“મને ખબર છે હું મીરાં નથી અને મીરાં બનવું હોય તો મીરાં જેવું થવું પડે અને મારામાં એવી શક્તિ નથી. મને ખબર છે હું નરસૈંયો પણ નથી. જો મારે નરસૈંયો થવું હોય તો નરસૈંયા જેવું થવું પડે, અને મારામાં એવી શક્તિ નથી. મને એવી ભક્તિ આવડતી નથી, એવાં નથી ભજન આવડતાં. છતાં પણ બેસુરા રાગે હું તારાં ભજન ગાવાનો પ્રયત્ન કરું છું અને હાથમાં તંબૂરો લઈને તારા ગાન ગાવાને બદલે હાથમાં કલમ લઈને તારી પાસે માંગણીઓ મૂકે જાઉં છું. દિવસે દિવસે એ માંગણીઓ વિરાટ થતી જાય છે. મને ખબર છે જે દિવસે માંગણીઓ પૂરી થઈ જશે અને મારી પાસે માંગવા માટે કાંઈ નહિ રહે ત્યારે મારા બેસુરા રાગે ગવાયેલ મારાં ભજન આપોઆપ સુરીલાં બની જશે અને પછી મીરાં અને નરસૈંયો મારામાં આપોઆપ સમાઈ જશે.”
.
“તેં મને મનુષ્ય તરીકે જન્મ આપી તારા હસ્તાક્ષર કરી દીધા. એની મને ખુશી ખુબ છે. આજે આ દુનિયા હું તારી આંખે જોઈ રહી છું. એ દુનિયા કેટલી મોટી છે ? એમાં વસતાં માનવીઓ, વૃક્ષો, ફૂલો, ફળો, પશુઓ, પંખીઓ વગેરે જોતાં આ આંખો ધરાતી જ નથી. આટલું વિશાળ આકાશ અને એટલો જ વિશાળ દરિયો. જ્યાં પણ નજર પહોંચે ત્યાં તારી કરામત હોય જ. તેં મનુષ્ય ને જન્મ આપ્યો એમાં પણ તારી કરામત, તું તો તારા હસ્તાક્ષર કરીને છૂટી ગયો, મને જન્મ આપ્યો અને તારી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો અને મારા પર કેટકેટલી જવાબદારીઓનો બોજો નાખી દીધો છે, ખબર છે તને ? અને આ કાંઈ મારી એકલીની વાત નથી. દરેક મનુષ્ય કે જેને તેં આ ધરા ઉપર જન્મ આપ્યો છે તેની ઉપર કેટલો બોજો નાખી દીધો છે અને તું … તું ઉપર બેઠો બેઠો બધા તમાશા જોયા કરે છે. તને આ બધું જોઈને એમ પણ થતું નથી કે મારે હવે મનુષ્યને જન્મ આપવા બંધ કરવા જોઈએ ? ક્યાંથી થાય ? બોજો તો અમ મનુષ્ય એ વેંઢારાવાનો છે ને ? તારે ક્યાં કોઈ જવાબદારી છે ? આ બધી જવાબદારીઓને પૂરી કરતાં કરતાં, તારી નજદીક રહેવા, તારી સાધના કરવા સમય ફાળવવો હોય તો ફાળવી જ નથી શકાતો. છતાં પણ હું મનમાં ને મનમાં તો તને યાદ કર્યા જ કરીશ. તને ચાલશે ને ?”
.
( પલ્લવી શાહ )