આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

કુન્દનિકાબેનના હસ્તાક્ષરો

“સાત પગલાં આકાશમાં” મારી પ્રિય નવલકથા છે તથા કુન્દનિકાબેન પણ મારા પ્રિય લેખિકા. જ્યારે હું ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી ત્યારે એક એસાઈન્મેંટના ભાગ રૂપે મારે કોઈ પણ પુસ્તક વાંચીને તેના પર લખવાનું હતું. ત્યારે મેં આ નવલકથા પર લખવાનું પસંદ કર્યું હતું. આ લખાણ હમણાં મને મારા ખજાનામાંથી મળ્યું જે આજે પોસ્ટ કરું છું.

કુન્દનિકાબેનની આ નવલકથા જ્યારે લખાઈ ત્યારથી આજ સુધીમાં ખૂબ વંચાઈ. ઘણી ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા.  સ્ત્રી સ્વાતંત્ર્યના આ વિચારો તે સમયે પણ ક્રાંતિકારી હતા અને આજે પણ હજુ એ એટલા જ ક્રાંતિકારી  છે. આ નવલકથા સમય પહેલા લખાઈ છે. આવી કોઈ ક્રાંતિ માટે આપણો સમાજ હજુ તૈયાર નથી. કોઈ વસુધા સાચે જ કોઈ આદિત્ય સાથે ચાલી નીકળવાની હિંમત બતાવે તો તેને સમાજ સ્વીકારશે કે તેના તરફ આંગળી ચીંધશે??

આ પોસ્ટ તૈયાર કરતી હતી તે દરમ્યાન જ એક મિત્ર સાથે આ નવલકથા સંદર્ભે વાત થઈ તો એણે કહ્યું કે: “કોઈ મને પૂછે કે તારું ઘર ક્યાં?-તો હું તે વ્યક્તિને મારું ચોક્ક્સ સરનામું આપું છું. પણ મારી કોઈ મિત્ર દુ:ખી હોય અને તે મારા આશરે આવે તો હું એને પાંચ દિવસ માટે પણ આ ઘરમાં રાખી શકતી નથી. ક્યારેક મને રડવાનું મન થાય તો તારા જેવા મિત્રને મારા ઘરે બોલાવીને એના ખભે માથું મૂકી હું રડી શકતી નથી.  કારણ કે લગ્નના પંદર વર્ષ પછી પણ મારે બધી જ વાતના જવાબો, કારણો અને હિસાબો આપવા પડે છે. હું મારી મરજીનું કંઈ જ કરી શકતી નથી તો આ ઘર મારું કહેવાય?”–મારી આ મિત્રનો પ્રશ્ન વિચાર માંગી લે એવો છે.

એક બીજી સ્ત્રી પણ મને યાદ આવે છે. જેને મેં ૨૦-૨૨ વર્ષ પહેલા આ નવલકથા વાંચવા આપી હતી. તે લગભગ વસુધાના જેવી જ વ્યથાથી પીડાતી હતી. તેને પણ વ્યોમેશ જેવો જ પતિ હતો. નવલકથા વાંચ્યા બાદ પરત આપતી વખતે તેણે મને કંઈ કહ્યું તો ન્હોતું પણ ત્યારે એની આંખોમાં કંઈક અલગ ચમક હતી. એક આશા હતી કે કદાચ મારી જિંદગીમાં પણ આવો દિવસ ક્યારેક આવશે. આદિત્ય જેવું જ કોઈ મળે એવું નહીં પણ કોઈ મિત્ર કે કોઈ સગાસંબંધીની ઓથ મળે તો આ પરિસ્થિતિમાંથી છૂટવાની તેને અપેક્ષા હતી. પણ થોડા વર્ષો પહેલાં માત્ર ૪૬ વર્ષની ઉંમરમાં હ્રદયના પહેલા જ હુમલામાં તે સ્ત્રીનું મૃત્યુ થયું. સ્વતંત્રતા તો તેને મળી પણ જિંદગીના ભોગે.

સાત પગલાં આકાશમાં

 

“આનંદગ્રામ”માં વૃક્ષોથી ઘેરાયેલી સુંદર જગ્યાનું નામ હતું ફૂલઘર. સૂરજ છેક દરિયા પર ઉતરી આવ્યો હતો તે સમયે વસુધાનો અંધારાની આરપાર તેજ લિસોટો દોરતો હોય એવો પ્રશ્ન ફૂલઘરમાં ઉપસ્યો: “માણસ જે રીતે પોતે જીવવા માંગે છે તે રીતે જીવી શકે ખરો?” આ પ્રશ્ન પૂછીને વિચારશીલ મગજમાં ઝંઝાવાત પેદા કરનાર વસુધા એ વ્યોમેશની પત્ની તરીકે ઓળખાતી સ્ત્રી હવે ન્હોતી. એ તો હતી માત્ર વસુધા-સ્વાતંત્ર્ય મેળવવા મથતી એક સ્ત્રી…

આનંદગ્રામમાં રહેતી વસુધાના મનમાં જોરદાર ઝપાટો આવ્યો…મનમાં રહેલી બંધ બારીનાં દરવાજા ખૂલી ગયાં…ને..

ને પછી વહી ગઈ એક કથા…પ્રસંગો…ઘટના અને કેટલીક ક્ષણો…

ફૈબાના મૃત્યુના સમાચાર જાણીને પણ પાર્ટીમાં આનંદથી વર્તતા પતિ વ્યોમેશ સાથે પ્રથમ વખત દલીલ કરતી વસુધાના મુખમાંથી સરી પડ્યું કે: “માણસ પોતાને ખરેખર જે લાગતું હોય તે પ્રમાણે જીવે એમાં સચ્ચાઈ છે”. પણ શું એ પોતે જ એ રીતે જીવતી હતી ખરી?

સાધારણ સ્થિતિનાં માતાપિતાની પાંચ દીકરીઓમાંની ત્રીજી દીકરી વસુધા સૌના દબાણથી એની ઈચ્છાને નેવે મૂકીને વ્યોમેશ સાથે પરણી ગઈ. વસુધાને તો આકાશમાં વિરહતા મુક્ત પંખીની જેમ મુક્ત ઉડવું હતું. પણ ત્યાં તો અનિચ્છાએ બંધાઈ ગઈ. પેલા આકાશમાંના પંખીને જોઈને એના અજાગ્રત મનની તરુણ ભૂમિમાં એક બીજ વવાયું.. “કોઈક દિવસ હું પણ ઉડતા પંખીના જેવું જીવન જીવીશ. આજે ભલે હું લગ્ન કરું સંસાર વસાવું પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઈચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ. કોઈ દબાણ હેઠળ હું નહીં જીવું”.

પરણ્યા બાદ વસુધાએ ઘરકામ અને ઘરકામની કંદરાઓમાં, ઊંડી અંધારી કોતરોમાં ચાલ્યા કર્યું. પોતાની પાછળ સતત ચોકી રાખતા, સતત ફરમાનો છોડ્યા કરતા, રૂઢિથી બધિર બની ગયેલા ફૈબાને સહ્યા કર્યા. પણ મન તો મુક્તિ માટે જ…સ્ત્રીની સ્વતંત્રતા માટે જ મંથન કરતું. એના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા….

“પુરુષ કદી પત્ની કે મા કે માસી કે ફોઈ માટે ખાવા-ન ખાવાનાં વ્રત લેતો હશે?”

“પ્રેમ કે સંબંધ કે ફરજ પુત્ર અને તેનાં માતાપિતા વચ્ચે જ હોય છે? અને પુત્રીનાં માબાપ વચ્ચે નહીં?”

“પુરુષ અમુકનો વિધુર એ રીતે કદી ઓળખાયો છે?”

“માતા પોતાના બાળકને પોતાનું નામ, પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ આપી શકે છે?”

“પુત્રીજન્મના વધામણાં થાય છે ખરાં?”

“દહેજ એ વ્યાપારી વિચારણા નથી?”

“સ્ત્રી શા માટે લગ્ન કરે છે? લગ્ન કરીને સ્ત્રીને શું મળે છે?”

“જીવન શું છે? આપણે બધાં શાને માટે જીવીએ છીએ, બીજાઓ સાથે શાને માટે જવાબદારીથી સબંધાઈએ છીએ?”

“મનુષ્ય મનુષ્ય વચ્ચે, સ્ત્રી અને પુરુષ વચ્ચે એવો સંબંધ શક્ય છે ખરો, જેનો આધાર પૃથ્વી હોય અને જેનો વિસ્તાર આકાશ હોય?”

“દક્ષતાપૂર્વક કામ કરવું, લોકપ્રિય થવું, વધું કમાવું એ શું ગુનો છે? પતિ માટે એ જો ગુનો ન હોય તો પત્ની માટે એ ગુનો કેમ કરીને હોય શકે?”

…પણ આ તમામ પ્રશ્નો…ઈચ્છાઓ…સમસ્યાઓને હલ કોણ કરે? એકલી વસુધા??

વસુધા લગ્ન પછી ઘણાં વર્ષો સુધી પતિનો અનાદર, ઉપેક્ષા સહન કરતી રહે છે. પરંતુ વ્યોમેશને કહી શકતી નથી કે “તમારો આ વ્યવહાર હું સહી લઉં છું ભલે ,પણ હું એ સ્વીકારી શકતી નથી”.

ન ઉચ્ચારાયેલ શબ્દો વસુધાની અંદર ને અંદર ગૂંગળાય છે. એના મનને ભીંસ લાગે છે. રોજના એકધારા કામની નીરસ ભૂમિમાં આનંદનું એક્કે તરણું ઊગતું નથી. પણ વસુધા અન્યાયને…વેદનાને સહન કરવા માટે સર્જાયેલી સ્ત્રી ન્હોતી. એ તો હતી સ્ત્રીમુક્તિની ચેતનવંતી મશાલ….!

અચાનક વસુધાના જીવનમાં વળાંક આવે છે. વસુધા અન્યાયો પ્રત્યે જાગ્રત બને છે, વિચાર કરે છે, આ પ્રકારની બીજી સ્ત્રીઓ સાથે સમવેદના અનુભવે છે, મથામણ કરે છે અને તેની અંદર સંઘર્ષ જાગે છે. અને પછી તેની જ્વાળાનો પ્રકાશ સંબંધોને તેના વાસ્તવિક સ્વરૂપમાં છતાં કરે છે. તેણે અને વ્યોમેશે વસાવેલો સંસાર…જેમાં હર્ષ, અશેષ, દીપંકર, સુનીલા, કમલ, સલીના હતાં. એ સર્વ માહોલને છોડીને મુક્તિના રાહ પર પગલાં માંડે છે.

મુક્તિના રાહ પર માંડેલા પગલાં વસુધાને “આનંદગ્રામ”માં ખેંચી લાવે છે. ત્યાં વસે છે ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, અગ્નિવેશ, એના-વિનોદ, અલોપા, મિત્રા, જયાબેન અને “અ”….બધાં મુક્તિના પંથે ડગ માંડતા વિચારશીલ, લાગણીશીલ, ઉચ્ચ આત્માઓ.

અને એક અપૂર્વ દિને એ જ “આનંદગ્રામ”માં અચાનક વસુધાનો ભેટો એના નાનપણના મિત્ર આદિત્ય સાથે થાય છે. આદિત્ય એક ભવ્ય પુરુષ…, એના હ્રદયના ધબકારે આછો આછો સચવાયેલો પુરુષ! આદિત્ય સામાજીકકાર્ય, સેવા અને હાસ્યનો માણસ હતો. વાતોનો રસિયો, સાહસનો પ્રેમી. હિમાલયમાં એ બહુ સાદું કામ કરતો. જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં બે હાસ્ય વાવતો.

આદિત્યના આવ્યા બાદ ઘણી ઘટનાઓ બને છે. અને સમય પસાર થતાં આદિત્યને હિમાલય પાછા ફરવાનો દિન આવી પહોંચે છે. પાછા ફરવાના આગલા દિવસે આદિત્ય વસુધાને કહે છે:

”વસુધા, તું…તું આવીશ મારી સાથે પહાડોમાં? આપણે સાથે મળીને ત્યાં આવું આનંદધામ ઊભું કરવાની કોશિશ કરી શકીએ. તું એ કરી શકીશ…”

અને વસુધા આદિત્યને ઉત્તર આપે છે: “ભલે, હું આવીશ…”

અને સાચે જ, વ્યોમેશ નામના બંધનને તોડીને સ્ત્રી મુક્તિની અદભુત મશાલ લઈને વસુધા નામનું પંખી આદિત્ય નામના જબરજસ્ત સાથના સહારે આકાશમાં ખૂબ ઊંચે ઊડ્યું. કે જે પંખીને ચાર દીવાલની ચેતનામાં ફરી સમાવવા કે મુક્ત રીતે ઊડતા અટકાવા માટે કોઈ સમર્થ ન્હોતું.

સાત પગલાં આકાશમાં-કુન્દનિકા કાપડીઆ  

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર

પૃષ્ઠ: ૪૬૧

કિંમત: રૂ. ૨૫૦.૦૦

હિના પારેખ “મનમૌજી”

Copyright©HeenaParekh

દિવ્યભાસ્કર અને ટાઈપભૂલો

આ વિષય પર થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે. એનો એક વધુ નમૂનો જુઓ.

Divya Bhaskar - Valsad Vapi Edition (19/03/2010)

કંટોલ કે કંટ્રોલ?

અહીં ટાઈપ ભૂલ નથી. પણ બોલચાલની ભાષાને લખવાની ભાષા બનાવી દીધી છે. આવું વાંચીને હસવું કે રડવું તે સમજાતું નથી.

આ વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો.

શ્રદ્ધાંજલિ

Preeti, Nita, Sudha (Baku), Bhavini, Parul, Dipti, Heena

उसके आ जाने की उम्मींदे लिए

रास्ता मूड मूड के हम तकते रहें

  

 

કોની રાહ જોઈએ છીએ? કોનો ઈન્તઝાર કરીએ છીએ? જાનેવાલે કભી લૌટકર નહીં આતે. 

 

સાત સખીઓના આ ફોટોગ્રાફમાંથી એક વ્યક્તિ તા. ૧૬/૦૩/૨૦૧૦ના રોજ ઓછી થઈ ગઈ. બકુ ઉર્ફે સુધા બંકિમચંદ્ર પારેખ (રતલામ) એ આ દુનિયામાંથી વિદાય લીધી. 

 

એની સાથેના તમામ સંસ્મરણો માનસપટ પર તરવરી રહ્યા છે. બાળપણ અમે સૌએ સાથે વીતાવ્યું. પહેલેથી જ એનું વ્યક્તિત્વ સીધું, સાદું અને સરળ રહ્યું. અમારા સૌમાં એ સૌથી મોટી હતી પરંતુ કોઈ દિવસ એણે એની મોટપનો અધિકાર કોઈ પર બતાવ્યો હોય એવું યાદ નથી. અમે સૌ એના કરતાં નાના તો પણ એને તું કહીને જ સંબોધી શકતા હતા. એનું વ્યક્તિત્વ શાંત, સરળ, નિષ્પાપ, નિરાભિમાની, નિરુપદ્રવી અને કંઈક અંશે આંતરમુખી હતું. તેના સ્વભાવમાં કશીક મીઠાશ હતી, સામી વ્યક્તિને પોતીકી બનાવી લે એવી એક આગવી સુગંધ હતી, જે હવે માત્ર સ્મૃતિ બની ગઈ છે.

 

 

 

પરણીને રતલામ ગઈ. પછી જ્યારે આવવાનું થતું ત્યારે પહેલાના જેટલા જ ઉમળકાથી મળતી. આટલી માંદગીમાં પણ કોઈ ફરિયાદ એના ચહેરા પર જોવા ન મળતી. જ્યારે પણ પૂછીએ ત્યારે જવાબ મળતો-સારું છે. તારી હિંમતને જોઈને લાગતું હતું કે તું મૃત્યુને જીતી જઈશ. પણ બકુ તું આટલી વહેલી ચાલી જઈશ એવું કોઈએ ધાર્યું ન્હોતું.

 

સ્વજન-પ્રિયજનના મૃત્યુનો ઘા ઘણો વસમો હોય છે, જે માત્ર કાળ જ રૂઝવી શકે છે. સ્વજનની ખાલી જગ્યા આશ્વાસનના બોલથી ભરી શકાતી નથી.

 

બકુ તારા આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય અને તારા પરિવારજનોને તથા અમને સૌને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે એજ પ્રાર્થના હું કરું છું. તું સ્વર્ગસ્થ નથી થઈ અમારા સૌના હ્રદયમાં હ્રદયસ્થ થઈ છે.

 

તમામ સગા-સંબંધી અને મિત્રો વતી બકુને ભાવભીની શ્રદ્ધાંજલિ, લાગણીભીની પ્રેમાંજલિ તથા શોકાર્ત મૌન પાઠવું છું.

 

-હિના પારેખ

પત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’

નેશનલ એન્ડ પેન અમેરિકન કોંગ્રેસના ઉપક્રમે ઈ.સ. ૧૯૪૨માં મેક્સિકોમાં એક ‘પત્રકાર અધિવેશન’ ભરાયું હતું, જેમાં પત્રકારની આચારસંહિતાના દસ ધર્મસૂત્રો’ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ધર્મસૂત્રોમાં પત્રકાર માટે વાંછનીય અને અવાંછનીય કર્તવ્યોનો સ્વર સમાવિષ્ટ છે:

  1. તમારા સમાચારપત્રની પ્રતિષ્ઠાનો ગર્વ કરજો; જોશ સાથે ઉત્સાહ પણ દાખવજો, પણ મિથ્યાભિમાની ન બનશો.
  2. પત્રકારત્વમાં જડતા એ મૃત્યુ સમાન છે, તો પીષ્ટ પેષણ મૃત્યુ છે.
  3. તક ગુમાવશો નહીં, બહુજ્ઞ બનો અને નવીનતાનું પ્રદર્શન કરવાનું ચૂકશો નહીં.
  4. વ્યક્તિથી મોટો છે સમાજ અને સરકારથી મોટો છે દેશ. મનુષ્ય મર્ત્ય છે, પણ સંસ્થા અને સિદ્ધાંત અમર છે.
  5. શત્રુ અને મિત્ર બન્ને બનાવજો. મિત્ર એવો હોય, જેને તમારી પાસેથી આદર મળે. શત્રુ એવો હોય, જેના પ્રત્યે આપ દ્વેષ ન કરો.
  6. આર્થિક અને સાહિત્યિક બન્ને ક્ષેત્રમાં આક્રમણનો જવાબ આક્રમણથી આપજો. શાંતિથી રહેવું હોય તો પોતાના રક્ષણ માટે હંમેશા તૈયાર રહેજો.
  7. તલવાર અને પૈસો બન્ને કલમના શત્રુ છે. જરૂરિયાત ઉપસ્થિત થતાં આત્મગૌરવની રક્ષા ખાતર જીવન અને ધનની કુરબાની આપજો.
  8. દ્રઢ રહેજો, પણ હઠાગ્રહી નહીં. પરિવર્તનશીલ બનજો, પણ નિર્બળ નહીં. ઉદાર બનજો, પણ હાથ બિલકુલ ખુલ્લા ન મૂકી દેશો.
  9. સ્પષ્ટવાદી, સ્વાભિમાની અને સાવધાન તથા ચેતનવંતા રહો તો જ આપનો આદર થશે. નબળાઈ પરલોક માટે સારી છે; બાકી તો એ નરી નપુંસકતા છે.
  10. જે કાંઈ છપાય તેની જવાબદારી લેજો. વ્યર્થ દોષારોપણ પાપ છે. પ્રતિષ્ઠાને હાનિકર્તા વસ્તુઓ ન છાપશો. લાંચ લેવી એ પાપ છે. સહકાર્યકર પત્રકારની જગ્યા મેળવી લેવાની ઈચ્છા રાખવી, ઓછા પગારે કામ સ્વીકારીને સહકાર્યકર પત્રકારને કાઢવો એ પણ પાપ છે અને કોઈની જાહેરાત લેખની જેમ છાપવી એ પણ પાપ છે. રહસ્યનું કાળજીથી જતન કરજો. સમાચારપત્રના સ્વાતંત્ર્યનું કે તેની શક્તિનો વ્યક્તિગત લાભાર્થે ઉપયોગ કદાપિ ન કરશો.

આ દસ ધર્મસૂત્રો એ પત્રકારના વ્યાવસાયિક કર્તવ્યની દીવાદાંડીરૂપ છે.

(ડો. ચંદ્રકાન્ત મહેતાના પુસ્તક- “પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યન”માંથી)