એ હિમાલય ગયો – સુરેશ દલાલ

.

હિમાલય ગયો.

હિમાલયને જોવાનું ભૂલી

બરફને વીણવામાં ખોવાઈ ગયો.

 .

એ ગયો

ઘૂઘવતા સમુદ્ર પાસે

સમુદ્રને જોયા વિના

એ મોજાંઓને છીણવામાં

ધોવાઈ ગયો.

 .

એ લીલાછમ્મ વનમાં ગયો.

ન જોયું વનશ્રીનું સૌંદર્ય

એ ઝાડી-ઝાંખરાઓમાં

અટવાઈ ગયો.

 .

હવે શું કરવું

એની ખબર પડી નહીં,

એટલે તેજાબથી એણે

આંખોને ધોઈ નાખી.

.

( સુરેશ દલાલ )

 .

૨૭.૧૧.૨૦૦૪

મને મારો – સુરેશ દલાલ

.

મને મારો રસ્તો વ્હાલો લાગે છે,

કારણ કે હું કવિતાની વચ્ચે જીવ્યો છું.

મને કવિતા પ્રિય છે,

કારણ કે હું રસ્તાની વચોવચ રહ્યો છું.

 .

અચાનક કોઈ કેડી મળે એમ મળે છે શબ્દ :

તો ક્યારેક કોઈક વ્યક્તિ જ એવી મળે

કે બધા જ શબ્દો સાવ નિ:શબ્દ.

 .

દુ:ખના પ્હાડને મેં સ્મિતમાં ઝબકોળ્યો છે

અને આનંદને આંસુના ખડકથી તોળ્યો છે.

 .

હું નકશાનો માણસ નથી

રસ્તાનો માણસ છું

એટલે ચાલ્યા કરું છું.

 .

ચાલવાની મારી રીત જુદી છે.

ક્યારેક હું પુસ્તકોના શબ્દોની ભીડમાં ખોવાઈ જાઉં છું

તો ક્યારેક મને મેળવી લઉં છું સમુદાયની સૃષ્ટિમાંથી.

 .

આંસુને જોયા પછી ક્યારેક

મારામાં સંતાડી દઉં છું હું નદીને

અને ઝરણાને જોયા પછી

પર્વતના મૌનને ક્યારેક

મારામાં બંદીવાન કરું છું.

 .

( સુરેશ દલાલ )

આ સૂર્યોદય – સુરેશ દલાલ

.

આ સૂર્યોદય, આ પ્હાડ, નદી, ઝરણ, સમુદ્ર

પસાર થતાં માણસો

આમાંનું કશુંયે મને મિથ્યા નથી લાગતું.

નથી લાગતો હું પણ મને મિથ્યા

આ બધું જ સત્ય છે.

જે દેખાય છે તે બધું જ સત્ય.

દેખાય છે ફૂલ

અનુભવાય છે ફોરમ.

ફોરમ ભલે દેખાતી ન હોય.

 .

જે કૈં નથી દેખાતું

તેનું હોવાપણું પરમસત્ય.

 .

મારે માટે કશું જ મિથ્યા નથી

જન્મ, મરણ, સ્મરણ કે વિસ્મરણ.

રૂપ કે અરૂપ

બધે જ ઈશ્વરનું સ્વરૂપ.

સમય કે કાળ

કશુંજ મિથ્યા નથી.

‍ॐ સત્યમ શરણં ગચ્છામિ !

 .

(સુરેશ દલાલ)

 .

૧૫.૦૯.૨૦૦૩

હું તારી પાસે – સુરેશ દલાલ

.

હું તારી પાસે આવતો હતો ત્યારે

મને રસ્તામાં

ફૂલોના દરિયાએ રોકવાનો પ્રયત્ન કર્યો

પણ હું તો નીકળી પડ્યો.

 .

હું તારી પાસે આવતો હતો ત્યારે

મને પ્હાડોના પ્રાણે રોકવાનો પ્રયત્ન કર્યો

પણ હું તો નીકળી પડ્યો.

.

હું તારી પાસે આવતો હતો

ત્યારે હું મને પણ રોકતો હતો

પણ મેં કોઈનું પણ કશું માન્યું નહીં

ને નીકળી પડ્યો તે નીકળી પડ્યો.

 .

હું તારી પાસે આવ્યો તો ખરો

પણ તારા બંધ દરવાજા જોઈ

હું થીજી ગયો-

હવે, હું અહીંથી ક્યાંય પણ જઈ શકું એમ નથી.

 .

( સુરેશ દલાલ )

.

૧૭.૦૭.૧૯૮૬

પાંદડે પાંદડે નામ ! – સુરેશ દલાલ

.

હું તો લીલું ઝાડ

ને એની એક જ મોસમ શ્યામ !

તમારું પાંદડે પાંદડે નામ !

 .

હું તો ઊંચો પ્હાડ

ને એને એક મનોરથ શ્યામ !

તમારું ઝરણે ઝરણે નામ !

 .

હું તો નાની કેડી

એની ઝીણી ઝંખા શ્યામ !

તમારું પગલે પગલે નામ !

 ,

હું તો અમથું નામ

ને એની એક જ લગની શ્યામ !

કે મારું ભૂંસી નાખું નામ !

.

( સુરેશ દલાલ )

 .

૧૯૭૯

બાર લઘુકાવ્યો

(૧)

સત્યની શોધ

Third degree

मूकम् करोति वाचालम्

 .

(ધીરુભાઈ અધ્યારુ)

 .

(૨)

જાકારો

 .

હાંફળીફાંફળી

પાનખર

પાછી વળી ગઈ મારા પહેલે પગથિયેથી જ :

વધામણી માટે ના પામી એ

કંકુ

ચોખા

નારિયેળ

કે ફૂલ….

 .

(ચંદ્રેશ ઠાકોર)

 .

(૩)

ચીંથરેહાલ

થઈ ગયેલી

જિંદગી ઓઢીને

ફૂટપાથ પર સૂતેલા

બાળકને જોઈને

મને ઈશ્વર

પથ્થરમાં દેખાય છે !!

 .

(દિનેશ કાનાણી)

 .

(૪)

જિંદગી કેવી અધૂરી હોય છે !

ક્યાં પિછાણી એને પૂરી હોય છે ?

રોજ આવે રક્તવર્ણી સાંજ આ,

રોજ ઈચ્છા એક ઝૂરી હોય છે.

 .

(સ્વ. સ્મિતા પારેખ)

 .

(૫)

આજે પણ

હું જોઈ શકું છું

પંખીના હસ્તાક્ષર

આકાશના દસ્તાવેજોમાં…

 .

(અબ્દુલ ગફાર કાઝી)

 .

(૬)

તો-

 .

જ્યાં છું

ત્યાં હોવાનું જો આવડે

તો ખબર પડી જાય

કે

આ શ્વાસ

આ ડર

આ પ્રેમ

આ સ્વપ્નો

આ શ્રદ્ધા

ને આ પ્રશ્નો

આ એક જ ક્ષણના

લાંબા ટૂંકા ઝાંખા ઘેરા

પડછાયા છે….

 .

(સોનલ પરીખ)

 .

(૭)

છોકરી

કરિયાવરની

પહેલેથી જ વિરોધી હતી !

એટલે તો

પિયરમાંથી

એના પતિના ઘરે

કશુંયે ન લઈ ગઈ

અપેક્ષાઓ સિવાય !!!

 .

(દિનેશ કાનાણી)

 .

(૮)

ભ્રમ

 .

તું

જેને ટકોરા

મારે છે…

એ દ્વાર નથી

દીવાલ છે

અને

દીવાલને

નહીં ખૂલવાની

આદત હોય છે.

 .

(રામુ પટેલ ડરણકર)

 .

(૯)

રાત્રે

ચંદ્રના

આછા અજવાળામાં

આરંભાયેલો

પ્રણય

સવારે

સૂર્ય બની

પાંગરે છે.

 .

(ગુરુદેવ પ્રજાપતિ)

 .

(૧૦)

તારા સ્મિતના દરિયામાં

ડૂબી ગયો છે

મારા

આંસુનો તરાપો…

 .

(અબ્દુલ ગફાર કાઝી)

 .

(૧૧)

હું

તારા સ્વપ્નમાં

આવું કે ?

આટલું જ પૂછ્યું ને…

એણે

આંખો મીંચી દીધી,

હંમેશ માટે.

 .

(ગુરુદેવ પ્રજાપતિ)

 .

(૧૨)

દરવાજાએ

ઘરમાં પ્રવેશવાની

‘ના’ પાડી

ત્યારથી

લટક્યા…. ખખડ્યા..

કરું છું

સાંકળ બની.

 .

(ગુરુદેવ પ્રજાપતિ)

તું – રાજેન્દ્ર પટેલ

.

(૩)

જેને જણસ સમજી જાળવ્યો’તો

જિગર સમીપે

એક દિવસ ખબર પડી

હતો એ કોલસો.

 .

પછી જણસની જગ્યા

તેં લીધી ને

તું જણસ, હું કોલસો.

 .

મને જ અજવાળતો

તાપણું થઈ ગયો.

.

.

(૪)

બારી તો ખુલ્લી જ હતી

આખા જન્મારાથી

અને બારણાંય ખુલ્લાં ફટાંક.

 .

તને બોલાવવાનું ન મને સૂજ્યું

ન તને આવવાનું.

ઘર આખું શું કામનું ?

અતિથિ વગર ?

બારી શું કામની

પંખી વગર ?

બારણું શું કામનું

તારા પગરવ વગર ?

 .

હું નથી છતાં છું

તારી રાહ જોતો

બારી જેવો.

 .

( રાજેન્દ્ર પટેલ )

નહીં જો મળે – શોભિત દેસાઈ

જઈશું શોધવા એને, સનમ નહીં જો મળે,

અહીં જ આવીશું પાછા-પરમ નહીં જો મળે.

,

સ્મરણમાં આપના હું જ્યારે જાઉં છું ત્યારે,

સતત રહે છે મને ભીતિ-ભરમ નહીં જો મળે !

 ,

ભવિષ્ય આખું તમે તો મુલતવી રાખ્યું છે,

બગડશે બેય, ફરીથી જનમ નહીં જો મળે

 ,

ટકોરા મારે છે એ ખૂબ આપતાં પહેલાં,

શું મેળવીશું, ફૂટેલાં કરમ નહીં જો મળે

 ,

દુકાનદારી સજાવી છે સ્થાનકોએ અહીં,

ન નાસીપાસ થતાં, ત્યાં ધરમ નહીં જો મળે !

 .

( શોભિત દેસાઈ )

પાંચ લઘુકાવ્યો

(૧)

સજા

 .

હે કવિ !

વાસ્તવિક થા.

જનમટીપની સજા

ફરમાવતા કાગળની પાછળ

કવિતા લખવાથી

સજામાં

ઘટાડો નહીં થાય.

 .

(મદનકુમાર અંજારિયા “ખ્વાબ”)

 .

(૨)

અંતિમયાત્રા

 .

ડાઘુભાઈ,

જરા ધીમેથી

ચાલજો… !

મેં બહુ ‘ઠોકરો’

ખાધી છે

જિંદગીમાં….

 .

(અનિરુદ્ધ આર. પટેલ)

 .

(૩)

મૌનની ઘેરી ઉદાસી તોડ મા,

શબ્દની સંગાથ નાતો જોડ મા;

જિંદગાનીને ગઝલમાં રણ કહી,

ઝાંઝવા પાછળ દીવાના દોડ મા.

 .

(પુષ્કરરાય જોષી)

.

(૪)

છાંયડામાં….

 .

વૃક્ષને કાપવું

જો અનિવાર્ય

થઈ પડે

તો…

ઉનાળામાં કાપજો,

કદાચ,

વિચાર

બદલાઈ જશે….

 .

(અનિરુદ્ધ આર. પટેલ)

 .

(૫)

હરીફાઈ

 .

મહાભિનિષ્ક્રમણ માટે

શ્વાસ ભલેને

ટટમટ તૈયાર થઈને બેઠા હોય.

પણ

ઠઠરો કરીને બેઠેલી જિજીવિષાની

હરીફાઈ એમને કરવાની છે.

અને

ઈતિહાસ જિજીવિષાની પડખે છે…

 .

(ચંદ્રેશ ઠાકોર)

તું – રાજેન્દ્ર પટેલ

.

(૧)

મૂઠી ખૂલતાં

ઊઘડતા મસમોટાં બારણાં.

 .

એ બંધ હતી ત્યાં સુધી તો

હતું અંધારાનું શાસન.

 .

ખુલ્લી થઈ

થયું અજવાળું.

 .

પણ ખૂલતાં ખૂલતાં

ખૂટી ગયા રે દિવસો.

 .

(૨)

રાતમાં તો

કાયમ અંધારું.

 .

ને રાતનો પડછાયો

આંખોમાં સદા છવાયેલો.

 .

પડદો ખોલી જોયું

ન પડછાયો, ન અંધારું.

 .

છે કેવળ આંખ તારી

અજવાળું છલકાવતી.

 .

( રાજેન્દ્ર પટેલ )