમી સદીમાં આ પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું. ઝાહીર અકાસી તેમના પુસ્તક હીરામંડીમાં આ વાત વિગતે આલેખે છે. આ વિસ્તાર ફરી 1799માં શીખોના હાથમાં આવ્યો પણ ત્યાં સુધી ઘણું બધું બદલાઈ ગયું હતું. કથા છે કે 21 વર્ષના મહારાજા રણજીતસિંહ પણ આવી જ એક મુસ્લિમ કન્યા મોરણના પ્રેમમાં પડ્યા અને એને પત્નીનું સન્માન આપ્યું એ બદલ એમને રાજ્ય તરફથી સો કોરડાની સજા અપાઈ પણ પ્રજાની ભાવનાઓને જોતાં એક જ કોરડો થયો. રણજીતસિંહે મોરણ સરકાર સાથે લગ્ન કર્યા અને રાણીનો દરજ્જો આપ્યો, તેમને માટે મસ્જીદ બનાવી, એમના નામે સિક્કા બન્યા તો વળતાં તેમણે મહારાજ માટે શિવમંદિર બનાવડાવ્યું. પણ બધી સ્ત્રીઓના નસીબ મોરણ જેવા નથી હોતાં.
.
ડાબેરી ઈતિહાસકારો લખે છે કે શાહી મહોલ્લો કથક શીખવાનું કેન્દ્ર હતો. ઉચ્ચ ઘરાનાની રાજાશાહી અને હિંદુ દીકરીઓ ત્યાં કથક વગેરે નૃત્યો શીખતી અને નવાબો પોતાના સંતાનોને તમીઝ શીખવવા તવાયફો પાસે મોકલતા – જે સાવ જૂઠ્ઠાણું છે. ભૂલેચૂકે પણ નકાબ વગર દેખાતી કોઈપણ કન્યાઓને ઉઠાવી લેવાતી અને એમાંથી મંત્રીઓની દીકરીઓ અને પત્નીઓ પણ સુરક્ષિત નહોતી. અકબરના શાહી હરમમાં પાંચ હજાર સ્ત્રીઓ હોવાનું અબુલ ફઝલ નોંધે છે.
.
કથકથી મુજરા સુધી
કથક મૂળે ભક્તિ સંપ્રદાયની ઈશ્વર પ્રાર્થનાનો પ્રકાર હતો જેમાં કૃષ્ણ ભક્તિના ગીતો હતાં. મુઘલોએ અનેક મંદિરોનો નાશ કર્યો પછી મંદિરોમાં સેવા આપતી એ નૃત્યાંગનાઓને તેમના દરબારમાં નાચવા લવાઈ અને એની સાથે બધાં અનિષ્ટો શરૂ થયાં. કથકમાં પેમલા-પેમલીઓની કે તૂટેલા દિલની વાતો નહોતી. વળી કથક ઉસ્તાદો કઈ રીતે શીખવી શકે? એને શીખવવા માટે નૃત્ય ગુરુઓ હતાં. જેમ ‘છાપ તિલક સબ છીની મોસે નૈના મિલાઈ કે’ એ ધર્મપરિવર્તનનું ગીત છે એમ જ કથકને તાલે અનેક ઉર્દુ ગીતો અને ગઝલો રચાયાં અને નૃત્યની આખી વિભાવના ફરી ગઈ. એ નૃત્ય વિલાસિતા અને ઉચ્છૃંખલતાનું પરિમાણ બન્યું.
.
મુજરા નામનો નૃત્યનો કોઈ પ્રકાર છે જ નહીં! મુઘલકાળમાં બાદશાહો, નવાબો અને એમના વજીરોએ કથક નૃત્યાંગનાઓને બળજબરીથી પોતાના મનોરંજન માટે આવા નૃત્યો કરવા રાખી અને એ રાગોમાં ઉર્દુ ગીતો લખાયા જેની પ્રસ્તુતિ મહેફિલ તરીકે ઓળખાતી. મુઘલો પહેલા મુજરાના કોઈ સગડ નથી. મુજરા શબ્દનો મરાઠી અર્થ છે આદર આપવો જેને ઉર્દુમાં ઉત્તેજક નાચ સાથે સાંકળી દેવાયો.
સંજયભાઈ પોતાની વેબસીરીઝને beautiful world of Heera Mandi કહીને આલેખે છે એ હકીકતે દેશવિદેશની અનેક સ્ત્રીઓ અને મહદંશે હિંદુ દીકરીઓ પરના સદીઓના અત્યાચારનું, દમનનું કેન્દ્ર છે. એમને બળજબરીથી દેહવેપારમાં ધકેલાઈ, એમના સંઘર્ષ, તકલીફો અને બદતર જીવનપદ્ધતિને અવાજ આપવાને બદલે સંજયભાઈએ એ આખો દૃષ્ટિકોણ ભવ્ય સેટ, આભૂષણો, ભપકા અને સ્ત્રીઓની ફેશન પરેડમાં ફેરવી નાખ્યો. એ હદે કે એક સમયે જેના વિચારથી સ્ત્રીઓ થરથર ધ્રૂજતી એ જ મુજરા પર અત્યારે રીલ્સ બનાવે છે. ત્યારે એ સ્ત્રીઓ વખાની મારી મરી મરીને જીવન જીવતી મજબૂરીમાં આવા નૃત્યો કરતી, આજે સંજયભાઈને પ્રતાપે રીલ્સને નામે એ મજબૂર સ્ત્રીઓ મજાક બની રહી છે. સમાજના પતનની આવી ઝડપ ભાગ્યે જ જોવાઈ હશે.
.
સંજયભાઈની ‘ગંગુબાઈ’ રીલીઝ થઈ ત્યારે અનેક નાની બાળકીઓ એની ક્લિપો બનાવતી હતી. સોળ સત્તરમી સદીમાં આક્રાંતાઓ દ્વારા અગિયાર બાર વર્ષની દીકરીઓને બળજબરીથી હીરામંડીમાં ધકેલી દેવાતી અને એમની જિંદગી નરક બની જતી, એમના માતાપિતાનું જીવન બરબાદ થઈ જતું. અનેક કુટુંબો નાશ પામતા પણ સંજયભાઈએ એ હીરામંડીની સ્ત્રીઓની તકલીફો અને દુ:ખનો નઠારો વેપાર કર્યો અને વધુ ઘૃણાસ્પદ એ છે કે લોકો અને ‘કળા’ ને નામે વધાવે છે. મારે એમને પૂછવું છે કે 1940ના લાહોરમાં દિલ્હીની ઉર્દુ, લખનવી વસ્ત્રો અને 2024ની ફેશન સાથે એ ‘કળા’ કઈ રીતે બંધ બેસે છે? સંજયભાઈએ ધાર્યું હોત તો હીરામંડીની સ્ત્રીઓની યાતનાઓ, એમની સંજોગો સામે ઝઝૂમવાની ચાનક, કપરા સંજોગોમાં પણ જીવન ટકાવી રાખવાની પદ્ધતિ વિશે વેબસીરીઝ બનાવી શક્યા હોત, અબ્દાલીથી લઈને હીરા સિંહ અને મુગલોથી લઈને અંગ્રેજો સુધીના ઇતિહાસનો કોઈ પણ કાળખંડ લઈ શક્યા હોત, પણ એમને ઇતિહાસમાં રસ નહોતો, એમનો રસ તવાયફો અને મુજરામાં હતો. જો એ સાચો ઇતિહાસ દેખાડત તો એનો આટલો ભપકો ન હોત, એની રીલ્સ ન બનત, વાઇરલ ન થાત! ધ કશ્મીર ફાઇલ્સ કે કેરાલા સ્ટોરીની જેમ એ લોકચેતના જગાવત જે સંજયભાઈ જેવા સર્જકોને ગમ્યું ન હોત.
.
હજુ તો સંજયભાઈએ વાપરેલા આમિર ખુસરોના ‘સકલ બન’ ગીતના મૂળ – એના ત્યારથી ચાલતા પ્રોપગેન્ડા વિશે, ગજગામિની ચાલના મૂળથી તદ્દન જુદા બિભત્સ ચિત્રણ વિશે પણ વિગતે લખવું હતું પણ લેખ ખૂબ લંબાઈ જાય એટલે એ ફરી ક્યારેક.
.
– જિજ્ઞેશ અધ્યારૂ (22 મે 2024)
A Review of Sanjay Leela Bhansali Netflix webseries Heeramandi
लड़के हमेशा खड़े रहे
खड़ा रहना उनकी कोई मजबूरी नहीं रही
बस उन्हें कहा गया हर बार
चलो तुम तो लड़के हो खड़े हो आओ
तुम मलंगों का कुछ नहीं बिगड़ने वाला
छोटी-छोटी बातों पर वे खड़े रहे कक्षा के बाहर
.
स्कूल विदाई पर जब ली गई ग्रुप फोटो
लड़कियाँ हमेशा आगे बैठी
और लड़के बगल में हाथ दिए पीछे खड़े रहे
वे तस्वीरों में आज तक खड़े हैं
.
कॉलेज के बाहर खड़े होकर
करते रहे किसी लड़की का इंतजार
या किसी घर के बाहर घंटों खड़े रहे
एक झलक,एक हाँ के लिए
अपने आपको आधा छोड़
वे आज भी वहीं रह गए हैं।
.
बहन-बेटी की शादी में खड़े रहे मंडप के बाहर
बारात का स्वागत करने के लिए
खड़े रहे रात भर हलवाई के पास
कभी भाजी में कोई कमी ना रहे
खड़े रहे खाने की स्टाल के साथ
कोई स्वाद कहीं खत्म न हो जाए
खड़े रहे विदाई तक दरवाजे के सहारे
और टैंट के अंतिम पाईप के उखड़ जाने तक
बेटियाँ-बहनें जब तक वापिस लौटेंगी
वे खड़े ही मिलेंगे।
.
वे खड़े रहे पत्नी को सीट पर बैठाकर
बस या ट्रेन की खिड़की थाम कर
वे खड़े रहे बहन के साथ घर के काम में
कोई भारी सामान थामकर
वे खड़े रहे माँ के ऑपरेशन के समय
ओ. टी. के बाहर घंटों
वे खड़े रहे पिता की मौत पर अंतिम लकड़ी के जल जाने तक
वे खड़े रहे दिसंबर में भी
अस्थियाँ बहाते हुए गंगा के बर्फ से पानी में
लड़कों रीढ़ तो तुम्हारी पीठ में भी है
क्या यह अकड़ती नहीं?
( सुनीता करोथवाल )
દીકરાઓ હંમેશા ઊભા રહ્યા
ઊભા રહેવું એમની કોઈ મજબૂરી નથી
બસ એમને કહેવામાં આવ્યું.. હંમેશા
ચાલો તમે તો છોકરાઓ છો ઊભા રહી જાવ
તમે જડસુઓનું કંઈ બગડી જવાનું નથી
.
નાનીનાની વાતોમાં એ વર્ગની બહાર ઊભા રહ્યા
શાળા વિદાય સમારંભનો જ્યારે ફોટો લેવામાં આવ્યો
છોકરીઓ હંમેશા આગળ બેઠી
અને છોકરાઓ અદબ વાળીને પાછળ ઊભા રહ્યા
તેઓ ફોટોમાં આજ સુધી ઊભા રહ્યા
.
કોલેજની બહાર ઊભા રહીને
જોતા રહ્યા કોઈ છોકરીની રાહ
અથવા કોઈ ઘરની સામે કલાકો ઊભા રહ્યા
એક ઝલક, એક હા માટે
તેઓની અડધી જાત આજેય ત્યાં જ રહી ગઈ છે.
.
બહેન-દીકરીનાં લગ્નમાં ઊભા રહ્યા મંડપની બહાર
જાનનું સ્વાગત કરવા માટે
ઊભા રહ્યા આખી રાત કંદોઈ પાસે
ક્યારેય કોઈ શાક ઓછું ન પડે
ઊભા રહ્યા ખાવાનાં મેજ પાસે
ક્યાંક કોઈ વ્યંજન ખતમ ન થઈ જાય
ઊભા રહ્યા વિદાય સુધી દરવાજાના ટેકે
અને મંડપનો છેલ્લો સ્તંભ સંકેલી લેવામાં આવે ત્યાં સુધી
બહેન-દીકરીઓ જ્યારે પગફેરે આવશે
તેઓ ત્યાં ઊભેલા જ હશે.
.
તેઓ ઊભા રહ્યા પત્નિને સીટ પર બેસાડીને
બસ કે ટ્રેનની બારી પકડીને
તેઓ ઊભા રહ્યા બહેનની સાથે ઘરનાં કામમાં કોઈ વજનદાર વસ્તુ ઊંચકીને
તેઓ ઊભા રહ્યા માના ઓપરેશનના સમયે
ઓ. ટી.ની બહાર કલાકો
તેઓ ઊભા રહ્યા પિતાનાં મૃત્યુ વખતે છેલ્લું લાકડું બળી જાય ત્યાં સુધી
તેઓ ઊભા રહ્યા ડિસેમ્બરમાં પણ
ગંગાનાં બરફીલા પાણીમાં અસ્થિઓ વહાવતા
.
દીકરાઓ,
બરડો તો તમારી પીઠમાંય છે
શું એ ઝકડાઈ જતો નથી ?
.