૧.
શાંતિ કંઈ ક્રોધની વિપરીત
દશા નથી, જેને તમે સાધી લો.
હા, એ વાત સાચી છે કે
જ્યાં શાંતિ છે ત્યાં ક્રોધ નથી.
શાંતિ છે ક્રોધનો અભાવ,
તેનાથી વિપરીત નહિ.
લોકો એમ માને છે કે
શાંતિ, ક્રોધથી વિપરીત દશા છે;
માટે ક્રોધને દૂર કરશું
તો શાંતિ પ્રાપ્ત થશે.
નહિ, ક્રોધને દૂર કરવાથી
શાંતિ પ્રાપ્ત નહિ થાય;
તેમ કરવામાં તો તમે
વધુ અશાંત થઈ જશો.
આ પ્રયત્નથી તો એટલું જ બને
કે તમે શાંતિનું એક આવરણ ઓઢી લો
એક અંચળો ઓઢી લો…
અને અંદર તો બધું દબાયેલું રહે-
ઝેરની જેમ, પરુની જેમ;
જે ગમે ત્યારે ફૂટી શકે.
૨.
તમે જ્યારે કહો છો કે-
‘હું ક્રોધી છું, મારે અક્રોધી બનવું છે’
ત્યારે તે વાતનો અર્થ તમે સમજ્યા ?
તમે ક્રોધને કારણે
અત્યંત અસહિષ્ણુ થઈ ગયા છો.
તમે ક્રોધને
ધૈર્યપૂર્વક સ્વીકાર નથી કરી શકતા.
તમે મનમાં કહો છો-
‘ક્રોધ અને તે પણ મારામાં ?
મારા જેવો સજ્જન કંઈ ક્રોધ કરે ?
નહિ, આ વાત તમને ગમતી નથી.
અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
મારે ક્રોધથી મુક્ત થવું છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ…
મારે તેનાથી મુક્ત થવું જ છે.’
તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છું છો.
અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.
( ઓશો )