Category Archives: વાર્તા/નવલિકા

વર્ષોને વાપરે છે-તુષાર શુક્લ

કેટલાંક વર્ષોને વાપરે છે
કેટલાંકને વર્ષો વાપરે છે.
કેટલાંક વર્ષોને ધનની પેઠે સાચવી સાચવીને ખરચવા મથે છે.
એક એક પળનો હિસાબ માંડે છે.
કોઈક વળી છૂટે હાથે ઉડાવે છે.
મજા એ છે કે, કોઈને ય ક્યાં ખબર છે કે મૂડી કેટલી છે ?
બેલેન્સમાં શું છે ? સિલક શું વધી છે ?
એકને ઘટી જવાની ચિંતા છે, એકને વધી પડવાની ફિકર છે.
જે સાચવે છે એ ય વધારી નથી શકતા.
જે વેડફે છે એમનુંય ઘટી તો નથી જ જતું!
પણ, બંનેનું સરવૈયું જુદું જુદું બોલે છે!
કેટલું જીવાયું ને કેવું જીવાયું!
મૂંજી થઈને પૂંજી વધારવા મથવાને બદલે રમૂજી થઈને સમજી લેવાની જરૂર છે,
હસતાં આવડશે તો જીવતાં આવડશે.
ઈશ્વર પાસે આંસુ ને સ્મિત બંનેના ખડિયા છે,
એમની કલમ ક્યારેક આંસુ તો ક્યારેક આંસુમાં કલમ ડૂબાડે
ત્યારે હસી પડવું એ જ એક માર્ગ!

( તુષાર શુક્લ )

હવે તો-તુષાર શુક્લ

હવે તો મોટાં થયાં!
હવે શેની ઉજવણી?
ઘરડાં થયાં, હવે તો!
આવા ઉદ્દગાર પાછળ વેડફેલા વર્ષોની વ્યથા જ હોય છે.
આજને કાલ પર છોડનારાને મહાકાલ છોડતો નથી.
પ્રત્યેક વર્ષ
પ્રત્યેક માસ
પ્રત્યેક સપ્તાહ
પ્રત્યેક દિવસ
પ્રત્યેક પળ…
આપણને અવસર આપે છે જીવનને આનંદવાનો.
માત્ર આપણી તૈયારી જોઈએ-જીવવાની.
તત્પરતા જોઈએ-માણવાની.
સજ્જતા જોઈએ-સ્વીકારવાની.
વર્ષગાંઠ એ તો પૂર્ણત્વની પ્રાપ્તિ તરફનું વધુ એક પગલું છે
એનો તો આનંદ જ હોય.
ઉત્સવ જ હોય.
ઉમંગ જ હોય
ઉલ્લાસ જ હોય.

( તુષાર શુક્લ )

વર્ષગાંઠ-તુષાર શુક્લ

વર્ષગાંઠ
બે શબ્દો મળીને બને છે આ એક શબ્દ
વર્ષ અને ગાંઠ, વર્ષની ગાંઠ, ગાંઠનો દિવસ.
જે, વર્ષમાં આવે એકવાર.
વર્ષ બદલાયાનું સૂચન કરતી ગાંઠ
વર્ષ વીત્યાની યાદ અપાવતી ગાંઠ

દિવસ એક જ છે, પણ એને જોવાની રીત જૂદી છે
વર્ષ વીતી જવું દુ:ખદ છે
વર્ષનું બદલાવું આશા પ્રેરક છે
નવા જ વર્ષનું શરૂ થવું ઉત્સાહ વર્ધક છે
એક જ દિવસ – ત્રણ જીવન દ્રષ્ટિ
ત્રણે અસર કરે આપણાં જીવનને.

દુ:ખ… આશા… ઉત્સાહ…
આપણે કઈ રીતે જોવા માંગીએ છીએ એ આપણા પર છે.

ડગ ધીમાં પડે, ડગમગે, થંભે કે દોડે…
એનો આધાર આપણી જીવનદ્રષ્ટિ પર !

( તુષાર શુક્લ )

ક્રોધ : કારણ – નિવારણ (૨) – ઓશો

૧.
શાંતિ કંઈ ક્રોધની વિપરીત
દશા નથી, જેને તમે સાધી લો.

હા, એ વાત સાચી છે કે
જ્યાં શાંતિ છે ત્યાં ક્રોધ નથી.
શાંતિ છે ક્રોધનો અભાવ,
તેનાથી વિપરીત નહિ.

લોકો એમ માને છે કે
શાંતિ, ક્રોધથી વિપરીત દશા છે;
માટે ક્રોધને દૂર કરશું
તો શાંતિ પ્રાપ્ત થશે.

નહિ, ક્રોધને દૂર કરવાથી
શાંતિ પ્રાપ્ત નહિ થાય;
તેમ કરવામાં તો તમે
વધુ અશાંત થઈ જશો.

આ પ્રયત્નથી તો એટલું જ બને
કે તમે શાંતિનું એક આવરણ ઓઢી લો
એક અંચળો ઓઢી લો…

અને અંદર તો બધું દબાયેલું રહે-
ઝેરની જેમ, પરુની જેમ;
જે ગમે ત્યારે ફૂટી શકે.

૨.
તમે જ્યારે કહો છો કે-
‘હું ક્રોધી છું, મારે અક્રોધી બનવું છે’
ત્યારે તે વાતનો અર્થ તમે સમજ્યા ?

તમે ક્રોધને કારણે
અત્યંત અસહિષ્ણુ થઈ ગયા છો.
તમે ક્રોધને
ધૈર્યપૂર્વક સ્વીકાર નથી કરી શકતા.

તમે મનમાં કહો છો-
‘ક્રોધ અને તે પણ મારામાં ?
મારા જેવો સજ્જન કંઈ ક્રોધ કરે ?
નહિ, આ વાત તમને ગમતી નથી.

અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
મારે ક્રોધથી મુક્ત થવું છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ…
મારે તેનાથી મુક્ત થવું જ છે.’

તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છું છો.

અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.

( ઓશો )

ક્રોધ : કારણ – નિવારણ (૧) – ઓશો

૧.
તમે કેટલી વખત વિચાર્યું છે કે-
હવે ક્રોધ નહિ કરીએ.

તમે શાસ્ત્રોને સાંભળીને, વાંચીને;
બરાબર સમજી ગયા છો કે-
ક્રોધ પાપ છે, ઝેર છે.
તેનાથી કોઈ લાભ નથી થતો.

તેમ છતાં જ્યારે પણ ક્રોધ આવે છે
ત્યારે તમે તેના ઝંઝાવાતમાં ખોવાઈ જાઓ છો;
સાંભળેલી કોઈ પણ વાત યાદ જ નથી આવતી.

૨.
ક્રોધ જ્યારે તમારા અંતરના બગીચાને
વેરવિખેર કરીને ચાલ્યો જાય છે
ત્યારે ફરીથી ભાન આવે છે
અને તમને પસ્તાવો થાય છે.

પરંતુ હવે પસ્તાવાનો શો અર્થ
જ્યારે નુકશાન થઈ ચૂક્યું ?

આ એક જૂની કુટેવ પડી ગઈ છે.
ક્રોધ કર્યો, પછી પસ્તાવો કર્યો;
ફરીથી ક્રોધ આવ્યો, ફરીથી પસ્તાવો…

આ રીતે ક્રોધ અને પસ્તાવો
એકબીજાના સાથીદાર બની ગયા છે,
તેમાં હવે કોઈ તફાવત જ નથી રહ્યો.

તમારો પસ્તાવો તમારા ક્રોધને રોકી નથી શકતો.

આ હકીકત પરથી એક વાત સ્પષ્ટ થાય છે
કે-તમે હજુ તમારા ક્રોધને યોગ્ય રીતે
તેના વાસ્તવિક રૂપમાં જાણ્યો નથી.

તમે ક્રોધ વિષે માત્ર સાંભળી-સાંભળીને
માની લીધું છે કે – ક્રોધ ખરાબ છે.
પરંતુ તે તમારું પોતાનું આત્મદર્શન નથી.

( ઓશો )

શ્રી મણિબહેન પટેલ-દિવ્યા સોની “દિવ્યતા”

Manibahen-Patel
.
લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હમણાં ઘણું ચર્ચિત બન્યું છે. આ નામની આડ નીચે ઘણા મરવા અને મારવાની વાતો કરી રહ્યા છે. એ ભાઈ બહેનોને એક સવાલ પૂછવો છે કે શું આ લોહપુરુષ વિશે અને એમના પરિવાર વિશે કંઈ જાણો છો ખરા ? સરદાર વલ્લભભાઈ પાછળ પણ કોઈ નારીનો હાથ હોઈ શકે એવું વિચાર્યું ? આ નારી એમના પત્ની ન હતા. એમના પત્ની શ્રી ઝવેરબા તો એમના બાળકો મણિબહેન ઉ. વ. ૭ અને ડાહ્યાભાઈ ઉ.વ. ૫ ના થયા ત્યારે જ દેવલોક પામ્યા. ત્યારબાદ શ્રી વલ્લભભાઈ બીજા લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. આ પુરુષ પાછળની તાકાત કઈ નારી બની એ જાણવું છે ? એ હતા સરદાર વલ્લભભાઈના પુત્રી શ્રી મણિબહેન પટેલ.

જયારે સરદાર પટેલ નિર્ણય લે છે કે હું બીજા લગ્ન નહીં કરું ત્યારે આ પ્રતિજ્ઞાની પાછળ માત્ર અને માત્ર તેમના બાળકો પ્રત્યેની તેમની લાગણી હતી, અને જયારે મણિબહેન પોતે લગ્ન અવસ્થાએ પહોચ્યાં ત્યાં સુધી તેઓ પિતાના મંત્રી, ધોબી, રક્ષક, ચાકર તરીકે સ્વતંત્રતા ચળવળના પડછાયા સમાન બની રહ્યા હતા. એ સારી રીતે જાણતા હતા કે પિતાને હમણાં એમની ખુબ જ જરૂર છે અને આ નવયૌવનાએ પોતે પણ આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા કરી. આ નિર્ણય વિશે જયારે મણિબહેન શ્રી વલ્લભભાઈને જણાવે છે ત્યારે વલ્લભભાઈ ખુબ જ દુ:ખી થાય છે, અને તેઓ ગાંધીજીને કહે છે કે તમે મણિબહેનને સમજાવો. પૂજ્ય બાપુ આ વિષયે મણિબહેન સાથે વાત કરે છે અને એમના દ્રઢ નિર્ણય ને મનોમન વંદન કરે છે. ત્યારબાદ પિતાનો પડછાયો બની શ્રી મણિબહેન પટેલ પોતાનું આખું જીવન દેશ માટે કુરબાન કરે છે. ચાલો આજે આ સરદાર પુત્રી વિશે વધુ જાણીએ.

ઈતિહાસ ગવાહ છે કે આપણને મોટી મોટી વાર્તાઓ ગમે છે. જે બડાઈ મારે એની ચર્ચાઓ પણ ઘણી થાય છે. રાવણના રાજ્ય વિષે ઘણું લખાયું છે. રામે લંકા પર જીત મેળવી અને વિભીષણને આ રાજ્ય સોપાયું ત્યાર પછી લંકાનું શું થયું એ વિશે લોકોને જાણ નથી. કારણ કે વિભીષણ કર્મ કરવામાં માનતા હતા, બડાઈ કરવામાં માનતા ન્હોતા. મણિબહેન પટેલ પણ લોકમાનસમાં ‘વિભીષણ’ના દુલારા નામે ઓળખાતા હતા. લોકો ને એમના માટે ખુબ જ માન હતું. એક નાનો કિસ્સો એમના વિશે જાણવા જેવો છે. દેશ પર જયારે ઇન્દિરાજીએ કટોકટી લાદી હતી તે સમયનો આ કિસ્સો છે. ત્યારે મણિબહેન સંસદસભ્ય હોવાથી દિલ્હીમાં રહેતા હતા. સંસદસભ્ય હોવા છતાં એમની પાસે કોઈ અંગત વાહન ન હતું, એક દિવસ એમને બે બહેનો મળવા આવ્યા. તેઓને મણીબહેને વિનંતી કરી કે, “તમે જો કૈલાસનગર તરફથી નીકળવાના હોય તો મને લેતા જાવ. મારે ત્યાં મારા ભાણેજને ત્યાં જવાનું છે.” આ બંને બહેનોએ તરત જ કહ્યું : “અમે એ તરફથી જ જઈ રહ્યા છીએ તમે સુખેથી અમારી સાથે બેસી જાવ.” જયારે મણિબહેનને કૈલાસનગર ઉતારી તેઓએ ટેક્ષીચાલકને આગળ જવા કહ્યું તો ડ્રાઈવરે પૂછ્યું કે પેલા ઉતરી ગયા એ માજી કોણ હતા ? જયારે બહેનોએ જણાવ્યું કે તેઓ મણિબહેન પટેલ છે, તો તરત તે ટેક્ષી ચાલકે નીચે ઉતરી મણિબહેન જે રસ્તે ચાલી ને ગયા હતાં તે ધૂળ માથે ચઢાવી, અને કહ્યું મણિબહેન દિલ્હી ના વિભીષણ છે. તેઓ વિનાની દિલ્હી લંકા કરતાય ખરાબ છે. આટલું માન હતું આપણાં આ સરદારપુત્રીનું.

પત્નીના નિધનના એકાદ વરસ બાદ શ્રી વલ્લભભાઈને બેરિસ્ટરના અભ્યાસ અર્થે બ્રિટન જઈ ભણવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે બંને બાળકોને પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં મુંબઈ મોકલાવ્યા. જ્યાં મણિબહેનને ફાવ્યું નહિ. જયારે શ્રી વલ્લભભાઈ પાછા ભારત પાછા ફર્યા ત્યારે તેઓ મણિબહેનને લઇને અમદાવાદ આવ્યા. ત્યારે મણિબહેનની ઉંમર આશરે દસેક વર્ષ હશે. ૧૯૧૬માં શ્રી વલ્લભભાઈ ગાંધીજીને મળ્યા અને કલબના પત્તા છોડી રેટિયો કાંતતા થયા. ૧૯૧૭માં પ્લેગ ફાટી નીકળ્યો અને ૧૪ વર્ષની કાચી વયે જ મણિબહેને લોકસેવા માટે પોતાનો હાથ લંબાવ્યો. અસરગ્રસ્તોની સહાય કરવા તેઓએ સર્વ પ્રથમવાર જાહેર જીવન માં પ્રવેશ કર્યો.

જયારે મણિબહેન હાઇસ્કુલની પરીક્ષાની તૈયારીઓમાં પડ્યા હતા ત્યારે બાપુએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. મણિબહેન ગવર્મેન્ટ સ્કુલ છોડી વિદ્યાપીઠમાં જોડાયા. ત્યારબાદ ૧૯૩૦ સુધીનો તેમનો જીવનગાળો લોહપુરુષની જીવનગાથા સાથે જોડાયેલો છે. ૧૯૩૦માં વિદેશી છોડો સ્વદેશી અપનાવોની લડતમાં આ ઓછાબોલી, નબળીને અશક્ત લાગતી મહિલા કંઈક નવા જ સ્વરૂપે ઉભરી આવી. તેઓ એક નારી શક્તિને સ્વતંત્રતા સામે જગાડનાર પરીબળ પુરવાર થયા. ગાંધીજી પણ આ નવા મણિબહેનને જોઈને આશ્ચર્ય પામ્યા. વિદેશી કપડાંની હોળી, દારૂના પીઠાનંી પેકેટીંગ આ કામોમાં મણીબહેને આગેવાની લીધી. બાપુ એમના કાર્યને બિરદાવતા એક પત્રમાં લખે છે કે “તારી આ કાર્યશક્તિ જોઈ મને ખરેખર નવાઈ લાગી.” મણિબહેનની ધરપકડ થઈ અને તેમને જેલમાં પણ પુરવામાં આવ્યા. જેલમાં જયારે મહિલાઓની ચૂડી ઉતારી લેવડાવવામાં આવી ત્યારે મણીબહેને સત્યાગ્રહ કરી સુતરની ચૂડી બનાવી.

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં પણ તેઓ સામેલ હતા. મણિબહેન, ભક્તિબહેન, મીઠુંબહેન વગેરેની ટુકડીઓ ખેડૂતોને કર ન ભરવા સમજાવતી, આ બહેનો એ કર વિરુદ્ધ લાઠી ઝીલી.

૧૯૩૮માં રાજકોટની પ્રજાએ ત્યાંના ઠાકોરોએ કરેલ વચનભંગ સામે પૂજ્ય બાપુની મદદ માંગી. બાપુ કોંગ્રેસના કામમાં વ્યસ્ત હતા અને કસ્તુરબાની તબિયત નાદુરસ્ત હોવાથી બાપુ તેમને એકલા મોકલવા માંગતા ન હતા. ત્યારે મણિબહેન એમની સાથે જવા તૈયાર થયા, ત્યાં રસ્તામાં જ કસ્તુરબાની ધરપકડ કરવામાં આવી. કસ્તુરબાની નાજુક તબિયતને લીધે મણીબહેને જેલમાં તેમની સાથે રહેવા આગ્રહ કર્યો. પણ અમલદારોએ એમની વાત ના માની. તો મણિબહેન ઉપવાસે ઉતર્યા અને ત્યાં સુધી ના જંપ્યા જ્યાં સુધી તેઓને કસ્તુરબા સાથે ખસેડવામાં ના આવ્યા, ત્યાં જઈ બાના હાથે જ એમને ઉપવાસના પારણાં કર્યા. ૧૯૪૨માં ફરી તેઓ હિન્દ છોડો આંદોલનના કારણે જેલમાં ગયા. ૧૯૩૦ થી ૧૯૪૨ સુધી મણિબહેન મુંબઈની લગભગ બધી જ જેલમાં પુરાયા હશે, ઉપરાંત સાબરમતી, થાણા, યરવડા, આર્થર રોડ અને હિંડલગાની જેલમાં તેઓ એટલું લાંબુ રહ્યા હતા કે તે જેલોનો બધી સગવડોની માહિતી એમની પાસેથી મળી રહેતી. એમને મન ‘કમ ખાના અને ગમ ખાના’ જેલની સજા ભોગવવાની સફળ ચાવી હતી. આવા હતા આ સત્યાગ્રહી મહિલા.

સ્વતંત્રતા બાદ સરદાર દેશના ગૃહમંત્રી બન્યા. એમના માથે વિલીનીકરણનો વિકટ પ્રશ્ન હતો, આ સમયે મણિબહેન તેમના અંગતસચિવ તરીકે તેઓની સાથે રહ્યા. દિવસે દિવસે સરદારનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. તેઓ મણિબહેનને એક પત્રમાં લખે છે કે, “હવે મારું તેડું ગમે ત્યારે આવશે . તું તારું વિચાર. મારી પાસે તને આપવા કશું નથી. પણ તું જે કઈ કામ કરવા ઈચ્છે તે મળી શકે એટલું જરૂર કરી શકું.” ૨૫ ડિસેમ્બર ૧૯૫૦એ મહાન આત્મા સરદાર દેવલોક પામ્યા. પણ મણિબહેન જાહેરજીવનથી અલિપ્ત ના થયા.

૧૯૫૧માં તેમની નિમણૂંક નવજીવન ટ્રસ્ટ, કસ્તુરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ, મહાદેવભાઈ દેસાઈ સ્મારક ટ્રસ્ટમાં ટ્ર્સ્ટી તરીકે કરવામાં આવી. અને ૧૯૫૨ની પ્રથમ ચૂંટણીમાં વોટ માંગ્યા વગર તેઓ જંગી બહુમતીથી ચુંટાઇ આવ્યા. ૧૯૬૪ થી ૧૯૭૦ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે દેશની સેવા કરી. ટ્રેનનો પહેલા વર્ગનો પાસ હોવા છતાં તેઓ હંમેશા ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતા. કોંગ્રેસ દ્વારા થતી સરદારની અવગણનાથી દુ:ખી થઇ જયારે ૧૯૭૩માં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે એમણે કોંગ્રેસ છોડ્યું. જનતા પક્ષ તરફથી ૧૯૭૭માં ફરી એકવાર મણિબહેન મહેસાણાથી સૌથી વધુ મત મેળવી ચુંટાયા. ત્યારપછી એમને સક્રિય રાજકારણ છોડી દીધું. ૧૯૮૮માં બધાજ ટ્રસ્ટોમાંથી પણ રાજીનામું આપી. દીધું. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું જ ગયું. ૨૬ માર્ચ ૧૯૯૦ માં ૮૭ વર્ષ ની ઉંમરે તેમનું અવસાન થયું.

બાપુએ આપેલા અગિયાર વ્રતોનું તેમણે આજીવન પાલન કર્યું. ભારતના રાજપથ સુધી પહોંચ્યા પણ તેઓ કદી આ વ્રત ના ચૂક્યા. રેંટિયો અને ખાદીને તેમણે આજીવન જાળવી રાખ્યા. આવા હતા આપણાં મણિબહેન પટેલ જેમણે માત્ર સરદારનો જ નહીં, ગાંધીજીના વ્રતોનો તેમજ કસ્તુરબાનો પણ સાથ ના છોડ્યો. આ પટેલપુત્રીના શિસ્તને, એમના દેશપ્રેમને, એનામાં રહેલી નારી શક્તિને સત સત વંદન.

લોહ પુરુષ નું લોઢું ટીપતાં
ગાંધીજીના વ્રતો ને પાળતાં
શિસ્તપ્રેમી મણીબહેન પટેલ
સાદગીના ગુમાને જીવન જીવી ગયાં

( દિવ્યા સોની “દિવ્યતા”)

પદ્મશ્રી અરૂણિમા સિંહા-દિવ્યા સોની “દિવ્યતા”

[અન્ય ચેનલોનો યુગ શરૂ થયા પછી દૂરદર્શન લગભગ નહીંવત જેવું જ જોવાય છે. થોડા દિવસ પહેલા એક સાંજે ટી.વી. શરૂ કર્યું અને ચેનલ સર્ફ કરતી હતી ત્યાં DD National પર એક પ્રોગ્રામ જોવા મળ્યો..” સ્ત્રી શક્તિ”. તે દિવસે પહેલી વખત અરૂણિમા સિંહાનું નામ સાંભળ્યું અને જ્યારે એના મુખેથી એના જીવન વિશે જાણ્યું ત્યારે એક તરફ પારાવાર દુ:ખ અને બીજી તરફ ગૌરવની લાગણી થતી હતી. દિવસો સુધી અરૂણિમાની કહાની મન અને મગજ પર છવાયેલી રહી. યોગાનુયોગ થોડા દિવસો પછી અરૂણિમા સાથે દિવ્યાને રૂબરૂ મળવાનો મોકો મળ્યો. અને આ લેખ સર્જાયો. “पंगुम लंघयते गिरिम”નું એકદમ સાર્થક ઉદાહરણ એટલે પદ્મશ્રી અરૂણિમા સિંહા. અરૂણિમાનું જીવન માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પણ દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે.-હિના પારેખ “મનમૌજી”]
Arunima-1
.
Arunima-2
.
આજે ફરીવાર આ ઉગતા લેખક ને ઘણું લખવાની, વિચારવાની અને પ્રેરિત થવાની ઘટના સર્જાઈ, અનાયાસે.

આજ સુધી ઘણી સાહસિક વાર્તાઓ, સત્ય ઘટનાઓ વિષે વાચ્યું સાંભળ્યું હતું, પણ જયારે તમે આવા કોઈ મહાન વ્યક્તિત્વને મળો અને એમના અવાજમાં એમની એનર્જી ફિલ કરો, એમનો ઠસ્સો જુઓ એની અનુભૂતિ એકદમ અનોખી જ છે.

આપણા મગજમાં આપણી જાતને સંતોષવા પૂરતી વારંવાર આવતી એક લાગણી….હું જે પરિસ્થિતિમાં છું ત્યાં હું આનાથી વધારે શું કરી શકું ? જે કરું છું એ બીજાની સરખામણી એ ઘણું છે. આપણાથી કોઈ વધારે સફળ વ્યક્તિને મળીએ એમ થાય એને જો બે છોકરા ને આખા દિવસના કામ કરવા પડતા હોય ને તો ખબર પડી જાય. સાંજે આવી ઘર ની હાલત જોઈ જો પતિ કોઇ મજાક કરે તેય ઘણીવાર લાગી આવતું હોય છે. ઘણીવાર જાત ને જ એવું સમજાવવાની કોશિશ કે આ ફિલ્ડ મારું નથી તો હું કેવી રીતે આગળ વધી શકું ? આવા બધા અને બીજા કંઈ કેટલા બહાનાઓનાં તકિયાઓ નીચે બેઠેલા આપણને સૌ રાણીઓને સ્ત્રી શક્તિ, માતા જ બેસ્ટ, બિચારી બાયડી ઘર માટે કેટલા બલિદાન આપે, પોતાની જાત ઘસી નાખે જેવા ફોરવર્ડ્સ જાણે પોતાના માટે જ લખાયાં છેની જે વિચારધારા આપણા સૌનાં મનમાં વહે છે, એ ખોટી માનસિકતાને ધારદાર જવાબ આપતો ચહેરો આજે મને મળ્યો. એજ રીતે એમનું જીવન માત્ર સ્ત્રીઓ માટે જ નહિ પુરુષો, બાળકો કે કોઇ પણ ઉંમરની વ્યક્તિ માટે પણ એટલું જ પ્રેરણાદાયક છે. કે જીવનનો કોઇ અભાવ તમણે નિષ્ફળ બનાવવા માટે જવાબદાર નથી. જે ચાહો એ પામવા દ્રઢ મનોબળ કેળવતા શીખો.

રવિવાર ૧૦/૦૫/૨૦૧૫ સવારે એક મિત્રને મળી સાંજે અમે ન્યુજર્સીના ગાયત્રી મંદિરમાં ગયા, ત્યાં જવાનું મુખ્ય કારણ મારો પુત્ર ત્યાં ચાલતા એક ક્લાસ માં જાય છે એને પીક અપ કરવાનું હતું. બીજા ઘણાં મિત્રો સાથે અમે પણ ત્યાં પહોચ્યાં. જેવા મંદિર માં બેઠા ત્યાં એક સંતને કહેતા સાંભળ્યા કે આ જે મારી બાજુમાં બેઠા છે એને સાંભળો, એ એક સાંભળવા જેવી પ્રેરણાદાયી વ્યક્તિ છે. અને મને એની સાથે કંઈક એવો તાર જોડાયેલો લાગ્યો કે મેં એ લેક્ચર રેકોર્ડ કરવાનું વિચાર્યું અને હું મારી જાતની ઘણી જ આભારી છું કે મેં એ વિચાર તરત જ અમલ માં મૂક્યો.

આ વક્તા કોઈ સામાન્ય વક્તા ન હતા, એ હતા શ્રી અરુણિમા સિંહા. જેઓએ ૨૯ વર્ષની ઉંમરે પદ્મશ્રીનો ખિતાબ મેળવ્યો છે. હું એમને હાલતા ચાલતા ચમત્કાર તરીકે જ ઓળખાવીશ. એમણે બોલવાનું શરુ કર્યું. આજ દિન સુધી આ મહાન વ્યક્તિની યશગાથા મારા કાન સુધી પહોંચી ન હતી, ને જયારે એ પહેલી વાર સાંભળી ત્યારે શરીરનું શું, હૃદયનું ને મગજનું એકે એક રૂંવાડું રોમાંચિત થઈ ગયું. આ લખતા લખતા પણ એવી જ લાગણી અનુભવું છું.

એમના વિષે ટુંકમાં કહીશ તો એમનો જન્મ ૧૯૯૮ માં ઉત્તરપ્રદેશ માં થયો. તેઓ ૨૦૧૧ માં જયારે રાષ્ટ્રિય સ્તરના વોલીબોલ ખેલાડી હતા ત્યારે CIFSની પરીક્ષા ની તૈયારીના કામ અર્થે રેલ્વેની મુસાફરી કરી રહ્યાં હતાં. આ સફર દરમિયાન તેમના કોચમાં ચડી આવેલ ચોર ટોળકીને કંઈપ ણ આપવાની ના પાડતાં, એ ચોરોએ ક્ષણના વિલંબ કે પળ ના ખચકાટ વગર એમને ચાલુ ગાડીએથી બહાર ફેંકી દીધાં. એ જ સમયે બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાતાં દુર્ઘટનામાં એમણે એમનો એક પગ ગુમાવ્યો અને બીજા પગમાં તથા હાથ ખૂબ જ ખરાબ ફ્રેકચરનો ભોગ બન્યો, આવી દુ:ખદ પરિસ્થિતિમાં રેલ્વેના બે પાટાની વચ્ચે તેઓ પોતાનું શરીર સમેટી આખી રાત પડ્યા રહ્યાં. સવારે ગામના લોકો એમને એક નાના દવાખાનામાં લઇ ગયા, જ્યાં એન્સ્થેસિયા કે ઓક્સિજન વગર મુંઝવણમાં પડેલા ડોક્ટરને અરુણિમાએ કહ્યું, “જો હું આખી રાત આ હાલત માં ગુજારી શકી તો આ દર્દ પણ સહી લઈશ. તમે તમારે ટ્રીટમેન્ટ શરુ કરો.” અરુણિમા નો આવો જુસ્સો જોઇ ડૉક્ટર અને હોસ્પિટલ ના અન્ય કર્મચારીઓ એને પોતનુ લોહિ આપવા તૈયાર થયી ગયા. આ નાની હોસ્પિતલમા શક્ય હતી એટલી સર્વાર આપી અરુણિમાને નજીકનાં શહેરની મોટી હોસ્પિટલમાં ખસેડાયા. ત્યાં સુધી મીડિયા એ તેમના પર ટીકીટ વગર સફર કરવાને લીધે ટ્રેન માંથી કુદ્યાનો ગુનો મૂક્યો હતો, જેમ તેમ કરી એની સામે અરુણિમા એ લડત આપી સાચા સાબિત થયા ત્યાં મીડિયા એ ફરી નવો તુક્કો મુક્યો કે એમણે આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. અરુણિમા સિંહાના અંગો જ નહિ, હૃદય પણ આ દુનિયાના અમાનુષી વ્યવહારથી થાક્યું હોય એમ એણે ચુપકીદી સાધી, પોતાના મગજમાં ચાલતી આંધીને પોતાની અંદર ધરબી દઈને એમણે એક નિર્ણય લીધો.

એ નિર્ણય હતો માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો. લોકો અરુણિમાને ધૂની અને પાગલનો ખિતાબ આપી રહ્યા હતા, તો બીજી તરફ રેલ્વે એમને સુસાઈડ કરવાની કોશિષ કર્યાના ગુના હેઠળ જુર્માંનો ભરવાની કોર્ટ દ્વારા માંગ કરતી હતી. તેવા સમયે અરુણિમાએ પગની ટ્રીટમેન્ટ લેતાં લેતાં યુવરાજ સિંહની કેન્સર સામેની સફળ લડતથી પ્રેરણા મેળવી અને પોતાને શારીરિક ખામી હોવા છતાં એવરેસ્ટ ચડવાનું પ્રણ લીધું. એમને એ સાબિત કરવું હતું કે લોકો એમને જોઈને “આ છોકરી હવે જીવનમાં શું કરશે ?” ના સહાનુભૂતિ સભર સવાલને બદલે આવો થનગનતો પ્રશ્ન પૂછે કે, “આ છોકરી જીવનમાં શું નહીં કરી શકે ? તેઓ ટ્રીટમેન્ટની પૂરી થતાં જ હોસ્પિટલથી સીધા ભારતના એવરેસ્ટ સર કરનારા પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ ને મળ્યા. એમના આ સાહસ ને સમજનારા અરુણિમાના કુટુંબ સિવાયના પહેલા વ્યક્તિ છે એવરેસ્ટ સર કરવાની અરુણિમાની મહેચ્છા છે તે જાણીને બચેન્દ્રી પાલ પણ રડી પડે છે અને કહે છે : “અરુણિમા તારી આ પરિસ્થિતિમાં તું એવરેસ્ટ જેવા પહાડ વિષે વિચારી શકી ત્યાંજ તેં તારા મનનો એવરેસ્ટ સર કરી લીધો. હવે કરીશ તે માત્ર દુનિયાને બતાવવા માટે. આ પછી અરુણિમાનું જીવન “જ્યાં ચાહ ત્યાં રાહ” કહેવતને જાણે તથાસ્તુ કરતું હોય એવું છે. એમ નથી કે એ રાહ સહેલો હતો, એ રાહ પણ કદાચ માઉન્ટ એવરેસ્ટના શિખર સર કરવા જેટલો જ કઠિન હતો. પણ “નો પેઇન નો ગેઇન” કહેવતને ભૂલ્યા વગર તેઓ પોતાની મંઝીલ તરફ આગળ વધતા જ રહ્યા.

જે છોકરીએ અપ્રિલ ૨૦૧૧ માં જ પગ ગુમાવ્યો છે એ પોતાના મનોબળને પ્રતાપે અપ્રિલ ૨૦૧૩માં પોતાની એવરેસ્ટ સર કરવાની ફાઈનલ ટ્રેઈનીંગ પૂરી કરી શકે છે. અને મે ૨૦૧૩ માં ૫૨ દિવસનો તનતોડ, મનતોડ અને જીગરતોડ પ્રવાસ ખેડી માઉન્ટ એવરેસ્ટની ટોચે ભગવાનનો આભાર માનવા પહોંચી જાય છે. આ ચમત્કાર નથી તો બીજું શું ?

એમનું પુસ્તકનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાતે વિમોચન કર્યું છે. “બોર્ન અગેઇન ઓન ધ માઉન્ટન”એ પુસ્તક વાંચીને હૃદયમાં જન્મેલાં થોડાં સવાલોના જવાબ શોધવા છે. પુસ્તક વાંચી કદાચ આ વિષય ઉપર ફરી લખીશ. પણ ત્યાં સુધી મારામાંના લેખકને આ મહાન વીરાંગના ઉપર લખતાં રોકવો મારા માટે અશક્ય જ હતું. તેઓને પદ્મશ્રી એવાર્ડ ૨૦૧૫માં ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. તેઓ આટલેથી અટક્યા નથી હવે એમણે પોતનું ધ્યેય વિસ્તાર્યું છે. હવે તેઓ દુનિયાના સાત સૌથી મોટા ખતરનાક ગણાતા શિખરો સર કરવા માંગે છે. અને હું આ જયારે લખું છું ત્યાં સુધીમાં તેઓ એ સાતમાંના ચાર શિખરો તો સર કરી જ લીધા છે. તેઓ બાકીના ત્રણ શિખરો પણ જલ્દીજ સફળતાપૂર્વક સર કરે એવી શુભકામનાઓ સહ હું એમના મનોબળને હૃદયથી વંદન કરું છું. આ સાથે તેઓ સમાજનું આપેલું સમાજને અર્પણ કરતા હોય એમ કુદરતી હોનરતોમાં સહાયતા , સ્ત્રી શિક્ષણ, સલામતી , અપંગ સહાય, રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માંગતી બહેનોને સહાય જેવા બીજા ઘણા લોક સેવાના કાર્યોમાં સતત કાર્યરત રહે છે.

મને અરુણિમાના જીવનયાત્રા ના બધા જ પહેલુ ખૂબ જ ગમ્યાં. જીવનના કોઈ પાસામાં તેઓ નબળા પડતા જ નથી. તેઓ એમના જીવનનો અત્યાર સુધીનો દરેક દિવસ એ એક વીરાંગના તરીકે જ જીવ્યા. રાષ્ટ્રિય કક્ષાના વોલીબોલ પ્લયેરથી માંડીને એવરેસ્ટ સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા. હું એમને અપંગ નહીં કહીશ કારણ કે એમના જેટલી શક્તિશાળી મનોબળ ધરાવતી વ્યક્તિને હું હજુ સુધી મળી નથી. હું એમની આ સફળતાને જ નહીં એમના દરેક દિવસને શાબાશી આપું છું. માત્ર એટલા માટે નહીં કે તેઓ એક સ્ત્રી છે, પરંતુ એટલા માટે કે એમનામાં એક દ્રઢ મનોબળ જીવે છે.

અરુણિમાના જીવનમાંથી થોડી પ્રેરણા લઈએ, અને આપણી કમજોરીઓને આગળ ધરવાને બદલે એને જ આપણી તાકાત બનાવીએ તો ચોક્કસ આપણે આપણું જીવન અનેરાં આત્મવિશ્વાસથી જીવી શકીશું.

એમણે કહેલી થોડી વાતો મને ખૂબ જ ગમી ગઈ છે જે હું અહીં ટાંકુ છું.

• “હું પગથી ક્યારેય ચાલી જ નથી, હું હમેશા મારા હ્રદયથી, મારા મનોબળથી ચાલું છું”.

• “આપણાં જીવનનું સૌથી મોટું જોખમ એ છે જયારે આપણે જીવનમાં કોઈ જોખમ નથી લેવા માંગતા”.

• “જો એવરેસ્ટ સર કરવો હોય તો પહેલા મનોબળ દ્રઢ કરવાનો એવરેસ્ટ ચઢો ”

• “જ્યારે તમે પરિસ્થિતિ સામે લડશો ત્યારે જ તમારા માટે માર્ગો ખૂલશે અને ત્યારે જ ભગવાન તમારો હાથ ઝાલશે”.

• “શરીરની વિકલાંગતા કરતા મનની વિકલાંગતા ખરાબ છે”.

• “જયારે સમાજ પર તમારા કહેવાની અસર થતી નથી ત્યારે જે કહો છો એ કરીને બતાવો ”

અને મારા જેવા સ્ટ્રગલર માટે થોડાં અમૂલ્ય મોતીઓ જે એમનાં મોઢેથી સર્યા…

• “લોકોની નિંદા ને તમને હસી કાઢનારાઓના પેંતરાઓને ઈંટ માની એનાથી જ તમારા સપનાની દુનિયા રચો”.

• “જયારે દુનિયા તમારા ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નોને જોઈ તમને ગાંડામાં ખપાવે ત્યારે સમજો એ ધ્યેય તમારાથી બહુ દૂર રહ્યું નથી”

• “ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો”

અભી તો ઇસ બાઝ કી અસલી ઉડાન બાકી હે
અભી તો ઇસ પરીંદે કી ઇમ્તિહાન બાકી હે
અભી અભી તો મેને લાંઘા હૈ સમુન્દરોં કો
અભી તો પૂરા આસમાન બાકી હે.

( દિવ્યા સોની “દિવ્યતા” ‌)

કાજલ ઓઝા વૈદ્ય સાથે એક મુલાકાત-દિવ્યા સોની “દિવ્યતા”

Divya with Kajal Oza Vaidya

જમીનની ધૂળ પવનના જોરે જેમ આસમાન ની સહેલ કરી આવે છે બસ કંઈક એવી જ રીતે નસીબના જોરે આ લખનારને એક-દોઢ કલાક શ્રી કાજલ ઓઝા વૈદ્ય સાથે વીતાવવાનો મળી ગયો. સાવ અચાનક.

વાત કંઈ આમ બની, થોડા દિવસ પૂર્વે મેં ફેઈસબુક પર કાજલમેમની પોસ્ટ જોઈ કે “રવિવાર તા. ઓગષ્ટ ૯, ૨૦૧૫ના દિવસે સાંજે ૪ વાગ્યે હું મારા બધા વાચકોને ટીવી એશિયા સાથે મારા ટોક શો માટે આમંત્રણ પાઠવું છું.” થોડી મુંઝવણ સાથે મેં આ માહિતી થોડા મિત્રો સાથે શેર કરી, પણ પુરતી માહિતીના અભાવે કોઈને ફોર્સ કરવાનું મને વ્યાજબી ના લાગ્યું. મારે તો જવું જ હતું, મારું લક ટ્રાય કરવા અને એ આત્મવિશ્વાસથી છલકાતી ગરવી ગુજરાતણને જોવા. મારા કેલીફોર્નિયાના એક મહિનાના વેકેશનને માણીને અમે શનિવાર સવારે ૩ વાગ્યે ઘરે પહોંચ્યા, બપોરે ૧૨ વાગ્યે જેમ તેમ ઉઠી, ચા પીતા પીતા મારા પતિને જણાવ્યું કે મારી આ પ્રોગ્રામમાં જવાની ઈચ્છા છે. બસ પછી શું ? એ મારી પાછળ મંડ્યા, જોજે આ ચાન્સ મિસ ના કરતી. હું બંને છોકરાઓને સંભાળીશ. અને મેં કાજલ ઓઝા વૈદ્યને મળવા જવાનું મન બનાવ્યું.

ન્યુ જર્સીના “ચાલો ગુજરાત”ના કાર્યક્રમ દરમ્યાન હું વેકેશન અર્થે બહાર હતી એ વાતનો મને સતત અફસોસ રહ્યો હતો. અને તમારામાંથી ઘણાંને જાણ હશે કે છેલ્લા ચારેક મહિનાઓથી મેં પણ ભાગ્યું તૂટ્યું આવડે એવું લખવાનું શરુ કર્યું છે, જેમ જરા સારું ક્રિકેટ રમતા બાળકને તરત જ સચિનની મિસાલ અપાતી હોય છે, એમ મારા જેવા નાના ગુજરાતી મહિલા લેખકને કાજલમેમની મિસાલ સહેજે અપાય એ સ્વાભાવિક છે. એટલે મારા ઘણા મિત્રોનો ખાસ કરીને હિનાબેનનો આગ્રહ હતો કે હું કાજલમેમને મળું, સાંભળું. મળવા જવા માટે ત્રણ સાથીમાંથી બે અને અંતે હું એકલી આ પ્રોગ્રામ માટે જવા નીકળી. જાણે દીવો સુરજને મળવા જાય એમ.

૪૦ મીનિટ ના ડ્રાઈવ દરમ્યાન કંઈ કેટલી મુંઝવણો મને ઘેરી રહી. કેવો હશે પ્રોગ્રામ ? મને અંદર જવાનો ચાન્સ મળશે ? હું શું વાત કરીશ મેમ સાથે ? જેવા અગણિત સવાલોએ મનને કબ્જે કર્યું અને ત્યાં જ મારી કાર આગળની ચોથી જ કાર અકસ્માતમાં સપડાઈ. હું ધ્રુજી ગઈ, પણ રામ રાખે એને કોણ ચાખે ? મેં ધ્રુજતા હાથે હંકાર્યે રાખ્યું. હવે હું આગળ વધુ વિચારી ના શકી અને મેં મનોમન નક્કી કર્યું કે જો મને પ્રશ્ન પૂછવાનો ચાન્સ મળશે તો હું મેમને બસ એટલું પૂછીશ કે “તમારા આત્મવિશ્વાસથી છલોછલ આત્માને મારે બસ એકવાર ભેટવું છે. એ આત્મવિશ્વાસનું એકાદ ટીપું મારે પણ ઝીલવું છે, એક હગ મળશે ?” એમની અને મારી વચ્ચેના અંતરને જોઈ બસ આટલું જ વ્યાજબી લાગ્યું. મારી ખાસ મિત્રની નાની દીકરીને જોવાનું મારું પહેલું સ્ટોપ હતું. એને મળી. થોડી વાર થઈ ત્યાં તો મારા હબીનો મેસેજ આવ્યો જલ્દી જા ત્યાં લાઈન હશે. અને હું દોડી, લગભગ ૩:૨૫, બપોરનો સમય, કારમાં પેટ્રોલ એકદમ ખાલી. માંડ ૧૦ માઈલ્સની રેંજ બાકી, તોય મેં ટીવી એશિયાના પાર્કિંગમાં પહોંચીને ગાડી પાર્ક કરી. સાવ સુની જગ્યા હતી. ટીવી એશિયાના બિલ્ડિંગની લગોલગ આવેલા એક મકાનમાં થોડા માણસો મેં જોયા, મને થયું આજ એ લાઈન હશે. તોય એ કન્ફર્મ કરવા મેં પહેલાં ટીવી એશિયાની ઓફિસમાં જ જવાનું નક્કી કર્યું.

નાના અમથા કોઈ વહેળાને સાગર સામે ચાલી મળવા આવે એમ મેં કાજલમેમને એ ઓફીસની બહાર નીકળતાં જોયા, હાય હેલો કરી ને હું એમને બસ વળગી પડી. જાણે કે આ મારો છેલ્લો ચાન્સ હોય એમની આટલી નજદીક પહોંચવાનો, એ થોડા મુંઝાયેલા દેખાયા ને બોલ્યા તમે ફલાણાં બેન છો ? મેં કહ્યું, ‘ના હું તો બસ તમારી ફેન છું. તમારો પ્રોગ્રામ જોવા આવી છું.’ મેડમે થોડા દિલગીર અવાજે કહ્યું, સોરી એ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે. મેં પણ બોલતા બોલી જ નાખ્યું, કશો વાંધો નહીં, હું તો બસ તમને મળવા આવી છું. અને તમે અહીં જ છો. અને તરત બીજો સવાલ મારા મોમાંથી નીકળી જ ગયો, પ્રોગ્રામ રદ છે તો તમે અહીં કેમ ? અને હું થોડી ધ્રુજી કે પંચાત ક્યાં ચાલુ કરી મેં. પણ મેમનો જવાબ સાંભળી હું જરા રિલેક્ષ થઈ. એ બોલ્યા એ વાત જરા લાંબી છે હું તને પછી કહું બેટા, પહેલા મને કહે કે આમાંથી ગાયત્રીની કાર ક્યાં છે ? હું પાછી હસી ને બોલી હું તો બસ તમારી ફેન છું. હું અહીં કોઈને જાણતી નથી. પછી અમે મેમનો સામાન એક કારમાંથી બીજી કારમાં મુકતાં મુકતાં એવાં વાતે વળગ્યા જાણે વરસો જુના મિત્રો. એ પાંચ મિનીટ મને રોમાંચિત કરી ગઈ, કે આટલા મોટા ગજાના લેખિકા છતાં એમની વર્તણુંક કેટલી પોતીકી લાગે ? ત્યાં જ એમના ખાસ ફ્રેન્ડ ગાયત્રીજી બહાર આવ્યા અને એમની કાર અમને બતાવી કાજલમેમએ એમની ધૂનમાં મારી સાથે વાતો કર્યે રાખી. અને એમના મિત્રની આંખોમાં મને પ્રશ્નાર્થ ચિહ્ન તરતું દેખાયુ. એમની મુંઝવણ દૂર કરતાં મેં કહ્યું. હું બસ એમનો પ્રોગ્રામ જોવા આવી છું. અને એ બોલ્યા ઓહ ઓકે.

પછી અમે બધાય ટીવી એશિયાની ઓફીસમાં પ્રવેશ્યા. અંદર એક મોટી ઉંમરનું દંપતી બેઠું હતું. તેમની ઓળખાણ કાજલમેમએ એમના ફેમીલી તરીકે આપી. થોડીવાર પછી બીજું એક દંપતી પણ મારી જેમ જ આ પ્રોગ્રામ માટે આવ્યું. કાજલમેમએ એમને પણ આવકારતા કહ્યું, આવ્યા એ સારું કર્યું, આવો. પછી અમને સૌને પોતાનાં વ્યાખ્યાનોની એક એક સીડી પોતાનાં ઓટોગ્રાફ સાથે ભેટમાં આપતાં એ બોલ્યા કે આજે તમને પ્રવચન સાંભળવા નહીં મળે. મારા કારણે તમને સૌને ફેરો પડ્યો. ત્યાં મેં ફરી ટાપસી પુરાવતા કહ્યું આજની મારી ખ્વાઇશ તમને એક હગ કરવાની હતી એ તો પૂરી થઈ જ ગઈ છે. અને એ માટે હું મારી જાતને ખુબ ભાગ્યશાળી માનું છું. આ રીતે કાજલમેમને એમના મિત્રો સાથે વાતો કરતા અને વર્તતા જોવા એ પણ આગવો લાહ્વો છે. અને અમે બધા હસી પડ્યા.

થોડી આમ તેમની વાતો કરતાં કરતાં કાજલમેમ ચા બનાવવા ઉભા થયા, હું હવે શું કરુંનો વિચાર કરું એ પહેલાં જ કાજલમેમ નો સાદ સંભળાયો, દિવ્યા તને વાંધો ના હોય તો ઉપર આવ આપણે સાથે ચા બનાવીએ, જાણે મારો જેકપોટ લાગ્યો હોય એમ હું લોહચુંબકની પાછળ લોઢું દોડે એમ હું એમની પાછળ દોડી. ધડાધડ કામ કરતા, ચાલતા, વાતો કરતા કાજલમેમની સાદગીમાં રહેલો ઠસ્સો મને ખુબ ગમ્યો. લેખકને કળવો અઘરો પણ કાજલમેમ તો લેખકની સાથે સારા કલાકાર પણ છે. એટલે એમના ભાવો વાંચતા મને વાર ના લાગી. મને ગમતી દરેક પળને હું કેમેરામાં કંડારવા હંમેશા તત્પર હોઉં છું, એમ કહું તો ચાલે કે હું ફોટા લેવાની બંધાણી છું. મારા આ સ્વભાવને કાબુમાં રાખી આ ક્ષણોનો ફોટો ના લેવા માટે મારી જાતને બાંધી રાખવી એક સજા જેવી લાગી રહી હતી. પણ મેં કાબુ જાળવી રાખ્યો. હું કાજલમેમના ગમા- અણગમા, થાક-નિરાશાની લાગણીઓને એમના ચેહરા ઉપર આવતા જતાં જોતી રહી, અને એ થોડી થોડી વારે દિવ્યા દીકરા, દિવ્યા દીકરા કહી મને સંબોધતા રહ્યા. ચા બની ગઈ એટલે અમે બંને ચાના કપ લઈ ફરી નીચે આવ્યા. કાજલમેમ બાકીનાને ચા આપવા અંદર ગયા. ત્યાં મારી સાથે બેઠેલ દંપતી જેને કાજલમેમે ફેમીલી કહી ઓળખાણ કરાવી હતી એ રામભાઈ બેઠા હતા. એમની સાથે સત્સંગ શરુ થતા જાણવા મળ્યું કે એ ગુજરાતી લીટરેચર અકાદમીના પ્રેસિડન્ટ છે, હું મારા અહોભાગ્યને માની ના શકી. ત્યારબાદ ટીવી એશિયાના જાણીતા કાર્યકરો અને દિગ્ગજો ની વાતો અને ચર્ચાઓ સાંભળવાનો મોકો પણ મને મળ્યો.

બાકીનો સમય કાજલમેમના હસી મજાક, જોક, ટીકા ટીપ્પણી સાંભળવામાં ગાળ્યો, જે સંબંધોમાં હળવી રમુજો ચાલતી રહે છે એ ખુબ જ સ્વસ્થ હોય છે. આટલી મોટી પર્સનાલીટી હોવા છતાં જે રીતે હું કાજલમેમ ને મળી એ ક્યાં તો એમનો દરિયાદિલ સ્વભાવ અને ક્યાં તો મારું નસીબ હતું. પણ હું માનું ત્યાં સુધી સરળ સ્વભાવ એ કાજલમેમના લોહીમાં છે. અને મનમાં હોય એ સીધું કહી દેવાની હિંમત પણ. આ બધું એક જ વાર મળ્યા હોવા છતાં એટલે કહી શકું છું કેમકે હું માનું છું કે ભગવાને મને માણસ પારખવાની સૂઝ ઘણી સારી આપી છે. એકવાર મળતાં જ ઘણી વાતો કળતા મને આવડે છે, કદાચ એ મારા ઝીણું ઝીણું નિરીક્ષણ કરવાના સ્વભાવની સોગાત છે. આ અચાનક થયેલી મુલાકાતથી હું એટલી આનંદમય થઈ ગઈ હતી કે ત્યાંથી નીકળવાનો તો વિચાર પણ મને ના આવ્યો, બસ કાજલમેમના શબ્દો, હાવભાવો, મિત્રો સાથેની એમની ટીખળો, એમના મગજમાં ચાલતા વિચારોના અથડાટના એમના ચહેરા પર પડતા લીસોટાઓ… આ બધું જ અનુભવતી હું કાજલમેમની બાજુની ખુરશી પર જાણે ચોંટી જ ગઈ હતી. કાજલમેમને આટલા સાદાઈથી બેઠેલા જોઈ મને એક જ સવાલ થયો. આ એ જ લેખિકા છે જેણે પોતાની કલમ ના જોરે કંઈ કેટલાય મન મોહી લીધા છે, આ એ જ વક્તા છે જેણે પોતાની વાક્છટાથી લાખોને મંત્રમુગ્ધ કર્યાં છે. અને આ એ જ કલાકાર છે જેમણે કંઈ કેટલાયના ચિત્ત ચોરી લીધા છે. કૃષ્ણ ના જીવન સાથે જો આ પરિસ્થિતિને સમજાવવાની કોશીશ કરું તો કહી શકું “ક્યાં એ યોગેશ્વરનું વિશાળ વિશ્વસ્વરૂપ અને ક્યાં ગોપાળો સાથે રમતાં કૃષ્ણનું એ મનમોહક રૂપ” પોતાની બધી જ લીલાઓ સંકેલી ધ્રુજતા અર્જુન પાસે બેઠેલા એ વાસુદેવ જેવા જ ભાસ્યાં મને.

એમનો attitude અનુભવવાવાળા માટે હું એટલું કહીશ કે વ્યક્તિના મુડ પર ઘણી વસ્તુઓ અસર કરતી હોય છે, કોઈવાર તીખા ટીકાકારો ને ચૂપ કરવા તો કોઈક વાર ઘણી મોટી મેદનીને કંટ્રોલ કરવા પણ તેમણે થોડું strict રહેવું પડ્યું હોય. એક સ્ત્રી છું એટલે કહી શકું છું મુડનો ઉતાર ચડાવ એ સ્ત્રી સ્વભાવની સાથે જડથી જ વણાયેલો નથી ? શું આપણે સૌ પણ કંઈક આવા જ નથી ?

આ દરમ્યાન રામભાઈ કાજલમેમની લેખનકળાના ને કાજલબેનન દ્રષ્ટાંતો આપીને રામભાઈના મોભાના વખાણ કરતા હતા. ખૂબ જ રોચક સંવાદ અને આવા મધુર સંબંધો જોઈ મને ખુબ જ આનંદ થયો. આ બધામાં ટીવી એશિયાના એમ્પ્લોયી અને કાજલમેમના ખાસ મિત્ર ગાયત્રીબેન થોડી થોડી વારે આવીને હાજરી પૂરાવતા હતા. એમના વિશે આટલું કહેવાનું નહિ ચુકું કે તેઓ ખૂબ જ મીઠા વ્યક્તિત્વના છે. અને રામભાઈના પત્નીનો સ્વભાવ પણ ખૂબ જ લાગણી ભરેલો છે એ મેં અનુભવ્યું. થોડી વાર થતાં રામભાઈ બોલ્યા હું ૪:૪૫ સુધી અહીંથી નીકળીશ, અને મેં કહ્યું હું તો કાજલમેમ જવાનું કહેશે કે એ અહીંથી જશે ત્યાં સુધી અહીંથી નહીં ડગું. અને ફરી પાછો વાતોનો દોર શરુ થયો. કાજલમેમ જવાની તૈયારી કરવા લાગ્યા અને હું બસ આ લ્હાવો મળ્યાનો જશ્ન મનાવતી એમના પાછા નીચે આવવાની રાહ જોતી ત્યાં જ બેઠી. એ આવ્યા એટલે મેં એમને મારા લેખનના શોખ વિષે જણાવ્યું અને એમને મારુ થોડું લખાણ વંચાવ્યુ પણ ખરું, એમણે શાંતિથી એ વાંચીને કહ્યું “સરસ છે”. સાથે બોલ્યા મને ઈ-મેઈલ કરજે હું શાંતિથી વાંચીશ. હું મનોમન બોલી, તમે મારું લખાણ હાથમાં લીધું એ જ મોટી વાત છે. હું શું તમને ઈમ્પ્રેશ કરવાની હતી ? આ તો બસ મારા સંતોષ ખાતર.’ ત્યારબાદ મેં કાજલમેમને મારી સાથે એક પિક્ચર પડાવવા વિનંતી કરી, ગાયત્રીબેને ખૂબ જ પ્રેમથી અમને પિક્ચર પાડી પણ આપ્યા. મેં એક પિક્ચર રામભાઈ અને એમના ધર્મપત્ની સાથે પણ પડાવ્યું. ગાયત્રીબેન સાથે પિક્ચર લેવાનું રહી ગયું એનો અફસોસ જરૂર છે મને. ત્યાર બાદ અમે સૌ બહાર નીકળ્યા. એક બીજાને હગ આપી શુભેચ્છાઓ પાઠવતા અમે સૌ છુટા પડ્યા.

કોઈકને અચાનક એક દિવસ માટે રાજા બનવાનો મોકો મળે ને કેવી અનુભૂતિ થાય બસ એવું જ કંઈક મેં ત્યારે અનુભવ્યું. કારણ કે જે પ્રોગ્રામ માં ૧૦૦-૧૫૦ માણસો આવવાની ધારણા હતી એ ઈવેન્ટ કેન્સલ થયાના ઈ-મેઈલ બધાને મળ્યા. એ ઈ-મેઈલ વાંચ્યા વગર બે વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા અને તરત જ ત્યાંથી રવાના થઈ ગયા હતા. અને એ ઈ-મેઈલ ચેઈનથી અપવાદ એવા બે જે ફેસબુક પોસ્ટ વાંચી ત્યાં પહોચ્યાં હતા એમાનાં એક બેન ત્યાં છેલ્લી ૧૦-૧૫ મિનીટ માટે ત્યાં હતા, બાકીની એક તે હું , ગાયત્રીબેન કાજલમેમનું ત્યાં આવવાનું અને રોકાવાનું કારણ બન્યા હતાં જે એમને ત્યાંથી એમની સાથે લઈ જવાના હતા. એમના કામના કલાકો સાંજે ૫ વાગ્યા સુધી હોવાથી મને અને કાજલ મેમને મેળવતું લાભનું ચોઘડિયું જાણે મારા માટે જ ગોઠવાયું હતું. મારા માટે જ જાણે આ પાનાં ગોઠવાયાં હતા.

જે કોઈ દીવાએ સુરજને મળી ને, કોઈ ગઝલે ગાલીબ ને મળી ને, ક્રિકેટ ચાહકે સચિન ને મળી ને, અને દેશપ્રેમીએ ગાંધીજીને મળી ને જે અનુભવ્યું હશે એવું જ કંઈક મારા જેવા ઉગતા લેખકે શ્રી કાજલ ઓઝા વૈદ્ય જેવા મોટા ગજાના, ધારદાર વ્યક્તિત્વ ધરાવતાં લેખિકાને મળીને અનુભવ્યું. એ મારો સમય હતો ને મેં એ ભરપુર જીવી લીધો. હવે કાજલમેમ મને ઓળખશે કે નહિ ? બીજી વાર આવી સરળતા સાથે મળશે કે નહિ ? મારા ઈ-મેઈલનો જવાબ આવશે કે નહી ? હું આ મિત્રતા આગળ વધારી શકીશ કે નહિ ? જેવા સવાલો કે અપેક્ષાથી પર રહી આજે તો હું બસ તમારા સૌની સાથે મારો આ અનુભવ શેર કરતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.

(દિવ્યા સોની “દિવ્યતા”)

[દિવ્યા સોની એ ગુજરાતી ભાષાના ઉગતાં કવયિત્રી અને લેખિકા છે. પોતાના શોખ માટે લખતાં આ કવયિત્રી અને લેખિકાની ૨૦૦થીય વધુ નાની મોટી રચનાઓ તમે એમના બ્લોગ https://divyataa.wordpress.com/પર વાંચી શકો છો.
દિવ્યા જય સોની મૂળ સુરત પાસેના નાનકડા ગામ કઠોદરાના વતની. ગામમાં ચાર ધોરણ સુધી ભણી આગળ અભ્યાસ અર્થે એમનાં શિક્ષિકા ફોઈ સાથે અમરોલી(સુરત) સ્થાયી થયાં. B.A. (Economics)ની ત્રીજા વર્ષની પરીક્ષા પૂરી થતાં જ યુ.એસ.એ માં ઈમિગ્રેટ થયાં. અહી એક-બે વર્ષ જોબ કરી. ત્યારબાદ લગ્ન થતાં ટુંક સમય માટે બેંગ્લોર અને ત્યારબાદ સિંગાપોરમાં સાડા ત્રણ વર્ષ વિતાવી પતિ અને પુત્ર સાથે યુ.એસ.એ. પરત ફર્યા. અહીં પણ સમયના ચકડોળે કેલીફોર્નિયાથી રાલે અને રાલેથી હાલ ન્યુ જર્સીમાં સ્થાયી થયા છે. એક પુત્ર (ઓમ) અને પુત્રી (ઈરા)ની માતા એવા દિવ્યા સોની સમયનો અવકાશ મળતાં લેખન કાર્ય તરફ વળ્યાં છે.]

વિદાય વેળાએ (ભાગ-૧)

(23/08/1938 – 25/12/2012)

(23/08/1938 – 25/12/2012)

અને હવે સાંજ પડી.

ત્યારે સાધ્વી મિત્રાએ કહ્યું,

ધન્ય હો આજના દિનને અને સ્થળને અને આપના આત્માને જેણે અમને વચનામૃત સંભળાવ્યાં.

ત્યારે તે બોલ્યા, શું હું બોલતો હતો કે ?

શું હું સાંભળનારોયે નહોતો કે ?

તે પછી તે મંદિરની પગથીઓ ઊતર્યા, અને સર્વ લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. અને તે વહાણ પર જઈ પહોંચ્યા, અને તેની તૂતક પર ઊભા રહ્યા.

અને લોકો ભણી જોઈ, તે પોતાનો સાદ મોટો કરી બોલ્યા :

ઑરફાલીઝના લોકો, તમારી વિદાય લેવા પવન સૂચવી રહ્યો છે.

પવન કરતાં મારી ઉતાવળ ઓછી છે, છતાં મારે હવે જવું જોઈએ જ.

અમે ભટકનારા, હમેશાં એકાંતનો માર્ગ શોધનારા, જ્યાં એક દિવસ પૂરો કર્યો ત્યાં જ બીજો દિવસ ઊગવા દઈએ નહીં; અને જ્યાં અસ્ત પામતો સૂર્ય અમને છોડી જાય ત્યાં ઉદય પામતો સૂર્ય અમને જોઈ શકે નહીં.

પૃથ્વી ઊંઘતી હોય ત્યારેયે અમે તો ફરતા જ હોઈએ.

અમે છીએ દ્રઢ વૃક્ષનાં બીજો; અમારી પક્વતાની અને અમારા અંતરની પૂર્ણતાની દશામાં અમને પવનને હવાલે કરી સર્વત્ર ઉડાડવામાં આવે છે.

થોડો જ કાળ હું તમારામાં રહ્યો, અને તેથીયે થોડા શબ્દો મેં તમને કહ્યા છે,

પણ મારો અવાજ તમારા કાનમાં જીર્ણ થઈ જશે, અને મારો પ્રેમ તમારી સ્મૃતિમાંથી ભૂંસાઈ જશે, તો વળી હું તમારી વચ્ચે આવીશ.

અને વધારે ભાવથી અને આત્માને વધારે આધીન રહેનારી વાણીથી હું તમારી જોડે બોલીશ.

જરૂર, વળતી ભરતીએ હું પાચો આવીશ,

અને મરણ મને સંતાડી દે, અને વિશેષ મૌન મને ઢાંકી દે, તોયે વળી હું તમારી બુદ્ધિને શોધીશ.

અમે મારી શોધ મિથ્યા નહીં જાય.

અને મેં કહ્યું તેમાં જો કંઈ સત્ય હોય, તો સત્ય વધારે સ્પષ્ટ અવાજમાં, અને તમારી બુદ્ધિને વધારે અનુકૂળ વાણીમાં પ્રગટ થશે.

હું પવન સાથે જાઉં છું, ઑરફાલીઝના લોકો, પણ હું શૂન્યમાં ડૂબી જતો નથી.

અને જો આજનો દિવસ તમારી ભૂખને અને મારા પ્રેમને તૃપ્ત કરનારો ન નીવડ્યો હોય, તો તે બીજે દિવસે પાછા આવવાના કરારરૂપે થાઓ.

મનુષ્યના વિષયો બદલાય છે, પણ તેનો પ્રેમ બદલાતો નથી; તેમ જ નથી બદાલતી ઈચ્છા કે એના પ્રેમથી એના વિષયો તૃપ્ત થાય.

ત્યારે જાણો કે વધારે મોટા મૌનમાંથી હું પાછો આવીશ.

ખેતરોમાં ઝાકળનાં ટીપાં વેરી પ્રભાતમાં ઊડી જનારું ધુમ્મસ, ઊંચે ચડી વાદળામાં બંધાઈ, પાછું વરસાદરૂપે નીચે પડે છે.

અને એ ધુમ્મસથી હું જુદા પ્રકારનો નથી.

રાત્રિની શાંતિમાં હું તમારી શેરીઓમાં ફર્યો છું, અને અમરો આત્મા તમારાં ઘરોમાં પેઠો છે,

અને તમારા હૃદયના ધબકારા મારા હૃદયમાં થતા, અને તમારો ઉચ્છવાસ મારા મોં પર અઅવતો, અને હું તમને બધાને ઓળખતો.

સાચે જ, તમારા હર્ષ અને તમારા પ્રેમને હું અજણતો, અને તમારી ઊંઘમાં તમારાં સ્વપ્નો મારાં સ્વપ્ન બનતાં.

અને ઘણીવાર હું તમારી વચ્ચે પર્વતામાળા વચ્ચે આવેલા સરોવર જેવો થતો.

તમારાં શિખરો અને વાંકાચૂકા ચડાવોનાં, અને વળી તામરા વિચારો અને તમારી કામનાઓના ચાલી જતા ગાડરોનાંયે હું પ્રતિબિંબ ઉઠાવતો.

અને મારા શાંત (હૃદ=સરોવર) પ્રત્યે તમારાં બાળકોનું હાસ્ય ઝરણાંઓ થઈને અને તમારા તરુણોની આકાંક્ષાઓથીયે વધારે મોટાં બની તે (ગાનો) મારી પાસે આવતાં.

એ તમારામાં રહેલો અનંત હતો;

તે વિરાટ પુરુષ જેનાં તમે સૌ માત્ર જુદા જુદા કોશો (cells) અને સ્નાયુઓ જ છો,

અને જેના સૂરમાં તમારું સર્વ સંગીત કેવળ અવાજ વિનાના કંપ જેવું જ છે,

એ વિરાટ પુરુષને લઈને તમે વિરાટ છો,

અને તેના દર્શનમાં મેં તમને જોયા અને ચાહ્યા.

કારણ, એ વિશાળ સ્વરૂપમાં ન હોય એવાં કયાં અંતરોને પહોંચવાની પ્રેમની શક્તિ છે ?

કયાં સ્વપ્નાં, કઈ આશાઓ અને કઈ ધારણાઓ ને ઊંડાણને (ઊંડાણ=આકશમાં ઊંચી ઊડ, flight) ઓળંગી શકે ?

લાખનાં ફૂલથી ઢંકાઈ ગયેલા મહાન વનવૃક્ષના જેવો તે વિરાટ પુરુષ તમારામાં વસે છે. (વનવૃક્ષ=દેવદાર Oak. એમાંથી ઝરીને ફૂલની જેમ બંધાતો ગંધવાળો રસ તેને અહીં લાખ કહ્યો છે.-oakapple)

એની શક્તિ તમને પૃથ્વી સાથે જકડી રાખે છે, એની સુવાસ તમને આકાશમાં ચડાવે છે, અને ચિરંજીવિતામાં તમે અમર છો.

તમને એમ શીખવવામાં આવે છે કે સાંકળની જેમ તમેયે તમારી નબળામાં નબળી કડી જેટલા નબળા હો છો.

આ અર્ધું જ સત્ય છે. તમે તમારી જબરામાં જબરી કડી જેટાલા બળવાન પણ છો.

તમારા સૌથી અલ્પ કાર્ય પરથી તમારું માપ કાઢવું, એ સમુદ્રની શક્તિનો એની ફીણની ક્ષુદ્રતા પરથી ખ્યાલ કરવા બરાબર છે.

તમારી નિષ્ફળતા પરથી તમારે વિશે મત બાંધવો એ ઋતુઓને તેમની અસ્થિરતા માટે દોષ દેવા બરાબર છે.

સાચે જ તમે સમુદ્ર સરખા છો,

અને ભારથી લાદેલાં વહાણો તમારા કિનારાઓ પર ભરતીની વાટ જોતાં ઊભાં હોય તોયે, સમુદ્રની જેમ જ, તમેયે તમારી ભરતીને ઉતાવળ આણી ન શકો.

અને તમે ઋતુઓ સરખાયે છો;

અને જોકે તમારા શિયાળામાં તમે તમારા વસંતનો ઈનકાર કરો છો, (એટલે જાણે વસંત આવનાર જ ન હોય એવું દર્શાવો છો. શિયાળો=નિરાશા, વસંત=આશા).

છતાં વસંત તમારામાં જ સૂતેલો હોઈ, પોતાના ઘેનમાં હસે છે અને ખોટું લગાડતો નથી.

એમ ન માનશો કે આ બધું હું તમને કહું છું તે એટલા માટે કે પછીથી તમે એકબીજાને કહો કે, “એણે આપણં સારાં વખાણ કર્યાં. એણે આપણી સારી બાજુ જ જોઈ.”

હું માત્ર વાચામાં જ તે કહું છું, જે તમે તમારા અંતરમાં જાણો છો જ.

અને વાચામય જ્ઞાન એટલે વાતચીત જ્ઞાનની છાયા સિવાય બીજું શું ?

તમારા વિચારો અને મારી વાચા સીલબંધ કરી રાખેલી આપણી સ્મૃતિના તરંગો માત્ર છે;

એ (સ્મૃતિ એટલે) એક દફતરખાતું જેમાં આપણી ગઈ તિથિઓની,

અને જ્યારે પૃથ્વી આપણને કે પોતાનેયે જાણતી નહોતી તે પ્રાચીન કાળની,

અને જ્યારે તે પ્રલયાવસ્થામાંથી પ્રગટ થતી હતી તે ગરબડવાળી રાત્રિઓની નોંધો રખાયેલી છે.

ઘણા જ્ઞાની પુરુષો પોતાનું જ્ઞાન તમને આપવાને અહીં આવી ગયા છે. હું તમારી પાસેથી કંઈક જ્ઞાન મેળવવા આવ્યો હતો :

અને, ખરે જ, જ્ઞાન કરતાંયે કાંઈક વિશેષમને મળ્યું છે.

એ તમારી અંદર રહેલી, અને સદાયે વધતી જતી, ચૈતન્યની જ્યોતિ;

જો કે તમે તો, એની વૃદ્ધિ તરફ દુર્લક્ષ કરી, તમારા દિવસો વહી ગયાનો શોક કરો છો.

જે જીવન શરીરની અંદરના જ જીવનને શોધે છે, તે જ કબરથી ડરે છે.

અહીં કબરો છે જ નહીં.

આ પર્વતો અને મેદાનો પાળણું અને ચડવાનું પગથિયું છે.

જ્યાં તમે તમારા પૂર્વજોને દાટ્યા હોય તે ખેતર પાસેથી જ્યારે જ્યારે તમે જાઓ, ત્યારે તેને સારી પેઠે તાપસી જુઓ; તો તેમાં તમે તમને પોતાને અને તમારાં બાળકોને હાથમાં હાથ મેળવી નાચતાં જોશો.

ખેર, કેટલીયે વાર તમે ન જાણતાંયે આનંદ કરો છો. (એટલે તમારો આનંદ યોગ્ય કારણસર હોય છે, પણ તેના કારણની તમને ખબર નથી હોતી. તમારા પૂર્વજો તમને મૂકીને કબરમાં ન ગયા હોત, તો તમે આજે નાચી શકત નહીં, અને તમે જો મરો નહીં તો ઊંચેયે ચડી શકો નહીં, અને તમારા વંશજો માટે સ્થાન ખાલી પણ કરી શકો નહીં. તમારા રૂપમાં તમારા પૂર્વજો જ વસે છે, અને તમારા વંશજોમાં તમે જ અવતાર લો છો. એ દ્રષ્ટિએ મરણ તપાસો તો એમાં ડરવા જેવું કશું નહીં જણાય.)

વળી કેટલાક તમારી પાસે આવી ગયા છે જેઓ તમારી શ્રદ્ધાને સુવર્ણમય આશાઓ આપી ગયા છે; તેના બદલામાં તમે તેમને માત્ર ધન અને સત્તા અને કીર્તિ જ આપ્યાં છે.

મેં તમને આશાથીયે ઓછું આપ્યું છે, છતાં તમે મારા પ્રત્યે વધારે ઉદારતા બતાવી છે.

તમે મને ચૈતન્ય માટેની વધારે તીવ્ર તૃષા આપી છે.

સાચે જ, જે વડે માણસના સર્વે ઉદ્દેશો સુકાઈ જનાર હોઠ બની જાય, અને સર્વ જીવન એક ઝરણું બની જાય તે કરતાં કોઈ વધારે મોટી ભેટ હોઈ શકે નહીં.

અને મારું માન અને મારો બદલો આ જ વાતમાં રહ્યો છે કે-

જ્યારે જ્યારે હું એ ઝરણા પાસે પીવા આવું છું, ત્યારે તેનું ચૈતન્ય-નીર પોતે જ મને તરસ્યું માલૂમ પડે છે;

અને હું એને પીઉં છું ત્યારે તેયે મને પીએ છે.

(ખલીલ જીબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા)