આ દિવસોમાં હું
કોઈ અજબ મુશ્કેલીમાં છું
મારી ચિક્કાર નફરત કરી શકવાની તાકાત
દિન-પ્રતિદિન ક્ષીણ થતી જાય છે.
અંગ્રેજો પ્રત્યે નફરત કરવા ઈચ્છું છું
તો શેક્સપિયર આડે આવે છે
જેણે મારા પર ન જાણે
કેટલાય ઉપકાર કર્યા છે
મુસલમાનો પ્રત્યે નફરત કરવા ઈચ્છું છું
તો સામે ગાલિબ આવીને ઊભા રહી જાય છે
હવે તમે જ કહો –
એની સામે કોનું ચાલે ?
શીખો પ્રત્યે નફરત કરવા ચાહું છું
તો ગુરુ નાનક આંખોમાં છવાઈ જાય છે
અને મારું માથું આપમેળે ઝૂકી જાય છે
અને આ કંબન, ત્યાગરાજ, મુટ્ટુસ્વામી…
કેટલુંય સમજાવું છું હું મને પોતાને
કે આ બધા મારા નથી
એ તો ઠેઠ છે દૂર દક્ષિણના
પણ કેમે કર્યું મન માનતું નથી
એમને સ્વીકાર્યા વિના
પ્રત્યેક સમયે પાગલની જેમ
ભટકતો રહું છું
કે કોઈ એવો મળી જાય
જેનો ચિક્કાર ધિક્કાર કરીને
મારા જીવને હળવો કરી શકું
પણ કોઈ ને કોઈ, ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક
એવા મળી જાય છે
જેમને પ્રેમ કર્યા વિના રહી નથી શકતો.
.
( કુંવર નારાયણ, મૂળ કૃતિ : હિન્દી, અનુવાદ : સુરેશ દલાલ )