નેશનલ એન્ડ પેન અમેરિકન કોંગ્રેસના ઉપક્રમે ઈ.સ. ૧૯૪૨માં મેક્સિકોમાં એક ‘પત્રકાર અધિવેશન’ ભરાયું હતું, જેમાં પત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ધર્મસૂત્રોમાં પત્રકાર માટે વાંછનીય અને અવાંછનીય કર્તવ્યોનો સ્વર સમાવિષ્ટ છે:
- તમારા સમાચારપત્રની પ્રતિષ્ઠાનો ગર્વ કરજો; જોશ સાથે ઉત્સાહ પણ દાખવજો, પણ મિથ્યાભિમાની ન બનશો.
- પત્રકારત્વમાં જડતા એ મૃત્યુ સમાન છે, તો પીષ્ટ પેષણ મૃત્યુ છે.
- તક ગુમાવશો નહીં, બહુજ્ઞ બનો અને નવીનતાનું પ્રદર્શન કરવાનું ચૂકશો નહીં.
- વ્યક્તિથી મોટો છે સમાજ અને સરકારથી મોટો છે દેશ. મનુષ્ય મર્ત્ય છે, પણ સંસ્થા અને સિદ્ધાંત અમર છે.
- શત્રુ અને મિત્ર બન્ને બનાવજો. મિત્ર એવો હોય, જેને તમારી પાસેથી આદર મળે. શત્રુ એવો હોય, જેના પ્રત્યે આપ દ્વેષ ન કરો.
- આર્થિક અને સાહિત્યિક બન્ને ક્ષેત્રમાં આક્રમણનો જવાબ આક્રમણથી આપજો. શાંતિથી રહેવું હોય તો પોતાના રક્ષણ માટે હંમેશા તૈયાર રહેજો.
- તલવાર અને પૈસો બન્ને કલમના શત્રુ છે. જરૂરિયાત ઉપસ્થિત થતાં આત્મગૌરવની રક્ષા ખાતર જીવન અને ધનની કુરબાની આપજો.
- દ્રઢ રહેજો, પણ હઠાગ્રહી નહીં. પરિવર્તનશીલ બનજો, પણ નિર્બળ નહીં. ઉદાર બનજો, પણ હાથ બિલકુલ ખુલ્લા ન મૂકી દેશો.
- સ્પષ્ટવાદી, સ્વાભિમાની અને સાવધાન તથા ચેતનવંતા રહો તો જ આપનો આદર થશે. નબળાઈ પરલોક માટે સારી છે; બાકી તો એ નરી નપુંસકતા છે.
- જે કાંઈ છપાય તેની જવાબદારી લેજો. વ્યર્થ દોષારોપણ પાપ છે. પ્રતિષ્ઠાને હાનિકર્તા વસ્તુઓ ન છાપશો. લાંચ લેવી એ પાપ છે. સહકાર્યકર પત્રકારની જગ્યા મેળવી લેવાની ઈચ્છા રાખવી, ઓછા પગારે કામ સ્વીકારીને સહકાર્યકર પત્રકારને કાઢવો એ પણ પાપ છે અને કોઈની જાહેરાત લેખની જેમ છાપવી એ પણ પાપ છે. રહસ્યનું કાળજીથી જતન કરજો. સમાચારપત્રના સ્વાતંત્ર્યનું કે તેની શક્તિનો વ્યક્તિગત લાભાર્થે ઉપયોગ કદાપિ ન કરશો.
આ દસ ધર્મસૂત્રો એ પત્રકારના વ્યાવસાયિક કર્તવ્યની દીવાદાંડીરૂપ છે.
(ડો. ચંદ્રકાન્ત મહેતાના પુસ્તક- “પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યન”માંથી)