Tag Archives: કુમાર જૈમિની શાસ્ત્રી

વિચારોમાં

વહી ગઈ જિંદગી થોડાઘણા સારા વિચારોમાં

કદી તારા વિચારોમાં કદી મારા વિચારોમાં

.

કરીને આકરું તપ કોઈ અણનમ સ્થાન પામે છે

નથી સાકાર બનતા ધ્રુવના તારા વિચારોમાં

.

બધાં દ્રશ્યો અને પાત્રો ક્રમાનુસાર બદલાતાં,

કરે છે કોણ નક્કી એમના વારા વિચારોમાં

.

સ્મરણ તારાં કદી ગુલમ્હોર પેઠે મ્હોરતાં લાગે

નસોમાં સ્થિર જાણે રક્તની ધારા વિચારોમાં

.

જગતમાં કોણ, ક્યારે, કેમ, કેવાં સ્વપ્નો સેવે છે

મને મળતા રહે છે રોજ વર્તારા વિચારોમાં

.

( કુમાર જૈમિની શાસ્ત્રી )