ગીત-કિરણસિંહ ચૌહાણ

તું જે કહે એ કરું,
ઝેર પીને જીવું, કહે તો અમૃત પીને મરું !

તનમાં ખળખળ વહી રહ્યા છે લોહી કેરાં ઝરણાં,
મનમાં અવિરત દોડે છે મીઠી યાદોના હરણાં.
તેં આપ્યું એ વિકસાવીને અંતે તુજને ધરું.

જેમ તને હું ઝંખું છું એમ તુંય મને ઝંખે છે,
તોય મળાતું નથી હજી એ વાત મને ડંખે છે.
હા મળવાથી ઉત્કંઠાઓ મરી જાય…એ ખરું !

( કિરણસિંહ ચૌહાણ )

જોવા દે મને-બેન્યાઝ ધ્રોલવી

શબ્દ એનો એ જ જોવા દે મને,
ઘર ગઝલ સામે જ જોવા દે મને.

ચંદ્ર, સૂરજ છે કરામત બેઉમાં,
રાત દિવસ તેજ જોવા દે મને.

સાચવેલું વ્હાલ મૂકું પેટીમાં,
પ્રેમ દસ્તાવેજ જોવા દે મને.

પેન કાગળ લૈ કવિતા લખ હવે,
કલ્પનાનો મેજ જોવા દે મને.

ત્રાજવે ચોમાસું મૂકી જોઉં છું,
મેઘનું ય લગેજ જોવા દે મને.

મ્હેક રબની પૃથ્વી પર છે ઊતરી,
હવા આદમ બેજ જોવા દે મને.

જિંદગી ‘બેન્યાઝ’ ડૂબી સાંજના,
સૂર્ય ઢળતો સહેજ જોવા દે મને.

( બેન્યાઝ ધ્રોલવી )

ન કોઈ નિવારણ-હરકિસન જોષી

આ સ્વાસ્થ્યનું કથળવું અકારણ છે વૈદ્યજી !
એક દર્દ બીજા દર્દનું મારણ છે વૈદ્યજી !

જંગલથી જડીબુટ્ટી જરૂર શોધી લાવશે,
પશુઓને ચારનારો આ ચારણ છે વૈદ્યજી !

એ ઔષધે જ સૌને સ્વર્ગવાસી બનાવ્યા;
ટીવીમાં જેનું રોજ પ્રસારણ છે વૈદ્યજી !

ભીંજાઈ ગયા ત્યારે ખરું જાણવા મળ્યું;
વૈશાખના જ તાપથી શ્રાવણ છે વૈદ્યજી !

શું કરશો અહીં ખોલી દવાખાનું એ કહો;
મૃગજળથી છલોછલ જ્યાં ભર્યું રણ છે વૈદ્યજી !

અદ્દભુત કોઈ રોગ લઈ જીવીએ છીએ;
જેનું કદી ન કોઈ નિવારણ છે વૈદ્યજી !

( હરકિસન જોષી )

પ્રશ્ન સનાતન-જયંતી જડિયા

વાદળોને પણ સૂર્યના તડકાનો
લાગતો હશે તાપ
એટલે
વરસાદને બહાને રડી લેતા હશે ?
વૃક્ષોને પણ પર્ણ-ફૂલો-ડાળનો
સહેવાય નહીં ભાર
એટલે
એ પાનખરની રાહ શું જોતા હશે ?
આંખમાં ઉમટેલ સાગરના તરંગો
કેટલાક કરવા સહન,
એટલે શું
અશ્રુધારા થઈ ટપકતા હશે ?

( જયંતી જડિયા )

થઈ ગયું છે-પરાજિત ડાભી

કાગળનું એક કોફિન તૈયાર થઈ ગયું છે,
અક્ષર મરી ગયા તે પુરવાર થઈ ગયું છે.

ડૂબી ગયા જહાજો સંતોને લઈ જનારા,
મડદું તરીને દરિયાની પાર થઈ ગયું છે.

એકાદ ભૂખ્યું બાળક રસ્તે મળી જવાનું,
લાખ વખત આ સપનું સાકાર થઈ ગયું છે.

હામી ભરી નહીં મેં તેની ગઝલમાં તેથી,
એનું વલણ પછીથી તલવાર થઈ ગયું છે.

વ્હેર્યા કરું કલમથી શબ્દોના ઢીમચાઓ,
સાલ્લુ દિમાગ મારું સુથાર થઈ ગયું છે.

( પરાજિત ડાભી )

ભરવાડનો રખેવાળ કૂતરો-સંસ્કૃતિરાણી દેસાઈ

ભરવાડને ચિંતા નથી
તેનો રખેવાળ કૂતરો, છૂટાંછવાયાં થઈ ગયેલાં
ઘેટાંઓને ભેગાં કરી, પરોણા વડે હાંકી, કોઈક વાર વઢી
વાડામાં લઈ આવે છે સાચવીને
ઘેટાં રોજ ચરવા લઈ જાય છે.
ભરવાડનો રખેવાળ કૂતરો
થોડું આમ તેમ ચરાવી, થોડી વાર છુટ્ટા ફરવાની પરવાનગી આપી
હંમેશ નજર રાખી, સાંજે લઈ આવે છે પાછાં,
માંદા તરફ ધ્યાન દોરે છે ભરવાડનું.

ને પેલો ‘સિનિયર’ ભરવાડનો કૂતરો
માનવીઓને ભૂલથી ચરવામાં ને ચરવામાં
બીજા જન્મમાં ન પહોંચી જાય તેનું ધ્યાન રાખે છે.
માનવીની ચરવાની સીમા છે આ જન્મ સુધીની.
ડાબે, જમણે, ઉપર, નીચે જતાં દૂર સુધી જઈ
બીજા જન્મમાં ભૂલથી ન પહોંચી જવાય…
ભરવાડનો રખેવાળ કૂતરો, કે ભરવાડ, બહુ કડક નથી.
પણ નિયમ એટલે નિયમ.

મને સાચવતો રખેવાળ કૂતરો પણ સતત હાંક્યા કરે છે
મારા વિચારોને, વર્તનને
ભરવાડ ખુશ છે, રખેવાળ કૂતરાના કામથી.

ભરવાડ, રખેવાળ કૂતરા અને ઘેટાંનું
સારું ચાલે છે ક્યારનું…જન્મોથી…

( સંસ્કૃતિરાણી દેસાઈ )

પ્રતીક્ષા-પંચમ શુક્લ

શિખર પર ગોઠવી શય્યા ઉદિતની રાહ જોઉં છું,
ઘટાટોપે છો ઘેરાઉં, તડિતની રાહ જોઉં છું.

પ્રતિક્ષણ પુષ્પ જેવી પલ્લવિત આશા-નિરાશાઓ,
સતત સમભાવ રાખી સંભવિતની રાહ જોઉં છું.

વિહિતની વેદના વચ્ચે, નિહિતની વ્યર્થતા વચ્ચે,
વચન, વાણી ને વર્તનમાં વિદિતની રાહ જોઉં છું.

તપી, નીતરી ધવલ રંગે ફરકતાં શત શરદ અંતે,
સ્વયં સ્મશ્રુ તણા યજ્ઞોપવીતની રાહ જોઉં છું.

જીવનસંગીત ભરપૂર પ્રેમથી માણી લીધું મિત્રો,
હૃદયકુંજે હવે હું હંસગીતની રાહ જોઉં છું.

( પંચમ શુક્લ )

તડીત : વીજળી,દામિની
વિહિત : શાસ્ત્રોક્ત
નિહિત : ત્યાજ્ય, ગુપ્ત, અનામત
વિદિત : જાણેલું/જાણીતું, જ્ઞાન, ખ્યાત
સ્મશ્રુ : દાઢીના વાળ
હંસગીત : Swan song

એષણા-ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કોને કહેવાય છુપા ઘાવ બકા
હું બતાવું નજીક આવ બકા

સ્પર્શ સિંચી કરું સજીવન હું
તારો આ મૃત હાથ લાવ બકા

ઘરને દુનિયાથી ડિસકનેક્ટ કરે
એવડી ભીંત ના ચણાવ બકા

ઓરડો એકલો ઝૂરી મરશે
એક બે બારીઓ મુકાવ બકા

એ જ વેળા લખોટી ખૂટે છે ?
જ્યારે આવે છે મારો દાવ બકા

એના મૂળમાં જ એનું મારણ છે
એને મૂળમાંથી તું ખોદાવ બકા

એમાં ઊતરી તરસ છીપાવ બકા
મારી ભીતર છે એક વાવ બકા

( ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ )

વ્યથા સમો-સાહિલ

સરેઆમ સત્ય મરી ગયું-હું રહી ગયો છું પ્રથા સમો,
અને બાણશય્યા પર શ્વસુ છું અજર-અમરશી વ્યથા સમો.

હું બળેલા ખેતરે ઊભો છું હજી ચાડિયાના લિબાસમાં,
ભલે હોઉં ઠામડું ખાલીખમ છતાં હું સફરમાં ભથા સમો.

નથી અંશ મારા વિચારનો મળ્યો કોઈનાયે વિચારથી,
હું ઉતારી મુખવટા ઊભો છું-આ નગરના ચોકે તથા સમો.

સહુની હથેળીમાં એકલપણાના જ શ્રાપ લખાયા છે,
અહીં શૂન્યતામાં સરી રહેલો હરેક જણ છે જથા સમો.

મને ખુદને પણ હજી ઓળખી શક્યો અંશભારેય ક્યાં કદી,
મળ્યા લાખ લાખ જનમ છતાં-છે હરેક અધૂરી કથા સમો.

છે ચરણ ઘૂંટીડૂબ ધૂળમાં-અને દ્રષ્ટિ આભની પાર છે,
હું પરાસ્ત હોઉં તો શું થયું-હું નથી નમેલા મથા સમો.

ગઈ કાલ ‘સાહિલ’જે હતો-છું એ જ સાહિલ આજ પણ,
આ સમય રહ્યો છે વિખેરતો-છતાંયે રહ્યો છું યથા સમો.

( સાહિલ )

એમાં શું ?-ઉષા ઉપાધ્યાય

એક ‘દિ પેલાં ઝાડને જોઈ
એમ થયું કે લાવને હું યે
ઘેનઘેઘુરી ઝાડવું બની જઉં…

મનમાં મારાં એમ કે એમાં શું ?
મૂળ નાખીને ડાળ ફેલાવી,
પાંદડે-પાંદડું ફરકાવીને
એ..યને હળવે સૂર રેલાવી,
તડકો ઝીલતું નીલ-સોનેરી પંખી બની જઉં,
આભ આવીને રાતવાસો રહે એવડી છાયા દઉં.
પણ જરા જ્યાં મૂળ નાખ્યાં ત્યાં
સહેજ હવા નહીં, કંકર-પથ્થર,
ધરતી અરે આટલી કઠણ !
ટગલી ડાળે સિંચવાનું જળ આટલું અદ્ધર ઝટ દેતાં લઉં પગ ખેંચી, થૈ કામ
આ મારું, જાય ઊડી એ પહેલાં અસલ અંચળો ઓઢી લઉં.

( ઉષા ઉપાધ્યાય )