કીડી-પ્રીતમ લખલાણી

૧.
રાતી
કીડીનું
પગેરું શોધવા
કાળી કીડી
ભટકે
સફેદ ખાંડની
ઢગલીમાં.

૨.
શબ્દને
શ્વેત કાગળ પર
શિસ્તબદ્ધ
હારમાં ઊભેલ જોઈ,
સાકરના કણને
રેઢો મૂકી
કીડી
એક શબ્દને છેવાડે
આશ્ચર્યચિહ્ન સમી
ઊભી રહી ગઈ !


બારાખડીના
અક્ષરે
કીડીને
કાનમાં
એવું તે શું કહ્યું હશે
કે
દેશી હિસાબમાં
ફેરફુદરડી ફરવાનું
ભૂલીને
તે
ચટકા ભરતી થઈ ગઈ !

૪.
કીડી
એટલે
ચૂપચાપ
ખોવાઈ ગયેલ
ક્ષણનું
એક પગલું !

( પ્રીતમ લખલાણી )

ચાર રચનાઓ-ચિનુ મોદી

૧.
અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચંદ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.

૨.
નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા
દરિયા જેવો દરિયો લાગે આ બ્હીઘેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.

૩.
પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.

૪.
બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા
જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા.

( ચિનુ મોદી )

ઝાંઝર-ચિનુ મોદી

હું
રણકાવું ત્યારે રણકવાનું
ઝણકાવું ત્યારે ઝણકવાનું
આમ
જાતે જાતે રણઝણવાનું નહીં
સમજ, સમજ; તું ઝાંઝર છે.
હું કહું :
“બસ, બહુ થયું.”
એટલે મંત્રમુગ્ધ કરતા
તારા ઝંકાર
તારે સમેટી લેવાના, શું ?
હું
રિસાઈને કોપભવનમાં હોઉં
કે
ભરી ભીડથી છૂટવા
એકદંડિયા મ્હેલમાં હોઉં
ત્યારે, જાતે જાતે ઝણકીને, મને
ખલેલ પહોંચાડવાની નહીં-
અબે, તું ઝાંઝર છે
પગમાં પહેરેલું રહે, માથે ચડી ના બેસ.

( ચિનુ મોદી )

કુલદીપ કારિયા

Kuldeep Karia

કવિ કુલદીપ કારિયાનો જન્મ રાજકોટના પડધરીમાં ૨૪ જૂલાઈ ૧૯૮૭ ના રોજ થયો હતો. (પિતા: રાજેન્દ્રભાઈ કારિયા, માતા: લતાબેન કારિયા). ૨૦૦૫માં કલ્યાણ હાઈસ્કૂલ (રાજકોટ) માંથી ધોરણ-૧૨ (કોમર્સ)) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ૨૦૦૮માં રાજકોટની જે. જે કુંડલીયા આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ થયા. ૨૦૦૯માં તેમણે અમદાવાદની ભવન્સ કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કૉમ્યુનિકેશ ખાતેથી જર્નાલિઝમમાં પૉસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે દિવ્યભાસ્કર દૈનિકમાં સબ-ઍડિટર તરીકે (૨૦૦૯ થી ૨૦૧૧), મીડ-ડેમાં સિનિયર સબ-ઍડિટર તરીકે (૨૦૧૧ થી ૨૦૧૨), ગુજરાત સમાચારમાં સબ-ઍડિટર તરીકે (૨૦૧૨ થી ૨૦૧૩) કામ કરેલ છે. વચ્ચે તેમણે અભિયાન મૅગેઝિનમાં રિપોર્ટર તરીકે (એપ્રિલ ૨૦૧૩ થી જુન ૨૦૧૩) પણ સેવાઓ આપી છે. હાલમાં તેઓ રાજકોટ ખાતે ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કાર્યરત છે. કવિ કુલદીપ કારિયાએ સાહિત્ય સર્જનનો પ્રારંભ માત્ર તેર વર્ષની ઉંમરે કર્યો હતો. ૨૦૧૩માં તેમની ગઝલ (ઝાટક્યો પલંગ ત્યાં તરત બ્હાર નીકળ્યા, ઓશીકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા) પહેલી વાર ગુજરાતના પ્રશિષ્ટ સામાયિક ‘નવનિત સમર્પણ’ માં પ્રકાશિત થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી તેમની રચનાઓ નિયમિતપણે ગુજરાતના શિષ્ટમાન્ય સામાયિકો શબ્દસૃષ્ટી, ગઝલવિશ્વ, કવિલોક, કવિતા વગેરેમાં પ્રકાશિત થતી આવી છે. તેમણે કવિતાના ગીત, ગઝલ અને અછાંદસ જેવા કાવ્યપ્રકારોમાં કામ કર્યુ છે. નવેમ્બર ૨૦૧૫માં તેમણે સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે ‘યંગ રાઈટર ફેસ્ટિવલ’માં ગુજરાતી ભાષાના પ્રતિનિધી તરીકે કાવ્યપાઠ કરેલ છે.

મો. નં. 9409404796
E-Mail ID: kuldeepkaria@gmail.com

સ્પર્શ-મનીષા જોષી

આ હું બેઠી છું એ લાકડાની બેન્ચ
આજે જાણે નવેસરથી અનુભવાય છે.
લાકડામાં પડેલી તિરાડો પરથી હટીને
નજર સ્થિર થાય છે,
મારા હાથ પરની કરચલીઓ પર.
કથ્થાઈ રંગના મારા હાથ
ફરી વળે છે,
લાકડાની તિરાડોમાં.
ન સામ્ય, ન વિરોધ.
ઘેટાના મુલાયમ શરીરની ગરમ રુંવાટી પર હાથ ફેરવું
કે પ્રાચીન સ્થાપત્યની ઠંડીગાર ભીંતને હાથ અડાડું,
સંવેદનમાં કોઈ ઝાઝો ફરક હોય એવું નથી લાગતું.
અને છતાં મગજમાં હજી પણ પડી રહ્યા છે,
વિવિધ સંવેદનનાં ચોકઠાં કે વિવિધ સ્પર્શની સ્મૃતિઓ.
ક્યારેક વરસાદમાં ભીંજાઈ રહેલી આ બેન્ચને,
હું દૂરથી જોઉં તો પણ,
મારા હાથ જાણે અનુભવે છે,
ભીના લાકડાના સ્પર્શને.
પલળેલા લાકડાની પહોળી થયેલી તિરાડો,
અને એમાંથી છૂટી પડી રહેલી લાકડાની નાનકડી ફાંસો.
લાકડું દૂર ભીંજાતું રહે છે અલિપ્ત
પણ મારા હાથમાં વાગે છે
એ ઝીણી ઝીણી ફાંસો.
ક્યારેક વંટોળભરી સાંજે,
ધૂળની એક ડમરી
ફરી વળે છે આ લાકડાની બેન્ચ પર.
મારા બેસવાની જગ્યા પરની એ ધૂળ
હું મારા હાથે સાફ કરું છું
અને પછી ત્યાં બેસી રહું છું,
કલાકો સુધી,
હાથ પરની ધૂળ ખંખેર્યા વિના.
દૂર દૂરની શેરીઓમાંથી ઊડીને આવેલી ધૂળ,
મારા હાથ પર જામી છે.
આજે ઘણા વખતે,
મારા હાથ મને ઓળખીતા લાગે છે.

( મનીષા જોષી )

મારી જાતને-પન્ના નાયક

હું મારી જાતને રોકી શકતી નથી :
મનુષ્યોને ચાહતાં
વ્યથામાં સહાનુભૂતિ દર્શાવતાં
ખાનગી વાત છાની રાખતાં
દરિયાકિનારે રેતી પર ટહેલતાં
મોજાંઓનો ઘુઘવાટ કાનમાં સંઘરતાં
પાર્કમાં વૃક્ષોનાં પાંદડાં ગણતાં
ઝરણાં સાથે ગોષ્ઠી કરતાં
વરસાદમાં તરબોળ થતાં
ઘાસ પર ખુલ્લે પગે ચાલતાં
સાડીઓમાં સજ્જ થતાં
ભેટસોગાદો આપતાં
ઘર સજાવતાં
ફૂલો ગોઠવતાં
પકવાન પકાવતાં
પુસ્તકો વસાવતાં
કાવ્યો માણતાં
સંગીત સાંભળતાં
વિનોદ વહેંચતાં
અને
આ બધાની વચ્ચે
કવિતા ન લખ્યાનો
વસવસો અનુભવતાં..

( પન્ના નાયક )

મિલિન્દ ગઢવી

12914875_10207468043793994_1602916511_o

જૂનાગઢના વતની એવા કવિ, સંચાલક મિલિન્દ ગઢવીનો જન્મ 1 મે 1985 ના રોજ મેંદરડા (જૂનાગઢ)નાં દેત્રાણા ગામમાં થયો હતોં. (પિતા: ડોં ભરત ગઢવી, માતા: ચંદનબહેન ગઢવી). તેમણે શાળાકિય શિક્ષણ રૂપાયતણ (અમરેલી), Good Samaritan English Medium High School (અમરેલી), ગુરુકુળ (સાવરકુંડલા), Carmel Convent High School (જુનાગઢ), Saint Xevier’s High School (જામનગર), Saint Mary’s School (પોરબંદર), સ્વામી વિવેકાનંદ વિનય મંદિર (જૂનાગઢ) ખાતે લીધુ. 2009 માં તેઓ સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.Com થયા અને ત્યારબાદ 2011 માં મહારાજા સયાજિરાવ યુનિવર્સિટી, વડોદરા માંથી તેમણે M.B.A ની ઉપાધી મેળવી. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, જુનાગઢ ખાતે આસિસ્ટન્ટ મૅનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે પહેલી કવિતા ધોરણ 6 માં 11 વર્ષની ઉંમરે લખેલી. જ્યારે પહેલી ગઝલ ધોરણ 8 માં હતાં ત્યારે લખેલી. ધોરણ 12 માં આવ્યા પછીથી તેઓ છંદ શીખ્યા અને છંદમા લખવાની શરૂઆત કરી. તેમણે કવિતાના વિવિધ સ્વરૂપો જેવા કે ગઝલ, નઝમ, ગીત, ત્રીપદી, મુક્તક સૉનેટ, અછાદસ, અંજની, ટ્રાયૅલેટ વગેરેમાં કામ કર્યું છે.
Mobile No : 098988 66686, 095865 99699

E-mail Address : milind.gadhavi@gmail.com

Website : http://kavigami.blogspot.com

Bye - Bye

Facebook ID : http://facebook.com/milind.gadhavi

અમે !-કરસનદાસ લુહાર

લો, અલખના ઓટલે બેસી ચલમ પીધી અમે,
ને પળોને ઘેનથી ઘેઘૂર-ઘટ્ટ કીધી અમે.

કે, વળાંકો કેટલા આવ્યા હતા વચ્ચે; નકર-
ચાલવાને કેડી પકડી’તી સરળ-સીધી અમે.

કે, ન’તું મંજૂર જેને ખુશ થવું ક્યારેય પણ;
વેદના સઘળીય એની આંચકી લીધી અમે.

સ્પષ્ટ ને સહેલાઈની એવી પળોજણમાં પડ્યા;
ને સરળતાથી કરી દીધી જટિલ વિધિ અમે.

શ્વાસ કરતાંયે વધારે એમની નિકટ ગયા;
તોય ના પામ્યા અરેરે સહેજ સન્નિધિ અમે !

( કરસનદાસ લુહાર )

વકરેલો ઘાવ-હરકિસન જોષી

લયબદ્ધતા હૃદયની તપાસી લ્યો વૈદ્યજી !
શ્વાસોની ઊંડી ઊંડી તલાસી લ્યો વૈદ્યજી !

ખોટી જગાએ દ્વાર જો ઊઘડી ગયા દિશે;
જલદીથી જડી પાટિયાં વાસી લ્યો વૈદ્યજી !

કથળેલું સ્વાસ્થ્ય હોય છે આપણ બધા કને;
બેસીને મારા ખાટલે ખાંસી લ્યો વૈદ્યજી !

આગળ ગળાથી કાંઈ ઊતરતું નથી હવે,
નસ્તરથી કંઠ થોડો તરાસી લ્યો વૈદ્યજી !

નાડી ન હાથ આવે ને ફરકે ન પાંપણો,
ઢાંકીને શ્વેત વસ્ત્ર ઉદાસી લ્યો વૈદ્યજી !

( હરકિસન જોષી )

વકરેલો ઘાવ-હરકિસન જોષી

ઔષધથી રોગ ઊલટાનો વિફર્યો છે વૈદ્યજી !
મરહમ લાગડ્યો ઘાવ તો વકર્યો છે વૈદ્યજી !

જ્વર શોધવાને રોજ શું નાડી તપાસો છો !
નખ શિખ પૂરા દેહમાં પ્રસર્યો છે વૈદ્યજી !

અંગોને શેકવાની સલાહ દઈ રહ્યા છો પણ;
ભીતરનો મર્જ જન્મથી તરસ્યો છે વૈદ્યજી !

એ પાનખર વસંત શરદ થઈ રહ્યો હવે;
આષાઢી મેઘ થઈને ગરજ્યો છે વૈદ્યજી !

વણસ્પર્શ્યો રહી બેઠો હતો અંત:કરણમાં,
વીજળીની જેમ આજ વરસ્યો છે વૈદ્યજી !

( હરકિસન જોષી )